Saturday, November 27, 2010

કૉપીરાઈટ ઍક્ટ - હાથવગી હેન્ડબૂક

કૉપીરાઈટ ઍક્ટ - હાથવગી હેન્ડબૂક

લબાડ પ્રશ્ન - " ડૉમેસ્ટિક વાયોલન્સ ઍક્ટ ૨૦૦૫, એક પ્રકારે, કૉપીરાઈટભંગનો કાયદો ગણી શકાય?"

અળવીતરો જવાબ - " સારું છેકે, દરેકના સાસુ કે સસરા, પોતાનું મૌલિક સર્જન એટલેકે દીકરીને `કૉપીરાઈટ પ્રોટેક્ટેડ મિલ્કત` સમજીને, લગ્ન બાદ વળાવી દીધા પછી, પોતાની દીકરીમાં થયેલા શારીરિક, માનસિક, આર્થિક, સામાજીક દરજ્જાના ફેરફારનો, જમાઈઓ પાસે હિસાબ માંગીને, નોટીસો નથી પાઠવતા. નહીંતર શું થાત? પૈણીને લાવ્યા હોય તે દિવસે જેવી હોય તેવી, પોતાની પત્નીને,  કયો, જમાઈબચ્ચો,  ફ્રેશ-મ-ફ્રેશ સાચવી શકે છે? "

===============

એક  ચોખવટ -એક વિનંતિઃ-
૧. આ લેખને મેં કેવળ શિષ્યભાવે લખ્યો છે, તેમાં કોઈ ત્રુટી લાગે તો, મારું ધ્યાન દોરવા વિનંતિ.
૨. આ લેખના કન્ટેન્ટને  સઘળા મૌલિક સર્જકોએ અને કૉપીરાઈટના કાયદાનો ભંગ કરવાની, ખાનગી મહેચ્છા રાખનારા દરેક નેટસેવીએ, હાથવગી હેન્ડબૂક સમજીને, બુકમાર્ક કરી રાખવા અથવા પોતાના બ્લોગ કે વેબસાઈટ પર પ્રકાશિત કરવા ભલામણ છે.(આ લેખ પુરતું, મારી મંજુરી મેળવવાની જરૂર નથી.)

===============

પ્રિય મિત્રો,

દુનિયામાં કોઈપણ પ્રદેશકે, કોઈપણ ભાષામાં, ભણેલા કે અભણ દ્વારા, પોતાના દ્વારા રચવામાં આવેલ, કોઈપણ મૌલિક સર્જન, તે તેની પોતાની આગવી મિલ્કત તો ગણાયજ છે ઉપરાંત, તે સર્જન જેતે દેશની કલા અને સંસ્કૃતિની આગવી ઓળખનું પણ પ્રતિક ગણાય છે.તેથીજ, દરેક સર્જકને મન પોતાનું મૌલિક સર્જન, એક વહાલા સંતાન સમાન પ્રિય હોય છે.

એક  કલ્પના કરી જુઓકે, આપણા સંતાનને રમાડવાના બહાને,કોઈ અપહરણ કરીને ઉઠાવી લઈ, તેના હાથપગ મરડી વિકૃત કરી, તેને પોતાનું સંતાન ગણાવી, જાહેરમાં  ભીખ ઉઘરાવવાના ધંધે લગાડે  અને આવી  બદમાશી, અસલ માતાપિતાના ધ્યાને આવે ત્યારે, તેમના દિલ  પર શું વીતે? બસ તેજપ્રમાણે, કોઈના સર્જનને, સર્જકની પૂર્વમંજુરી મેળવ્યા વગરજ, બદનિયતથી, પોતાના બ્લોગ કે વેબસાઈટ પર પ્રકાશિત કરી, કૉમેન્ટની ભીખ ઉઘરાવવાના ધંધે લગાડે, ત્યારે આ બાબત  અસલ  સર્જકના ધ્યાને આવતાં, અસલ  સર્જકના દિલ પર શું વીતે, તેતો જે નિર્દોષ સર્જકો, આવા ગદર્ભરાજ ચોર-ડાકુના કારસ્તાનના ભોગ બન્યા હોય તેને અથવાતો આવા સમદુઃખીયાઓને જ જાણ હોઈ શકેને?

ખરેખરતો, આવી નઠારી પ્રવૃત્તિ, એ કૉપીરાઈટનો ખુલ્લેઆમ ભંગ ગણાય. જુદી-જુદી કલામાં માહિર મૌલિક સર્જક માંહેના, મોટાભાગના સર્જક, કૉપીરાઈટ્સના કાનૂન અને તેના ભંગ થયેથી, કરવામાં આવતી કાર્યવાહી અંગેના અજ્ઞાનને  કારણે, પોતાની રચનાની, બેઠી નકલ, ઉંઠાંતરી, કે ચોરી જેવા કિસ્સાઓ ધ્યાને આવવા છતાં પોતાને અસહાય અનુભવતા હોય છે.

ઉપરાંત, સાહિત્યપ્રેમી હોવાનો દાવો કરતા તત્વો,  `અમે તો નવાસવા છે તેથી ભૂલ  થઈ` હોવાના સાચા-ખોટા રાગ આલાપતા તથા દેખાદેખી અન્યની રચનાઓ પોતાના નામે ચઢાવી, આવા ગુન્હેગાર લોકો પકડાયેથી ગલ્લાંતલ્લાં કરે તે કાનૂની અને  નૈતિક રીતે યોગ્ય બાબત નથી. અરે ભાઈ..!! તમારા પોતાના દરરોજના એક અનુભવને વાર્તા કે લેખસ્વરૂપે લખવાનો મહાવરો કરતાં-કરતાં, કોઈપણ સાહિત્યપ્રેમી, બીજાની માફકજ સિદ્ધહસ્ત લેખક-કવિ-શાયર બની શકે છે, તેમાં બેમત ધરાવવા કે સંશય કરવા જેવું નથી.

આમેય, આપણું જીવન ઉધાર કે લૉનના રૂપિયા દ્વારા, કેટલા દિવસ ચાલે? તેજપ્રમાણે, સાહિત્ય જગતમાં, આપણે ટકવું હોય તો આપણી પોતાની કહી શકાય તેવી, ગદ્ય-પદ્યની  આગવી રચનાઓની આવક દ્વારા, સાહિત્યકાર તરીકેની જાતઓળખ ઉભી કરવી જ પડે. ચાલો, આપણે આજે, કૉપીરાઈટનો ખુલ્લેઆમ ભંગના કિસ્સામાં, જુના,નવા સર્જન ચોર, ગદર્ભરાજ ચોર-ડાકુના કારસ્તાનના ભોગ બનીએ, ત્યારે શું કરવું? આ  બાબતે આપણા દેશનો અને ઈન્ટરનેશલ કાયદો શું કહે છે? આ બાબત સાયબર ક્રાઈમ કેવીરીતે ગણાય?  તેને સરળ શૈલીમાં  સમજવાનો પ્રયત્ન કરીએ.

કૉપીરાઈટ સમજ અને  વ્યાખ્યા

 " કોઈપણ કળાને લગતું, સાહિત્યને લગતું અથવા સંગીતને લગતું કાર્ય, જે તેના સર્જકના ખ્યાલના આધારે સર્જન પામ્યું હોય, તે તમામ પરિણામલક્ષી ફળના માલિક જેતે સર્જક  ગણાય છે.આથી આ સર્જનને જેતે સર્જકની મિલ્કત માનીને, તે મિલ્કતના રક્ષણ માટે ઘડવામાં આવેલા કાયદાને કૉપીરાઈટ ઍક્ટ કહે છે."

કૉપીરાઈટ એટલે, સરકાર દ્વારા કાનૂની માન્યતા દ્વારા, કોઈપણ વ્યક્તિ દ્વારા, મૌલિક માહિતી, કલ્પના કે વિચારને (દા.ત. સાહિત્ય,સંગીત વિગેરે) કેવી રીતે, કોને,  કેટલા પ્રકારે અને કેટલા પ્રમાણમાં ઉપયોગ કરવાની સંમતી આપવા, ન આપવાનો હક્ક હોવો, તેને કૉપીરાઈટ એક્ટ કહેવાય છે.

આ અધિકારમાં, કૉપીરાઈટ પ્રોટેક્ટેડ મટીરિયલની નકલ (કૉપી) કરવી, જાહેરમાં વિતરણ (ડીસ્ટ્રીબ્યુશન)  કરવું, તેની આંશિક કે પૂર્ણ  અનુરૂપ નવેસરથી રચના કરવી, તેના પર આધારિત, તેને મળતું આવતું સર્જન કરવું, તેને જાહેરમાં પ્રકાશિત કરવું, અમલમાં મુકવું, ભજવવું. જેવી તમામ બાબતોના હક્કનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આપણે સાહિત્ય સર્જકના કૉપીરાઈટની ચર્ચા કરી છે તેમાં, ધ્યાન રાખવા જેવી બાબત છેકે, મૂળ સર્જકના સર્જન સાથે, ઉપર દર્શાવેલા કોઈપણ અધિકારનો ભંગ, ધ્યાને આવે ત્યારે, જાહેર હિતની બાબત હોવાથી, અધિકારભંગ બાબતનો વિરોધ કોઈપણ સાહિત્યપ્રેમી કરી શકે છે, પરંતુ,  આ અધિકારનું ઉલ્લંધન કરનાર વ્યક્તિ પર, કાનૂની કાર્યવાહી, ફક્ત અને ફક્ત મૂળ સર્જક અથવાતો તે સર્જકે કાયદાની પ્રક્રિયા અનુસાર, આંશિક અથવા પૂર્ણહક્ક, જેને તબદીલ કરેલ હોય, તેવી વ્યક્તિ કે સંસ્થાજ પગલાં લઈ શકે છે. આ પગલામાં માનહાની, આર્થિક નુકશાનનું વળતર અંગે, અદાલતમાં દીવાની-ફોજદારી દાવો કે ફરીયાદ કરી શકે છે.

