Monday, December 27, 2010

લીવ ઈન - સમજણથી સંયમ સુધી

લીવ ઈન - સમજણથી સંયમ સુધી

" સમજણથી સંયમ સુધીની, જીવનકળા વિસરી ગયો,
  મારી  જ  ગૂંથેલી  જાળમાં,   ઝળાંહળાં  પ્રસરી ગયો..!!


=========

પ્રિય મિત્રો,

જૈન ધર્મમાં, ચોવીસેય તીર્થંકરો દ્વારા, પ્રત્યેક નરનારીને એકાંત શૈયાસનનો  (શૈયા + આસન) ઉપદેશ અપાયો છે. તેની પાછળ મર્મ એજ છેકે, બે અલગ વ્યક્તિત્વ, માનવસહજ સ્વભાવ મર્યાદાને કારણે, સંપૂર્ણ એકાકાર કે `Adjustable` બની શકે નહીં. તેવા સમયે એકાંત શૈયા અને એકાંત આસનથી સંસારની વિકૃતિથી બચાવ થાય છે અને કર્મબંધનથી મૂક્તિ મળતાં, મોક્ષમાર્ગ ખૂલ્લો થાય છે.

બે દિવસ પહેલાં, અમારા એક વડીલ મળ્યા, તેઓ ખૂબ ગુસ્સામાં જણાયા. મને કહે," તું પેલા રમણીયાને ઓળખે?"

મેં સામે પૂછ્યું," કોણ પેલા ગામડેથી દોરીલોટો લઈને આવેલા, કરોડપતિ રમણલાલ શેઠ?"

"અરે..!! શેઠ હશે તેના વાણોતરનો..!! સાલો, ફાટેલા લૂગડે અમદાવાદ આવ્યો`તો અને અત્યારે બે પૈસા કમાયો છે તેમાંતો, તેને અને તેના પૈણવા જેવડા થયેલા છોકરાની બોચીએ આંખો આવી ગઈ છે..!!" કાકાએ ઉકળાટ કાઢ્યો.

મેં પૂછ્યું," પણ, થયું શું તે તો કહો?"

કાકાએ લાલચોળ થઈને કહ્યું, " મનેતો કહેતાંય શરમ આવે છે..!! આ રમણીયાને ઘેર, અમારા મોટા દીકરાની દીકરી માટે લગ્નની વાત કરવા ગયો`તો, ત્યારે મારા બેટાએ, પહેલાંતો આખા બંગલામાં ફેરવી, તેના વૈભવનું પ્રદર્શન કર્યું અને પછી તેની બુદ્ધિનું પ્રદર્શન કરતાં, અમને કહે, હવે નાં આધુનિક જમાનાને તમે જાણો છોને? મારો દીકરો લીવ ઈન રીલેશનશીપમાં માને છે. એકાદબે વર્ષ કૉન્ટ્રાક્ટ પર રહ્યા પછી, યોગ્ય લાગે તોજ, તે કન્યા સાથે લગ્ન કરે નહીંતો નહીં?  આ તે કાંઈ વાત કરવાની રીત છે? આવી રીતે લગન કર્યા વગર કોઈની જોડે રહે તે છોકરીને,આખી દુનિયા `રખાત`ની ગાળ ના દે? સાલો,હરામી..!!  "

કાકાની આ વાત સાંભળીને,જરા માઠું તો મનેય લાગ્યું..!! પણ શું થાય?

આ કાકાને તો પાકી ખાત્રી છે આપણે બધાએ, હવે વીસ-પચ્ચીસ વર્ષ પછીના, આવા નવા બૉલ્ડ ભારતમાં જીવવા, અત્યારથીજ હ્યદય કાઠું કરવાની ટેવ પાડવી પડશે?   જવાબદારી વગરના જીવનનો આ `ઉદ્દાંત વિચાર-વાયરસ`, કરોડપતિ રમણલાલના બંગલેથી બહાર નીકળી, સમગ્ર ભારતભરમાં, ઘેર-ઘેર ફેલાય તો, તે નવાઈ પામવા જેવું હરગિજ નહીં લાગે..!!

જોકે, કેટલાક આશાવાદી મહાનુભવોના મતે, આવું કશું બનવાનું નથી.આપણા હિંદુ-સંસ્કારનાં મૂળ,એમ ઝટ ઉખડી જાય એટલા નબળાં નથી. આ મહાનુભવોના મોઢામાં, પેલા અકળાયેલા કાકા  તરફથી ઘી-સાકરની જ્યાફત,બસ?

લીવ ઈન રીલેશનશીપ એટલે શું?


લીવ ઈન રીલેશનશીપનો સાવ સરળ અર્થ, `પરણ્યા વિના સહજીવન ગાળવું`, એમ કરી શકાય.

વ્યાખ્યાઃ-

" Cohabitation - (કૉહૅબિટેશન) અથવા Live-in relationship, એટલે એક એવો કરાર,જેમાં પૂખ્તવયની, બે વ્યક્તિઓ પોતાની,અરસપરસ સંમતિથી, ટૂંકા-લાંબા અથવા કાયમી સમયગાળા માટે, ભાવાત્મક (સંવેગાત્મક) સબંધથી અથવા લૈંગિક અંગત સબંધનો સ્વીકાર કરી, સહજીવન પસાર કરવાનો નિશ્ચય જાહેર કરે."

આપણે બાળપણમાં સાત પથ્થર કે દેશી નળીયાંના ટૂકડા એકબીજા પર,ગોઠવીને, દડો મારી પાડી દેવાની,`સત્તોડીયા`ની રમત રમ્યા હોઈશું..!! તે ઉપરાંત,  ઍન્ડી ગોલ્ડ્સવર્થી, ડૅવ ગોર્મેન, બીલ ડૅન, ક્રિસ્ટૉલવ, ગિલ્સ કેરૉટ, જેવા અનેક નામી કલાકારોએ, કોઈપણ ઍડહેસિવ વગર, એકમેક પર ગોઠવેલા પથ્થર દ્બારા રચાયેલ, `Rock balancing  art` આપે  જરૂર માણી હશે.

મને ઘણીવાર સવાલ એ થાય છેકે, આવા નિર્જિવ પથ્થર, જો કોઈજાતના ઍડહેસિવ વગર, એક્મેકના આધારે, એકમેકના સહકારથી, પોતાનું બૅલેન્સ જાળવી, સબંધોનું અદભૂત શિલ્પ રચી શકે છે તો, સજીવ નરનારી કે માનવજાતના સબંધોના બેલેન્સમાં, એવી તે  શું ખામી હશેકે, લગ્નસંસ્થાની સફળતા વિષે, આજે સવાલ ઉઠી રહ્યા છે?

