Saturday, January 30, 2010

કૂત્તે - Faithful, કમીને - Menkind ?

" કૂત્તે - Faithful, કમીને - Menkind ? "

મારો બ્લોગઃ-

પ્રિય મિત્રો,

એક દિવસ,મોર્નિંગ વૉક માટે, કાંકરિયા ચાલવા જવાનું,સવારે મોડું થઈ જવાથી, હું અમારા ચારરસ્તા સુધી ચાલવા નીકળ્યો.

મારી સોસાયટીની બહાર આવતાંજ, એક ભટકેલા,ભૂલા પડેલા,રખડતા,બીજી શેરીના સડેલા કૂતરાએ, બે પગ વચ્ચે પૂંછડી દબાવીને ,સ્થાનિક કૂતરાંઓથી બચવા મારું શરણ લઈ લીધું. કદાચ એને,ભ્રમ થયો હશેકે, એને બચાવવા પુરતો, હું બહુ બહાદુર હોઈશ.

હવે આગળ-આગળ (બહાદુર?) હું , પાછળ મારા શરણમાં આવેલ, ડરપોક સડેલો કૂતરો અને તેની પાછળ, પોતાની હદ સુધી,પેલા કૂતરાને ભગાડવા આવેલા,છ-સાત કૂતરા-કૂતરીઓની, ભસતી ફોજ.
(જોકે, પોતાનાં મા-બાપ-ભાઈ-બહેન-કાકા-કાકી,કરતાંય, વધારે જોરથી ભસતાં, તેમનાં ગલૂડિયાંને જોઈને મને આશ્ચર્ય ઘણુંજ થયું.)

આ આખાય કૂતરાં સરઘસથી બચવા,રોડ ક્રોસ કરીને, હું સામેની તરફ ગયો તો, શરણાર્થી સડેલો કૂતરો પણ એ તરફ મારી પાછળ-પાછળ આવ્યો, સાથે પેલું સમૂહ ગાન (??) કરતું કૂતરાં સરઘસ પણ આવ્યું.

હવે શું કરવું? મેં ફરીથી રોડ ક્રોસ કર્યો,તો ફરીથી બધાએ આમ કર્યું.હવે હું ખરેખર સલવાણો. યાર..!! સાવ, આવા કૂતરાંવેડા થોડાજ કાંઈ ચલાવી લેવાય?

આસપાસ કોઈ જોતું નથીને,તેમ જોઈ તપાસી, સડેલા શરણાર્થી કૂતરાને ભગાડવા,હાથમાં મેં નાનો પથ્થર ઉઠાવ્યો, તો તે તો, સામે મને જ ઉલ્ટાનું, દયામણા ચહેરે, હળવું ભસીને, ઠપકો આપતું હોય તેમ લાગ્યું, " શરમ નથી આવતી? શરણે આવેલાને તરછોડતાં? સા..!! માણસ..!! ગયો ને, છેવટે તારી જાત પર..!!." ગભરાઈને,મેં પથ્થર ફેંકી દીધો.

હું છેક, ચારરસ્તે પહોંચ્યો,ત્યાં સુધી બધાં કૂતરાંઓએ ભેગા મળી, મારી આવી અવદશા કરેલી જોઈ, વહેલી સવારે, મોર્નિંગ વૉક માટે આવેલા રાહદારીઓ, વહેલી ખૂલી ગયેલી ચ્હા,પાન,બીડીની દુકાનવાળાઓને, અનંત હાસ્યનો તડાકો પડી ગયો.

જાણે કાલથી આવો તમાશોની મઝા લેવા,પોતાનાં બાળકોનેય લાવવાં હોય તેમ,એક બહેને તો, પેલા સડેલા શરણાર્થી કૂતરા સામે આંગળી ચીંધીને, ભોળાભાવે (??) મને પુછ્યુંય ખરું," હેં ભાઈ..!! આ પાળેલા કૂતરાને લઈને રોજ ફરવા આવો છો ?"

જોકે, પાછા વળીને, મેં નક્કી કર્યુંકે, હવે કોઈ દિવસ આ નવરાઓની (કૂતરાંઓની) સોબત સવાર-સવારમાં નથી કરવી.મોર્નિંગ વૉક માટે મોડું થઈ જાય તો, ચારરસ્તા ચાલતા ના જવું, સોસાયટીમાંજ, આંટાફેરા મારી લેવા, સાલું..!! કૂતરાં આપણાં ઓળખીતાં તો ખરાં...!!