કૉપીરાઈટ ઍક્ટ કેવીરીતે ઉપયોગી છે? કૉપીરાઈટ એક્ટ, મૂળ સર્જકના અધિકારોનું રક્ષણ કરે છે. ભારત સિવાય, વિશ્વના અન્ય ઘણા દેશોમાં, મૂળ સર્જકના અધિકારના રક્ષણ માટે, આ કાયદો, થોડાઘણા ફેરફાર સાથે, અમલમાં છે.આ એક્ટને કારણે મૂળ સર્જકને,પોતાના મૌલિક સર્જનને, કોઈનેપણ વહેંચવા કે વેચવાનો અબાધિત અધિકાર પ્રાપ્ત થાય છે.

મૌલિક સર્જન કોને કહી શકાય?

મૌલિક સર્જન એટલે, નવલકથા, નાટક જેવું કોઈપણ સાહિત્ય, ટીવી કાર્યક્રમો, ફીલ્મો, સંગીત, ફૉટોગ્રાફી, ઑડીયો-વિડીયો CD-ROMs, વિડીયો ગેમ્સ, , સોફ્ટવેર કૉડ, ચિત્રકળા, હસ્તકળા, શિલ્પકળા વિગેરે જેવાં સ્પષ્ટરીતે, નિશ્ચિત પરિણામ આપે તેવા, ઉપયોગી સર્જનાત્મક પ્રયત્ન દ્વારા ઉદભવેલું સર્જન. એકરીતે મૌલિક સર્જનમાં એવી પૂર્વધારણા સમાવિષ્ટ છેકે, એકજ વિષય પર, એકજ સરખા, સ્વેચ્છાએ કરેલા, સ્વતંત્ર સર્જન કદાપી, આબેહૂબ એક સમાન હોઈ શકે તે, માની ન શકાય તેવી, અસંભવિત, અવિશ્વસનીય બાબત છે.

ટૂંકમાં, મૌલિક સર્જન એટલે, સર્જકના મસ્તિષ્કમાંથી ઉઠેલા વિચાર અથવા આંતરિક અલૌકિક કલ્પનાશક્તિ દ્વારા, ડીસ્ક, કાગળ,પથ્થર પર કોતરેલું અથવા તેના જેવું, સાહિત્ય, સંગીત, ફૉટોગ્રાફી, ઑડીયો-વિડીયો રેકૉર્ડીંગ, ચિત્રકળા, હસ્તકળા, શિલ્પકળા, સોફ્ટવેર વિગેરે વિષયો પરનું, કાયદાની નજરે, સચોટ, સહજ માન્યામાં આવે તેવું  સર્જન.

આ હિસાબે તો, `USENET`, (કમ્પ્યુટર) પર રજુ  થતું, અન્ય કોઈપણ સર્જકના સર્જન પરથી પ્રેરણા મેળવીને, નવેસરથી ટાઈપ કરેલું, તમામ કલ્પનાશીલ સર્જન, મોટાભાગે ક્રિયેટીવ વર્ક -મૌલિક સર્જન ગણાતું હોવા છતાં, પોતાના નામે, કૉપીરાઈટ ઍક્ટથી સુરક્ષીત  કરી શકાતું નથી. તે સ્પષ્ટ બાબત  થાય છે. તેનો સાદો અર્થ એમ પણ  થાયકે, સીધેસીધું કૉપી-પેસ્ટ કરવું (Copy-Paste) , બીજાના વિચાર કે લખાણની ચોરી કરી તેને, પોતાના નામે છાપી મારવાનું કૃત્ય ( Plagiarism ), અન્યની શૈલીનું અનુસરણ કરતું સર્જન કરવું (Parody),  વિગેરે જેવા કૉપીરાઈટ અધિકારભંગને, કાનૂનની નજરે, ગુન્હાહિત કૃત્ય માનીને, અદાલતમાં પડકારી શકાય છે.

આંતરરાષ્ટ્રિય કૉપીરાઈટ એક્ટની તાતી જરૂરિયાતનો ખ્યાલ

સમગ્ર વિશ્વમાં સહુ પ્રથમ, સન-૧૭૦૯માં, યુનાઈટેડ કિંગ્ડમની ક્વીન એન્નેના( Queen Anne ) નામથી (UK) દ્વારા, `Copyright Act 1709 8 Anne c.19`ના ટૂંકા નામથી, પ્રથમવાર કૉપીરાઈટ એક્ટ મૂળ સર્જકોના હિતના રક્ષણાર્થે રચાયો, જે સન-૧૭૧૦માં અમલમાં મૂકાયો. ભારતમાં સન-૧૯૬૮માં, મોટાભાગે પ્રિન્ટિંગ ટેકનોલોજીના (ઝેરોક્સ જેવા) સરલીકરણના  વ્યાપ થયા બાદ, મૂળ સર્જકની મુંજુરી મેળવ્યા વગર, અન્ય પ્રકાશકો દ્વારા થતા પૂનઃમૂદ્રણને (ગેરકાયદેસર કૉપી) અટકાવવા માટે આંતરરાષ્ટ્રિય કૉપીરાઈટ એક્ટની તાતી જરૂરિયાતનો ખ્યાલ ઉદ્ભવ્યો.

ભારત સહિત, વિશ્વના લગભગ તમામ દેશોએ, જે કૉપીરાઈટ અધિકારના આંતરરાષ્ટીય કરારમાં સહી કરી છે તે, `Under the Berne copyright convention`,ની વ્યાખ્યા મુજબ," દરેક સર્જનાત્મક કાર્ય, જે  સ્પષ્ટ સમજાય તેવી રીતે સર્જન પામે તે ક્ષણથીજ તે કાર્ય, આપોઆપ કૉપીરાઈટ એક્ટથી બાધિત થઈ જાય છે." ત્યારબાદ, આ કાયદાના ભંગ સમયે, તેની સામે  કાયદેસર કાર્યવાહી કરવા માટે,મૂળ સર્જકે, કૉપીરાઈટની ચેતવણી આપી નહોય તોપણ કાયદેસર કાર્યવાહી કરી શકાય છે. આ માટે મૂળ સર્જકે તે સર્જનની કૉપીરાઈટ નોંધણી કરાવીજ હોય તે પણ જરૂરી નથી.અદાલતી દાવો કરતા અગાઉ નોંધણી કરાવી હોય તેને કાયદેસર માન્ય ગણાય છે. ( દાવો કરવા નોંધણી જરૂરી છે.)

આ સંગઠનના આંતરરાષ્ટ્રિય કરાર મુજબ, મૂળ સર્જકના મૃત્યુ બાદપણ, સિત્તેર (૭૦) વર્ષ સુધી કૉપીરાઈટ લાગુ પડે છે. જોકે, કેટલાંક સનાતન સત્ય અને સનાતન વિચારોનું કૉપીરાઈટ રજીસ્ટ્રેશન કરાવી શકાતું નથી. ફક્ત  સર્જનાત્મક પ્રયત્નોની અભિવ્યક્તિનેજ  કૉપીરાઈટ ઍક્ટ લાગુ પડે છે.

`BERNE CONVENTION` ની સમજ.

કૉપીરાઈટસ પ્રોટેક્શન માટે જુદા-જુદા દેશો વચ્ચે થયેલા, એકજ સરખા, એક કરારને,`The Berne Convention` કહે છે. ભારત પણ તેમાં સામેલ છે. આ કરાર દ્વારા બંધાયેલા દેશો, તેના સભ્ય દેશના કોઈપણ સર્જકના કૉપીરાઈટસ પ્રોટેક્શન અંગે એક હદ સુધી, કાર્યવાહી કરવા બંધાયેલા હોય છે.

આંતરરાષ્ટ્રિય કૉપીરાઈટ નોંધણીની રીત.

આંતરરાષ્ટ્રિય કૉપીરાઈટ ઍક્ટમાં એક સમાનતા જોવા મળતી નથી,છતાં પણ આંતરરાષ્ટ્રિય કૉપીરાઈટ રજીસ્ટર કરાવવા ઈચ્છનારે,  `Berne Convention` કરારના આધારે કૉપીરાઈટ નોંધાવી શકાય છે. આ ઉપરાંત અલગ -અલગ દેશોના કાનૂન અનુસાર, જેતે દેશમાં પણ અલગ અરજી કરીને કૉપીરાઈટ નોંધાવી શકાય છે. કોઈ સર્જકના સર્જનના કૉપીરાઈટનું ઉલ્લંઘન થયું જણાય ત્યારે,જેતે દેશની સક્ષમ ઑથોરિટી સમક્ષ અરજી કરીને નુકશાન-ભરપાઈ ખર્ચ પણ માંગી શકાય છે.

કૉપીરાઈટનું માલિકપણું.

અન્ય,ભૌતિક-પ્રાકૃતિક સંપત્તિની માફકજ, કૉપીરાઈટ ધરાવતા વિચાર, સંશોધન અથવાતો સર્જનને, આંશિક અથવા પૂર્ણ સ્વરૂપે, ખરીદી શકાય, વેચી શકાય, વારસામાં આપી શકાય અથવા તેના હક્ક  અન્યને તબદીલ કરી શકાય છે.

કૉપીરાઈટમાં વિવિધ પ્રકારના કાર્યનો સમાવેશ.

કૉપીરાઈટમાં,  સાહિત્ય સર્જન, નાટ્ય અને સંગીત સર્જન. તમામ પ્રકારનું કલાસર્જન, સાઉન્ડટ્રેક અને વિડીયો રૂપાંતર સહિત ફિલ્મો, તમામ પ્રકારના કમ્પ્યુટર પ્રોગ્રામ અને સોફ્ટવેર્સ જેવા  વિવિધ પ્રકારના સર્જનકાર્યનો સમાવેશ થયેલ છે.

કૉપીરાઈટધારકને થતી હક્કપ્રાપ્તી.

કૉપીરાઈટધારકને, કોઈ પણ માધ્યમમાં પોતાના સર્જનને રજુ કરવા, સુધારા કરવા, તેની અનેક નકલ (Copy) કરવા,તેનું સમાજમાં  વિતરણ કરવા,ભાષાંતર કરવા, ભાડે અથવા વેચાણ આપવા જેવા હક્ક પ્રાપ્ત થાય છે.

કૉપીરાઈટ સંપાદન રીત.

કોઈપણ મૌલિક સર્જન જ્યારે સર્જાય, ત્યારે તે સર્જકને, જેતે સર્જનના  કૉપીરાઈટ આપોઆપ પ્રાપ્ત થાય છે.

કૉપીરાઈટ ધરાવવાની શરતો.