જોકે, આમાં યુવાનોની આગવી વિચારશક્તિ પર, કે આગવી જીવનશૈલી પર, સવાલ કરવાનો પ્રશ્નજ નથી ઉપસ્થિત થતો. પરંતુ,આપણે યુવામિત્રોના લીવ ઈન રીલેશનશીપના, `ઉદાર વિચાર-વાયરસ`ને સમર્થન આપીએ તે પહેલાં, લીવ ઈન રીલેશનશીપ અને લગ્ન વચ્ચેના સારાનરસાં પાસાંનો અભ્યાસ જરૂર કરવો જોઇએ.

લીવ ઈન રીલેશનશીપ સ્વીકારનારની માન્યતાઓઃ-

કેટલાક યુવામિત્રોના મત મુજબ, તેઓને લગ્નપ્રથા અંગે કોઈજ વિરોધ નથી, પરંતુ, ઘણીવાર કોઈપણ કારણસર, બે પાત્ર દરમિયાન, અણબનાવ કે  છૂટાછેડા-તલાકની સ્થિતિમાં, જીવનનો વેડફાતો અમૂલ્ય સમયગાળો, અણગમતા પાત્ર સાથે, અણગમતા સંજોગોમાં, પોતાની માનસિક શાંતિના ભોગે, કમને જિંદગી પસાર કરી, બંનેનું જીવન બરબાદ કરવું તેના કરતાં, લીવ ઈન રીલેશનશીપ દ્વારા જેતે પાત્રની સંપૂર્ણ ઓળખ મેળવી, બંનેને સબંધ ફાવે, આજીવન નભે તેમ લાગે તોજ લગ્ન કરવાનો નિર્ણય કરવો, તેવી પ્રથા કાયમ થાય તે સામે, સમાજને કોઈ વાંધો વિરોધ, શામાટે  હોવો જોઈએ?

* લીવ ઈન થી યુગલના સબંધ કાયમ ફ્રેશ રહે છે.
* લીવ ઈનથી યુગલને, વ્યક્તિગત ઈચ્છા પ્રમાણે વર્તવાનું સ્વાતંત્ર્ય પ્રાપ્ત થાય છે.
* લીવ ઈન દરમિયાન સાથે ગાળેલી પ્રત્યેક ક્ષણ યુગલ માટે ખાસ બની રહે છે.
* લીવ ઈનથી કારકિર્દી બનાવવા અલગ સ્થળે જતાં, લગ્ન જેવા સબંધનોનું વળગણ આડે આવતું નથી.
* લીવ ઈનથી, અવિભાજ્ય, અંગત આર્થિક સદ્ધરતા પ્રાપ્ત થાય છે.
* લીવ ઈનથી લગ્નની,સંતાન પ્રાપ્તિ તથા બાળઉછેર જેવી, અન્ય જવાબદારીઓ ન રહેતાં, પોતાના કાર્યક્ષેત્રમાં પૂર્ણ સમય ફાળવી શકવાને કારણે, સફળતાની અમર્યાદિત તક પ્રાપ્ત થાય છે.

લગ્ન વિરૂદ્ધ લીવ ઈન રીલેશનશીપ.

યુવામિત્રોના મતે, છૂટાછેડા લઈને, છાંડેલા કે છાંડેલી (ત્યક્તા) તરીકે જીવવું તેના કરતાં, લીવ ઈન રીલેશન બાંધવા વધારે સગવડભર્યા છે..!! લગ્ન કર્યા વગર, જવાબદારી વગર, જીવનનો તેવાજ પ્રકારનો આનંદ, લીવ ઈન રીલેશનશીપમાં મળતો હોય, બે પાત્ર વચ્ચે, સમજણથી સંયમ સુધીના, પ્રેમનો પ્રભાવ જો સર્વોપરી હોયતો, લગ્નના સર્ટિફીકેટનું મૂલ્ય, પસ્તીના એક કાગળ કરતાં વધારે નથીજ  નથી..!!     

જાહેરમાં કે ખાનગીમાં, ઘણાં સજાતીય-વિજાતીય કપલ્સ, લગ્ન વગર સાથે રહેતા હોય તેવા ઘણા ઉદાહરણ આપણા ધ્યાનમાં છે.લગ્ન બાદના સહજીવનની અસફળતાના કાલ્પનિક ભય અને મૂંઝવણથી પીડાઈને,તેઓ લગ્ન કર્યા વગર, વર્ષો સુધી આનંદપૂર્વક સહજીવન માણતા હોય તેવા પણ ઉદાહરણ મોજુદ છે.

* શું તેઓ લીવ ઈન રીલેશનશીપનો નિર્ણય, ગભીરતાપૂર્વક લઈ અને અત્યંત કાળજીપૂર્વક તેને નિભાવે છે?
* શું આ નિર્ણય કરતા અગાઉ, એકેમેક પ્રત્યેની અપેક્ષાઓની ચોખવટ તેઓ કરે છે?
* શું ભાવાત્મક સબંધથી શરૂ થયેલ, લીવ ઈન રીલેશનશીપ, લૈંગિક સબંધે પહોંચ્યા બાદ, કોઈ એક પાત્રની લગ્નની ઈચ્છાને,બીજું પાત્ર માન આપતું હોય છે?
* શું આવા સંજોગોમાં, બે પાત્રમાંથી એક પાત્ર, આ સબંધમાંથી અલગ થાય ત્યારે, બીજા પાત્રને ફરીથી, આવો સબંધ બાંધે તેવું પાત્ર સરળતાથી મળે છે?
* શું લીવ ઈન રીલેશનશીપના અને ત્યારબાદ તેજ પાત્ર સાથે લગ્નસબંધ બાંધવા, કોઈ સમયગાળો નિશ્ચિત કરવામાં અવે છે?
* શું આવો સબંધ શરૂ કરતા અગાઉ, આ અંગેના કોઈ, લેખિત કાયદેસરના કરાર કરવામાં આવે છે?
* શું આવા કરારની તમામ શરતો એક પાત્ર દ્વારા નક્કી કરાય છેકે પરસ્પર સહમતિથી?
* શું આવા સબંધ દરમિયાન, બાળકોનો જન્મ તથા બંને પાત્રની આવક પર નભતાં વૃદ્ધ માતાપિતાકે અન્ય સબંધીઓની આર્થિક-સામાજીક સલામતીની કરારની શરતોમાં  પૂરતી કાળજી રાખવામાં આવી છે?
* માનોકે, નિશ્ચિત સમયગાળા બાદ, લગ્નનો નિર્ણય લેવામાં આવે ત્યારે, લીવ ઈન રીલેશનના મૂક્ત સબંધોમાંથી, લગ્ન બાદની કેટલીક વધારાની અન્ય અનિવાર્ય જવાબદારીઓની ચોખવટ કરારમાં કરવામાં આવી છે?
* શું આવા સબંધ બાંધનારે, પૂખ્ત વિચારણા બાદ કરેલાં, લગ્ન બાદ, કોઈકારણસર એકબીજા પર, કોઈ દોષારોપણ કરતી વખતે,કઈ બાબતે હ્યદયની વાત સાંભળવી અને ક્યાં સારાસારનો વિવેક જાળવી બુદ્ધિગમ્ય પ્રકારે, નિર્ણય કરવા, તે સમજણ કેળવી છે?