આ અનુભવને કારણે, કૂતરાંના વિચારે ચઢી ગયો તેથી, ચારરસ્તે,એક દ્રશ્ય જોઈને, મને બોધિસત્વનું, એક વધારાનું, જ્ઞાન લાધ્યું.

ગ્રીન સિગ્નલની રાહ જોઈ,અડધા ભૂખ્યા પેટ સાથે, એક શ્રમિક તૂટેલી સીટની,પૂંઠમાં વાગતી, સ્પ્રિંગવાળી સાયકલ પર,બેઠો હતો અને બાજૂમાં,અત્યંત મોંઘી કારની સુંવાળી, મખમલી ગાદી ઉપર, બ્યૂટી પાર્લરની ટ્રીટમેન્ટ પામેલો, એક હાઈબ્રીડ પાળેલો કૂતરો, આરામથી મોંઘાદાટ બીસ્કીટ આરોગતો હતો.જોકે, હવે તો પાળેલાં કૂતરાંની શૉપમાં,એટલી બ્રાન્ડ મળે છેકે,યાદ રાખવી અઘરી થઈ જાય તેમ છે.?

આમતો, માબાપનો ખર્ચ ન પોસાતો હોવાનું બહાનું કરીને, ઘરડાઘરમાં મૂકી આવનારા, પરંતુ, કૂતરા-કૂતરીના લગ્નો ધામધૂમથી કરાવનારા,પ્રાચીન અને અર્વાચીન નવાબોનીય જગતમાં ક્યાં ખોટ છે? મને વિચાર આવ્યો,કદાચ,આવાં દ્રશ્ય જોઈને જ, વિશ્વ સમાજમાં, સામ્યવાદની વિચારધારા પ્રચાર-પ્રસાર પામી હશે ?

આપણા શાસ્ત્રોમાં શ્વાન-સ્થાન.

ભગવાન વિષ્ણુના ચોવીસ અવતારમાંના એક ઋષિ-દત્તાત્રેયને કૂતરા પ્રિય છે, કારણકે, તેમની આસપાસ ચાર કૂતરા તે ચાર વેદ છે.

નર્મદા કિનારે,સુપ્રસિદ્ધ તીર્થધામ, નારેશ્વરમાં શ્રીરંગઅવધૂત મહારાજના આશ્રમમાં પણ `બૂચીયો` નામનો કૂતરો પાળેલો.જે કોઈ દિવસ સ્નાન કર્યા વગર, પૂ.મહારાજશ્રી પાસે જતો નહીં, અગિયારશ હોય કે અન્ય સહુ ઉપવાસ કરે ત્યારે, સહુની સાથે, ઉપવાસી બની રહે અને ક્યારેય એઠું ના ખાય બધા ભોજન-પ્રસાદ જમે ત્યારે તે પણ પંગતમાં બેસીને જમે. આજે પણ ત્યાં તેની સમાધીની રચના કરીને,પ્રાણી માત્રમાં ઈશ્વરનો વાસ છે તેવો ઉપદેશ, શિષ્યગણને પૂજય બાપજીએ આપ્યો..!!

ગુજરાતી લૅક્સિકનમાં જણાવ્યા પ્રમાણે,

" શિકારી કૂતરો ( Hunter Dog ),એ નામનો તારો; મૃગશીર્ષ. આ તારાને આપણે વ્યાધ કહીએ છીએ. તેને પાશ્ચાત્યો મોટો કૂતરો કહે છે. તેમને મન આપણું મૃગશીર્ષ એ શિકારી છે અને તેની પાછળ પડતો આ વ્યાધ hunter કૂતરો છે. પેલા શિકારીની સાથે નીકળેલો તે કારણે તેને આકાશમાં સ્થાપવામાં આવ્યો છે ખરો, પણ એના વિષે યુરોપમાં એક બીજી પણ કથા છે કે, પુરાણકાળમાં આ અવની પર એક અદ્ભૂત્ કૂતરો પેદા થયેલો. તેને માનવીઓએ દેવોને અર્પણ કરેલો. એ કૂતરાનો વેગ અને તાકાત જોઈને ભગવાન જ્યુપિટર તેના પર ખુશ થઈ ગયા અને તેને આકાશમાં સ્થાપી દીધો."

પૌરાણિક મહાગ્રંથ મહાભારતમાં, હિરણ્યધનુષ કે હિરણ્યધેનુક નામના ભીલ રાજાનો દીકરો અને દ્રોણાચાર્યના શિષ્ય, એકલવ્યની કથા અદભૂત છે.

