Wednesday, September 1, 2010

જૂગટાષ્ટમીનો જુગાર, કે પછી બરબાદીની કગાર?

જૂગટાષ્ટમીનો  જુગાર, કે પછી બરબાદીની કગાર?



" ફોગટની ચાહત,  ચોરટો  બનાવશે, જરા ચેતજે..!!"
  જુગારની આદત, જોગટો  બનાવશે, જરા ચેતજે..!!


" જો તમારે જુગાર રમવું જરૂરીજ  હોય તો, રમતા અગાઉ ત્રણ બાબત નક્કી કરી લો. રમતની શરતો;  હોડની રકમ અને રમતમાંથી ઉઠી જવાનો સમય."
 
-  એક ચાઈનીઝ કહેવત.

===========

પ્રિય મિત્રો,

સહુને ગમતી, જૂગટાષ્ટમી..!! માફ કરજો, જન્માષ્ટમી આવી ગઈ છે, સાથે જૂગટું રમનારાના મોંઢામાં, પાણી પણ લાવી છે.!!
( કાનૂન - વ્યવસ્થાવાળાઓના મોંઢામાં પણ?)

મને એ સમજ નથી પડતી, કે જે ભગવાન શ્રીકૃષ્ણને, પાંડવોની જૂગટું રમવાની લતને કારણે,  દ્રોપદીની લાજ બચાવવા અને તેના ચીર પુરવા માટે, સાડીઓના તાકાના તાકા, ખભે ઉંચકવા પડ્યા હોય..!!

જે જુગારની લતના કારણે,  સોયની અણી જેટલી જમીન માંગવા, કૌરવોની સભામાં, શ્રીકૃષ્ણને  અપમાનિત થવું પડ્યું હોય..!! જે જુગારની લતને કારણે, પાંડવોએ, ચૌદ વર્ષ વનવાસની તકલીફ, વેઠવી પડી હોય..!!  અને જે જુગારને કારણે, આખા મહાભારતનું ભીષણ યુદ્ધ ખેલાયું હોય..!!

તે, ભગવાન શ્રીકૃષ્ણએ, ક્યા ગ્રંથ કે શાસ્ત્રમાં, તેમના જન્મ દિવસે, જુગાર રમવાની ભલામણ કરી છે?

તો પછી, સાલું..!! આ ચલણ પાડ્યું કોણે?

મને તો લાગે છે, નક્કી, કોઇ કંસમામાએ, બદલો લેવા, પોતાના ભાણીયાઓને, આ બરબાદીના માર્ગે ચઢાવી દીધા લાગે છે..!!

" પૈસા , સમય અને (પોલીસ પકડે તો..!!) આબરૂ ગુમાવીને, હે... ભાણીયાઓ..? સમાજની નજરમાં, જાહેરમાં બની જાવ....`મામા..ઓ`,બીજું શું વળી?"

હમણાંજ એક સમાચાર વાંચવા મળ્યા છે. દાદરાનગર સ્થિત, `જ્ઞાનગંગા પ્રાથમિક શાળા`ના, આચાર્ય કમ સંચાલકશ્રી, નામે `હસન ભાનુભાઈ (૪૬)` અને બીજા આઠ શિક્ષક મહાનુભવશ્રીને, શાળાના કામકાજના સમય દરમિયાન જ, પોલીસે ઈંન્સ્પેક્ટર  શ્રીહિમાંશુ દોશીસાહેબે, જુગાર રમતા  ઝડપી પાડ્યા છે..!! પોલીસે, તેમની પાસેથી રૂ.૧૮૦૦૦/- રોકડા અને પાંચ મોટરસાયકલ જપ્ત કરી છે.

આ..હા..હા..હા..!! `જ્ઞાનગંગા`ના ત્રિવેણી સંગમમાં, આચાર્ય અને શિક્ષક ઉપરાંત, કોઈ આડવીતરા વિધ્યાર્થીને, સામેલ નહીં કરવાની ભૂલ, સહુને ભારે પડી લાગે છે?   જુગારની રીત શીખવવાના અગત્યના પિરિયડમાં, વર્ગખંડમાં, વિધ્યાર્થી પ્રવેશ નિષેધ જાહેર કરાય ત્યાં, ચોક્કસ આવી સ્થિતિ પેદા થાય?