લીવ ઈન રીલેશનશીપની તરફેણ કે વિરૂદ્ધની દલીલોનો કોઈજ અંત નથી. આ પ્રથા સમગ્ર વિશ્વમાં, એક ઘાતક વાયરસની માફક, અત્યંત ઝડપથી પ્રસરી રહી છે. યાદ રાખો, માનવમન માંકડાના અટકચાળા જેવું અકળ છે. બધાંજ લીવ ઈન રીલેશન, કાયમ આનંદ આપશે અને બધાંજ લગ્ન છૂટાછેડામાં પરિણમશે, તેમ માનવું તે, મૂર્ખાઓના સ્વર્ગમાં રાચવા સમાન છે..!!

લીવ ઈન રીલેશનશીપને કેટલાક હકારાત્મક્તાથી લે છે. તેમના મત મુજબ, જે કપલ લગ્ન બાદ છૂટાછેડા લેવાના વિરોધી હોય છે તેવા કપલ જ, લીવ ઈન રીલેશનશીપના સમર્થક છે. આવા કપલ્સ છૂટાછેડાને મનોમન ધિક્કારતા હોય છે. ભારતમાં, આશરે ૨૦% પરીણીત યુગલ છૂટાછેડાની સ્થિતિએ પહોંચી ગયેલાં છે અને તેમનું અમૂલ્ય યૌવનધન કોર્ટ-કચેરીમા આંટાફેરા મારવામાં પસાર થઈ રહ્યું છે.

લીવ ઈન રીલેશનશીપ બાંધતા અગાઉ પોતાની જાતને પૂછવા જેવા સવાલોઃ-


લીવ ઈન રીલેશનશીપ બાંધતા અગાઉ બંને પાત્રએ પોતાની જાતને કેટલાક સવાલ અવશ્ય પૂછવા જોઈએ અને હા, તેના જવાબ પોતાના આત્માના અવાજ મુજબ, પુરી ઈમાનદારીથી મેળવવાનો પ્રયત્ન અવશ્ય કરવો જોઈએ. આ સવાલના, અંતરાત્માએ આપેલ સત્ય ઉત્તર જ, સફળ સબંધનો નિશ્ચલ પાયો છે.

* લીવ ઈન દરમિયાન કઈ બાબત હું કરું, તે સામા પાત્રને ગમશે?
* આ દરમિયાન, સામા પાત્રની, કઈ બાબતો મને નહીં ગમે?
* આ સબંધ, બાંધવા માટે બંને પાત્રને, એકમેકમાં કઈ-કઈ ખૂબીઓ નજર આવે છે?
* આ સબંધને ટકાવવા, બંને પાત્રએ, કઈ-કઈ ખામીઓ સુધારવાની જરૂર છે?
* આ સબંધથી, મારા આશ્રિત કે લોહીના અન્ય સગાના સામાજીક દરજ્જા અને સ્વીકાર્યતા પર, સારી-નરસી શું અસર પડશે?
* ભાવાત્મક સબંધમાંથી લૈંગિક સબંધ (sexually) બાંધતી વખતે, તે નિર્ણય દિલથી કરાશે કે માત્ર નૈસર્ગિક જરૂરિયાત સ્વરૂપે?
* બંનેમાંથી કોઈપણ, એક પાત્રને લૈંગિક સબંધ બાંધવા બાબતે, વાંધો વિરોધ હોય તેવા સંજોગમાં, બંનેના સબંધ પર શું અસર પડશે?
* આવા સમયે, વિરોધ કરનારના વિરોધને, અવગણીને, લૈંગિક સબંધ `ટેકન ફૉર ગ્રાન્ટેડ` માની લેવાશે? જો, હા તો, ક્યા કારણસર?
* લીવ ઈનમાં, આર્થિક બાબતોનું શૅરિંગ કે આધિપત્ય કેટલા પ્રમાણમાં રહેશે?
* લીવ ઈન કરારની અવધિ કેટલી રહેશે? ત્યાર બાદ શું?

નવાઈ લાગે તેવી બાબત છેકે, જાપાનમાં લગ્નની ઉંમરે પહોંચેલાં લગભગ ૫૩% યુગલ લીવ ઈન અપનાવી ચૂક્યાં છે. ફિલિપિન્સ જેવા દેશમાં પણ ૨૦ થી ૨૪ની ઉંમરે પહોંચેલાં ૧૯% યુગલ લીવ ઈન અપનાવી ચૂક્યાં છે. આ ઉપરાંત, ઈંગ્લેન્ડ ૨૫%, ફ્રાન્સ ૧૮%, ઈઝરાઈલ ૩%, ઑસ્ટ્રેલિયા ૨૨%, ન્યૂઝીલેન્ડ ૧૯% જેવા લીવ ઈનના આંકડા આપણને આશ્ચર્ય પમાડે તેવા છે.  જોકે, મોટાભાગના ઈસ્લામિક શાસન ધરાવતા દેશોમાં, લીવ ઈન કાયદેસર નથી અને તે માટે ઈસ્લામિક શરિયત કાનૂન મુજબ, સજાની જોગવાઈ લાગુ પડે છે.

`લીવ ઈન` કેટલીક મૂંઝવણ અને નિષ્ણાત ઉકેલઃ-

લીવ ઈન રીલેશનશીપમાં સામાન્ય માનવીના મનમાં ઉઠતી કેટલીક મૂંઝવણ અને તેનો ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરીશું?

* મૂંઝવણ - લીવ ઈન રીલેશનશીપ અંગે કોઈ કાયદા અમલમાં છે? આવા કિસ્સાઓમાં ઝઘડા કે વિવાદમાં બે માંથી કોઈ એક પાત્રને, કાયદેસર સજા કે દંડની જોગવાઈ છે?
  
