Monday, March 1, 2010

પ્રામાણિક વેપારી - પૅસ્તનજી નો પ્લોટ

વિસરાતી વાર્તા- `પ્રામાણિક વેપારી`, વિસ્તરતી વાર્તા - `પૅસ્તનજી નો પ્લોટ`

" જર -જમીનને જોરૂ, ત્રણેય  કજિયાના છોરૂં.
  કર  કપાળને  કોરું,  ટળશે ધુતારાના ભેરું."

ટપલીદાવઃ- " જો તમો વાંચ્યા વગર સહી કરતા હોવ, તો તમે `सही` નથી કરતા."

=============

વિસરાતી વાર્તા- `પ્રામાણિક વેપારી`

એક નગરમાં, એક અતિ ધનાઢ્ય નગરશેઠ રહેતા હતા. કાળક્રમે તેમનો ધંધો ભાંગી પડ્યો. સાતેય સમૂદ્રમાં દોડતાં વહાણ, જાણે અચાનક ડૂબી ગયાં.આ આઘાતમાં,  નગરશેઠ,  પોતાની વહાલી પત્ની અને એક નાની છ વર્ષની દીકરીને, રડતી મૂકીને, જગતને છોડી ગયા.

નગરશેઠ  ગુજરી જતાં, તેમની બે આંખોની શરમ જતી રહેવાથી, હવે તેમના ભાગીદારોએ પણ દગો કર્યો અને તેમના કુટુંબને નાંણાંનો ભાગ આપવા આનાકાની કરી.

એકજ વર્ષમાં, સ્વ.નગરશેઠની પત્ની અને તેની નાની દીકરીને ખાવાનાં પણ સાંસાં પડવા લાગ્યાં. ઘરનાં વધેલાંઘટેલાં, વાસણકૂસણ વેચીને,તેઓ પોતાનું ગુજરાન ચલાવતા હતાં.

એક દિવસ, આ સ્વ. નગરશેઠના ઘર પાસેથી એક, રમકડાંવાળો વેપારી ટોપલો લઈને નીકળ્યો. રમકડાંવાળાને જોઈને, પેલા નગરશેઠની નાની દીકરીએ, ગણપતિની મોટી મૂર્તિ લેવા જીદ્દ કરી,જોરથી રડવા માંડ્યું.

અહીં પોતાનું એકાદ રમકડું જરૂર વેચાશે, તેમ જાણીને પેલો રમકડાંવાળો, વારંવાર આ ગલીમાં આંટાફેરા મારવા લાગ્યો, જેથી પેલી દીકરી વધારે જોરથી રડવા લાગી.

આવું ખાસ્સીવાર સુધી ચાલ્યું,છેવટે કંટાળીને સ્વ.નગરશેઠની વિધવા પત્નીએ, પોતાના ઘરમાંથી, કાટ ચઢેલું એક વાસણ લાવીને, પેલા રમકડાંના વેપારીને આપ્યું અને તેના બદલામાં, દીકરીને તે મોટી ગણપતિની મૂર્તિ આપવા જણાવ્યું.

પેલા રમકડાંના વેપારીએ, આ કાટ ચઢેલા વાસણને ઘસીને,ચકાસી જોઈ,મોઢું બગાડીને, `આ વાસણના બદલામાં, એક નાની ગણપતિની મૂર્તિ જ આવશે` તેમ જણાવ્યું, જેથી પેલી દીકરી ફરીથી જોર જોરથી રડવા લાગી.

છેવટે, પેલો વેપારી મૂર્તિ આપ્યા વગરજ ત્યાંથી ચાલતો થયો. પેલી રડતી દીકરીને,ગમે તે રીતે,  સમજાવી-પટાવીને, છાની રાખીને, તેની માઁ પોતાના કામે વળગી.

એટલામાં આજ ગલીમાં, ફરીથી એક બીજો રમકડાંનો વેપારી આવ્યો. તેની પાસે, પેલા વેપારી પાસે હતી તેવીજ, મોટી ગણપતિની મૂર્તિ ટોપલામાં હતી..
તે જોઇને, ફરીથી તે દીકરી, પેલું કાટ ચઢેલું વાસણ લઈને, તેના બદલામાં, આ વેપારી પાસેથી, મોટી ગણપતિની મૂર્તિ લેવા માટે, પોતાની માઁને બોલાવી લાવી.