( બાકીની આવી શાળાના કર્તાધર્તાઓ, આ ઘટના પરથી બોધપાઠ લેશે?)

કદાચ, આવીજ એક શાળાના હેડમાસ્ટરસાહેબને, એક  ચિંતાતુર પિતાએ આવીને ફરિયાદ કરી," ગમે તે થાય, મારા દીકરાની, વાતવાતમાં, શરત મારવાની કુટેવ છોડાવી આપો."

હેડમાસ્ટરસાહેબે અતિશય વિશ્વાસપૂર્વક  કહ્યું," હવે આજથી બધી ચિંતા, મારી પર છોડી દો..!!"

અઠવાડીયા પછી, હેડમાસ્ટરસાહેબે ફૉન કરીને, પેલા ચિંતાતુર પિતાને સાંત્વના આપી," આપના દીકરાની શરત મારવાની, ખરાબ આદત છોડાવી દીધી છે."

પિતાએ, હેડમાસ્ટરસાહેબને, કહ્યું" ખરેખર? આટલી જલ્દી?  મારા માન્યામાં નથી આવતું..!!"

હેડમાસ્ટરસાહેબે ફૉન પર કહ્યું," લાગી, રૂ.૧૦૦૦ની શરત?"

મિત્રો, જુગાર રમવાની શરૂઆત કેવીરીતે થઈ હશે?

મોટાભાગે, અંદાજે  ૧૭મી સદીના અરસામાં, બ્રિટનમાં, અમીર- ઉમરાવ શ્રેણીમાં આવતા સમાજમાં, શરત અને જુગાર દ્વારા નાણાં અને મનોરંજન મેળવવાનું વલણ, પુરજોરમાં હતું. બ્રિટીશ ફિલૉસોફી અનુસાર, તેને મર્દાનગી ભરેલી રમતની માન્યતા પ્રાપ્ત થઈ હતી. જે વલણ અને માન્યતા આજેપણ સર્વવ્યાપ્ત હોય તેમ આપને નથી લાગતું?

આપ જાણો છો? સૅન્ડવીચની શોધ કોણે કરી?

ઉપર દર્શાવેલ, આ અમીર-ઉમરાવને, આ રમત દરમિયાન, અવારનવાર, ભોજન માટે, ડાયનીંગ ટેબલ સુધી લાંબા થવું પડતું તે, રમતમાં ભારે વિક્ષેપ પડ્યા સમાન લાગતું હતું. તેવામાં એક દિવસ, તેમને એક રસોઈયાએ, જુગારના ટેબલ પરથી ઉભા થયા વગર, રમતના રંગમાં ભંગ પાડ્યા વગર, ખાઈ શકાય તેવી, વાનગી પીરસી, જેનું નામ પડ્યું. `સૅન્ડવીચ.`

આપને પ્રશ્ન થશેકે, જુગારીઓ કેટલા પ્રકારના હોઈ શકે?

જુગારીઓના પ્રકારઃ-

* ધંધાદારી જુગારીઓ -જેમની કાયમી આવકનો  સ્ત્રોત્ર જ  જુગાર હોય તેવી વ્યક્તિઓ.

* પ્રાસંગિક જુગારીઓ - જેઓ, અનિયમિતપણે, ક્યારેક તહેવાર કે `ગેટ ટુ ગેધર` જેવા પ્રસંગે, જુગારનો આનંદ માણે તેવી વ્યક્તિઓ.

* ગંભીરતા ધરાવતા જુગારીઓ - જુગારનું નામ સાંભળતાંજ, આતુરતા દાખવે અને રમવામાં તલ્લીન થવા તલપાપડ થાય તેવી વ્યક્તિઓ.