ભારતમાં,  કૉપીરાઈટની મુદત   ધરાવવા અંગે મૂખ્ય શરત, જેતે સર્જકનો જીવનકાળ + મૃત્યુ બાદ ૬૦ વર્ષની મુદત હોય છે.ફિલ્મો, રેકૉર્ડસ, ફૉટોગ્રાફ્સ, સર્જકના મરણોત્તર પ્રકાશન, નનામા - અજ્ઞાત સર્જકના પ્રકાશન, સરકારી અને આંતરરાષ્ટ્રિય કાર્યો વિગેરે માટે, તે જેતે તારીખ-કૅલેન્ડર વર્ષ દરમિયાન સર્જન પામે ત્યારથી ૬૦ વર્ષ સુધીની મુદત માટે કૉપીરાઈટથી રક્ષિત રહે છે. કોઈપણ ફૉર્મમાં બ્રોડકાસ્ટ થઈ ચૂકેલું સર્જન, જેતે તારીખ-કૅલેન્ડર વર્ષ દરમિયાન બ્રૉડકાસ્ટ થયું હોય ત્યારથી ૨૫ વર્ષની મુદત માટે કૉપીરાઈટથી રક્ષિત રહે છે.

કૉપીરાઈટ ધરાવવા માટે સર્જકે, તેના સર્જનની નોંધણી ફરજિયાત કરાવવાની જરૂરિયાત.

આપણા દેશમાં, કૉપીરાઈટના ઉલ્લંઘનના કિસ્સામાં, કાયદાની અદાલતમાં દાવો કરવા માટે, સર્જકે, યોગ્ય પ્રોસેસિંગ ફી ભરીને, તેના સર્જનની નોંધણી, અવશ્ય કરાવેલી હોવી જોઈએ.

કૉપીરાઈટ ધરાવવા સજ્જતા.(લાયકાત)

આપણા દેશમાં, મૂળ સર્જક, કૉપીરાઈટનો પ્રથમ હક્કદાર ગણાય છે. જો કોઈ સ્પષ્ટ કરાર કરવામાં ન આવ્યો હોય તો, નોકરી કરનાર દ્વારા થયેલા મૌલિક નવસર્જન પર જેતે નોકરી કરનાર વ્યક્તિનો અધિકાર હોયછે. જ્યારે એક કરતાં વધારે સર્જક દ્વારા થયેલા, સર્જનમાં કૉપીરાઈટનો અધિકાર સામૂહિક ધોરણે હોય છે.

કૉપીરાઈટ હસ્તાંતરણ માટે સરળ પદ્ધતિ.

કૉપીરાઈટનું હસ્તાંતરણ અથવા તેની તબદીલી, મૌખિક હોય તો તે કાયદેસર નથી. આ તબદીલી, કૉપીરાઈટ સર્જનની તમામ વિગત, જેમકે સર્જનનો પ્રકાર, આંશિક કે પૂર્ણ રૂપે તબદીલી, કરારની મુદત, મહેનતાણાની રકમ વિગેરે બાબત સ્પષ્ટ દર્શાવી હોય તે મુજબની, હંમેશા  લેખિત સ્વરૂપમાં હોવી જોઈએ, જેમાં કૉપીરાઈટધારક પોતે અથવા તેમના કાયદેસર નિમેલા મુખત્યારની સંમતિ દર્શાવતી સહી હોવી અનિવાર્ય છે. જોકે, આ કરારના દસ્તાવેજની નોંધણી કરાવવી ફરજીયાત નથી.

કૉપીરાઈટના રક્ષણ માટે, જેતે કાર્ય સ્થળે નોટિસનું પ્રદર્શન.

જ્યારે કોઈપણ સર્જન, જ્યાં  પ્રકાશિત કરવામાં આવે ત્યાંરે,  ` Berne Convention for protection of  any  copyright protected works`ના આંતરરાષ્ટ્રિય કરાર મુજબ, (જેમાં આપણો દેશ પણ જોડાયેલો છેતે,) જેતે  સર્જન કૉપીરાઈટથી રક્ષિત હોવાની નોટિસ મૂકવી જોઈએ.

આપના મૌલિક સર્જનના કૉપીરાઈટનો લોગો, આપના બ્લોગ અથવા પોસ્ટ પર દર્શાવવા આટલું કરો.

૧. આપના `PC keyboards`  પરથી આપની કોઈપણ ટેક્સ્ટ રચનાપર, કૉપીરાઈટનો © સિમ્બોલ દર્શાવવા માટે આટલું કરો.

" Hold down Alt and type 0169 on the number pad (right hand side of your keyboard)   Alt+0169 "

૨. " Copyright C Symbol on a Mac  (©):

" Hold down Option at the same time and press 'g'to get the copyright symbol.( Option+g ) "

* મૂળ સર્જકની રચનાઓ, જેતે સર્જકે પોતાની વેબસાઈટ-બ્લોગ પર પ્રદર્શિત કર્યા બાદ, તેના રક્ષણ માટેના ઉપાય.

૧. કોઈ રચનાનું, સર્જન કર્યાબાદ, તેને પબ્લિશ કરવા કરાતા કરારમાં, તેના સર્જન કર્યાનું શ્રેય (CredIt-Rights) અંગે સ્પષ્ટતા કરી તેને કાયદાની પ્રક્રિયાથી રક્ષિત કરો.

૨. જો આવી રચનાનું, એક કરતાં વધારે સર્જકો દ્વારા સર્જન કરવામાં આવ્યું હોય તો, દરેક ભાગે આવતી ક્રેડીટનો કરારમાં સ્પષ્ટ, ઉલ્લેખ કરો. (દા.ત.ગીતકાર+ગાયક+સંગીતકાર=ગીત)

૩. સહિયારું સર્જન હોય તો, દરેક હયાત કે ગેરહયાત, તમામ સર્જકના નામના ઉલ્લેખ અંગે સ્પષ્ટતા કરો.

૪. પ્રકાશક, સાહિત્ય લેખન તથા સંગીતના અધિકાર રક્ષણ માટે રચાયેલી સરકાર માન્ય સોસાયટી (સંગઠન) માં આપની કૃતિનું રજીસ્ટ્રેશન કરાવો.

૫. તમારા ક્રિયેટીવ વર્કના અધિકાર અન્યને સોંપતા કરારમાં, પાછળથી વિવાદને ટાળવા, કૉપીરાઈટના હક્કનો સ્પષ્ટ ઉલ્લેખ કરો. 

૬. આંતરરાષ્ટ્રીય કૉપીરાઈટ સંગઠનના કરાર મુજબ, આપના મૌલિક સર્જનના કૉપીરાઈટ, તે કોઈપણ ફોર્મમાં જાહેર થાય ત્યારથી તેના અધિકાર, નોંધણી ન કરાવી હોય તોપણ, આપોઆપ મળે છે.

૭. તમારી મૌલિક સર્જન ક્ષમતા દર્શાવવા, તાજી મૌલિક રચનાઓને વેબસાઈટ-બ્લોગ પર તુરતજ  પ્રદર્શિત કરવાની મૂર્ખામી હરગિજ ન કરશો, તેનો સરળતાથી દુરઉપયોગ થઈ શકે છે. શક્ય હોયતો માત્ર જુના થયેલા મૌલિક સર્જનનેજ આંશિક સ્વરૂપે પ્રદર્શિત કરો. તમારા દ્વારા, નવા મૌલિક સર્જનનો પુરતો વ્યાવસાયિક ઉપયોગ થઈ ગયા બાદ, તે જુનું થાય ત્યારેજ તેને  વેબસાઈટ-બ્લોગ પર, ફકત આંશિકરૂપેજ  પોસ્ટ- અપલૉડ કરવું જોઈએ.  ઉપરાંત, નવી ટેકનોલૉજીના ઉપયોગ દ્વારા જરૂર જણાય ત્યાં, સહેલાઈથી ભૂંસી ન શકાય તેવા વૉટરમાર્ક- ઈ.સીગ્નેચર જેવી તમારી ઓળખને બેકગ્રાઉન્ડમાં ગોઠવો.

કૉપીરાઈટ મેળવવા માટે સર્જકે કરવી પડતી કાર્યવાહીની સમજ.

કૉપીરાઈટ સાર્વજનિક કરેલા કે નહીં કરેલા તમામ મૌલિક સર્જનને, આપોઆપ લાગુ પડે છે, તેના રક્ષણ માટે કૉપીરાઈટ ઑફિસમાં, રજીસ્ટ્રાર સમક્ષ નોંધાવવું જરૂરી અથવા ફરજીયાત નથી.જોકે, દાવો દાખલ કરવા માટે સર્જનની તમામ વિગતોની નોંધણી, રજીસ્ટ્રાર ઑફિસરે કૉપીરાઈટ નોંધતા સમયે સીલ  કરેલા મૂળ સર્જનના અસલ દસ્તાવેજને, અદાલત કાયદેસરનો  પ્રથમદર્શી પુરાવો માનતી હોવાથી, તેની નોધ કરાવવી આવશ્યક છે.

Infringement of copy right - મુદ્રણાધિકારનો ભંગ, કૉપી રાઇટનો ભંગ એટલે શું?

કૉપીરાઈટનો ભંગ એટલે, કૉપીરાઈટથી રક્ષિત મૌલિક સર્જનને, મૂળ સર્જકની મંજુરી વગર, ફરીથી રજુ કરવું, વિતરણ કરવું, જાહેર પ્રદર્શન કરવું અથવા તેમાં સુધારવધાર સાથે વિકૃત ઢબમાં ફેરવવું.

કાયદામાં જોગવાઈ મુજબ કૉપીરાઈટ ઉલ્લંઘનના પ્રકાર.

