Friday, July 2, 2010

તરંગીપણું - આંખનું કણું?

તરંગીપણું - આંખનું કણું?      

" यत्काले हयुचितं कर्तृ तत्कार्यं द्रागशंकितम।
   काले   वृष्टिः  सुपोषाय ह्यन्यथा सुविनाशिनी॥"


અર્થાતઃ- જે સમયે જે કાર્ય કરવું ઘટે, તે કાર્ય શંકારહિત થઈને, તુરત કરી લેવું. કારણકે સમયસર થયેલા વરસાદથી, ધનધાન્ય પ્રાપ્ત થાય છે અને કસમયે થયેલા વરસાદથી (માવઠાથી) ધનધાન્યનો નાશ થાય છે.

===========

પ્રિય મિત્રો,

સુપ્રભાતના, લખનવી અંદાજ઼ની,  એક નિરાંત  ક્ષણે, વરંડામાં, ગરમાગરમ ચ્હાની ચૂસ્કી લેતાં,અખબારમાંથી એક ચહેરો ઉંચો થઈને,  સમગ્ર ઘરને ગજવતા, મોટા અવાજે, એક પ્રશ્નરૂપે, ગાજ્યો.

" આ ક્રોસ-વર્ડ (શબ્દ-કસોટીમાં) એક વાક્ય છે, `પાણીમાં પથ્થર ફેંકતાં  _______  પેદા થાય છે.` ત્રણ અક્ષરનો શબ્દ છે. ક્યો શબ્દ આવે ? "

જોકે , આ સવાલ,   કોઈ એકને, પૂછાયો નહતો , તેથી બધાં સદસ્ય,   શબ્દ શોધવા,   વિચાર - મથામણે ચઢ્યાં.
કોઈએ કહ્યું,` વમળ`, કોઈએ કહ્યું, `વલય`, પણ તે શબ્દ  કસોટીમાં બંધબેસતા ન હતા.

ઘરના તમામ સદસ્યની, સવારની જરૂરી દૈનિક  ક્રિયાઓ, આ બધી ભાંજગડમાં,   મૂંઝાઈ ગઈ,.

એટલામાં કોઈએ  ઉપાય સૂચવ્યો, " એક કામ કરો, આપણે આપણા પુસ્તકપ્રેમી અને પ્રખર વાચક,  `તરંગીલાલ` તરંગને પૂછી જોઈએ. ક્યાં ગયો એ......?"

ત્યાંતો, વરંડાની બાજુમાં આવેલા, બાથરૂમમાંથી,  યુવા  તરંગનો, ભોળુકડો,  ઘાંટો સંભળાયો," એ, મારું નામ લખી નાંખો...!!  ` તરંગ` "  

શબ્દ કસોટીમાં, `તરંગ` શબ્દ બંધબેસતો આવી ગયો. બધાની મૂઝવણમાં પડેલી,  દૈનિક પ્રભાત ક્રિયાઓમાં, ફરીથી જાણે જીવસંચાર થયો.

આજકાલના યુવાનોના, મોબાઈલ મેનિયા કે ટીવી ઍડિક્શનથી, જોજનો દૂર એવા આ તરંગને, આખો  દિવસ,  લાયબ્રેરી અને રવિવારના ગુજરીબજારમાંથી વીણી લાવેલા, પુસ્તકોના ઢગલા વચ્ચે, વિહરતો જોઈને, ઘરનાં સર્વે  સદસ્યએ તેનું ઉપનામ `તરંગીલાલ` પાડ્યું છે.

પરંતુ, આ તરંગ અને તરંગીપણું એટલે શું?

તરંગ કે તરંગીપણું એટલે, માનવસ્વભાવની, એક એવી ખાસિયત,જેમાં તેના ધૂનીપણાને કારણે, તેના વ્યવહારની અગાઉથી કલ્પના ન કરી શકાય.

આવા માનવના મનમાં ઉઠતી, ત્વરિત વિચાર લહેર, તરંગ કે ધૂન પર તેનો કાબૂ નથી હોતો, જે કારણે તેના વ્યવહારમાં, અચાનક બદલાવ આવે, જેની કોઈને  પૂર્વધારણા  હોતી નથી.

આવી વ્યક્તિઓ, સદૈવ કલ્પનામાં રાચનારી હોવાથી,સમાજમાં તેમને `શેખચલ્લી` પણ કહે છે. શેખચલ્લી ઉપનામ પડવા પાછળ પણ એક દંત-કથા છે.