ઉકેલઃ- હાલમાં, DVA  2005 ( પ્રોટેક્શન ઓફ વુમન ફ્રોમ ડૉમેસ્ટિક વાયોલન્સ ઍક્ટ -૨૦૦૫) માટે, ભારતીય દિવાની અને ફોજદારી કાનૂન અંતર્ગત, જે કાયદા પ્રવર્તમાન છે, તે સિવાય અન્ય કોઈ, ખાસ કાયદા લીવ ઈન રીલેશનશીપ અંગે સ્પષ્ટરીતે પ્રવર્તમાન નથી.

સુપ્રિમ કોર્ટના,માનનીય  જસ્ટિસ માર્કન્ડે કાત્જૂ અને ટી.એસ.ઠાકુરની બનેલી ખંડપીઠે, તાજેતરમાંજ એક કેસમાં આપેલ ચુકાદા અન્વયે, લીવ ઈન રીલેશનશીપમાં, ભરણપોષણના દાવા માટે, ચાર માપદંડ નક્કી કર્યા છે.

૧. આવું યુગલ સમાજમાં પોતાને પતિ-પત્ની તરીકે રજૂ કરતું હોય.
૨.આવું યુગલ લગ્ન માટે કાનૂની વયમર્યાદા ધરાવતું હોય.
૩. આવું યુગલ લગ્ન માટેની તમામ કાયદાકીય શરતોને લાયક હોય.
૪. આવું યુગલ ઘણા લાંબા સમયથી સ્વેચ્છાએ સાથે રહેતું હોય અને સમાજ સમક્ષ પોતાને પતિ-પત્ની તરીકે રજૂ કરતું હોય.

જોકે, છૂટાછેડાના કેસોના અનુભવી કેટલાક ઍડવોકેટશ્રીના જણાવ્યા અનુસાર," આ ચુકાદો અનુચિત છે. ગમેતે બહાના હેઠળ. ગમે ત્યારે, કોઈ નિર્બળ સ્ત્રીઓનો દુરઉપયોગ કરીને, તેને રાતોરાત નિરાધાર ત્યજી દેવાના કિસ્સામાં, વળતર મેળવવાનો સ્ત્રીઓનો અબાધિત અધિકાર છે. તેમાં કોઈ પૂર્વ શરત ન હોવી જોઈએ."

તો શું પરસ્પર સંમતિથી,દરેક વીક એન્ડ અથવા `One night stand`ના સહવાસને, પણ લીવ ઈન ગણી શકાય?

નામદાર સુપ્રિમ કૉર્ટના તારણ અનુસાર,"'Merely spending weekends together or one night stand would not make it a domestic relationship,' લાંબાગાળાના સહવાસને, DVA  2005 ના કાયદા હેઠળ વળતર પ્રાપ્ત કરવા, ઉપર દર્શાવેલા માપદંડ સાબિત કરવાની જવાબદારી, અરજકર્તાના શિરે  રહે છે.

આ અંગે ચુકાદામાં સ્પષ્ટતા કરવામાં આવી છેકે,"If a man has a 'keep' whom he maintains financially and uses mainly for sexual purpose and/or as a servant it would not, in our opinion, be a relationship in the nature of marriage." જોકે, આવા સબંધોને, સમાજનું કલંક ગણીને તેને, ક્યારેય પ્રોત્સાહન આપી ન જ શકાય.

* મૂંઝવણ - ધારોકે, ઉપરના માપદંડ જાહેર કર્યા વગર, કોઈ પરિણીત વ્યક્તિ, એક પતિ અથવા પત્ની હોવા છતાં, અન્ય કોઈ સાથે લીવ ઈન રીલેશનશીપ રાખે, ત્યારે કોઈ કાયદાનો ભંગ થયો ગણાય?

ઉકેલ- ઈન્ડીયન પિનલ કૉડની ધારા મુજબ,

 ૪૯૩. જે સ્ત્રીનાં પોતાની સાથે કાયદેસર રીતે લગ્ન થયું ન હોય તેની સાથે છેતરપીંડી કરીને કોઇ પુરુષ તે સ્ત્રીનું પોતાની સાથે કાયદેસરનું લગ્ન થયું છે. એમ તેને મનાવી ને પોતાની સાથે દંપતી ભાવે રહેવા પ્રેરે તો

૪૯૪- પતિ કે પત્નીની હયાતીમાં ફરીથી લગ્ન કરવું

૪૯૫ -આગલા લગ્નની હકીકત જે વ્યકિત સાથે બીજું લગ્ન કર્યુ હોય તેનાથી છૂપાવીને ઉપયુકત ગુનો કરવો.

૪૯૭ -વ્યભિચાર.

ટૂંકમાં, લગ્નએ કાયદેસર નોંધાયેલો સંબંધ છે, The Hindu Marriage Act , 1955ની  સેક્શન -  3 ; 5 ; 5.A  (iv.) (v)  અનુસાર, આવા કોઈપણ ગુન્હામાં, પાંચ વર્ષથી સાત વર્ષની કેદ અને / અથવા દંડની જોગવાઈ, કાયદામાં છે  આ સંજોગોમાં, લીવ ઈન રીલેશનશીપ  નોંધાયા  વગરની, ખાનગી રાહે  પરસ્પર કરેલી, સમજૂતી માત્ર છે. પરિણીત પરંતુ કોઈ કારણસર અલગ થયેલા યુગલ, માટે આવા સબંધ ખાનગી રહે ત્યાં સુધી, તે ગુન્હો નથી. લીવ ઈન રીલેશનશીપ   કરારથી નોંધાયેલી હોયકે, તેઓ પોતાને પતિ-પત્ની જાહેર કરે તેવો કોઈ પણ પુરાવો ઉભો કરે તો, તેવું પગલું ફોજદારી ગુન્હો ગણાય છે.

* મૂંઝવણ - કોઈ બે વ્યક્તિ લીવ ઈન રીલેશનશીપથી સાથે રહેતા હોય ત્યારે તેની ઓળખ કે રહેઠાણના પુરાવામાં કયા પ્રકારનો સબંધ,કાયદેસર માન્ય છે? દા.ત. રેશન કાર્ડ, ભાડાચીઠ્ઠી, જોઈન્ટ બેંક ઍકાઉન્ટ,પાસપોર્ટ વિગેરેમાં લગ્ન વગર, પતિ-પત્ની તરીકે પોતાને દર્શાવી શકાય?
  