* પાસટાઈમ જુગારીઓ - સાવ બેધ્યાનપણે, કુટુંબ અને ધંધામાંથી, બાકી સમયને પસાર કરવા માટેજ , માત્ર શોખથી રમતા, ગંભીરતા વગરના જુગારીઓ.

* અઠંગ આદતી જુગારીઓ - એવી વ્યક્તિઓ, જે ધંધો અને કુટુંબને વિસરીને, જુગારના રવાડે ચઢ્યા હોય અને મહામુશ્કેલીથી અટકાવી શકાય.

*  અસામાજીક વ્યક્તિત્વ ધરાવતા જુગારીઓ - જેમનું એક માત્ર લક્ષ, કોઈપણ પ્રકારના ગુન્હા આચરીને પણ, જુગાર રમવા પ્રવૃત્ત થવાનું માનસ હોય, તેવી વ્યક્તિઓ.

એટલેજ, જ્હૉન. ડબલ્યુ. ગૅટસ કહે છે, 
" Don’t be a gambler; once a gambler, always a gambler." - John W Gates 

John Warne Gates (May 18, 1855 – August 9, 1911) નામના અઠંગ  જુગારીને, સન- ૧૯૦૦માં, ઈંગ્લૅન્ડમાં, ઘોડાની રેસમાં, એક મિલિયન ડોલરનું ઈનામ (જૅકપૉટ) લાગવાથી, તેનું હુલામણું નામ, "Bet-a-Million" પડી ગયું..!!

આપણને, બીજો પ્રશ્ન એ  થાય કે, અઠંગ જુગારીને ઓળખવા કેવી રીતે?

જુગારનાં લક્ષણો.

* નર અને નારી, બંનેમાં લગભગ એકસરખાં જોવા મળે છે..!!

* પોતાના ખીસ્સાની હેસિયત જોયા વગર, દાવ લગાવવાની આદત પડે છે..!!

* માત્ર મઝા માટે જુગાર રમવાનું શરુ કર્યા પછી, વારંવાર રમવાની, આદત પડે છે..!!

* માત્ર પાસટાઈમ માટે જુગાર રમવાનું શરૂ કર્યા  બાદ, આખા જગતને ભૂલી જઈ, અમૂલ્ય સમયની બરબાદી થાય, તેમ જુગારની લત લાગે છે..!!

*  આ લત લાગ્યા પછી, કાયદાના સકંજામાં આવી,એકવાર સજા થયા પછી, કાયદાનો ડર પણ લાગતો નથી..!!

* આવા જુગારીઓને, કુટુંબ અને સમાજ  ધીરે  ધીરે  ધિક્કારતો - અવગણતો  થાય  છે..!!

જોકે, કોઈ અઠંગ જુગારીને સુધારવાની, આ સાચી રીત, નથી જ નથી.

The National Oceanic and Atmospheric Administration (NOAA) ની પ્રોગ્રામ ઍનાલિસ્ટ, અને  Florida Council on Compulsive Gambling, ની પ્રોગ્રામ કન્સલ્ટન્ટ, `લાઉરા લૅટસન - Laura Letson`,ના મત અનુસાર,

* અઠંગ આદતન જુગારી, એક મનોરોગનો શિકાર થયેલી વ્યક્તિ હોય છે. આવી વ્યક્તિ અંતે સર્વપ્રકારે ખુવાર થાય છે.

*  આજકાલના યુવાનોમાં, "I'll bet you," "I dare you." થી શરૂ થયેલી, શરત મારવાની આદત, તેઓ જયારે અસહ્ય ટેન્સન ભરેલી પુખ્ત વયે પહોંચે છે ત્યારે, એકલતાને ટાળવાના ઉપાય તરીકે, જુગારને મનોરંજન ગણતા ગ્રુપમાં શરણ લઈ, બાદમાં અઠંગ જુગારી બની જાય છે.