મૂળ સર્જકની પૂર્વમંજુરી વિના અથવા કૉપીરાઈટ રજીસ્ટ્રારની પૂર્વમંજુરી વિના અથવા પૂર્વમંજુરી જે શરતોએ મળી હોય તેના ભંગ બદલ અથવા કૉપીરાઈટ ઍક્ટના સક્ષમ અધિકારી દ્વારા દર્શાવેલ કોઈપણ દિશા નિર્દેશનું ઉલ્લંઘન કરવામાં આવે, જેનાથી કૉપીરાઈટધારકના વિશિષ્ટ અધિકારને અસર થઈ શકે, તેની નફાકારકતા પર અસર થઈ શકે, આ ઉપરાંત, મૂળ સર્જકની પૂર્વમંજુરી વિના, તેના સર્જનને વેચવું, ભાડે આપવું, ભાડે આપવામાં વિઘ્ન પેદા કરવું, જાહેર પ્રદર્શિત કરવું, વેચવા કે ભાડે આપવા ઓફર કરવી, વેપાર અર્થે અથવા તેને મળતા આવતા હેતુથી વિતરણ કરવું, ગેરકાયદેસર કૉપી કાઢવી,જેતે સર્જનની હુબહુ અથવા  અક્ષરશ: ન હોય છતાં, મહદઅંશે જણાઈ આવે તે પ્રકારે, મૂળ કૃતિની નકલ હોય તેમ લાગવું, તે તમામ જાણકારી હોવા છતાં, બદઈરાદાથી મૂળ સર્જકના સર્જનના કરેલા દુરઉપયોગને કાયદા અનુસાર કૉપીરાઈટભંગનો ગુન્હો માનવામાં આવે છે.

કૉપીરાઈટ ભંગના કૃત્યને સાબિત કરવાની જવાબદારી.

કૉપીરાઈટના ભંગના મામલામાં, આ કાયદાનો ભંગ થયાનું સાબિત કરવા માટે, મૂળસર્જકે તેના સર્જનનો કૉપીરાઈટ, પોતેજાતેજ ધરાવતા હોવાનું તથા તે સર્જનનું આંશિક કે પૂર્ણરીતે, સીધી કે આડકતરીરીતે ઉલ્લંઘન થયાનું પુરવાર કરવાની જવાબદારી સ્વીકારવાની રહે છે.પુરતા પુરાવાના આધારેજ અદાલત, કૉપીરાઈટનું ઉલ્લંઘન થયું છે કે નહીં તે નક્કી કરે છે.

કૉપીરાઈટ  ને દર્શાવવાની રીત તથા તેના ભંગની જાણ થયા બાદ પાઠવવામાં આવતી કાનૂની નોટિસની સમજ.

કૉપીરાઈટ નોટિસમાં © સિમ્બોલ કૉપીરાઈટ દર્શાવે છે, ઉપરાંત આ નોટિસમાં મૂળ સર્જકનું નામ દા.ત.©  ૨૦૧૦ (નામ) XYZ. સ્પષ્ટ દેખાઈ આવે તેપ્રકારે નોટિસ પ્રદર્શિત કરવાની હોય છે.

આપને આપના બ્લોગ પરથી આપના મૌલિક સર્જનના કૉપીરાઈટના ભંગની જાણ થયા બાદ, તુરંત જ આપે નીચે દર્શાવેલ કાર્યવાહી કરવી જોઈએ.

૧. આપે `To Whom It May Concern` ને `Notice of Copyright Infringement` પાઠવવી જોઈએ.

આ નોટીસના તૈયાર ફરમા માટે લિંકઃ- http://www.getfreelegalforms.com/dmca-notice-to-host/

૨. આ સાથે, આજ પ્રકારની એક નોટીસ, `Notice to Search Engine`ને ઉદ્દેશીને પાઠવવી જોઈએ.

આ નોટીસના તૈયાર ફરમા માટે લિંકઃ- http://www.getfreelegalforms.com/dmca-notice-to-search-engine/

આ નોટીસ નીચે દર્શાવેલ એડ્રેસ પર  પાઠવવી જોઈએ. આ અંગે વધારે માહિતી માટે, નીચે જણાવેલ સાઈટની મુલાકાત લેશો.

૧. ગુગલ - Google, Inc.

Attn: Google Legal Support, DMCA Complaints
1600 Amphitheatre Parkway
Mountain View, CA 94043
Fax: (650) 618-2680, Attn: DMCA Complaints
Google DMCA:

૨. યાહુ -For Yahoo! Inc:

Daniel Dougherty
c/o Yahoo! Inc.
701 First Avenue
Sunnyvale, CA 94089
Email: copyright@yahoo-inc.com
FX: (408) 349-7821
Sent via: Mail
Yahoo Copyright Page:

૩. એમ.એસ.એન.-Windows Live Search (Formerly MSN)

c/o J.K. Weston
One Microsoft Way, Redmond, WA 98052
PH: (425) 703-5529
Email: jkweston@microsoft.com
FX: (425) 936-7329
Send via: Email

કૉપીરાઈટની નોટીસમાં, નીચે દર્શાવેલ ત્રણ બાબતોનો જો ઉલ્લેખ કરેલો ન હોય તો, પુરતી વિગતના અભાવે, તે નોટીસ અમાન્ય ઠરે છે.

૧. કૉપીરાઈટની નોટીસમાં કૉપીરાઈટનો સિમ્બોલ અથવા "copyright" શબ્દનો ઉલ્લેખ ખાસ કરવો જોઈએ.

૨. જે તારીખ-માસ-વર્ષમાં સર્જન પ્રકાશિત-જાહેર થયું તે સ્પષ્ટરીતે દર્શાવવું જોઈએ. પ્રકાશિત થયા બાદ જો, તેનામાં અવારનવાર સુધારા કરીને ફરીથી પ્રકાશિત થયું હોય તો તે માહિતી પણ આપવી જોઈએ.

૩. મૂળ સર્જક (સર્જકો) નાં નામ  (ઉપનામ સાથે) દર્શાવવાં જોઈએ. (મૂળ સર્જકની ઓળખ સાબિત થવી જોઈએ.)

કૉપીરાઈટના ઉલ્લંઘન કરવા બદલ, કાનૂન અનુસાર કેટલાંક ત્વરિત પગલાં લેવામાં આવે છે.જેમકે, નોટીસની નિશ્ચિત સમયમર્યાદામાં, સંતોષકારક પ્રત્યુત્તર ન મળતાંજ, કૉપીરાઈટનું ઉલ્લંઘન કરનારની વેબસાઈટ અથવા બ્લોગ  તથા અન્ય તમામ સોશિયલ સાઈટ, મેઈલ એડ્રેસને  `Website Copyright Cease  and Desist Order` પાઠવીને, તાત્કાલિક અસરથી અટકાવવામાં (બંધ કરવામાં ) આવે છે.


Copyright Registration Bureau

ભારતમાં કૉપીરાઈટ નોંધણી કચેરીની વિગત.

COPYRIGHT

Registrar of Copyrights, Copyright Office,
Ministry of Human Resource Development,
Kasturba Gandhi Marg, New Delhi - 110 011
* Tel. : 011 - 338 24 58
 * E-Mail : zt.edu@sb.nic.in  * Website : www.education.nic.in

Kolkata :
1st Floor, 15/1, Chowringhee Square, Kolkata-700069
* Tel. : 033-2482738 / 2840 * Fax : 033-2482738
* Email : tmrcalbr@wb.nic.in  / tmrcalbr@cal2.vsnl.net.in

New Delhi :

Okhla Indl.Estate, New Delhi-110020
* Tel. : 011-6310184 / 2045 * Fax : 011-6310184
* Email : tmrd@hub.nic.in  / tmrdel@ndf.vsnl.net.in

Chennai :

Rajaji Bhavan, 2nd Floor, D Wing, Besant Nagar, Chennai-600090
* Tel. : 044-4902791 / 2789 * Fax : 044-4902787
* Email : tmrchebr@tn.nic.in  / tmrchebr@md3.vsnl.net..in

ગુજરાત ખાતે, અમદાવાદ સ્થિત કૉપીરાઈટ નોંધણી કચેરીની વિગત.

Ahmedabad - Head Office

A-3, Trade Center,
Stadium Circle, C. G. Road,
Ahmedabad - 380 009.
INDIA.

Phone: 91-79-2640 4153
Fax:    91-79-2640 4154

Mobile: 91 99250 10205

E-mail: info@parkerip.com
Web:   www.parkerip.com     Office of Parker & Parker Company

Ahmedabad :Branch

National Chambers, 15/27, 1st Floor, Ashram Road, Ahmedabad-380009
* Tel. : 079-6580567 / 7193 * Fax : 079-6586763
* Email : root@tmrbguj.guj.nic.in  / tmrahm@ad1.vsnl.net.in

કૉપીરાઈટ ઍક્ટ અંગે કેટલીક ગેરસમજો, મૂંઝવણો અને તેના સરળ ઉકેલ.

મિત્રો, તાજેતરમાંજ શ્રીઅમિતાભજીએ પોતાના અવાજની ગેરકાયદેસર કૉપી, પ્લેઝરીઝમ, પેરોડી, સ્પૂફ કે સેટાયર શૈલી  કરનારા વિરૂદ્ધ ,પોતાના અવાજના કૉપીરાઈટ મેળવ્યા છે. આ બાબતે નેટસેવીઓમાં  કેટલીક ગેરસમજ અને મૂંઝવણ પ્રવર્તે છે. જેના કારણે ગેરકાયદેસર કૉપી, પ્લેઝરીઝમ, પેરોડી, સ્પૂફ કે સેટાયર શૈલી  કરનારા જાણીને કે અજાણતાં, કાયદાનું ઉલ્લંઘન કરતા હોય છે. આવા સંજોગોમાં આવી ગેરસમજ, મૂંઝવણના સરળ ઉકેલ મેળવવાનો પ્રયાસ કરીશું?

* કૉપીરાઈટનો સમગ્ર ખ્યાલ જ હંબગ અથવા બંધનયુક્ત લાગતો હોવાની લાગણી તથા જનકલ્યાણની માહિતીને રક્ષિત કરવાના કૃત્યને એક ફોજદારી ગુન્હો ગણવાના ઉઠેલા અવાજ અંગે, કાયદાકીય સ્પષ્ટતાઓ.