આ વેપારીએ પણ, વાસણને ઘસીને ચકાસ્યું, પછી આ ભલા દેખાતા, વેપારીએ પેલી નગરશેઠની વિધવા પત્નીને કહ્યું," બહેન, આ વાસણ તો સોનાનું છે, મારાં રમકડાંનો આખો ટોપલો તમને આપી દઉં, તો પણ મારે તમને, બીજા નાણાં આપવાનાં થાય,  એમ કરો મારી સાથે ચાલો હું  તમને, નગરના સોનીને ત્યાં આ વાસણ વેચીને, બાકીનાં નાણાં અને આ ગણપતિની મોટી મૂર્તિ આપું.  મારે હરામના પૈસા ના ખપે."

આ સાંભળીને, પેલી સ્ત્રી, આ પ્રામાણિક વેપારીને, થોડું થોભવાનું કહીને, તેના ઘરની બાજૂમાં જ રહેતા એક સોનીને ત્યાં ગઈ અને, પેલું સોનાનું વાસણ વેચીને, તેનાં આવેલાં નાણાંમાંથી, ગણપતિની મોટી મૂર્તિ પોતાની દીકરીને અપાવી.

હવે આ વેપારીની પ્રામાણિકતા જોઈ, બંને માઁ-દીકરી રાજીનાં રેડ થઈ ગયાં. દીકરીને ઘરમાં લઈ  જઈને, પેલી માઁએ પૈસા ઠેકાણે મૂક્યા,

ત્યાંતો, મૂર્તિ આપ્યા  વગર જ જતો રહેલો, પેલો લુચ્ચો વેપારી પાછો આવીને તે સ્ત્રીને બૂમ પાડીને બહાર બોલાવવા લાગ્યો.
કોઈની બૂમ સાંભળીને, પેલી સ્ત્રી ઘરમાંથી બહાર આવી, જોયું તો આતો પેલો લુચ્ચો વેપારી હતો..!!

પેલા લુચ્ચા વેપારીએ, સ્વં નગરશેઠની વિધવાને કહ્યું," એક કામ કર બહેન, મને તારી રડતી દીકરીની દયા આવી તેથી હું પાછો આવ્યો.ચાલ લાવ પેલું નક્કામું, કાટ ચઢેલું વાસણ અને લે આ ગણપતિની મોટી મૂર્તિ."

સ્વ.નગરશેઠની, પેલી વિધવા પત્નીએ, આ લુચ્ચા વેપારીને, પેલા પ્રામાણિક વેપારીની, પ્રામાણિકતાની બધી જ વાત કરીને, આ લુચ્ચા વેપારીને, દબડાવીને કાઢી મૂક્યો.

પેલો લુચ્ચો વેપારી,આ બાઈને છેતરવાની તક ચૂકી ગયાનો, અફસોસ કરતો, બબડતો-બબડતો ચાલ્યો ગયો.

ઉપસંહારઃ- અતિ લોભ તે પાપનું મૂળ છે.પ્રામાણિક માનવી સર્વત્ર પૂજાય છે.

===========================

વિસ્તરતી વાર્તા - `પૅસ્તનજી નો પ્લોટ`

(નોંધઃ- આ સત્ય ઘટનાના, તમામ સ્થળ, કાળ અને પાત્રનાં નામ બદલી નાંખેલ છે, કોઈએ બંધબેસતી પાઘડી પહેરવી નહીં.)

વાત, સન - ૧૯૭૮ની અને અમદાવાદના નવરંગપુરાના, સ્વસ્તિક ચારરસ્તા પાસે, વસતા પૅસ્તનજી નામના સરળ હ્યદયના, આઘેડ ઉંમરના, પ્રેમાળ પત્ની નાહીદ ( અર્થાતઃ- નિષ્કલંક ) સાથે વસતા, એક પારસીબાવાની.