* કેવળ મનોરંજન ખાતર જુગાર રમતી વ્યક્તિ, તેના ગ્રુપમાં, દારુ કે ડ્રગ્સ જેવાં, અન્ય વ્યસન ધરાવતી વ્યક્તિઓના પ્રભાવમાં, શેહશરમમાં, દેખાદેખી આવી જઈને, જુગાર ઉપરાંત બીજાં વ્યસન પણ સરળતાથી અપનાવી લેતા હોય છે.

* `પીનેવાલોં કો પીનેકા બહાના ચાહીએ.!!` ની માફક, અઠંગ જુગારી, `દુરથી આવતી કારના નંબરથી માંડીને, કોઈ કન્યા તેની સામે પાછું ફરીને જોશેકે નહીં..!!` તેવી ક્ષુલ્લક બાબતો પર, મોટી રકમની હારજીતનો,  જુગાર રમી શકે છે.

* ક્રેડીટ કાર્ડ - ડૅબીટ કાર્ડ અને `ATM`, જેવી નવી ટેકનોલૉજીજનક  સુવિધાઓ, ઈન્ટરનેટ પર ઑનલાઈન ગૅમ્બલીંગ સાઈટસની ભરમારને કારણે, જુગારની લત, જગત વ્યાપ્ત બની ગઈ છે.

મિત્રો, અઠંગ જુગારીઓની જમાતને કોઈ વય, સ્ત્રી-પુરુષના ભેદ, ઓછી વધતી આવક, અભ્યાસ કે ભાષાભેદની સરહદો, ક્યારેય નડતી નથી.

એક જુગારી,ઘેર આવીને પોતાની પત્નીને, પોતે આજે જુગારમાં કેટલી રકમ હારી ગયો, તેનું વર્ણન કરતો હતો.

એક દિવસ, તે આખી  રાત ઘેર, પરત ન આવ્યો. છેવટે વહેલી  સવારે ઘેર આવીને, તેણે ખુલાસો કરવા પ્રયત્ન કર્યોકે, `તે દારૂ  પીને  કેવી રીતે આખી રાત ગટર પર પડી રહ્યો?`

પત્નીએ અકળાઈને પુછ્યું, "એ બધું પછી. તમે કાલે રાત્રે, જુગારમાં કેટલી રકમ ગુમાવી તે જણાવો..!!"

જોકે, આ પત્નીની ચિંતા સ્વાભાવીક છે. કારણકે, દારૂની લત કરતાંય, ખતરનાક લત, જુગારની આદત  હોય છે..!! કારણકે, જુગારની આદતવાળી વ્યક્તિ, પોતાનું સર્વસ્વ વેચીસાટીને પણ, દેવું ભરતા હોય છે..!!

" A Gentleman is a man,  who will pay his gambling debts even when he knows he has been cheated."

- L. N. Tolstoy - Russian writer - greatest novelists. (Count Lyev Nikolayevich Tolstoy  September 9 -1828 – November 20 - 1910. )


આપણને ત્રીજો પ્રશ્ન એ થાયકે, "તો શું આવી સામાજીક, આર્થિક અને શારીરિક રીતે ખુવાર કરતી, ખરાબ આદત ક્યારેય છોડી ન શકાય?"


મિત્રો, ઉપર દર્શાવેલા, વેધક પ્રશ્નનો જવાબ પામવા, આપને નીચે દર્શાવેલ પ્રશ્નોના જવાબ પહેલાં મેળવવા જરૂરી છે.

અઠંગ જુગારીને ઓળખવાના લાક્ષણીક ચિન્હ-પ્રશ્નો.

* જુગાર રમવા, પોતાની રોજની કાર્ય પ્રણાલિમાં, ફેરફાર કરો છો?

* જુગારને કારણે તમારા ઘરમાં, અસુખ-અશાંતિ વર્તાય છે?

* શું સમાજ તમને `જુગારીઓ` કહેતો થયો છે? આબરૂ બગડી છે?

* જુગાર રમ્યા પછી, તમને સંતાપ -પશ્ચાતાપની લાગણી સતાવે છે?