ઉકેલઃ-  તેઓ કાયદેસર પતિ-પત્ની ન હોવાથી, બંને અલગ ગણાય તથા તેઓએ રીલેશનના ખાનામાં` લીવ ઈન રીલેશનશીપ` દર્શાવવું જોઈએ.

બેંક એકાઉન્ટ સિવાય બાકીના, ઉપર દર્શાવેલા, એકપણ ડૉક્યુમેન્ટમાં, કાયદેસર લગ્નનોંધણી કરાવ્યા વગર કોઈ કપલ, પોતાને પતિ-પત્ની દર્શાવે તો તે કાયદા હેઠળ માન્ય સંસ્થા પાસે, પતિ-પત્નીના સબંધે બંધાયેલાં હોવાનો પુરાવો ગણાય.

મૂંઝવણ - લીવ ઈન રીલેશનશીપ, તરીકે જ જાહેર થયેલા યુગલને મકાન ભાડે આપી શકાય? આ સબંધનો  વિરોધ કરતાં,આવા યુગલનાં માતા-પિતાને આ સબંધ અને સરનામાની જાણ થાય ત્યારે, મકાન ભાડે આપનાર, મકાનમાલિકને ભવિષ્યમાં કોઈ કાયદાકીય ભંગની સંડોવણી થઈ શકે?

ઉકેલ- જે તે રાજ્યના કાયદા અનુસાર જાહેર કરેલા પોલિસ કમિશ્નરશ્રીના જાહેરનામા પ્રમાણે, કોઈપણ મકાન માલિકે ભાડે આપેલ મકાનની વિગત, ભાડુઆત અને સંબંધિત એજન્ટ કે જેઓએ ભાડુઆતની ઓળખાણ આપેલ હોય તે અંગેની જરુરી માહિતી જેમાં મકાન માલિકનું નામ તથા ભાડે આપેલ મકાનની વિગત, કયા વિસ્તારમાં આવેલ છે તે  વિગત તથા કેટલા ચોરસ મીટર બાંધકામ, મકાન ભાડે આપવા સત્તા ધરાવતાં વ્યકિતનું નામ, મકાન ભાડે આપ્યા તારીખ તથા માસિક ભાડાની રકમ, કઇ વ્યકિતઓને ભાડે આપેલ છે તેમના પાકા નામ સરનામા ફોટા સાથે આપવા ફરજિયાત છે. જો કોઇપણ મકાનમાલિક આ જાહેરનામાનો ભંગ કરે અથવા તેમ કરવામાં મદદગારી કરે, તો ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ હેઠળ દંડ અને શિક્ષાને પાત્ર થઈ શકે છે. આ જાહેરનામાનો અમલ કર્યા બાદ, ભાડુઆત લીવ ઈન રીલેશનશીપથી રહેતા હોય તોપણ, મકાનમાલિકની કોઈ જવાબદારી બનતી નથી.

લીવ ઈન રીલેશનશીપ કરાર

લીવ ઈન રીલેશનશીપમાં કોઈપણ લેખિત કરાર વગર સાથે રહેતા, યુગલમાંથી કોઈ એક વ્યક્તિ, ગમે ત્યારે બીજાને ત્યજી દે તેવા સંજોગોમાં, નામદાર સુપ્રિમ કૉર્ટના આદેશાનુસાર,DVA  2005 મુજબ, વળતરની જવાબદારી અમુક શરતોને જ આધિન છે, ત્યારે આવા સંજોગોમાં, સંયુક્ત ખર્ચ, સ્થાવર-જંગમ સંયુક્ત મિલ્કત વગેરેના વિવાદને ટાળવા માટે, આવા યુગલ  દ્વારા,   Non marital cohabitation /  Living together agreement ની કાયદેસર નોંધણી કરાવી  શકાય છે, જેમાં બંનેને ફાળે આવતા ખર્ચ, સંયુક્ત સ્થાવર-જંગમ મિલ્કત તથા તેને કેટલા સમય માટે, સંયુક્ત ગણવી, તે વિગત, ઉપરાંત અન્ય તમામ શરતો-કલમો અને સમજૂતીના મુદ્દાઓની વિગત સામેલ હોય છે. નીચે જણાવેલ લિંક ઉપરથી આપ વધારે માહિતી મેળવી શકો છો.

ક્લિક લિંકઃ- Non marital cohabitation /  Living togeather agreement  


૧.  http://www.ilrg.com/forms/cohab-agreement.html

૨. http://www.ilrg.com/forms/premarit.html

૩. http://www.ilrg.com/forms/demand.html

લીવ ઈન રીલેશનશીપના સમર્થન અને વિરોધમાં કરાતી દલીલોઃ-

* લગ્ન પહેલાં, કોઈની સાથે ડેટ પર જવા કરતાં, લીવ ઈનથી, બંને પાત્ર એકબીજાને યોગ્ય રીતે જાણી શકે.
- જોકે, લીવ ઈનમાં પુરતી સમજદારી કે સંયમ ન હોયતો, આર્થિક કે શારીરિક શોષણ જેવાં, ખરાબ પરિણામો આવી શકે છે.

* કોઈ લાગણીશીલ વ્યક્તિ સાથે જોડાવા માટે, લીવ ઈન ઉત્તમ ઉપાય છે.
- લાગણીશીલ હોવાનો દંભ કરીને એકબીજાને છેતરી શકવાની શક્યતા છે.

* સામા પાત્રને જાણ્યા વગર, ઉતાવળે લગ્ન કરીને છૂટાછેડા લેવા કરતાં લીવ ઈન બાદ લગ્ન કરવા વધારે યોગ્ય છે.
- જોકે, લીવ ઈન બાદ, લગ્ન કર્યા વગર છૂટા થનાર પાત્ર, ખાસ કરીને સ્ત્રીઓની સમાજમાં બદનામી થઈ શકે છે.

* છૂટાછેડાની લાંબી કાયદાકીય કાર્યવાહી દરમિયાન, કોઈ એક પસંદગીના પાત્ર સાથે, લીવ ઈનના ખાનગી સબંધથી, માનવીનો યૌવનકાળ બરબાદ થતાં અટકે છે.

- જોકે, છૂટાછેડામાં, પતિ-પત્ની વચ્ચે સમાધાન કરી લેવા જેવા કોઈ પ્રસંગ દરમિયાન, લીવ ઈન સ્વીકારનાર પાત્ર, `ના ઘર કે ના ઘાટ`નું થઈ જાય છે. ઉપરાંત કાયદેસર છૂટાછેડાનો ઓર્ડર મેળવ્યા વગર, આરીતે રહેવું તેને ઈન્ડીયન પિનલ કૉડની ધારા ૪૯૭ મુજબ, વ્યભિચાર માનવામાં આવે છે.