આજ જગ્યાએ, પૅસ્તનજીનો,આશરે  ૭૦૦૦ ચો.વાર.નું ક્ષેત્રફળ ઘરાવતો, એક વિશાળ પ્લોટ,  પ્લોટની મઘ્યે આશરે ૫૦૦ વારનું બાંધકામ ધરાવતો, આલીશાન બેઠા ઘાટનો, ભવ્ય નકશીકામ ધરાવતો બંગલો. તે સમયે, આંશિક રીતે, નવા આશ્રમ રૉડનું ડેવલપમેન્ટ શરૂ થઈ ગયું હતું.

આ રૉડ પરની પ્રોપર્ટીના ભાવ, આસમાને પહોંચવાની શરૂઆત થઈ ગઈ હતી. આ રૉડ પરની કેટલીક પ્રોપર્ટીઓ તો વેચાઈને, ત્યાં શોપીંગ કૉમ્લેક્ષ પણ બંઘાઈ ગયાં હતાં.ભીડભાડથી કંટાળેલા, આસપાસના રહેવાસીઓ, અ..ધ..ધ..!! રૂપિયાની ગાંસડીઓ, બાંધીને,પોતાની પ્રોપર્ટી ધડાધડ વેચવા લાગ્યા હતા.

આપણા પૅસ્તનજીબાવાનો બંગલો પણ, પ્લોટ સાથે, કિંમતમાં કરોડો રૂપિયાનો ગણાતો હતો.જોકે, આ બંગલામાં, પૅસ્તનજીનો પરિવાર, છેલ્લી પાંચ પેઢીથી, રહેતો હતો. પૅસ્તનજી અને તેની પત્ની નાહીદનો એકનો એક દીકરો અબ્રાહમ મુંબઈ ખાતે, એક મોટી કંપનીમાં જનરલ મેનેજર તરીકે,સર્વિસ કરતો હતો.

છેલ્લા કેટલાય સમયથી,બરાબર ચારરસ્તા પર, મોકાની જગ્યાએ આવેલા, પોતાના કિંમતી બંગલા ઉપર કેટલાક મોટા બિલ્ડરોનો ડોળો મંડરાયો હતો.
બજારભાવ કરતાં ૧૦ થી ૧૫% ઉંચાભાવે, પોતાનેજ આ પ્લોટ વેચવા, કેટલાક બિલ્ડરોએ તો, પેસ્તનજીને,પોતાની મધમીઠી જુબાનમાં સમજાવવાનું પણ શરૂ કર્યું હતું.   

ભોળાભાવે જીવતા પૅસ્તનજી, આવા તમામ બિલ્ડરોને વિવેકથી ના કહી દેતા. કોઈ બહુજ નિકટની ઓળખાણ લઈને, સમજાવવા આવે ત્યારે પોતાના દીકરા અબ્રાહમનું બહાનું કાઢીને વાતને ટાળી દેતા. અરે..!! કેટલાક ગરજાઉં તો વળી, અબ્રાહમને મળવા છેક, મુંબઈનો આંટો પણ મારી આવેલા. આ જગ્યાથી, આ બિલ્ડરોને કરોડોનો નફો થાય તેમ હતો. પછી કેમ મુંબઈ સુધી લાંબા ન થાય...!!

જોકે, મુંબઈમાં મળવા આવેલા, લેભાગુઓને, અબ્રાહમ પણ સાફ સાફ જણાવી દેતો કે. " પિતાની સંમતી વગર, કશુંજ નહીં થાય, તથા તે બંનેના જીવતેજીવત તે બંગલો વેચવાનો નથી",   થયું..!! લેભાગુ બિલ્ડરો- ઍજન્ટો, વીલા મોંઢે પાછા ફરતા.

કેટલાકે તો વળી, ધાકધમકીનું છેલ્લું શસ્ત્ર પણ અજમાવી જોયું. પરંતુ પૅસ્તનજીએ આ અંગે સીધીજ ફરિયાદ નામદાર કૉર્ટમાં નોંધાવી દેતાં, કાયદેસર તપાસ થઈ, આ સિનિયર સિટિઝન્સ કપલને, ખાસ રક્ષણ આપવાના અદાલતી હુકમો થતાં, પૅસ્તનજીની રજા વગર જ, બંગલાનો ઝાંપો ખોલીને,અંદર ઘૂસી આવતાં, આવાં અસામાજિક તત્વોના હાથ પણ સાવ હેઠા પડ્યા.