મિત્રો, આ આખીય બાબતને ફક્ત  સામાજિક જનકલ્યાણના હિતમાં જોવાને બદલે, માત્ર ને માત્ર કાનૂની ત્રાજવે તોલવી જોઈએ. કોઈપણ મૌલિક સર્જન, રાતોરાત સર્જન પામતું નથી, તે માટે પોતાની આગવી  બુદ્ધિમત્તા દ્વારા પ્રાપ્ત કરેલા કૌશલ્યનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને, મૂળ સર્જકે અનેક સફળ-નિષ્ફળ પ્રયત્નોની યાતના ભોગવીને, પોતાનું આખરી મૌલિક સર્જન કર્યું હોય છે, તેથી આવું મૌલિક સર્જન સાચેજ તે સર્જકની સંપત્તિ ગણાય છે. આવી સંપત્તિનો કૉપીરાઈટ જેતે સર્જકને મળે તે, કાયદાકીય ઉપરાંત, સામાજિક ન્યાયની રીતે પણ સર્વથા યોગ્ય ગણાય છે, તેથી  કૉપીરાઈટનો સમગ્ર ખ્યાલ જ હંબગ હોઈજ ન શકે.

હવે જો આ સંપત્તિ અન્ય કોઈની હોય તો તેની મંજુરી મેળવીને તેનો ફરી ઉપયોગ કરવાના સિદ્ધાંતને, બંધન હરગિજ ન ગણી શકાય. જનકલ્યાણનો ઠેકો કૉપી-પેસ્ટ, પ્લેઝરીઝમ, પેરોડી, સ્પૂફ કે સેટાયર શૈલીનું આચરણ કરનારાઓનો એકલાઓનો નથી જ નથી. આવી માહિતીના દુરઉપયોગ કરવાનો મનમાં વિચાર આવે ત્યાંસુધી ઠીક છે, જો તે વિચારને મૂળ સર્જકની મંજુરી વગર અમલમાં મુકાય તોતે દીવાની-ફોજદારી ગુન્હો બને છે. ખરેખરતો, બીજાની બંદુકમાંથી ફાયર કરવાને બદલે, પોતાની બંદુક (મૌલિક સર્જન) જનકલ્યાણ અર્થે વાપરવી તેજ મર્દાનગી છે.

ઘણા મૂળ સર્જક માટે નાણાં મહત્વનાં નથી હોતાં,જેટલું તેમનું મૌલિક સર્જન મહત્વનું હોય છે. આવા સંજોગોમાં, નાણાંની મોટી ઓફર મળવા છતાં, તે પોતાના સર્જનનો ઉપયોગ કરવા મંજુરી આપવી- ન આપવી, જેવી પસંદગી કરવાનો અબાધિત અધિકાર ધરાવે છે.

* ભાષાના ઉત્કર્ષ માટે, જેતે સર્જકની મંજુરી વગર, તેમની રચનાના જાહેર પ્રદર્શન અંગે મૂંઝવણ - ઉકેલ.

`ભાષાના ઉત્કર્ષ માટે`, શબ્દ છેતરામણો છે. પોતાના સર્જનને અન્ય કોઈપણ જાહેર માધ્યમમાં ફરીથી પ્રદર્શિત કરવાનો અધિકાર માત્રને માત્ર મૂળ સર્જકનેજ હોય છે, આથી એ સ્પષ્ટ થાય છેકે, ભાષા ઉત્કર્ષના બહાના હેઠળ કોઈપણ વ્યક્તિને, જેતે સર્જકની મંજુરી વગર, તેમની રચનાને મઠેરવાનો, વિકૃત કરવાનો અથવા ગમે ત્યાં પ્રદશિત કરવાનો કોઈપણ અધિકાર નથી. યાદ રહે, આ અનૈતિક બાબત, કૉપીરાઈટનું સરેઆમ ઉલ્લંઘન ગણાય છે.

ફક્ત અપવાદરૂપે, મર્યાદિત પ્રમાણમાં, પત્રકારત્વ-સંદર્ભ, તથ્ય સમીક્ષા તથા શૈક્ષણિક જ્ઞાનવર્ધનના બીનનફાકારક, ઉમદા હેતુ માટે, કોઈપણ  સર્જકના નામોલ્લેખ સાથે જેતે  સર્જનનો ફરીથી કરવામાં આવતો ઉપયોગ ક્ષમ્ય ગણાય છે. જોકે, કોઈ પત્રકાર આવા મૌલિક સર્જનને, ઍડવર્ટાઈઝના રૂપમાં રજુ કરે અથવા કોઈપણ શિક્ષણસંસ્થાના શિક્ષકો તે સર્જનને, જ્ઞાનવર્ધનના હેતુ માટે ગણાવીને  વિદ્યાર્થીઓને , તેની કોપીઓનું વિતરણ  નાણાં કમાવા કરે તો તેવા કૃત્યને કૉપીરાઈટનો ભંગ થયેલો ગણાય છે.

* ગમતા સર્જકોની રચનાની,તેના સર્જકના કૉપીરાઈટ હોવાના ઉલ્લેખ સાથે, પોતાના અંગત ઉપયોગ માટે,  CD-DVD-ROM બનાવી, તેની કૉપીઓ કાઢી મિત્રોને વહેંચવા અંગે મૂંઝવણ - ઉકેલ.

પોતાના અંગત ઉપયોગ માટે, કોઈપણ સર્જનની CD-DVD-ROM બનાવવા અથવા તેની એકથી વધારે કૉપી કાઢી, મિત્રોમાં મફત વહેંચવી હોય તોપણ મૂળ સર્જકની મંજુરી મેળવવી ફરજીયાત છે. તમે આ કૃત્ય નાણાંની કમાણી માટે ન કરતા હોવા છતાં, કાયદાની નજરમાં, મૂળ સર્જકના, તેના સર્જનને ફરીથી પ્રદર્શિત કરવાના અધિકારના કૉપીરાઈટનો ભંગ કરી રહ્યા છો.

કોઈએ ફૉરવર્ડ કરેલું આવું સર્જન, જો આપની કોઈ વેબસાઈટ અથવા બ્લોગ પર પ્રદર્શિત કરવામાં આવે તો, આપની વેબસાઈટ-બ્લોગ કાયમ માટે પ્રતિબંધિત (Ban) થઈ શકે છે. આવા સંજોગોમાં, મૂળ સર્જકના ઉલ્લેખ વગર આપને મળેલી કોઈપણ માહિતીને ચકાસ્યા વગર ફરીથી પ્રદશિત કરવાનો મોહ જતો કરવો જોઈએ તથા આ માહિતિ ફૉરવર્ડ કરનાર પાસે, વિના  વિલંબે મૂળ સર્જકની વિગત માંગવી જોઈએ અન્યથા બીનજરૂરી અદાલતી પ્રક્રિયાનો સામનો કરવાની સ્થિતિમાં મૂકાઈ જવાનો ભય ઉભો થાય છે.

* સહિયારા સર્જનના કૉપીરાઈટના કિસ્સામાં, બાકીના સર્જકની મંજુરી વગર, કોઈ એક સર્જક એકલા હાથે,તે સર્જનને પ્રદર્શિત,ભાડે,વેચાણ જેવો નિર્ણય કરવા બાબતે મૂંઝવણ - ઉકેલ.

જનકલ્યાણ માટેનાં, વિજ્ઞાન સંશોઘન, ઍન્જિનિયરીંગ કાર્ય, મોટી રકમનું મૂડીરોકાણ કરીને બનાવેલી ફિલ્મ જેવી બાબતોમાં, કેટલાક અદાલતી આદેશ થયેલા છે, જેમાં  સહિયારા સર્જનને પ્રદશિત કરવામાં, કોઈ સહિયારા સર્જકની નામંજુરી હોય છતાં તેને, કેટલીક શરતોને આધિન રહીને, ભાડે,વેચાણ જેવો નિર્ણય કરી પ્રદશિત કરી શકાય છે, પરંતુ તેમાં સહિયારા તમામ સર્જકોને ક્રેડિટ તથા નફામાં હિસ્સો આપવો જરૂરી છે અન્યથા કૉપીરાઈટ ઍક્ટનો ભંગ થયેલો મનાય છે. ખરેખર તો આપ્રકારની મૂંઝવણભરી સ્થિતિને ટાળવા સહિયારા સર્જનના કરારમાં, આબધીજ બાબતોનો સ્પષ્ટ ઉલ્લેખ અગાઉથીજ કરી લેવો વધારે હિતાવહ છે.

* સહિયારા સર્જનના કેસમાં, બાકીના તમામ સર્જકના કૉપીરાઈટ એક સર્જક મેળવી લે, તેવા સંજોગોમાં, ફરીથી કૉપીરાઈટ ફક્ત એક સર્જકના નામે, નવેસરથી નોંધાવવાની કાર્યપદ્ધતિ.

કૉપીરાઈટ નોંધણી કચેરીના સક્ષમ અધિકારીને, મૂળ સર્જનના સર્જન (કન્ટેન્ટ) તથા તે સર્જનના નિર્માણ સમય (તારીખ-માસ-વર્ષ) સાથેજ લેવાદેવા હોય છે. આ સર્જનના માલિકી હસ્તાંતરણની બાબત, `ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી` ગણાય છે તેથી યોગ્ય સ્ટેમ્પ ડ્યૂટી ભરીને, નવેસરથી કાયદેસર કરેલા  કરાર દ્વારા માલિકીમાં ફેરફાર કરી શકાય છેજે, કૉપીરાઈટ ઍક્ટના ભંગના કિસ્સામાં અદાલતી દાવો નોંધાવવા કામ લાગે છે.

* કોઈએ કરેલા સર્જનમાં ઘણાબધા ફેરફાર સાથે, નવેસરથી મઠારેલા સર્જનના કૉપીરાઈટની માલિકીની મૂંઝવણ - ઉકેલ.

આવા કોઈએ કરેલા સર્જનમાં ઘણાબધા ફેરફાર સાથે, નવેસરથી મઠારેલા સર્જનના કૉપીરાઈટ મૂળ સર્જકનાજ ગણાય, કારણકે તમોએ તેના મૂળ સર્જનનો આધાર લઈનેજ મઠારેલું સર્જન કરેલું છે તેથી તમારા સર્જનના પાયામાં મૂળ સર્જકનું મૌલિક  સર્જન સમાવિષ્ટ છે અને તમોએ તેમની મંજુરી વગર, તેમના મૂળ સર્જનને મઠારીને, કૉપીરાઈટનો ભંગ કરેલ છે.

* કૉપીરાઈટનો આગ્રહ જતો કરીને, ઈન્ટરનેટના યુગમાં પ્રસિદ્ધિ મેળવવા, પોતાના સર્જનને નેટ પર મૂકવાનો એકજ ઉપાય, તેના દુષિત પરિણામ તથા તે અટકાવવાના ઉપાય.