*  અન્ય કારણોસર ઉભી થયેલી, આર્થિક તંગી કેપછી  દેવું , જુગાર દ્વારા નાણાં કમાઇને, ભરપાઈ થશે, તેવી માન્યતા, ઘર કરી ગઈ હોય તેમ લાગે છે?

* જુગારની પ્રવૃત્તિને કારણે, તમારી અન્ય સારા માર્ગે આવક ઉભી કરી શકવાની કાર્યક્ષમતા ઘટી છે?

*  તમે જુગારમાં ગુમાવેલી રકમ પરત મેળવી લેશો, બાદમાં ક્યારેય જુગાર નહીં રમો, તેમ મનને મક્કમ કરી શકો છો?

* કેપછી, જુગારમાં કાયમ જીતવાની, અંદરથી પ્રેરણા થતી હોવાને કારણે તમો, જુગાર રમવા દોડી જાવ છો?

* તમારી પાસે, જેતે સ્થળ પર, અડધી ચ્હા પીવાના કે, ઘેર પરત જવા, બસભાડા જેટલા પણ, પૈસા ન બચે ત્યાં સુધી જુગાર રમ્યા કરો છો?

* તમને જુગાર રમવા, ઉધાર માંગવાની કાયમી આદત પડી છે?

* તમે તમારી, અંગત માલિકીની વસ્તુઓ વેચીને કે, દાવમાં લગાવીને પણ જુગાર રમો છો?

* તમને, જુગારમાં જીતેલાં નાણાંથી, અન્ય જરૂરી વસ્તુ ખરીદતાં, ખચકાટ થાય છે?

* જુગારની આદતે તમને, તમારા કુટુંબ અને સમાજ પ્રત્યે વધારે બેદરકાર-બેજવાબદાર બનાવ્યા હોય તેમ લાગે છે?

* તમે અગાઉથી સમય ફાળવ્યો હોય તે કરતાં, જુગાર પાછળ, હવે  વધારેને વધારે સમય વ્યતિત થવા લાગ્યો હોય, તેમ તમને લાગે છે?

* તમે, અન્ય કોઈ સમસ્યામાંથી ચિંતામૂક્ત થવા કાજે, જુગાર રમો છો?

*  જુગારની જરૂરિયાત પૂર્ણ કરવા, તમને  ગેરકાયદેસર રસ્તા, અપનાવવાનું મન થાય છે?

* જુગારની આદતે, તમારી ઊંઘ-આરામ, જીવનનાં ચૈન-નિરાંત છીનવ્યાં હોય તેમ તમને  લાગે છે?

* તમને જુગાર રમવા ન મળે તો, તમે હતાશા-નિરાશા, એકલતા, વાદવિવાદ કરવાનું વલણ ધરાવતા, ચિડીયા સ્વભાવના, થઈ ગયા હોવાનું અનુભવો છો?

* તમને થોડાજ સમય જુગાર રમીને, રાતોરાત માલદાર થઈ જવાની મહેચ્છા, સતત સતાવતી હોય તેમ લાગે છે?

* જુગારમાં  સતત, હારતા હોવાના સમયે, તમને આખો સંસાર ત્યજીને અજ્ઞાત સ્થળે, ભાગી જવાની કે આપઘાત કરવાની પ્રબળ ઈચ્છા સતાવે છે?

મોટાભાગે, ફક્ત ચાર-પાંચ પ્રશ્નના જ જવાબ, જો `હા`, હોય તો, તમારે અને તમને પ્રેમ કરતાં તમામ, સગાંવહાલા, સ્નેહી, મિત્ર અને કુટુંબીજનોએ ચેતી જવાની જરૂર છે.

" Gambling; The sure way of getting nothing from something."  - Wilson Mizner

Wilson Mizner (May 19, 1876, Benicia, California - April 3, 1933, Los Angeles, California) was an American playwright, raconteur, and entrepreneur. His best-known plays are `The Deep Purple`, produced in 1910

તો પછી, આપણને ચોથો પ્રશ્ન એ થાયકે, "શું જુગારના અઠંગ ખેલાડીને ઓળખવા કોઈ ચિન્હ છે? જરૂર છે."