પરંતુ, કહે છે ને...!! " જર જમીનને જોરૂ ત્રણે કજીયાનાં છોરું." તે ન્યાયે હમણાંથી,પૅસ્તનજીને, પોતાના દીકરા અબ્રાહમનું વલણ બદલાયેલું લાગતું હતું, તેના અમદાવાદના આંટાફેરા પહેલાં કરતા વધી ગયા હતા.

અબ્રાહમ અને તેની પત્ની અનાર, પહેલાં દર્શાવતાં, તેના કરતાંય વધારે પ્રેમ દર્શાવીને, તેમની સાથે મુંબઈ  રહેવાનો અતિશય આગ્રહ કરવા લાગ્યાં હતાં. જોકે, પૅસ્તનજી અને નાહીદ, અગાઉની માફકજ અબ્રાહમ - અનારને, મુંબઈની આબોહવા માફક ન હોવાનું જણાવી, તેમના આગ્રહને ટાળવા લાગ્યા.

છેવટે, એક દિવસ,અબ્રાહમના બદલાયેલા વલણનું, આખુંય રહસ્ય, બહાર આવી ગયું. હા, આજે અબ્રાહમ, તેના સસરા અબ્બાસભાઈને (અનાર ના પિતાને.) લઈને, અમદાવાદ આવી પહોંચ્યો હતો.

વાત જાણે એમ હતીકે, અમદાવાદના, એક મોટા બિલ્ડર ગ્રૂપે, મુંબઈની ઓળખાણો કાઢી, પૅસ્તનજીના પ્લોટમાં, એક વિશાળ શોપીંગ કોમ્લેક્ષનું નિર્માણ કરીને, તેમાં અબ્રાહમ અને તેના સસરા અબ્બાસભાઈને,કોઈ પણ મૂડી રોકાણ કર્યા વગરજ, ૨૫ %ના ભાગીદાર બનાવવાનું વચન આપ્યું હતું. પ્લોટની બજાર કિંમત રૂપિયા ત્રણ કરોડ, તો પૅસ્તનજીને આપવાનીજ, આ તો તેના ઉપરાંતનો આર્થિક લાભ મળતો હતો.

ભોળા પૅસ્તનજીને, દીકરા અબ્રાહમ અને તેમના સસરા અબ્બાસભાઈએ સમજાવ્યુંકે, આગલી ગીચતાની વચ્ચે અહી રહેવું,તેના કરતાં, આજ રકમમાંથી,એકાદ કરોડ રૂપિયામાં,શહેરથી થોડે દૂર, બમણો મોટો પ્લોટ લઈને, અદ્યતન ફાર્મ હાઉસ બનાવીને, રહેવા જવું વધારે ડહાપણ ભરેલું હતું.

વળી અબ્બાસભાઈએ સમજાવ્યુંકે, આમ કરવાથી, જમાઈ અબ્રાહમ જો નોકરીની જંજાળમાંથી છૂટીને, પોતાનો બિલ્ડીંગ કન્સ્ટ્રક્શનનો વ્યવસાય, વગર મૂડીએ શરૂ કરેતો, તેનું ભવિષ્ય પણ ઉજળું બની જશે.

પૅસ્તનજીએ વિચાર્યું, "વાત તો સાવ નાંખી દીધા જેવી નથી." વળી અબ્રાહમ અમદાવાદ આવીને આ ધંધો કરે તો પોતાના અંતિમ શ્વાસ દીકરાના સાનિધ્યમાં,લેવાનું સુખ મળે, તે ફાયદો તો અલગજ મળતો હતો. ભોળા પૅસ્તનજીએ, પ્લોટ વેચવા,દીકરાને સંમતી આપી દીધી.