પોતાના મૌલિક સર્જનને જાહેરમાં પ્રદર્શિત કરવાની જુની પદ્ધતિઓ ધીરેધીરે અપ્રસ્તુત થઈ રહી હોવાથી, પોતાના સર્જનને નેટ પર મૂકવાનો ઉપાય શ્રેષ્ઠ છે તે બાબત સર્વ સ્વીકાર્ય છે, વળી કૉપીરાઈટ હોવા છતાં વ્યાપક પ્રમાણમાં, જેતે મૌલિક સર્જકના કૉપીરાઈટનો ભંગ થવાના અનેક કિસ્સા નરી આંખે જોઈ શકાય છે.

કોઈ સર્જક પોતાના તમામ સર્જનને, નેટ પર પ્રદર્શિત કરે તેવા સંજોગોમાં, તે પોતાના સર્જનનો દુરઉપયોગ થતો હોય તેને અટકાવવા, કેટકાલ સંજોગોમાં ઘણીવાર  સક્ષમ નથી હોતો. (આ સર્જક નવું મૌલિક સર્જન કરવા સમય ફાળવે કે કૉપીરાઈટ ભંગ કરનારને શોધવામાં?)  આવા સંજોગોમાં, મૂળ સર્જકે, પોતાના તમામ સર્જનને નેટ પર પ્રદર્શિત કરવાને બદલે, તેના અંશ પ્રદર્શિત કરવા જોઈએ. મૂળ સર્જનના બાકીના સર્જનને યોગ્ય ઓળખ  મેળવીને, તેજે રસ ધરાવનારને લેખિત મંજુરી (કરાર) કરીને ઉપયોગ કરવા સંમતિ  આપવી જોઈએ.

* કોઈની વેબસાઈટ-બ્લોગ પર મૂળ સર્જકને ક્રેડિટ આપ્યા વગર, તેમની મંજુરી વગર પ્રકાશિત થયેલા સર્જનની બાબતનો વિરોધ નોંધાવવા અંગે મૂંઝવણ - ઉકેલ.

મૂળ સર્જકની મંજુરી વગર અથવા તેને ક્રેડિટ આપ્યા વગર, જાહેરમાં પ્રદર્શિત થયેલ કોઈપણ સર્જનના મૂળ સર્જકના કૉપીરાઈટ ભંગ થયા બાબતે તેમનું ધ્યાન દોરીને, આ બાબત જાહેર હિતની બાબત હોવાથી તેનો જાહેર વિરોધ અવશ્ય નોંધાવી શકાય છે.જોકે, કાયદેસર દીવાની-ફોજદારી પગલાં ભવાનો હક્ક માત્ર કૉપીરાઈટધારકનો જ હોય છે.

* મૂળ સર્જકની રચનાઓના દુરઉપયોગ તથા કૉપીરાઈટ ભંગ કરવાના સંજોગોમાં લેવાતા પગલાં.

સહુથી પ્રથમ આવાં તત્વને ઓળખી લઈ તેમનો સંપર્ક કરી, તેઓએ તમારા કૉપીરાઈટનો જાણે-અજાણે ભંગ કર્યો છે, તે બાબતે તેમનું ધ્યાન દોરો અને તમારા તે  સર્જનને, તાત્કાલિક  જાહેર પ્રદર્શન કરતા અટકાવો, તેમ છતાં તમારા કૉપીરાઈટનું ઉલ્લંઘન લાંબા સમય સુધી  થતું રહેતું લાગે તો, યોગ્ય લૉયર દ્વારા, તેમને કાયદેસર નોટિસ પાઠવી તેમના પર દીવાની-ફોજદારી પગલાં ભરવાની ચીમકી આપો. છતાં ન માને તો કાયદેસર અદાલતમાં દાવો નોંધાવો.

* હું મારી અસલી ઓળખ છુપાવીને, ઉપનામથી (તખલ્લુસ) મારી રચના પ્રગટ કરું તો કૉપીરાઈટનું રક્ષણ મને મળે?

મોટાભાગે, ઉપનામ (તખલ્લુસ)ની સાથે, અસલ નામનો ઉલ્લેખ કરવો જરૂરી છે. માત્ર ઉપનામ લખવાથી, ક્યારેક કૉપીરાઈટ ભંગની કાર્યવાહીમાં, અદાલતી કાર્યવાહીમાં, તમારી ઓળખ સિદ્ધ કરવામાં મુશ્કેલી ઉભી થઈ શકે છે.

* કૉપીરાઈટ પ્રોટેક્શનમાં ન આવરી લીધેલા વિષયો.

વાસ્તવિક - સ્પષ્ટપણે સમજી ન શકાય તેવા ખ્યાલ-વિચાર-સંશોધન-સર્જન, જે અંતરમનમાં (દિમાગમાં) હોય પરંતુ, લેખિતસ્વરૂપમાં રૂપાંતરિત ન થયા હોય, તેવાં અપ્રગટ ટાઈટલ્સ, નામ, સ્લોગન્સ, કાર્યપ્રણાલી, શોધખોળની પદ્ધતિ, કલ્પનાઓ, પાયાના સિદ્ધાંતો  ઉપરાંત, તારીખ-વાર-વર્ષ- રજાઓ વિગેરેની, જનકલ્યાણ અર્થે  તૈયાર માહિતી પુરી પાડતાં સ્ટાન્ડર્ડ કૅલેન્ડર્સ તથા  સરકારી-અર્ધસરકારી માહિતીસ્ત્રોત્રનો કૉપીરાઈટ મેળવી શકાતો નથી.

કૉપીરાઈટ  ઍક્ટનો ભંગ તે દીવાની મેટર છેકે, ફોજદારી મેટર?

કૉપીરાઈટ ઍક્ટનું ઉલ્લંઘન તે હંમેશા દીવાની મેટર છે.પરંતુ તે ઍક્ટનો કેટલા ગંભીર પ્રમાણમાં ભંગ થયો છે તથા જાણીજોઈને, બદઈરાદાપૂર્વક, નાણાંકીય લાભ મેળવવાના ઉદ્દેશ્ય સાથે, તેનો ભંગ કરવામાં આવે ત્યારે તે ફોજદારી મેટર ગણાય છે. યાદ રહે કાયદાની ભાષામાં, કૉપીરાઈટ ઍક્ટના ઉલ્લંઘનને સાયબર ક્રાઈમ જેવોજ  મહાઅપરાધ તથા ગંભીર ગેરવર્તણુંક ગણાય છે. 

કૉપીરાઈટનો ભંગ અટકાવવાના ઉપાય.    

કૉપીરાઈટ ઍક્ટની સેક્શન ૬૬ અનુસાર, અદાલત આવા કોઈપણ ગુન્હાસર આરોપને પાત્ર ગુનેગાર અથવા તે  અપરાધી વ્યક્તિની જેની પાસેથી અનધિકૃત કૉપીઓનો જથ્થો મળી આવ્યો હોય, તેને  સક્ષમ અદાલતના આદેશાનુસાર જેતે  કૉપીરાઈટ વર્કના ઉપયોગ સામે હંગામી અથવા કાયમી મનાઈ હુકમ, ગેરકાનૂની કૉપીઓને જપ્ત કરવી અથવા તેનો નાશ કરવો, કૉપીરાઈટધારકને  નફા સહિતનું, વકીલ ફી સહિતની અન્ય અદાલતી કાર્યવાહીના ખર્ચ  ઉપરાંત, ખરેખર થયેલું આર્થિક નુકશાન અથવા કાયદાથી અધિકૃત થયેલા નુકશાનના વળતરની ચૂકવણીના હુકમ કરી શકે છે. આમ સિવિલ ઉપરાંત ફોજદારી ધારામાં, અપરાધી દુરાશયથી જાણીબૂઝીને કાયદાનું ઉલ્લંઘન કરનાર અપરાધીને સજા અને દંડ બંનેની જોગવાઈ છે.
     
કૉપીરાઈટ ઍક્ટ કાનૂન પાલક અધિકારીઓને પ્રાપ્ત થયેલી  સત્તા.

કૉપીરાઈટ ઍક્ટ- ૧૯૫૭ના પાલન માટે નીમાયેલા, સબ ઈન્સ્પેક્ટર કક્ષાના અધિકારીને, અંડર સેક્શન ૬૪ અનુસાર,ફરિયાદની શીઘ્ર તપાસ કરી, તેમને ગુન્હો બન્યાની ખાત્રી થયેથી, કોઈપણ પ્રકારના વૉરંટ વગર, ગુન્હો આચરવા ઉપયોગમાં લેવાયેલી તમામ સાધનસામગ્રીની જપ્તી હાથ  ધરી વિના વિલંબે, તેને મેજેસ્ટ્રીટ સમક્ષ રજુ કરવાની વિશાળ અબાધિત સત્તા પ્રાપ્ત થયેલી છે.
  
કૉપીરાઈટના ભંગ, દીવાની-ફોજદારીપગલાં.

સમગ્ર વિશ્વમાં, બુદ્ધિજીવી સંપત્તિ (The Intellectual Property Rights -IPR) મૌલિક સર્જન હક્કના રક્ષણ માટે કડક કાયદા અમલમાં છે, જેમાં ભારત પણ બાકાત નથી. ભારતમાં પણ `Under the provisions of Indian Copyright Act 1957`, મુજબ કૉપીરાઈટ એક્ટમાં, કૉમ્પ્યુટર સૉફ્ટવૅરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં ૧૦મી મે- ૧૯૯૫થી અમલમાં આવે તેવીરીતે મહત્વના સુધારા પણ અમલમાં મૂકાયા છે જેમાં સમગ્ર વિશ્વમાં સહુથી વધારે કઠોર કલમો સામેલ કરાઈ છે.
 