જુગારની લત - ચેતવણીના તબક્કા અને ચિન્હ.

* આવી વ્યક્તિના મનનો કબજો, જુગારની પ્રવૃત્તિ લઈ લે છે.

* આવી વ્યક્તિ, નોકરી-ધંધા, સમાજ અને કુટુંબના પ્રશ્નોની ચિંતામાંથી, પલાયન કરવાના, વિકલ્પ તરીકે, જુગારમાં મન પરોવે છે.

* જુગાર ન રમવા માટેનો સંકલ્પ વારંવાર તોડીને, જુગાર રમવામાંથી મૂક્તિ પામવાની અસમર્થતા.

* કયારે? કેટલો સમય અને કેટલી રકમ, સુધીજ, જુગાર રમવો તે, લક્ષમણરેખા નક્કી કરવામાં અસમર્થતા.

* ઘણીવાર જુગાર કરતાં, તે સાથે મળતી, વાઈન, વુમન, ડ્રગ્સ અને અન્ય વૈભવી સારસંભાળની લાલચ.

* જુગારમાં હારેલી રકમ અંગે, સંબંધિત સગાવહાલાં પાસે સતત જુઠ્ઠું  બોલવું.

* જુગારની આદત છોડવા સમજાવનાર તમામને, દુશ્મન સમજી, આવેશમાં આવી જવું.

* કાયદેસર કે ગેરકાયદેસર રીતરસમ અજમાવીને પણ, જુગાર રમવા માટે નાણાંની વ્યવસ્થા કરવાના પ્રયાસ કરવા.

* નોકરી ધંધાના સ્થળે કે ઘરમાંથી, કોઈને કહ્યા  વગર, અવારનવાર ગેરહાજર રહેવું,  રોજિંદા  કાર્ય  પ્રત્યે પ્રમાદ કરવો.

* નવી જવાબદારીઓ લેવાથી દૂર ભાગવું.

* જુગારની આદતને કારણે, અન્યો સાથેના, અગત્યના સામાજીક સબંધોને પણ, જોખમમાં મૂકાય તેવી વાણી અને અવિચારી વર્તન આચરવું.

* વારંવાર  સ્વભાવમાં, મુડમાં, અણધાર્યું પરિવર્તન આવવું.

* જુગારના દરેક આવનારા દાવમાં, કાયમ જીતવાની વ્યર્થ આશા-માન્યતા, મનમાં  કાયમી ઘર કરી જવી.

* પોતાના અગાઉ હારેલા નાણાં, વસૂલ કરી શકાય તેવા ઉદ્દેશ્ય સાથે બીજા દિવસે ફરી, જુગાર રમવાનું વલણ ધરાવવું.

* પોતે  જુગાર રમવા જેટલી નાણાંક્ષમતા ધરાવતા, હાઈ સોસાયટી મેમ્બર હોવાનું ગૌરવ દર્શાવવા માટે  પણ, જુગાર રમવાનું વલણ ધરાવવું.

જુગાર અને સમાજ-જાણવા જેવું;


*  આપણા દેશમાં, આશરે પંદર કરોડ વ્યક્તિઓ, એક યા બીજા પ્રકારનો, જુગાર રમવાની, નિયમિત આદત ધરાવે છે.

* તેમાંના ૨/૩ જુગારીઓ પુખ્ત વયના પુરૂષો હોય છે, બાકીના સ્ત્રીઓ અને સગીર વયનાં બાળકો હોય છે.

*  જુગાર રમવાની આદત ધરાવનાર, તેની કાયમી આવક પ્રત્યે બેધ્યાન બને છે.

*  દર વર્ષે ૪૫%ના દરથી, ૧૪ અને તેથી વધારે ઉંમરની વ્યક્તિઓ, જુગારની આદતમાં સપડાતી જાય છે.

*  ઈન્ટરનેટ પર ઑનલાઈન જુગારની સાઈટસ, ૧૯૯૭ ના મુકાબલે, દર વર્ષે બમણી થતી જાય છે.
      