રખેને..!! પૅસ્તનજીનો વિચાર બદલાઈ જાય તો? તેમ સમજીને, એક કલાકમાંજ,જાણે તેમને આ સોદો પાર પડવાનોજ છે,તેની ખાત્રી હોય તેમ, પેલા બિલ્ડર ગ્રૂપના, વકીલોની ફોજ, બાનાખતના  જરૂરી  કાગળો સાથે, હાજર થઈ ગઈ અને સાથે  હતી, ગણવાની પણ જરૂર ના પડે  તેવા, રૂપિયા ૮૦ લાખની રકમની નોટોનાં, સીલબંધ બંડલોથી ભરેલી બૅગ..!! બાનાખતની મુદત માત્ર ત્રણ માસની રાખવામાં આવી.

સાવ નામ પૂરતા, રૂપિયા વીસ લાખનાં, એક નંબરની રકમનો બાના પેટે આવેલો ચૅક, અબ્રાહમે દોડીને, તેજ સમયે પૅસ્તનજીના બેંકખાતામાં જમા કરાવી દીધો.પૅસ્તનજીએ, બાથરૂમ જવાના બહાને, બંગલાની બહાર નીકળીને, જાણે આજેજ બંગલો ખાલી કરવાનો હોય તેમ, લાગણીભીના ગદગદ હ્યદયથી, બંગલાના આખા પ્લોટની, કંપાઉંન્ડ વૉલ ફરતે આંટો માર્યો, જ્યાં તેમના નાનકડા દીકરા અબ્રાહમની સાથે, તેમને આવડે તેવી ક્રિકેટ રમ્યા હતા.

છેવટે, તેઓએ,દીકરા અબ્રાહમે ધરેલા બાનાખતના કાગળોમાં, વાંચ્યા વગરજ સહી કરી દીધી. 

વકીલોની ફોજ જેટલી ઉતાવળે આવી હતી તેવીજ, ધમધમાટ કરતી, બધા સાથે હાથ મીલાવીને, ચાલતી થઈ. સસરા અબ્બાસભાઈને લઈ સાંજના, પ્લેનમાં, અબ્રાહમે પણ મુંબઈની વાટ પકડી.

જોકે, પેલા બિલ્ડર ગ્રૂપે બીજા દિવસથીજ, પોતાના લાગણીહીન, વ્યવસાયી, મિજાજનો પરચો બતાવી, પૅસ્તનજીને  હેરાન કરવાનું શરૂં કરી દીધું.

આ બિલ્ડરના, ઍન્જિનીયરથી લઈને અનેક પ્રકારના, કર્મચારીઓ, સમય-કસમય જોયા વગરજ,સવારે ૮.૦૦ વાગ્યાથી આખો દિવસ,તે બંગલામાં ધસી આવે
અને પૅસ્તનજીની, પ્રાયવસીનો વિચાર કર્યા વગર, સુવાના રૂમ સુધી, રજા માંગવાની દરકાર કર્યા વગર, હક્કથી આખા બંગલામાં આંટાફેરા મારે.

બે ત્રણ દિવસતો, પૅસ્તનજીએ આ કનડગત સહન કરી લીધી. પરંતુ પછી કંટાળીને દીકરા અબ્રાહમને ફૉન કરીને ફરિયાદ કરી, તો દીકરાએ વળી જે કાંઈ જણાવ્યું તેતો, ઘણુંજ આઘાતજનક હતું.

બિલ્ડર ગ્રૂપનો ડાયરેક્ટર, હવે અબ્બાસભાઈ અને અબ્રાહમની પાસે ભાગીદારી કરવા માટે નફ્ફટાઈથી, મોટી રકમની માંગણી કરતો હતો. અબ્રાહમે, વેચાણખત પર, પૅસ્તનજીની સહી કરાવતાં પહેલાં, પોતે બિલ્ડર બની ગયાની ખૂશી અને ઉત્તેજનામાં, પોતાના અને બિલ્ડરગ્રૂપ સાથે ભાગીદારી કરાર તૈયાર કરાવવા પર ધ્યાન આપ્યું નહતું. જાણે, "આખું કોળું શાકમાં જતું રહ્યું હતું."