* માનવને ખોરાક,હવા,પાણી, જેટલીજ જરૂરિયાત જાતીયસંતોષની પણ હોય છે.લીવ ઈનથી તેના સંતોષ સાથે, પોતપોતાના ક્ષેત્રમાં ઉજ્જવળ કારકિર્દી ઘડાય છે.

- જોકે, તેનો લાભ ત્યારબાદની ભાવિ પેઢી, એટલેકે તેમના સંતાનોને મળવામાં, ઘણીવાર ખૂબ મોડું થઈ જાય છે.

* હવે પછીની, નવી પેઢી, લીવ ઈન રીલેશનને સ્વીકારવા જેવી ઉદાર છેજ.

- જોકે, તેની ના નથી, પરંતુ આવા સંબંધોને સમર્થન આપવું તે,આપણા ભારતની સંસ્કૃતિ નથી.લાંબાગાળે, લગ્નસંસ્થા અને  કુટુંબપ્રથાનો સંપૂર્ણ નાશ થઈ શકે છે. જે સમાજના હિતમાં નથી.

* કોઈ કારણસર મનદુઃખ થતાં અલગ થયેલાં,યુગલ, અનેક પાર્ટનર સાથે, જાતીયતા સંતોષવા,અયોગ્ય રસ્તા અપનાવે અને HIV+ ના શિકાર થાય તે કરતાં લીવ ઈનમાં, આ પ્રકારના રોગનો ડર રહેતો નથી.

- જોકે, આવો રોગ અટકાવવાના ઉપાય તરીકે, યોગ્ય પાત્ર સાથે સ્થિર લગ્ન જેટલો અસરકારક ઉપાય લીવ ઈન હરગિજ નથી.

લીવ ઈન રીલેશનશીપનો આ બધો કકળાટ સાંભળીને, એક મિત્ર સવાલ કરે છેકે," સાલું, લગ્ન પણ ના ફાવે અને લીવ ઈન ની બદનામી પણ ના વેઠવી હોય તેવા લોકો, જાતે વાંઢા કે વાંઢી રહેવાનો વિકલ્પ ન સ્વીકારી શકે?"

જોકે, મેં તેઓને સાંત્વના આપતાં કહ્યું," આવા વાંઢાને, વૃદ્ધાવસ્થા સુધી, પોતાના `હા...થ` પર ( સૉરી સ્લીપ ઓફ કી બૉર્ડ..!!) પોતાના હાથની હથેળીમાં અંકાયેલી રેખા પર વિશ્વાસ હોવો જોઈએ."

તાજેતરમાં, (ગૅ-લૅસ્બિયન) સજાતીય સબંધમાં બંધાઈ ચૂકેલાં તથા કુટુંબ દ્વારા લગ્ન માટે દબાણ અનુભવતા, કેટલાક સ્ત્રી-પુરૂષો, એકબીજા સાથે લીવ ઈન કરાર દ્વારા, કુટુંબ અને સમાજમાં, દેખાવ ખાતર, બંને પતિપત્ની હોવાનો  ઢોંગ રચીને, સાથે રહેવાના કરાર કરી, બહાર પોતાના ગૅ અથવા લૅસ્બિયન  સાથીદાર સાથે, સબંધ જાળવીને દુધ અને દહીં બંનેમાં, પગ રાખવાનો પ્રયત્ન કરે છે. આ કરાર એકાદબે વર્ષ પુરતોજ કરીને પછી છૂટાછેડા લીધેલા હોવાના લેબલ સાથે પોતાના સજાતીય સબંધોના આનંદમાં મસ્ત થઈ જાય છે. 

જોકે,  કેટલાક ગૅ ઍક્ટિવિસ્ટોના મતે, જો આવા બનાવટી સંબંધે પત્ની બનેલું પાત્ર, કૉન્ટ્રાક્ટની અવધિ પૂર્ણ થયા બાદ, પુરુષ સાથીદારને  છોડે નહીં અથવા તો કૉર્ટમાં મોટા વળતરની માંગણી કરે તો, ઘણીવાર વિખવાદ વધતાં, છેવટે `ખાયા પિયા કુછ નહીં, ગિલાસ તોડા બારહ આના?` જેવો ઘાટ રચાય છે.

કેવા સંજોગોમાં લીવ ઈન રીલેશનશીપ ન સ્વીકારવું?

મને લાગે છે, આ લીવ ઈનનું ડીડવાણું કોણે શોધ્યું હશે? કદાચ, ચોક્કસ તે વ્યક્તિ, બીરબલ જેવો બુદ્ધિશાળી હોવો જોઈએ.

જાણીતી વાર્તા મુજબ, જયારે, બીરબલ, સહુ પ્રથમવાર, અકબરના દરબારમાં આવ્યા ત્યારે લાંચિયા દરવાને તેમની પાસે, બાદશાહ જે પુરસ્કાર આપે તેમાં, લાંચરૂપે અડધો ભાગ માંગ્યો, જેની સંમતિ આપ્યા બાદજ, બીરબલને દરબારમાં પ્રવેશ મળ્યો.

જોકે, બાદશાહે, બીરબલને ખુશ થઈ ઈનામ માંગવા જણાવ્યું ત્યારે, બીરબલે  ૧૦૦ કોરડા ફટકારવાનું ઈનામ માંગ્યું, જેમાં ૫૦ પોતાને અને ૫૦ પેલા લાંચીયા દરવાન વચ્ચે વહેંચવા કહ્યું.

બરાબર, તેજ રીતે, તન, મન અને ધનને,  પેલા ખાઉધરા લાંચીયા દરવાનની જેમ વીણી ખાતી, લગ્નસંસ્થાના ત્રાસથી કંટાળેલા કોઈ બુદ્ધિશાળી બીરબલે, લીવ ઈન રીલેશનશીપના  સબંધે જીવવા માંગતા, બે પાર્ટનર્સ વચ્ચે, જીવનઆનંદ ના ઈનામને, (હી..હી..હી..!!) સરખા ભાગે વહેંચવા, આ પ્રથા શરૂ કરી હોય તેમ લાગે છે. જોકે, ત્યારબાદ પાછળથી, તે બંને પાર્ટનર્સને, આ ઈનામ, ૫૦-૫૦ કોરડાના કારમા દર્દના જાણેકે ભાગ પાડ્યા હોય તેવું ભાસે તો, ભોગ તેમના..!!