પાંડવ અને કૌરવોને ધનુર્વેદ શીખવવા માટે ભીષ્મે દ્રોણાચાર્યને રાખ્યા હતા. તેની પાસે બીજા ઘણા રાજપુત્રો પણ આવ્યા હતા. તેથી એકલવ્ય પણ ત્યાં આવ્યો અને શિષ્ય તરીકે સ્વીકારી વિદ્યાદાન આપવાની પ્રાર્થના કરી,

દ્રોણાચાર્યે તેનો સ્વીકાર કર્યો નહિ. તેથી તેણે આચાર્ય પાસે પાદુકા માગી. દ્રોણાચાર્યે તે આપી. પછી પોતાને ઘેર આવી ભક્તિપૂર્વક આચાર્યની માટીથી મૂર્તિ બનાવી એની આગળ પોતે આણેલી પાદુકા મૂકી તેની રોજ નિયમપૂર્વક પૂજા કરી પોતાનાં ધનુષ્ય બાણ લઈ મૂતિ સામે ઊભા રહી બાણ ફેંકવાનો અભ્યાસ કરતાં વિમોક્ષ, આદાન, સંધાન વગેરે ધનુર્વિદ્યામાં પ્રવીણ થઈ ગયો.

એક વખત પાંડવ કૌરવો અને બીજા રાજપુત્રો મૃગયા સારૂ ગયા હતા તેઓ મૃગની પાછળ પડ્યા હતા પણ તેનો શિકારી કૂતરો રસ્તો ભૂલી એકલવ્યની પાસે આવી ચડ્યો, તે એકલવ્યને જોઈ ભસવા લાગ્યો. એનું ભસતાં પહોળું મોં જોઈને એકલવ્યે નાનાં નાનાં બાણની એક ઝૂડી ધનુષ્ય ઉપર ચડાવી એવી આબાદ મારી કે એના પહોળા મોંમાં પેસી ગઈ. કૂતરાથી ન ભસાય કે ન મોં બિડાય એવું કરી દીધું. કૂતરો ત્યાંથી નાસીને રાજપુત્રો પાસે ગયો.

રાજપુત્રોને આશ્ચર્ય થયું કે આ કરનાર કોઈ જબરો ધનુર્ધર હોવો જોઈએ. તેની શોધ કરતા કરતા તેઓ જતા હતા એટલામાં હાથમાં ધનુષ્ય બાણ સહિત એકલવ્યને દીઠો. એને પૂછતાં તેણે કહ્યું કે હું દ્રોણાચાર્યનો શિષ્ય છું. આ વાત રાજપુત્રોએ દ્રોણાચાર્યને કહી. તે સાંભળી દ્રોણાચાર્ય બધા રાજપુત્રો સાથે તે જંગલમાં ગયા. દ્રોણાચાર્યને જોતાં જ એકલવ્યે પ્રણામ કર્યા અને હાથ જોડીને ઊભો રહ્યો. પછી તેની અસ્ત્રવિદ્યાની પરીક્ષા કરતાં તે સર્વથી ઉત્તમ જણાયો. પોતે કેવી રીતે અભ્યાસ કર્યો હતો તે પણ કહી સંભળાવ્યું. આથી બધાને આશ્ચર્ય થયું.

આ માણસ કોઈ વખત અર્જુનને પણ ભારે પડશે એમ દ્રોણાચાર્યને લાગવાથી એમણે એકલવ્ય પાસે ગુરુદક્ષિણા માગી કે તું આજથી બાણ છોડતી વખતે તારો પોતાના અંગૂઠો કદીયે બાણને અડકાડીશ નહિ. એકલવ્યે ત્યારથી બાણને અંગૂઠો અડકાવવાનું મૂકી દીધું. આ વ્રત આજ સુધી કિરાતો પાળે છે.

કૂતરા માટે આપણી ભાષામાં કેટલીક જાણીતી કહેવતઃ-

૧. કૂતરા જેવું = કજિયાખોર.દરેક તરફ ભસતું અને કરડતું. ભટકતું.

૨. કૂતરાની પૂછડી વાંકી અને વાંકી = સીંદરી બળે પણ વળ ન મૂકે.

૩. કૂતરાનું મોં બિલાડીએ ચાટ્યું = ખરાબ માણસની સંગતમાં નઠારા માણસો જ હોય.

૪. કૂતરો એકવાર હાથમાંથી રોટલો લઈ જાય = એક વખત જેણે છેતરેલ હોય તેનામાં વિશ્વાસ ન રખાય.