બાળપણમાં સાંભળેલી એક વાર્તા મુજબ, એક ગામમાં, એક ભોળા શેખ રહેતા હતા. તે કુંવારા હતા.પોતે પાળેલાં દુધાળાં ઢોરઢાંખરનાં   દુધ-ઘી ને વેચી તેઓ પોતાનું ગુજરાન ચલાવતા હતા.

એક દિવસ, તેમના લગ્ન માટે, એક કન્યાની વાત આવી.ભોળા શેખજીને ધોળા દિવસે સ્વપ્ન સતાવવા લાગ્યાં.

એક દિવસ, શેખ પોતાનાં દુધાળાં ઢોરના દૂધમાંથી, બનાવેલ ઘીનો મોટો ઘડો  લઈને, ઘી વેચવા, શહેરના માર્ગે ચાલ્યા.રસ્તામાં, તેઓ, ધોળા દિવસે, સ્વપ્નમાં રાચવા લાગ્યા.

તેઓએ સ્વપ્ન  જોયું કે જાણે, 

આજે ઘી વેચીને તેમને ખૂબ રૂપિયા મળ્યા છે,જેમાંથી, તેમની શાદી થઈ છે અને તેમને પાંચ બાળકો છે. તેઓ શહેરમાંથી ઘણા રૂપિયા ખર્ચી, તેમની બીબી અને બચ્ચાં માટે, તેમને મનગમતી, અનેક ચીજવસ્તુઓ ખરીદીને ઘેર પાછા આવે છે.

પોતાને મનગમતી વસ્તુઓ જોઈ બાળકો અને બીબી રાજીના રેડ થઈ જાય છે.શેખ હાથપગ ધોઈ, જમવા બેઠા,ત્યારે હરખમાંને હરખમાં, તેમની પત્ની તેમના ભાતમાં ઘીની ઉભી ધાર  કરે છે,  ઘ્યાન ના રહેવાથી, ઘીનો રેલો  થાળીમાં  રેલાવા માંડે છે.

ઘી ને વેડફાતું જોઈ, શેખજીએ ગભરાઈને, વધારે ઘી રેડવાની ના કહેવા, જોરથી, ડાબે-જમણે, માથું ધુણાવ્યું.

અને  તે સ્વપ્નમાંથી બહાર આવ્યા ત્યારે, જોરથી માથું  અને શરીર હાલવાથી ,માથા ઉપર રાખેલો, ઘીનો મોટો ઘડો,  જમીન પર પડી,  ફૂટી ગયો હતો.

શેખજીના લગ્નનું, આખુંય સ્વપ્ન ધૂળમાં મળી ગયું.

ત્યારથી, આવા જાગૃત અવસ્થામાં, સ્વપ્ન તરંગમાં રાચતા `શેખજીઓ`,  ને   `શેખચલ્લી`નું   ઉપનામ   અપાય છે.

ટૂંકમાં, આવા તરંગી માનવીઓ,  ધૂની,  ચંચળ,   લહેરી,   કલ્પનાશીલ,   ક્યારેક અવાસ્તવિક વર્તન ધરાવતા, પૂર્વાનુમાન રહિત સ્વૈચ્છાચારી,   ક્યારેક ઝઘડાળુ, સળીખોર,   અડપલાંખોર તથા ક્યારેક ત્રાસજનક હદે તોફાની હોય છે.

તરંગીપણાના કેટલાંક રમૂજી ઉદાહરણ

*

એક રાજ્યમાં, તરંગી રાજાએ, સરકારી તીજોરીને ભરવા તથા વસ્તી વધારો નાથવા, સેક્સ પર ટેક્સ જાહેર કર્યો. કોઈને અન્યાય ન થાય તે માટે, જાહેરનામું બહાર પડ્યું,

" યુવાન નાગરિકોએ વધુ સેક્સ-ટેક્સ ચૂકવવો. ( તા.ક જેમજેમ તેઓની ઉંમર વધશે, તેમતેમ તેમના સેક્સ-ટેક્સ દરમાં ઘટાડો કરવામાં આવશે..!!) "

જોકે, આ રાજ્યમાં, આ ટેક્સ લાગુ થયા બાદ, છૂટાછેડાનું પ્રમાણ વધી ગયું.