પૅસ્તનજી તો આ સાંભળીને, અત્યંત આઘાતમાં સરી પડ્યા.

આ બિલ્ડર ગ્રૂપના માણસો, " પડતાને પાટુ મારતા હોય ", તેમ પૅસ્તનજીને, બાકીની રકમ આપ્યા વગરજ, બંગલો-પ્લોટ જલ્દી ખાલી કરી, પઝેશન સોંપી દેવા,પૅસ્તનજીને દમદાટી આપવા લાગ્યા. નૉટરાઈઝ બાનાખત લખાણ કરી આપેલું હોવાથી, હવે તો પોલીસ પણ  (આદત મૂજબ.. !!! )  લાચાર હતી. પોલીસ ઈંન્સ્પેક્ટરે તો ઉપરથી પૅસ્તનજીને જ ખખડાવ્યા," કાગળમાં સહી કરતાં અગાઉ વાંચવો તો જોઈએને ?"  હવે શું કરવું..!!

આમને આમ કારમી કનડગતમાં, પુરો એક માસ પસાર થઈ ગયો. હવે બાકીના પૈસા મળશે કે કેમ તેવી ચિંતામાં, પૅસ્તનજીને, આખી રાત ઉંઘ ના આવતાં તબિયત પર અસર થવા લાગી. અબ્રાહમ લાચાર હતો અને તેના સસરા અબ્બાસભાઈ સાવ  છૂટીજ પડ્યા.પત્ની નાહીદ પૅસ્તનજીને સમજાવતાં," હશે..!!
જેવી ખુદાયની મરજી...!!" પરંતુ, પૅસ્તનજીના મનને શાતા વળે તો ને ?

અચાનક એક દિવસ,  પૅસ્તનજીના એક પ્રૌઢ મિત્રને, પૅસ્તનજીએ પોતે છેતરાયા હોવાની અને પોતાની તકલીફની જાણ કરતાંજ, તેમણે,પોતાના ઍડવોકેટ દીકરા આદેશને વાત કરતાં, તેણે બધી વિગત મેળવીને, પૅસ્તનજીને આ સંકટમાંથી ઉગારવાનું બીડું ઝડપી લીધું.

સહુ પ્રથમ તો આદેશે, બાનાખતની કૉપી, પૅસ્તનજીની પાસેથી, મેળવીને, તેમાં રહેલાં કાયદાકીય છીડાં શોધી કાઢ્યાં.

બાનાખતમાં ઉલ્લેખ હતોકે," આ મિલકતનું ટાઈટલ ક્લીયર સર્ટીફીકેટ એક માસમાં મેળવીને, આપવાની જવાબદારી પ્લોટ વેચાણ આપનાર,પૅસ્તનજીની રહેશે, તે મળે નહીં ત્યાં સુધી, આ મિલકતની કિંમતનાં બાકીનાં નાણાં મિલ્કત ખરીદનાર ચૂકવશે નહીં."

વળી,આ બાનાખત કબજા વગરનું હતું. એટલેકે, પ્લોટ અને બંગલાનો કબજો, દસ્તાવેજના દિવસેજ, આ બિલ્ડર ગ્રૂપ મેળવી શકે, ત્યાં સુધી, આ પ્રોપર્ટીમાં, બિલ્ડરના કોઈપણ માણસને, પ્રવેશ કરવાનો અધિકાર નહતો.

બસ, એક કુશળ ઍડવોકેટ માટે તો આટલા મૂદ્દા પૂરતા હતા, તરતજ આ બિલ્ડર ગ્રૂપ વિરૂદ્ધ, નામદાર સિવિલ કૉર્ટમાં, એક કેવીયેટ અરજી દાખલ કરીને, ખાત્રી કરીકે, આ બિલ્ડર, કૉર્ટમાંથી કોઈ મનાઈ હુકમ, પૅસ્તનજી વિરૂદ્ધ ન મેળવી શકે.