* અમેરિકન સાયકૉલોજિકલ ઍસોસિયેશન ના જણાવ્યા પ્રમાણે, આલ્કૉહોલ, ડ્રગ્સ જેટલીજ, જુગારની આદત, ખરાબ અસર કરે છે.  
      
*   જુગાર ન રમનારા કરતાં, જુગાર રમનારા, કુટુંબમાં છૂટ્ટાછેડાનું પ્રમાણ બમણું હોય છે.

*  જુગાર ન રમનારા કરતાં, જુગાર રમનાર વ્યક્તિઓમાં, આપઘાત કરવાની શક્યતા, (ટકાવારી) વીસ ઘણી વધારે હોય છે.

*  કુલ જુગાર રમનારાઓમાંથી, લગભગ ૬૫%  વ્યક્તિઓ, પાછા વળી ન શકાય તેવી ગંભીર ગુન્હાખોરીના રવાડે ચઢી જાય છે.
      
જુગાર રમનારે, ઓછામાં ઓછા જોખમ માટે, ધ્યાને લેવા જેવી બાબતો-

 * જુગાર રમવા બેસતાં પહેલાંજ, રમવા અંગે, ધારેલી રકમ જેટલીજ રકમ સાથે રાખો.

* નક્કી કરેલી રકમ, ચાલુ દાવમાં ખલાસ થાય તો દાવ છોડી દો, પણ ઉધાર ન લેશો.

* નક્કી કરેલી રકમ હારી જાવ ત્યારે તરતજ તે, જગ્યા છોડી દો અને અન્ય મનગમતી પ્રવૃત્તિમાં મન વાળો.

* દરરોજ જુગાર રમવાના, નિયમિત સમયે, કુટુંબ સાથે અન્ય, પ્રવૃત્તિમાં જોડાઈ જાવ.

* નક્કી કરેલી રકમ જીતવાની સાથેજ, કોઈપણ બહાને, તે જગ્યા છોડી, અન્યત્ર ચાલ્યા જાવ. જુગારમાં જીતેલી રકમ, ફરી દાવમાં મૂકશો નહીં.

હવે છેલ્લો અને મહત્વનો પ્રશ્ન," શું જુગારની આદત છોડવાના કોઈ સરલ ઉપાય છે  ખરા? ચોક્કસ છે.આ રહ્યા તે."


જુગારની અઠંગ આદત ત્યજવાના સરળ ઉપાય-

* આ આખોય ખેલ મનની નબળાઈનો છે. જુગાર ન રમવા માટે મનને મક્કમ કરો.

*  જુગારની લતવાળી વ્યક્તિની, નજીકની વ્યક્તિઓએ, તેને ધુત્કારવાને બદલે, સમજાવટથી કામ લેવું જોઈએ.

* .જુગાર રમવાનો, જે ફિક્સ સમય હોય છે તે સમયે અન્ય મનગમતી પ્રવૃત્તિમાં મન લગાવો.

* જુગારની લતવાળી વ્યક્તિની, નજીકની વ્યક્તિઓએ, તેને કોઇપણ પ્રકારે નાણાં ન મળે તેવી વ્યવસ્થા કરવી જોઈએ.

* જુગારની લતવાળી વ્યક્તિની, નજીકની વ્યક્તિઓએ, જુગારમાં પાયમાક થઈ ગયેલા કુટુંબના ઉદાહરણ આપવા જોઈએ.

* આવી લત ધરાવતી વ્યક્તિને સમજાવતી વખતે, એક ભયસ્થાન ધ્યાનમાં રાખો. ક્યાંતો તેવી વ્યક્તિ જુગારની લત કાયમ માટે છોડશે અથવા તો તમને..!!

મિત્રો, જુગાર એક જાતનો નશો જ છે..!!  આપણી કેટલીય, કાળી મહેનત-મજુરીથી કરેલ, ખરા પરસેવાની કમાણીને, કોઈજ મહેનત કર્યા વગર બીજાને, લૂંટાવી દેવી, તે એક   જાતની નરી મૂર્ખતા જ છે..!!