દરેક પતિ-પત્નીનો ઝઘડો એકજ હતોકે, `મારા કરતાં એનું ટેક્સ બીલ વધારે કેવીરીતે આવ્યું?"




એકવાર વાદળ ઘેરાતાં, ચાર માળના ફ્લેટમાં રહેતા એક યુવાને, વરસાદના છાંટા પડે છેકે નહીં...!! તે જાણવા, બારી બહાર ડોકું કાઢ્યું અને હાથ લાંબો કર્યો. તેટલામાં ચોથા માળે, વાળ ઓળવા ઉભેલી યુવતીના, હાથમાંથી કાંસકો છટકી જતાં, તે યુવકના હાથમાં ઝીલાઈ ગયો.

યુવકે, ઉંચે જોઈને યુવતીને પૂછ્યું," આ કાંસકો તમારો છે?",

યુવતીએ કહ્યું, "હા, ઉપર આપી જશો પ્લીઝ..!!"

યુવક ઉપર ગયો, ત્યારે યુવતીએ ચ્હાનો આગ્રહ કર્યો, યુવક રોકાઈ ગયો.

લાંબી વાતચીત બાદ, સાંજના જમવાનો સમય થતાં, યુવતીએ જમવાનો આગ્રહ કર્યો, યુવક રોકાઈ ગયો.

જમ્યા બાદ,યુવતીએ રાત્રી રોકાણનો આગ્રહ કર્યો, યુવક રાજી થઈ ગયો.

બીજા દિવસે સવારે, યુવકે જતાં-જતાં પૂછ્યું, " તમે દરેક આંગતુકને આવી રીતે, રાત્રીરોકાણનો આગ્રહ કરો છો? "

યુવતીએ, ગંભીર થઈ જણાવ્યું," હા, નીચે પડી ગયેલો કાંસકો પરત કરનાર દરેકને..!!"

યુવકે પૂછ્યું," આજે  સાંજે હું  ફરી, જમવા આવી શકું ? " 

યુવતી," જરૂર, સાંજે કેટલા વાગે, હું મારો કાસકો નીચે ફેકું?"

*

બળાત્કારના આરોપસર એક યુવાનને, પોલીસસ્ટેશનમાં, ઓળખ પરેડ માટે, કેટલાક યુવાનોની સાથે, ઉભો કરવામાં આવ્યો.

ત્યારબાદ બળાત્કારી યુવાનને ઓળખવા માટે, ભોગ બનનાર યુવતીને, તે કમરામાં લાવવામાં આવી.

યુવતી પેલા યુવાનને ઓળખી બતાવે, તે પહેલાંજ,

પેલા યુવાને , તે યુવતી સામે આંગળી ચીંધીને જોરથી કહ્યું," સાહેબ, આ તેજ યુવતી છે.  હું   તો તેને અંધારે પણ ઓળખી શકું છું...!!"


જોકે, તરંગી માણસને અવગણવો ન જોઈએ કારણકે, માણસને, સમગ્ર અને શૂન્યતાનો ભેદ, પારખવાની શક્તિ, તરંગી બન્યા પછીજ પ્રાપ્ત થાય છે.

પ્રખ્યાત બ્રિટિશ નાટ્યકાર  ઑસ્કાર વાઈલ્ડ ( ૧૮૫૪-૧૯૦૦) ના કથન અનુસાર,

" A men, who knows the price of every things and the value of nothing."      

કલાની પુરસ્કર્તા અને મહેમાનોના, આતિથ્ય  માટે  વખણાતી, તરંગી પણ હાજર જવાબી ફ્રેંચ લૅડી- `Marie Anne de Vichy`  (1697 – 23 September 1780)  નો એક જીવનપ્રસંગ નોંધવા જેવો છે.

એકવાર એક પાર્ટીમાં, ઉપહાસની ક્ષણો વચ્ચે, એક અન્ય લૅડી દ્વારા, પુરુષો અંગે એક તારણ રજુ થયુંકે, "તમામ પુરૂષો અહંકારી હોય છે..!!"

ત્યારે મૅરીએ ફટ દઈને જવાબ આપ્યો,"  હા..હા...હા..., તમે  ઉઘાડા પડી ગયેલા,  રહસ્યને, પ્રથમ વાર, છતું કરી રહ્યાં છો..!!"