`Indian Copyright Act 1957( ICRA-1957 )` ની કલમ-૧૬ મુજબ, કૉપીરાઈટ રક્ષિત કોઈપણ મૌલિક સર્જનની નકલ કરવી (COPY-PASTE), બીજાના વિચાર કે લખાણની ચોરી કરી તેને, પોતાના નામે છાપી મારવાનું કૃત્ય ( Plagiarism ), અન્યની શૈલીનું અનુસરણ કરતું સર્જન કરવું (Parody) જેવા સંજોગોમાં,  The Intellectual Property Rights -IPRમાં, કૉપીરાઈટ ધારકના હક્કના રક્ષણ કાજે, તેના ઉલ્લંઘન કરનાર પર, દીવાની-સિવિલ કોર્ટ રાહે પુરતા વળતરની ચૂકવણીના દાવા સહિત, ફોજદારી રાહે પણ ભારે દંડ અને સજાની કડક જોગવાઈ કરાઈ છે.

જોકે, કોઈ સર્જકના મૌલિક સર્જનને, નુકશાન કે નાશ થતું અટકાવવા અથવા તો માત્ર સ્થળાંતરના હેતુ માટે, તદ્દન હંગામી ધોરણે કરાતા સંગ્રહ માટે,  કૉમ્પ્યુટર દ્વારા લેવામાં આવતી  `Backup copy`ને, ICRA-1957 ના સેક્શન ૫૨ મુજબ કૉપીરાઈટનો ભંગ ગણાતો નથી.

જો આ `Backup copy`નો ઉપયોગ, મૂળ સર્જકની મંજુરી વગર, ભાડે-વેચાણ કરવા માટે દુરઉપયોગ કરવામાં આવે તો, તે બાબતને ICRA-1957નો ભંગ ગણીને, કાયદેસર સિવિલ - ફોજદારી ગુન્હાને પાત્ર ગણાય છે. આ ગુન્હો થયો હોવાનું સાબિત કરવાની જવાબદારી ફરિયાદીના શિરે રહે છે.

* `ICRA-1957` ની સેક્શન - ૬૩ મુજબ, કૉપીરાઈટ ભંગના ગુન્હા માટે, સજાની જોગવાઈ નક્કી કરે છે.

* `ICRA-1957` ની સેક્શન - ૬૩ A  મુજબ, બીજી વારના કૉપીરાઈટ ભંગના ગુન્હા માટે, એક વર્ષની સખત કેદ અને રૂ. એક લાખના ભારે દંડની જોગવાઈ નક્કી કરે છે.

* `ICRA-1957` ની સેક્શન - ૬૩ B  મુજબ,  આવા પ્રત્યેક કાનૂન ઉલ્લંધન બદલ, અલગ-અલગ  કાયદેસર સિવિલ - ફોજદારી ગુન્હા નોંધાવી શકાય છે. જેમાં સિવિલ-દીવાની દાવામાં, નફાના નુકશાન પેટે વળતર, કાનૂની ખર્ચ વિગેરે તથા ફોજદારી કેસમાં  ICRA-1957 ના સેક્શન ૬૩ B ની જોગવાઈ મુજબ, ઓછામાં ઓછી સાત દિવસથી-વધુમાં વધુ ત્રણ વર્ષ અને/અથવા ઓછામાં ઓછા રૂ. ૫૦,૦૦૦/= (પચાસ હજાર રૂપિયા) થી લઈને રૂ. ૨,૦૦,૦૦૦/= ( બે લાખ રૂપિયા) સુધીના ભારે દંડની જોગવાઈ છે.

* `ICRA-1957` ની સેક્શન - ૬૪ મુજબ, પોલીસ ડીપાર્ટમેન્ટના સેકન્ડ રેંન્ક પી.આઈ.કક્ષાના અધિકારી દ્વારા, કૉપીરાઈટ ઍક્ટના ભંગ દરમિયાન, ઉપયોગમાં લેવાયેલ કમ્પ્યુટર સહિતની તમામ સાધનસામગ્રી, Section 64(1) મુજબ વગર વોરંટે જપ્ત કરવાની  સત્તા પ્રાપ્ત થાય છે. જે પરત મેળવવા, સક્ષમ મેજીસ્ટ્રેટશ્રી સમક્ષ પંદર દિવસ બાદ અરજી કરી શકાય છે.જોકે, તપાસમાં કૉપીરાઈટ એક્ટનું ઉલ્લંઘન થયાનું સાબિત થાય તો, આરોપીની સંમતિ કે અસંમતિ મેળવ્યા વગર, મેજેસ્ટ્રીટશ્રી, તે  સાધન-સામગ્રીને નાશ કરવાના હુકમ કરી શકે છે.

* `ICRA-1957` ની સેક્શન - ૬૫ મુજબ, કૉપીરાઈટ એક્ટનો ભંગ થતો હોવાનું જાણવા છતાં, ગુન્હો આચરવામાં આવે અથવાતો તેવી સામગ્રી જેતે વ્યક્તિ પાસેથી જપ્ત કરવામાં આવે તો, ભારે દંડ અને બે વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈ કરાઈ છે.

સરકારી સંગઠન, જેમકે મિનિસ્ટ્રી ઓફ ઈન્ફરમેશન એન્ડ ટૅકનોલૉજી, મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ ડીપાર્ટમેન્ટ, કૉપીરાઈટ એક્ટના ઉલ્લંઘનની ફરીયાદને ગંભીરતાથી લઈ, તરતજ સિવિલ અને ફોજદારી પગલાં ભરવામાં મૂળ સર્જકને મદદ કરે છે.

આ ઉપરાંત, The National Association of Software and Services Companies (NASSCOM)ના અધિકારીઓ પણ,  ICRA-1957 ના કડક અમલ માટે પ્રતિબદ્ધ છે. ઉપર દર્શાવેલાં તમામ સરકારી સંગઠનોને, પોલીસનો સહયોગ લઈને, રેડ પાડવાથી માંડીને ફરિયાદના આધારે ધરપકડ સુધીની સત્તાઓ પ્રાપ્ત છે.

Intellectual Property Rights ( IPR's )ના  `ICRA-1957` અમલમાં આવેલા કાયદાએ ભારતમાં, Cracking of websites, Copy-Paste, Plagiarism, Parody,Hacking, Piracy, ઉપરાંત સાયબર ક્રાઈમ સાથે જોડાયેલા તમામ અનધિકૃત આર્થિક કારોબાર સાથે, જાણે રીતસર યુદ્ધ છેડ્યું છે.

આપણા યુ.એન. ની ગાઈડ લાઈન મુજબ ઈલેક્ટ્રોનિક્સ કૉમર્સનો  તારીખઃ ૨૭ ઑક્ટોબર ૨૦૦૯ ના રોજ અમલમાં આવેલા  `The Information Technology Act 2000`ના કાયદાને કારણે, આવા અનૈતિક રીતરસમોથી કમાઈ ખાનાર, સાયબર ચાંચિયાની વિરૂદ્ધ ફરિયાદ નોંધાતાંજ, આંતરરાષ્ટ્રિય કક્ષાએ પણ, સાયબર ટેરરિઝમ અને ડેટા પ્રોટેક્શન અંગે, કડક પગલાં લેવાનું શક્ય બન્યું છે.

સાયબર ક્રાઈમની વ્યાખ્યાઃ-( In Indian Legal Perspective Cyber Crimes means )

 “An unlawful act where in the computer is either a tool or a target or both” 

સાયબર ક્રાઈમ એટલે,  કૉમ્પ્યુટરનો હથિયાર તરીકે અને / અથવા લક્ષ્ય બનાવી, પ્રવર્તમાન કાયદાઓનું ઉલ્લંઘન કરવાની ઘટનાઓને સાયબર ક્રાઈમ કહે છે.

આધુનિક યુગમાં, ઈન્ટરનેટ દ્વારા ઈલેક્ટ્રોનિક્સ કૉમર્સનો ( Ecommerce ) વ્યાપ અસાધારણ ચમત્કારીક રીતે વધી રહ્યો છે, સાથેજ સાયબર ક્રાઈમનો વ્યાપ પણ અસાધારણ ચમત્કારીક રીતે વધી રહ્યો છે. કૉમ્પ્યુટર્સનો દુરઉપયોગ ગેરકાયદેસર કૉપીરાઈટ ઍક્ટનું ઉલ્લંઘન, હૅકીંગ, ક્રેડિટકાર્ડ ફ્રોડ, અશ્લીલ મેસેજ તથા અશ્લીલ ફૉટોગ્રાફનો મારો, સોફ્ટવૅર પાયરસી જેવી ગુન્હાખોર ગતિવિધિઓ કરવા માટે વ્યાપકપણે  થઈ રહ્યો છે. આજ કારણસર સાયબર ક્રાઈમની ઘટનાઓને ઝડપી લેવા તથા તેના પર લગામ કસવા માટે યોગ્ય કડક કાયદા તથા તેના અમલ માટે સરકારીતંત્ર ગોઠવવાની તાતી જરૂરિયાત પ્રસ્થાપિત થઈ, જેના પરિણામસ્વરૂપ ` IT Act, 2000.`( The Information Technology Act, 2000) તારીખ ૧૭ ઑક્ટોબર ૨૦૦૦ થી અમલમાં આવ્યો છે. 

આ કાયદામાં, કૉમ્પ્યુટરના મૂળ માહિતી સ્ત્રોત્રની ચોરી, હૅકીંગ,અશ્લીલતા, સક્ષમ ઑથોરોટીની સૂચનાઓની અવજ્ઞા, કાયદાથી રક્ષિત ક્ષેત્રમાં અનધિકૃત પ્રવેશ, પ્રાયવસીનો ભંગ અથવા વિશ્વાસઘાત, બદઈરાદાથી ખોટી ઓળખ અથવા શાખ ઉભી કરવાનો પ્રયાસ, છેતરપિંડીના હેતુથી ખોટી કૉમ્પ્યુટર ઓળખ ઉપલબ્ધ કરાવવી જેવા ગુન્હાઓ સામે, ડેપ્યુટી કમિશ્નર ઓફ પોલીસ દ્વારા યોગ્ય તપાસ કર્યા બાદ, કથિત ગુન્હેગારનો આરોપ સાબિત થતાંજ, તેને જેલની કડક સજા અને/અથવા ભારે દંડની જોગવાઈ કરવામાં આવી છે. 