આપ જાણો છો?

આપણી હિન્દી ફિલ્મોમાં,સન - ૧૯૭૯માં રિલિઝ થયેલી,નિર્દેશક શ્રીશક્તિ સામંતાજીની મહાન ફીલ્મ, `ધ ગ્રેટ ગેમ્બલર`, જેમાં, શ્રીઅભિતાભ બચ્ચનજી (ડબલ રૉલ), ઝિન્નત અમાન, નીતુંસિંગ,  મદનપુરી, ઈફ્તિખાર, ઉત્પલદત્ત, હૅલન, જગદીશરાજ, પ્રેમ ચોપરા જેવા સમર્થ કલાકારોએ અભિનયનાં જવાળાં પાથર્યાં હતા.
જેનું કર્ણપ્રિય સંગીત શ્રી આર.ડી.બર્મનસાહેબનું હતું.

આ ફીલ્મમાં, જય નામના, ક્યારેય ન હારતા,અઠંગ, કુશળ જુગારી પર, અંડરવર્લ્ડની નજર પડે છે અને જયને પોતાની સાથે કામ કરવા રાજી કરે છે. મિસ્ટર `નાથ` નામના સરકારી ઑફિસરને જુગારમાં, જંગી રકમથી હરાવ્યા બાદ, તેની પાસેથી, મિલિટરીની ટોપ સિક્રેટ માહિતી કઢાવવા, મિ.નાથને બ્લેક મેઈલ કરાય છે..અને ત્યાર ..બાદ...?

જોકે, ફિલ્મમાં દર્શાવેલ ટ્રેજેડી, વાસ્તવિક જીવનમાં પણ બની શકે છે, તે ધ્યાન રાખવું ઘટે..!!


તેથીજ અમેરિકન કાર્ટુનિસ્ટ, ક્રાન્ક, રમૂજમાં કહે છે, 

" The safest way to double your money is to fold it over once and put it in your pocket."  - Kin Hubbard.

Frank McKinney Hubbard (born 1 September 1868 in Bellefontaine, Ohio - died: 26 December 1930 in Indianapolis, Indiana) was an American cartoonist, humorist, and journalist.

મને તો, આ ભાઈની વાત સાચી લાગે છે?  આપને?

અમે નાના હતા ત્યારે, જન્માષ્ટમી પર જુગાર રમતા, પકડાતા અમીર નબીરાઓને, પોલીસ ગામ વચ્ચેથી, ખુલ્લા ચહેરે, હાથકડી પહેરાવીને, આખા ગામમાં ફેરવી, બીજાને પણ કાયદાનો ડર લાગે તેમ, જવાબદારીપૂર્વક વર્તતી હતી.

જ્યારે આજે તો, જુગારના અડ્ડા, બિંદાસપણે ચલાવનારાઓ, ખબર નહીં કેમ પણ..!! 

કાયદાના પાલકોની પાઘડીમાં, કેવી જાતની,સોના-રૂપા-ચાંદી અને હિરા જડીત,`કલગી` લગાવી આવે છેકે, કોઈને, ભાગ્યેજ ઉની આંચ આવે છે?

હશે ત્યારે..!!  જેમની પાસે, રાજસી કે તામસી લક્ષ્મી હોય તે, થાય ખુવાર, આપણે કેટલા ટકા%?

પણ, મને તો જોકે, ખાત્રી છે. કમસે કમ, આપ તો, ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ દિવસ અભડાય તેવું, નામોશીજનક કોઈ  કામ નહીંજ કરો..!! ખરુંને?

માર્કંડ દવે.તાઃ ૦૧ સપ્ટેમ્બર ૨૦૧૦.

1 comment:

  1. Tame to Jugar par Ph.D kari nakhi....

    Kharekhar Majani Post mukeli che.... ghani navin mahiti janava Mali.


    Madhav
    www.iharshad.wordpress.com

    ReplyDelete

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.