૫. વાસી વધે ન કુક્કુર ખાય = પોતે એટલુંજ ધન ઉપાર્જન કરવું,જેટલું પોતાને શરીર ટકાવવા જરુર હોય.(પ્રપંચ ન કરવો.)

કુક્કુર ( કુરકુરિયું; ભટોળિયું.) = નર શ્વાન. ( કુક્કુરના ગર્ભવાસની મુદ્દત ૬૦ દિવસની અને તેની આયુર્મર્યાદા ૧૫ વર્ષની મનાય છે.)

કૂતરાની કૂશળતા અને માનવ લાભાર્થે ઉપયોગ

સન-૧૯૨૨ માં, હાલના ઝિંમ્બાબ્વેમાં, પશુશાસ્ત્રી મિ. એફ આર. બૅરન્સના પ્રયત્નો દ્વારા, સાઉથ આફ્રિકામાં, જર્મન શીકારી કૂતરા અને ડચ સલામતી રક્ષક કૂતરાઓના ક્રોસ સંવનન દ્વારા,જે નસ્લ પેદા કરાય છે તેને, `ર્હોડેસીયન રીડ્જબૅક` કૂતરા કહે છે, આ કૂતરાની નસ્લ એટલી,ખૂંખાર અને હિંસક હોય છેકે, જો તેનો સમૂહ વિફરે તો, જંગલના રાજા, સિંહને પણ ફાડી ખાય છે.

આજ નસ્લમાં,અન્ય એક પ્રકાર,`ખૉખોઈ` કૂતરા છે,જેમની ધ્રાણેન્દ્રીય અને નજર, અત્યંત સંવેદનશીલ હોય છે.તે ખૂબ ચબરાક અને અદભૂત શીકારી હોવાને કારણે,.જન્મથી જ ટ્રેઈનીંગ આપતા,ટ્રેઈનર સિવાય,અન્ય કોઈ વ્યક્તિ દ્વારા,આ તમામ શીકારી કૂતરાઓને નિયંત્રણમાં રાખવા ખૂબ કઠીન કામ છે.

હવે તો ખાસ તાલીમ પામેલા કૂતરાઓ દ્વારા, જાસૂસો,સી.આઈ.ડી. પણ ખૂનની તપાસમાં કૂતરાની ધ્રાણેન્દ્રીય શક્તિનો ઉપયોગ કરે છે.કેટલાક દેશોમાં આ કામ માટે,કૂતરાને સરકારી પગાર-ભથ્થાં, અરે..!! ઑફિસરનો હોદ્દો પણ, કાયદેસર આપવામાં આવે છે

ઘોડા,બળદ,ઊંટ,હાથી,ઘેટાં,બકરાં એ પાળેલાં જનાવરો છે. તેઓ માણસને ઘણાં ઉપયોગી છે, પણ બધાં પાળેલાં પ્રાણીઓમાં,કૂતરો સૌથી વધારે વફાદાર હોય છે. એને માણસનો મિત્ર કહે છે. ઊંટ અને હાથી ગરમ પ્રદેશમાં રહેનારાં પ્રાણીઓ છે. તે ઠંડા દેશોમાં દેખાતાં નથી. બળદ અને ઘોડા ભારત અને ઈગ્લેડમાં જોવા મળે છે પણ તે અત્યંત ઠંડા ધ્રુવ પ્રદેશમાં જોવા મળતા નથી. પણ માણસ જ્યાં-જ્યાં જઈ શકે ત્યાં કૂતરો બધે જ તેની સાથે જાય છે.

આપણા દેશમાં માનવની ભટકતી જાતી,(વણઝારા કોમ), ખાસ પ્રકારના કૂતરાને તાલીમ આપીને, તેની પાસે, પોતાના કુટુંબકબીલાના રક્ષણ ઉપરાંત, ઘેટાં,બકરાં અને ઢોર ચરાવવા જેવું અઘરું જણાતું કામ પણ લે છે. આ કૂતરાં એટલાં ચાલાક હોય છેકે, મજાલ છે, કોઈ પશુ,ચરતું ચરતું આઘુંપાછું થાય?

શેરીકૂતરાં અને આપણે.