ચાલો,આપણે, આવા કેટલાક, તરંગ મમળાવીએ.
                                                  
કેટલાક, મમળાવવા જેવા, તરંગ

* દરેક પ્રભાત, એક નવી ભૂલની શરૂઆત લઈને આવે છે..!!

* આજે એકપણ ભૂલ નહીં થાય, મારા, આખા દિવસનો કાર્યક્રમ ભરચક છે...!!

* ભૂલ કરતા રહો, જ્યાંસુધી તમે સુધરી ન જાવ..!!

* મારું મગજ બહેર મારી ગયું છે,  તે મને ચોખ્ખું દેખાય છે..!!

* ચારિત્ર્ય નહીં સુધારો, ત્યાં સુધી સમયનો માર પડતો રહેશે..!!

* મારી બીમારીના દિવસે પણ,   હું  કાર્યરત રહું છું, જેથી લોકો મને  મૃતક (લાશ) કહી શકે..!!

* સુખની ચાવીઃ-   `લાંબું વિચારવાનું બંધ કરો અને નવું કાર્ય શરૂ કરવાનું ભૂલી જાવ..!!`

* વિચારોના થાકને, મૂંઝવણ કહે છે..!!

*  મારી પાસે ઉકેલ એકપણ નથી હોતા, પણ મને સમસ્યા બહુ ગમે છે..!!

* એટલા બધા ઑપન- માઈન્ડેડ ન બનશો, તમારું  મગજ ક્યાંક બહાર પડી જશે..!!

* જાહેરમાં, તમે  પ્રથમ પ્રયત્ને સફળ થાવ તો, ચહેરા પર આશ્ચર્યભાવ ના લાવશો..!!

* ના ભાવતો કોળિયો, થૂંકવાની તક  ન મળે ત્યાં સુધી, વાનગીનાં વખાણ કરતા રહો..!!

* ગજવું, નાણાંથી, ભરેલું હોય તો, ખર્ચ કરવા બહાનું શોધવાની જરૂર નથી..!!

* કાર જ્યાં સુધી તૂટવાનો ( BREAK) ભય ન લાગે ત્યાં સુધી, બ્રેક ( BREAK)  નો ઉપયોગ ટાળો..!!

* વિકાર, એ અંધારામાં, ગમતું શોધવાની કવાયત છે..!!

આપણે તે માનવું  જ જોઈએ કે,   દુનિયામાં  ગાંડાનાં ગામ જુદાં નથી હોતાં, પણ શું તરંગી માનવીને ગાંડા કહેવાય?

હરગિજ નહીં, જો એમજ હોય તો, ગૅલેલિયો, આર્કીમિડીઝ, ન્યૂટન થી માંડીને હૉમી ભાભા, અબ્દુલ કલામ સુધીના તરંગી માણસોના તરંગીપણાએ,   તારવેલી શોધખોળની  બાદશાહી  સગવડ,    ભોગવનારા, આપણે  સહુથી મોટા તરંગી છે તેમ, કહી શકાય...!!

જોકે, કોઈનું પણ, તરંગીપણું, ઝનૂન બની, અન્યને નુકશાનકર્તા ન  હોય ત્યાંસુધી જ, તે ગુણ આવકારદાયક છે.

તરંગીપણામાંથી, સાયકિક બની ગયેલા, શેતાન દિમાગની કથાઓ પર, હોલીવુડ, બોલીવુડ અને વિશ્વની અન્ય ભાષાઓમાં, અનેક ફીલ્મો બની છે.

આવી ફીલ્મો બનાવનાર તરીકે, એક પ્રખ્યાત નામ,  નિર્માતા, દિગ્દર્શક - આલ્ફ્રેડ હિચકોકનું છે.

સમય મળે તો, ઑનલાઈન, તેમની ફિલ્મો માણવાની સગવડ આપતી સાઈટ પર જઈ, તેમની ફીલ્મો નિહાળવા જેવી છે.
ખાસ કરીને, `PSYCHO`  અને `FRENZY`.   

આમતો, આવો ફાલતુ લેખ ઘસડી મારવો, તે પણ એક તરંગીપણાનીજ નિશાની છેને?

પછી તરંગીપણું, આંખનું કણું બની ખટકે, તેમાં નવાઈ શી..!!

આપનું શું માનવું છે?


માર્કંડ દવે.તાઃ ૦૨ જુલાઈ ૨૦૧૦.

No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.