* જનરેશન ગેપ ના બહાના હેઠળ અથવા તમે સમાજ કરતાં સાવ નોખી ભાતનાં, સાહસિક છો, તેવી ભ્રામક લાગણીમાં તણાઈ જઈને, ક્યારેય લીવ ઈન રીલેશનશીપ  ન સ્વીકારશો.

* તમે આર્થિક સદ્ધર હોય અથવા સામાપાત્રની આર્થિક સદ્ધરતાથી આકર્ષાઈને, મોજમઝા કે સલામત ભવિષ્યના ખ્યાલથી પ્રેરાઈને  આવા સબંધ ન બાંધશો.

* તમને કોઈ ધાર્મિક માન્યતાઓ અથવા પરંપરાના નામ પર, આશ્રમ, મઠ કે અન્ય કોઈપણ ધર્મના ધાર્મિક સ્થાન પર, ધાર્મિક લાગણીમાં બહેકાવીને,લીવ ઈન માટે દોરી જાય તો તેવી ઘાતક પરંપરાઓથી બચો.

* કોઈ કારણસર લીવ ઈન નિષ્ફળ જાય, તો યુગલ છૂટા પડ્યા બાદ, વ્યક્તિએ આ પ્રયોગ ફરીથી કરવાને બદલે, એકલા સ્વતંત્ર રહેવાની આદત પાડવી વધારે યોગ્ય છે.

* આપનાં માતા-પિતા કે વાલી, લીવ ઈન રીલેશનશીપ અંગે વાંધો કે વિરોધ કરે તો, તેમના વાંધાને ધ્યાનમાં, લઈ ઉતાવળે કોઈ નિર્ણય ના કરશો.

* લીવ ઈન સ્વીકાર્યા પછી, ઑર્થોડોક્સ સામાજીક વિચારધારા હેઠળ જીવતા, સમાજની ટીકાટીપ્પણી સહન કરવાની તાકાત હોય તોજ આવા સબંધમાં આગળ વધજો.

* તમને કે તમારા પાર્ટનરને કોઈ અસાધ્ય ચેપી રોગ હોવાની શંકા માત્ર હોય તો લીવ ઈન ન સ્વીકારશો.અથવા બ્રેક-અપ થયા બાદ નવો સાથીદાર જીવલેણ, અસાધ્ય, રોગગ્રસ્ત તો  નથીને? તેની ખાત્રી અવશ્ય કરવી જોઈએ.

* લોહીની સગાઈ ધરાવતાં બે પાર્ટનર, જેને ધાર્મિક અને કાયદાકીય બંધનને કારણે,લગ્ન કરવાની મનાઈ હોય છે, તેવાં પાર્ટનર્સે લીવ ઈન સ્વીકારવો ન જોઈએ.

* કોઇ સગીરવયની વ્યક્તિ સાથે લીવ ઈન ન સ્વીકારવું જોઈએ.

* લીવ ઈન રીલેશનશીપ કથાનક આધારિત, ફીલ્મ,`સલામ નમસ્તે` અથવા જ્હોન અબ્રાહમ અને બિપાસા જેવાં, ચમકદમક ધરાવતા ફીલ્મી વાતાવરણથી પ્રેરાઈને, લીવ ઈન સ્વીકારવાનો નિર્ણય, ભૂલભરેલો સાબિત થઈ શકે છે.

ટૂંકમાં, લીવ ઈન રીલેશનશીપ, તે અભિમન્યુના કોઠાયુદ્ધ સમાન છે, તેમાં યોગ્ય આવડત ન હોય તો, મોટાભાગે અત્યંત કરૂણતા સાથે, કોઈપણ પ્રકારનો લાભ મેળવ્યા વગર, પરાજય સાથે, અપાર હાની અને હાઁસી થવાનો સંભવ સહુથી વધારે રહેલો છે.

 ‘keep’ અને  `live-in partner` વચ્ચે તફાવતઃ-

ઑસ્કાર વાઈલ્ડ કહે છે," કૉલંબસે અમેરિકા શોધ્યો તે પહેલાંથી ઘણાએ તેને શોધીને વસવાટ શરૂ કર્યો હતો, પરંતુ તે બાબતને ઈરાદાપૂર્વક વિસારે પાડવામાં આવે છે."

તેજ પ્રકારે, લીવ ઈન રીલેશનશીપ અથવા  `Keep` (રખાત?) ના સબંધ, પૌરાણીક કાળથી, નિષ્ફળતાને વર્યાના અનેક ઉદાહરણ સાથે આપણા શાસ્ત્રોમાં તથા  જગતભરના સાહિત્યમાં નોંધાયેલા છે, પરંતુ આધુનિક યુગમાં, સ્વતંત્રતાના નામે, સ્વૈરવિહાર અને સ્વચ્છંદતા ભોગવવા, તે કરુણ ઉદાહરણોને વિસારે પાડવામાં આવે છે.

ઍડિશનલ સૉલિસિટર જનરલ (ASG) સુશ્રીઈંન્દિરા જયસિંગે, નામદાર સુપ્રિમ કોર્ટના ચુકાદામાં, સ્ત્રી પાર્ટનરને, `Keep` (રખાત?) તરીકે સંબોધવા સામે,પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. તેમના જણાવ્યા પ્રમાણે, કોઈ પરિણીત પુરૂષ, લગ્ન બહાર કોઈ સ્ત્રી સાથે સબંધ રાખે તેનેજ, ‘keep’ કહી શકાય. લીવ ઈનમાં, બંને વ્યક્તિ કેવળ લીવ ઈન રીલેશનશીપ કરાર હેઠળ સાથે રહેતાં, પાર્ટનર્સ તરીકે ઓળખાય.

અનુભવી લૉયર સુશ્રીમિનાક્ષી લેખીના મત અનુસાર, આમેય કાયદામાં  `Keep` ને કોઈપણ પ્રકારનું વળતર (To claim maintenance) મળવાપાત્ર હોતું નથી.વળતર મેળવવાનીજ ઈચ્છા હોય તો, લગ્ન કરી લેવા વધારે હિતાવહ છે.

કેટલાક અભ્યાસુ ચિંતક અને સાહિત્યકારોના મતે, લીવ ઈન માં, બંને પાર્ટનર્સનું દરેક બાબતે સરખું કૉન્ટ્રિબ્યુશન હોય તેવા સંજોગોમાં, તેમાંના એક સ્ત્રી પાત્રને, પુરૂષ પાત્રએ `Keep` (રખેલ કે રખાત?) રાખી છે તેમ હરગિજ ન કહી શકાય. `Keep` સ્ત્રી  હંમેશાં, રાખનાર પુરૂષ પર, આર્થિક  રીતે  નિર્ભર રહે છે, એટલુંજ નહીં પણ, તેના બદલામાં, તે સ્ત્રીનો ઉપયોગ, પુરૂષ, મોટાભાગે માત્રને માત્ર પોતાના જાતીય સંતોષ મેળવવા કરે છે. જ્યારે લીવ ઈન રીલેશનશીપ જાતીય સબંધ બાંધ્યા વગર પણ રાખી શકાય છે.