આપણે ત્યાં,ગામડાંઓ અને શહેરનાં, શેરી કૂતરાંઓની નસ્લમાં, શરીર પર,આછા કે ગાઢ વાળ સિવાય,અન્ય ખાસ કોઈજ ફરક નથી હોતો.તેનું વજન આશરે ૨૫ કિલોગ્રામની આસપાસ હોય છે.પોળ, ફળિયું,અને સોસાયટીઓમાં, જીવદયા પ્રેમીઓના રોટલા પર જીવતા,આવા શેરી કૂતરાઓ,એક રોટલાના બટકું ટુકડાના બદલામાં,તેની આણ પ્રવર્તતી હોય તે, આખા વિસ્તારનું, રાત દિવસ રક્ષણ કરીને,અન્નનું ૠણ ચૂકવી આપે છે.

અમે નાના હતા ત્યારે, શેરીમાં તાજી વિયાએલી કૂતરીને, મારાં મમ્મી શીરો ખવડાવવા, બનાવી આપતાં, કહેતાંકે, " સુવાવડી કૂતરીને શીરો ખવડાવવાથી પૂન્ય મળે છે."

બદલામાં કૂતરી અમને તેનાં,મઝાનાં,સુંદર ગલૂડિયાંની સાથે,મનભરીને રમવા દેતી.કૂતરી અમને વઢે નહીં તેથી,અમે કૂતરી આઘીપાછી થાય ત્યારે,બંને ગલૂડિયાંનાં,કપાળ હળવેથી એકબીજાને,અથડાવતા અને બાદમાં,બંને ગલૂડિયાં,એકબીજા સામે,તીણા અવાજે ભસે તેનો અમે, નાનાં બાળકો, આનંદ માણતા,જોકે મમ્મી જોઈ જાયતો,અમને લઢીને,અમારી ધૂળ ખંખેરી નાંખતી.

હવેના જમાનામાં તો,દરેક પોળ-ફળિયાં,સોસાયટીમાં,એક-બે કૂતરાપ્રેમી કુટુંબ સિવાય, આવાં શેરી કૂતરાં સામે નજર નાંખવાની કોઈને નવરાશ નથી હોતી. કેટલાક રહીશો તો આવાં કૂતરાં ના ત્રાસથી કંટાળીને, સરકાર દ્વારા, ખાસ નિમાયેલા વિભાગના, સત્તાધિકારીઓને ફરિયાદ કરી,કૂતરાં પકડવા ગાડી બોલાવે છે.

જોકે ત્યારબાદ, કૂતરાંને પકડાતાં બચાવનારા અને તેને પકડનારા વચ્ચેની રમૂજી દોડાદોડી,જોવાની તો, સાચું કહું...!! મને આ ઉંમરે પણ મઝા આવે છે.

જોકે,આવાં કેટલાંક શેરી કૂતરાં,અસાધ્ય ગણાતા હડકવા,`હાઇડ્રોફોબિયા`, નામના રોગથી પીડાય અને બીજાને કરડે (ડાવું ભરે ?) ત્યારે, તેને છેલ્લે પકડાવ્યા કે મારી નાંખ્યા સિવાય કોઈજ ઉપાય બાકી નથી રહેતો. આવાં હડકાયાં કૂતરાંના,ભોગ બનેલા,કેટલાક માણસોને મેં વીસ વરસ બાદ પણ,હડકવા ઉપડતાં,ઘણીજ દયાજનક હાલતમાં મરતા જોયા છે. એટલેજ ઘણીવાર આપણા સમાજમાં, કેટલાક અત્યંત ગુસ્સાવાળા અને દરેક વાતે બીજાની સાથે અમાનવીય વર્તન કરતા,માણસને `હડકાયો`,હોવાનું ઉપનામ આપવામાં આવે છે.

હડકવામાં પ્રાણીને સખત આફરો ચડે છે. ખોરાક ગળે ઉતરતો નથી. શરીરનો પાછલો ભાગ નબળો પડી જાય છે. બરડો વાંકો વળેલો હોય છે. ચાલતાં અડબડિયાં ખાય છે પગ પછાડે છે. મોઢાંમાંથી જાડી લાળ પડે છે. પછીથી ઊભું થાય છે, બરાડે છે. ખાતું પીતું નથી અથવા જરાક ખાય છે અને પાછું કાઢે છે. છાતી ઉપર અર ઓડ વાળી સૂવે છે. ગળામાં અવાજ થાય છે. ઘણુંખરું એક અઠવાડિયામાં મરી જાય છે.