ત્યારબાદ આ પ્લોટની ટાઈટલ ક્લીયર સર્ટી. માટે વાંધા-વિરોધ મેળવતી, એક જાહેરાત, અખબારમાં આપી જેમાં, બાપદાદાની વારસાગત મિલકતમાં, દીકરા અબ્રાહમનો,લાગભાગ હોવા છતાં, બારોબાર અબ્રાહમની જાણ વગર, આ મિલકત વેચી ના શકાય તેવો, વાંધો નંખાવીને, પ્રોપર્ટીને વિવાદી બનાવી દીધી.

હવે પેલો બિલ્ડર, ભરાઈ પડ્યો. તેના બે નંબરની પૅસ્તનજીને આપેલી, એંસી લાખની, રકમ બરાબરની સલવાઈ ગઈ, આ રકમની કોઇ પહોંચ કે ચીઠ્ઠી નહતી. વળી તે કે તેના માણસો હવે કૉર્ટના હુકમ વગર, પ્લોટમાં પ્રવેશીજ ના શકે,તેવો ઘાટ ઘડાયો.

અચાનક પેલા બિલ્ડરના માણસોનો, સ્વર એકદમ પ્રેમાળ અને વિનંતીથી ભરપૂર થઈ ગયો. અગાઉના વર્તન બદલ, માફી પણ માંગી. 

છેવટે, ઍડવોકેટ આદેશે, પેલા લુચ્ચા બિલ્ડરને તેની નીકળતી રકમ પરત ચૂકવીને, પોતાના એક બીજાજ પ્રામાણિક બિલ્ડરને આ  પ્લોટ ખરીદવા માટે તૈયાર કર્યો. જેણે સાચા હ્યદયથી, આ પ્લોટના, ત્રણ કરોડ ઉપરાંત, પૅસ્તનજીને, પોતાની ફાર્મ હાઉસની એક સ્કિમમાં, સાવ પડતર ભાવે, તરતજ રહેવા જઈ શકાય તેવી સુખ સગવડવાળું ફાર્મ હાઉસ ફાળવી આપ્યું.

એટલુંજ નહી, પોતાની સાથે ધંધામાં અબ્રાહમને ૧૦% ભાગીદારી, વગર મૂડીએ આપવાની ઉદાર ઑફર પણ કરી.જોકે, આવા છળકપટથી ભરેલા ધંધા કરતાં, પોતાની મેનેજરની નોકરી સારી છે તેમ માનીને, અબ્રાહમે, કંપનીમાં વિનંતી કરીને અમદાવાદ બદલી કરાવી લીધી.

પોતાના મિત્રના દીકરા આદેશને, જ્યારે પેસ્તનજીએ, તેની ફી માટે પૃછા કરી, ત્યારે આદેશે, પૅસ્તનજીને પગે લાગીને,તેમનો હાથ પોતાના માથા ઉપર મૂકી ફી પેટે ફક્ત આશીર્વાદ આપવા જણાવ્યું.

પૅસ્તનજીએ ઘણોજ આગ્રહ કર્યો,ત્યારે આદેશે ખુલાસો કર્યોકે,પેલા પ્રામાણિક બિલ્ડરે,પ્લોટની કિંમત, રૂપિયા ત્રણ કરોડ ના બે ટકા લેખે, રૂપિયા છ લાખ આદેશને ચૂકવી દીધા હતા અને એટલાથી તેને સંતોષ હતો.

અત્યારે, સમગ્ર પૅસ્તનજી પરિવાર નવા ફાર્મહાઉસમાં, આનંદથી રહે છે, અને માલિકનો આભાર માને છેકે, આ સંકટમાંથી સાંગોપાંગ, પાર ઉતારી દીધા.

પેલા પ્રામાણિક બિલ્ડરે,પૅસ્તનજીના પ્લોટ ઉપર જોતજોતામાં વિશાળ શોપીંગ કૉમ્પ્લેક્ષ ઊભું કરી દીધું, જેમાં, તે અઢળક કરોડો રૂપિયા કમાયો છે.

ઉપસંહારઃ- અતિ લોભ તે પાપનું મૂળ છે.પ્રામાણિક માનવી સર્વત્ર પૂજાય છે.

માર્કંડ દવે.તા.૦૧-૦૩-૨૦૧૦.

==================

No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.