શું નામદાર સુપ્રિમ કોર્ટના આ ચુકાદાને, લીવ ઈન રીલેશનશીપને માન્યતા મળી હોવાના સંદર્ભે મૂલવી શકાય?

કદાચ, નહીં, કારણકે ચુકાદામાં  DVA  2005 હેઠળ મૅઈન્ટેનન્શ ક્લેઈમ કરવા માટેની શરતોમાં, લગ્ન અથવા લગ્ન જેવા સ્વરૂપના, પુરાવા સાથેના લીવ ઈન સબધનેજ અગત્યતા અપાઈ છે.

કેટલાક સાયકોથેરાપિસ્ટના મતે, આ ચુકાદો,ખાનગી રાહે, લીવ ઈન સ્વીકારી ચૂકેલી ઘણીબધી સ્ત્રીઓમાં, પોતાના સબંધને જાહેર કરવા કે નહીં તે બાબતે, માનસિક ત્રાસ અને તાણ ઉભી કરશે, કારણકે મોટાભાગે સ્ત્રીઓ આવા સબંધને, સમાજના ડરથી ખાનગી રાખવા ઈચ્છતી હોય છે.

આપણા દેશમાં, જે પ્રકારે, લીવ ઈન ના ઉદ્દાત્ત વિચાર તથા સબંધનો વ્યાપ થયો  છે તે જોતાં, Code of Criminal Procedure 1973 , Section 125. Order for maintenance of wives, children and parents.ની કલમોમાં, લીવ ઈન રીલેશનશીપની સ્પષ્ટ વ્યાખ્યા સાથે, તેનો પણ સમાવેશ કરીને, તાકીદે સંશોધન-સુધારો કરવાની તાતી જરૂરિયાત જણાય છે

જોકે, નામદાર સુપ્રિમ કૉર્ટની લાર્જર બેંન્ચ, હવે લીવ ઈન રીલેશનશીપના સંદર્ભમાં, ‘wife’ શબ્દ ઉપરાંત, આ ચુકાદામાં ઉઠેલા કેટલાક સવાલો તથા અન્ય અનિર્ણીત બાબતોનો નિર્ણય કરશે.

મિત્રો, સમાજની આજકાલ કેવી વિટંબણા છે?

અગાઉ આપણા દેશમાં, કોઈ કુટુંબીના લગ્નમાં, બે ત્રણ દિવસ જાન રોકાતી અને, તે દરમિયાન લગ્નની ઉંમરે પહોંચેલાં અને યુવાન-યુવતીઓનું ચોકઠું વડીલો ગોઠવી દેતા.જે લગ્ન મોટાભાગે સફળ પણ થતાં. હવે આજના રોકેટ યુગમાં, કોઈને, કોઈનાય સારા-નરસા પ્રસંગે, જેતે સ્થળે, દસ મિનિટનો સમય પણ ફાળવવાની ફુરસદ નથી, તેવામાં સાવ અજાણ્યા પાત્ર સાથે, ઉતાવળે લગ્ન કરીને નિરાંતે પસ્તાવું, તે કરતાં લીવ ઈન સબંધે બંધાઈ, ખરીદવા ધારેલી મીઠાઈ, પેટને માફક આવશેકે નહીં, હજમ થશેકે નહી, તેમ ચાખીને લેવાનું વલણ, આધુનિક નરનારીમાં વધતું જાય, તેમાં નવાઈ પામવા જેવું નથી..!!

અગાઉનાં ઍરેન્જ મેરેજમાં, વડીલોની ગેરંટી અને મનદુઃખના સમયે, વડીલોની રૂઆબદાર, અસરકારક લવાદી, યુગલોના લગ્નજીવનમાં પડતા ભંગાણને અટકવવાનું સામર્થ્ય ધરાવતી હતી અને તેથીજ શાસ્ત્રોમાં લગ્નવિધિમાં સાત-સાત જનમના, તથા એકમેકને સાચવવાની અનેક પ્રતિજ્ઞાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. પરતું હવે, તે સર્વનો મહિમા, દિવસે-દિવસે ઘટી જઈને શૂન્ય પર પહોંચે તેવા દિવસ જોવાનો વારો, સહુને ભાગે આવે તો નવાઈ પામવા જેવું નથી.

જો આવાજ દિવસ આવશે તો લીવ ઈનની `રામાયણ`(..!!)માં, અસલી રામાયણના સતી સીતામૈયાની માફક, ચારિત્ર્ય શુદ્ધતાની અગ્નિપરીક્ષાની આશા કે અપેક્ષા તો, લીવ ઈન રીલેશનશીપ ના બ્રેક-અપ બાદ છૂટા પડેલાં પાર્ટનર્સ, એકમેકને આપી કે રાખી નહીંજ શકેને?

આમેય, `પરણ્યા વિના સહજીવન ગાળવું = Live in sin` અર્થ  થાય છે  અને  `sin` એટલે શું  તે, સમજાવવાની જરૂર છે ખરી?

બાય ધ વૅ બૉસ, આપ શું માનો છો?

માર્કંડ દવે. તા.૩૧ ઑક્ટોબર ૨૦૧૦.

1 comment:

  1. "અગાઉનાં ઍરેન્જ મેરેજમાં, વડીલોની ગેરંટી અને મનદુઃખના સમયે, વડીલોની રૂઆબદાર, અસરકારક લવાદી, યુગલોના લગ્નજીવનમાં પડતા ભંગાણને અટકવવાનું સામર્થ્ય ધરાવતી હતી અને તેથીજ શાસ્ત્રોમાં લગ્નવિધિમાં સાત-સાત જનમના, તથા એકમેકને સાચવવાની અનેક પ્રતિજ્ઞાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. પરતું હવે, તે સર્વનો મહિમા, દિવસે-દિવસે ઘટી જઈને શૂન્ય પર પહોંચે તેવા દિવસ જોવાનો વારો, સહુને ભાગે આવે તો નવાઈ પામવા જેવું નથી."

    એકદમ સહમત.
    માધવ મેજિક બ્લોગ

    ReplyDelete

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.