હડકાયું કૂતરું કરડે કે તરત જખમ ડામી દેવો. રોગનાં ચિહ્ન જણાય તો જરૂર મરણ નીપજે છે. કોઇપણ ઉપાયથી ફાયદો જણાતો નથી. હડકાયું જનાવર બીજાં સારાં જનાવર અથવા માણસોને કરડે નહિ તેની ખાસ સંભાળ રાખવી. હડાકાયાં જનાવરને ખાસ બંદોબસ્તથી જુદું બાંધવું કે જેથી બીજાં પ્રાણીઓને ઈજા કરી શકે નહિ. હડકાયું જનાવર કરડ્યું હોય તે ઢોરનું દૂધ ખોરાકના ઉપયોગમાં લેવું નહિ. આંખ લાલ થાય છે. કૂતરું ભસે છે અને કરડવા દોડે છે. પાણી કે ખોરાક ખાઈ શકતો નથી. અંધારામાં તથા એકાંતમાં બેસી રહે છે.

કૂતરું કરડે તો,તાત્કાલિક તે ઘાને,ચોખ્ખા પાણીથી સાફ કરી,ડૉક્ટર પાસે પહોંચીને,`ટેટેનસ-Tetanus Vaccine`,ના ઈંન્જેક્શનનો કોર્સ કરાવી લેવો જોઈએ.

કેટલાક માણસોને રાત્રે કૂતરાં ભસે તે ગમતું નથી.

આવાજ એક ભાઈએ, એક હાસ્ય કલાકારને સવાલ કર્યો, " કૂતરાં રાત્રે જ વધારે કેમ ભસે છે?" (કદાચ, એ ત્રાસને લીધે એ ભાઈની ઉંઘ ખરાબ થતી હશે?)

પેલા હાસ્ય કલાકારે, જવાબ આપ્યો," કૂતરાંને રાતની શાંતિ ખૂબ ગમે છેને એટલે..!!"

પેલા ભાઈને સમજ ના પડી તેથી,મેં સમજાવ્યું," કૂતરાંને નીરવ શાંતિ ગમે છે, તેથી રાત્રે શાંતિ સ્થપાય તેના આનંદમાં, તે પોતાના પડોશી કૂતરાઓ સમક્ષ ભસીને (અટ્ટહાસ્ય કરીને?) આનંદ વ્યક્ત કરે છે..!!"

આપણા શાકમાં ભાદરવાના ભીંડા વખણાય છે. (જોકે, હવે તો બારેમાસ ?? ) તેજ પ્રમાણે, ભાદરવો માસ, કૂતરાંઓનાં પ્રજનન માટે, ખાસ મહત્વનો ગણાય છે.

આ સમયે કૂતરાંઓનું ભસવાનું પણ વધી જાય છે.

આપણા દેશમાં,લગભગ ૪૦% કરતાં વધારે,ગરીબ સંયુક્ત કુટુંબને રહેવા ફક્ત એકજ.રુમની સગવડ હોય છે, તેવામાં,રાત્રે અંદર ઘરમાં (!!) કોણ સુવે,તે બાબતે કૂતરાંની માફક લડતા,બાપ- દીકરા-ભાઈઓના તમાશામાંથી,ઝઘડો વધતાં, જાનહાની થયાના ઉદાહરણ પણ ,અખબારોમાં ઘણીવાર વાંચવા મળે છે.

કૂતરાંની વસ્તીનિયંત્રણના પ્રયાસ.

સરકારી સત્તાવાળાઓ દ્વારા, શેરી કૂતરાંઓની સંખ્યાના નિયંત્રણ માટે,ઘણા સમય પહેલાં,તેને રાત્રે ઝેરી દવા, દૂધમાં ભેળવી મારી નાંખવાનો સહેલોને સટ, હિટલરી ઉપાય,અમલમાં મૂકાયો હતો.

જોકે, કેટલીક જીવદયાપ્રેમી સંસ્થાઓએ, આ પધ્ધતિનો વિરોધ કરી,કાયદાનો સહારો લેતાં, નામદાર કૉર્ટના આદેશ અનુસાર,હવે આવાં કૂતરાનાં ખસીકરણની પદ્ધતિ દ્વારા,તેની સંખ્યા નિયંત્રણ કરાય છે.

આપણા દેશમાં,બેંગ્લોર મહાનગર નિગમે, આખા શહેરને રખડતાં કૂતરાંથી મુક્ત કરવા,બીડું ઝડપ્યું છે.`પિપલ ફોર ઍનિમલ` સંસ્થાના પ્રવક્તા, સુશ્રીઅલ્પના ભરતીયાના જણાવ્યા મુજબ," ખસીકરણ એ શેરીકૂતરાંઓની સંખ્યાને નિયંત્રિત કરવાનો શ્રેષ્ઠ માર્ગ છે."

જે શેરીમા,એકજ કૂતરી હોય અને બે ચાર કૂતરા હોય, ત્યાં તેમની વચ્ચે, ખાસ સેક્સી પોઝ આપવા જે ઝઘડા થાય છે ? તેનાથી સોસાયટીની શાંતિ હણાય છે. આમતો એક પ્રકારે, સેક્સનું જે જ્ઞાન સરકાર નથી આપતી, તે વસ્તીવધારાના, ધર્મકાર્યમાં ધ્યાનમગ્ન કૂતરાંઓ દ્વારા,નાનાંમોટાં સહુ રહેવાસીને, પ્રેક્ટીકલ જ્ઞાન જોવા શીખવા મળે છે.

અમદાવાદની પોળોમાં,પોળના નાકે, ઓટલા પરિષદ ભરીને બેસતા,કેટલાક ચોખલિયા,સાત્વિક (!!) યુવાન ભક્તો, આવાં ધર્મ-ધ્યાન-યોગાસન કરતાં, તપસ્વી કૂતરાંઓને, છૂટાં પાડી ને જ, છેવટે જંપતા જોયા છે, કદાચ તેઓ શેરી કૂતરાંઓના,વસ્તી નિયંત્રણ કાર્યમાં, સરકારને મદદ કરવા માંગતા હશે ?

જોકે, આજે શ્રીસંજય ગાંધી,જીવતા હોત તો, આવા ઉત્સાહી,યુવાનોની, વિદ્યાસહાયકની જેમ, `શ્વાન-ખસીસહાયક`,તરીકે ભરતી કરીને પ્રજાને,કૂતરાંઓના ત્રાસમાંથી છૂટકારો અપાવ્યો,હોત..??

લેખના મથાળે, સહુથી ઉપર,દર્શાવેલ મૉર્નિંગ વૉકના પ્રસંગ,ઉપરથી એક વિચાર આવે છે કે, કેટલા અફસોસની વાત છે, એક રખડેલો, માર્ગ ભૂલેલો,સડેલો, કૂતરો,પોતાની સરહદ વટાવીને,ગેરકાયદેસર આવી પહોંચ્યો હોવાની,ભાળ મળતાં.બધી શેરી અને સોસાયટીઓનાં,પાંચ દશ કૂતરાંઓ, આપસના મતભેદ ભૂલીને,એક અવાજે,આ ઘૂસણખોરનો સામનો કરી,તેને ભગાડીને જ જંપે છે?

જ્યારે આપણે આશરે ૧૨૦ કરોડ ભારતવાસીઓ, આસપાસના પડોશમાંથી,ગેરકાયદેસર ઘૂસી જઈ,આપણા દેશને, સરેઆમ નુકશાન કરનારાં તત્વો સામે એક અવાજે, ભસી..!! ઓ..હ, સૉ..રી..!! બોલી પણ નથી શકતા.

મારી જિંદગીમાં માણેલી,કેટલીક શ્રેષ્ઠ તસ્વીરોમાં, હમણાંજ દિવ્યભાસ્કરમાં પ્રગટ થયેલી એક તસ્વીર જોઈને મને તો મઝા આવી ગઈ હતી. આ વિરલ ક્ષણને તસ્વીરમાં પકડનારા તે ,ફોટોગ્રાફરને મારા સલામ.

આ તસ્વીરમાં,કૂતરાં પકડવા ઉભેલી વાનના પાછળના ભાગમાં,એક કૂતરો પાછલો પગ ઉંચો કરી,વાનને મૂત્રદાન કરી,પાવન કરી રહ્યો હતો,તેની બાજુમાં તેની ઘરવાળી(??) કૂતરી ચોકીદારી કરતી હોય તેમ, પ્રાણનાથના આ પરાક્રમને બિરદાવતી હોય તેવા ભાવ સાથે, પોતાને વારો આવે તેની રાહ જોઈને ઉભી હતી.

કૂતરો કહેતો હશે, " લે..!! લેત્તો જા...!! સાબુ થી ધોજે હવે તારી ગાડીને ઘેર લઈ જઈને..!! મોટા અમને પકડવાવાળા ના જોયા હોય તો...!! છટ્ટ..!! "

જોકે, આ તસ્વીરને આતંકવાદ સાથે સાંકળવા ગયો તો,મને ઘણુંજ દુઃખ થયું. અજમલ કસાબ જેવા લોકો,ગેરકાયદેસર આપણા દેશની સરહદમાં ઓળંગી, આપણી આવાં કૂતરાં પકડવાની વાન,જેવી સલામતી સંસ્થાઓ પર, જાણેકે પાછલો પગ ઉંચો કરી મૂત્રદાન કરી, ઉપહાસ કરતા હોય તેમ ઘણીવાર લાગે છે ?

સાલું...!! આપણે,સાવ કૂતરાંથીય ગયા ??

માનવ જાત સાથે કૂતરાંની સરખામણી??

આમતો કૂતરાની વફાદારીના ગુણ સામે,માનવજાત સાવ વામણી ભાસે છે. માનવજાત સાથે તેની સરખામણી કરીને, કૂતરાંનું અપમાન થાય તેવી બીક હોવા છતાં ચાલો ટ્રાય કરીએ?

* માનવ- વફાદાર ? (કહેવાય નહીં.) (કૂતરાં-૧૦૦%)

*કટુંબ ભાવના ? (So-So..!!)(કૂતરાં-૧૦૦%)

* હડકાયાપણું ? (૯૦ %) (કૂતરાં-૧૦%)

*વસ્તી નિયંત્રણ ? ( સમૂળગી બહેરાશ ) (કૂતરાં-જરૂર નથી?)

*જાતી- ધર્મ- વાડા ની બ્રાન્ડ ? (કૂતરાં કરતાં અનેક ઘણી)

*માનવ -માનવ પ્રત્યે,જીવ દયા ? (માનવ - ૧૦ % .)(કૂતરાં -૧૦૦%)

* ( ભાઈ, આગળ થોડી મહેનત આપ કરો. હવે માણસના સદગુણ શોધો. બરાબરને ? અને હા, મળે તો મને બ્લોગ ઉપર જાણ કરવા મહેરબાની? )

કૂતરાં અને આપણી ફિલ્મો.

આપણી ફિલ્મોમાં, વિલનોને `કૂત્તે કમીને, મૈંતેરા ખૂન પી જાઉંગા..!!' સંવાદ રટી-રટીને, અભિનેતામાં થી છેક સંસદ સુધી પહોંચી ગયેલા, જૂના જમાનાના.` હીમેન` શ્રીધર્મેન્દ્ર દેઑલજી (જાટ પુત્તર) બધાને યાદ હશે.

જોકે,એ બાબત અલગ છેકે, આ સંવાદ,હવે તો, સ્ટેન્ડ-અપ કૉમેડીયનો પણ નથી બોલતા.( સાવ ચવાઈ ગયેલા સંવાદને કોણ ચાવે.)

આપણી બોક્સ ઑફિસ પર- સફળ ફોર્મૂલા-મસાલા ફિલ્મોમાં,નાનાં બાળકોની સાથે,સુંદર કૂતરાની હાજરી હોવી અનિવાર્ય માનવામાં આવે છે.

રાજશ્રી પ્રોડક્ષનની,રૅકોર્ડ બ્રેક, સફળ ફિલ્મ,` હમ આપકે હૈં કૌન`, તેનું તાજૂં ઉદારહણ છે,જેમાં નાના કૂતરાએ,બે પ્રેમીપંખીડાંને મેળવી આપ્યાં હતાં.

આ ઉપરાંત, આપણી લોકકથાઓ અને વિશ્વના તમામ,ગદ્ય-પદ્ય સાહિત્યમાં,કૂતરાના સદગુણોને સ્થાન આપવામાં આવ્યું છે.
દોસ્તો, આપણું કૂતરાં-પુરાણ કદાચ લાંબું થઈ ગયું લાગે છે.

પણ આ લેખની હજી વધારે મઝા લેવી હોય તો, જ્યાં-જ્યાં કૂતરો લખેલું છે ત્યાં-ત્યાં માણસ મૂકીને વાંચશો, તોય બહુ ફરક નહીં પડે.( હા, કૂતરામાં,વફાદારીનો દુર્ગુણ મળી આવશે ખરો..!!)

આપણે બધા બગડીને બેહાલ થઈ ગયા હોય તેમ આપને નથી લાગતું?

માર્કંડ દવે.તા-૨૯-૦૧-૨૦૧૦.

3 comments:

  1. વ્યંગ ની સાથે સાથે માહિતી સભર લખાણ લખવાની ગજબ ની ફાવટ છે.મજા આવે છે આપના લેખ વાચવાની.ધન્યવાદ સાથે આભાર પણ.

    ReplyDelete
  2. સરસ વ્યંગ સાથે મજાની માહિતી.

    ReplyDelete
  3. સરસ વ્યંગ સાથેની મજાની માહિતી.

    ReplyDelete

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.