`Section under IT Act` ની સેક્શન- ૬૫ થી ૭૪ સુધીની કલમની જોગવાઈ મુજબ, ગુનેગારે, ભોગ બનનારને રૂપિયા એક કરોડ સુધીનું વળતર ચૂકવવાની જોગવાઈ છે.દીવાની ઉપરાંત ઈન્ડિયન પીનલ કૉડ ની ધારા ૪૨૫/૪૨૬ ( મિસ્ચિફ - હાનિકારક કૃત્ય ) ; ૪૪૧ / ૪૪૭ (ક્રિમિનલ ટ્રેસપાસ) ; ૪૧૫ / ૪૨૦ (છેતરપિંડી,બદનક્ષી- ચીટીંગ, ડીફરમેશન) ;  ૩૭૮ / ૩૭૯ ( ચોરી-થેફ્ટ) ; ૫૦૩ / ૫૦૫/૫૦૬ ( ગુન્હાહિત ઈરાદાથી ઈમેઈલ દ્વારા ધાકધમકી)  જેવી કલમો પણ આવા ગુન્હા સબબ લાગુ પડે છે.

મિત્રો, અત્યારે જ્યારે, સોયની આત્મકથાથી માંડીને સાગરની કવિતાઓ સુધી, દરેક નગણ્ય ગણાતી બાબત પણ, તેને કોમર્શિયલ સ્વરૂપ અર્પી, ખરીદ-વેચાણ અર્થે મુકીને, આર્થિક વ્યવહારો કરાય છે ત્યારે, કૉપીરાઈટ ઍક્ટનું મહત્વ આપોઆપ વધી જાય છે. જોકે, આમાં દુઃખની બાબત એ છેકે, કૉપીરાઈટ એક્ટ ભંગના ગુન્હા, ધ્યાનમાં આવે ત્યાં સુધી, ઘણીવાર, મૂળ સર્જકને, સામાજીક પ્રતિષ્ઠા, માનસિક તથા આર્થિક નુકશાન થઈ ચૂક્યું હોય છે, જે માટે લાંબા કાનૂની જંગ બાદ, પોતાના અધિકારને સાબિત કરવાની, કંટાળાજનક માથાકૂટ કર્યા બાદ, નામદાર અદાલતે આપેલા ચૂકાદા મુજબનું વળતર, કચવાતા મનથી, અપુરતું લાગતું વળતર પણ સ્વીકારવા,મૂળ સર્જકને મજબૂર થવું પડે છે. આથીજ ઘણાબધા મૂળ સર્જક, પોતાના સર્જન સાથે થયેલા ચેડા કે ઉઠાતરીના કિસ્સામાં, મૌન ધારણ કરી લે છે અને ઉઠાવગીર ગદર્ભરાજ પોતાના અનૈતિક મલીન ઈરાદાઓમાં ફાવી જતા જોવા મળે છે, આમ ન બને તે માટે, આવા લોકો પર, મૂળ સર્જકે  દીવાની-ફોજદારી કાર્યવાહી કરવા માટે સંકોચ ન કરવો જોઈએ.કોઈકે તો શરૂઆત કરવીજ જોઈશેને? તો પછી, આપનાથી શા માટે નહીં?

આજથી વધારે નહીંતો આટલું જરૂર કરશો, કોઈપણ  સર્જકના સૌજન્ય ઉલ્લેખ વગરની, મેઈલમાં મળેલી દરેક રચનાને, મૂળ સર્જકના નામોલ્લેખ સાથેજ મળે તેવી નોંધ સાથે મોકલનારને પરત મોકલો. ગુજરાતી સાહિત્યના ચાહક તરીકે, આટલી તકેદારી દાખવી, ગેરકાયદેસર કૉપી, પ્લેઝરીઝમ, પેરોડી, સ્પૂફ કે સેટાયરની રમતમાં રચ્યાપચ્યા રહેતા, ગુન્હેગાર ટોળકીના આપણે હિસ્સા ન બનીએ તોય આપણે ગુજરાતના સ્વાભિમાનને સુપેરે સાચવ્યું ગણાશે.

આખાય લેખના સમાપનમાં હું માત્ર એટલુંજ ધ્યાન દોરીશ કે, સહુએ કોઈ એક અલૌકિક શક્તિ એટલેકે ઈશ્વર, અલ્લાહ, ગૉડ સમક્ષ એક દિવસ ચહેરો બતાવવાનો છે. આપણે ગુન્હેગારની છાપનો ચહેરો લઈને, તે   અલૌકિક શક્તિ સમક્ષ ઉભા ન રહીએ, તેવી માણસાઈ આજથીજ કેળવીએ.

આમેય, આપણી નિકટના ગણાતા, માર્ગ ભૂલેલા મિત્રો કે બાળકોને, સાચા માર્ગે વાળવા જેટલી નૈતિક ક્ષમતા આપણામાં હજી છેજ, તે વિષે બેમત કોઈને નથી.

" સબ કો સન્મતિ દે ભગવાન"

અસ્તુ,

માર્કંડ દવે. તા.૨૭ નવેમ્બર ૨૦૧૦.

7 comments:

  1. Thanks a lot for such informative article which had cleared all the doubts regarding copyright...

    ReplyDelete
  2. ખુબ ઉપયોગી પોસ્ટ માર્કંડભાઈ

    ReplyDelete
  3. શ્રી માર્કંડભાઈ,
    નેટ પર વાંચેલા કેટલાક મૂલ્યવાન લેખોમાંનો આ એક છે. એ સમજપૂર્વક અને સેવાભાવથી મુકાયો હોઈ એનું મૂલ્ય વિશેષ છે.

    તમે પેરોડીને શૈલીની નકલ તરીકે ઓળખાવી તે અંગે શંકા વ્યક્ત કરું છું. શૈલીની નકલ એ ગુનો ગણાય ? શૈલી મોટે ભાગે સ્વરૂપગત હોય છે. દરેક લેખકની આગવી શૈલી હોય પણ તેની નકલ કરવાથી લખાણના વસ્તુની કૉપી થતી ન પણ હોય. પેરોડીમાં વસ્તુ/વીચારની જુદા જ વીચાર/ભાવ વડે નકલ કરવામાં આવે છે. જોકે આ બાબતે પણ મંજૂરીના પ્રશ્નો રહે ખરા.

    મારા બે લેખોની લીંક પણ મૂકું છું. કદાચ કોઈને ખપ આવે.


    ૧) અનુવાદ–રુપાંતર–ભાષાંતર–શબ્દાંતર–સંક્ષેપ અને નકલ
    http://jjkishor.wordpress.com/2009/05/19/sahity-vishayak/

    ૨) પ્લેટો, લેખકને અન્યાય અને કાયદો
    http://jjkishor.wordpress.com/2009/05/22/sahity-vishayak-2/

    ReplyDelete
  4. આદરણીય શ્રીજુગલકિશોરભાઈ,

    આપ નીચે જણાવેલ મુદ્દાની ચર્ચા કરી રહ્યા છો.

    "અન્યની શૈલીનું અનુસરણ કરતું સર્જન કરવું (Parody), વિગેરે જેવા કૉપીરાઈટ અધિકારભંગને, કાનૂનની નજરે, ગુન્હાહિત કૃત્ય માનીને, અદાલતમાં પડકારી શકાય છે."

    "તમે પેરોડીને શૈલીની નકલ તરીકે ઓળખાવી તે અંગે શંકા વ્યક્ત કરું છું. શૈલીની નકલ એ ગુનો ગણાય ? શૈલી મોટે ભાગે સ્વરૂપગત હોય છે. દરેક લેખકની આગવી શૈલી હોય પણ તેની નકલ કરવાથી લખાણના વસ્તુની કૉપી થતી ન પણ હોય. પેરોડીમાં વસ્તુ/વીચારની જુદા જ વીચાર/ભાવ વડે નકલ કરવામાં આવે છે. જોકે આ બાબતે પણ મંજૂરીના પ્રશ્નો રહે ખરા."

    આ વિષે મારા અલ્પજ્ઞાન પ્રમાણે હું જે સમજ્યો છું તે મુજબ, અમારા સંગીતમાં `ઘરાના`દ્વારા શિષ્યોને તાલિમ અપાય છે. આ પ્રત્યેક સંગીત ઘરાનાની પોતાની આગવી ગાયનશૈલી વિકસાવેલી હોય છે અને તે બાબતજ ,સંગીતજગતમાં તેમની આગવી ઓળખ સ્થાપિત કરતી હોય છે. જોકે, તેના કોઈ કૉપીરાઈટ રજીસ્ટ્રર્ડ નથી કરાવતા, તે અલગ બાબત છે. પરંતુ જ્યારે તેને અનુસરીને કોઈ રચના રજૂ કરવામાં આવે ત્યારે આપોઆપ તે ઘરાનાનો ઉલ્લેખ જાણકાર કરતા હોય છે.

    આજ પ્રમાણે,ચાહે આપણી `ભવાઈ`ની ધરોહર હોય હોય કે રાસ-ગરબાની કચ્છી ભાતીગળ સંસ્કૃતિ હોય, તે કોઈ રજિસ્ટર્ડ કરાવતું નથી, છતાંય જેતે શૈલી, જેતે વિસ્તારની ઓળખ છે.

    મોટાભાગે, હવેના યુગમાં સાહિત્યના ક્ષેત્રમાં પણ શૈલી બાબતે એટલા બધા પ્રયોગો થઈ રહ્યા છેકે, ચાઇનીઝ, થાઈ, ઇટાલિયન ફૂડના કરવામાં આવેલા ગુજરાતીકરણની માફક, અનેક શૈલીને અનુસરીને, રોજ નવા પ્રકારનું સાહિત્ય માણવા મળે છે..!!

    અંતે, મારા નમ્ર મત મુજબ શૈલીના કૉપી રાઈટ ના દાવા સાબિત કરવા તે સીધા ચઢાણ કરવા જેવી બાબત હોઈ શકે છે.

    આપે જે મુદ્દા અંગે ચર્ચા કરી તેમાં હું ખોટો હોઈ શકું છું,કદાચ આ અંગે કોર્ટના કોઈ આવાજ કેસના દાખલા(ટેસ્ટ કેસ) પરથીજ સાચો અભિપ્રાય નક્કી થઈ શકે..!!

    આપનો ખૂબ-ખૂબ આભાર.

    માર્કંડ દવે.

    ReplyDelete
  5. દવે સાહેબ, નમસ્કાર, માહિતી સરસ અને અદભુત રહી.. મારી થોડી મુન્જવન છે, જો યોગ્ય લાગે તો ઉત્તર આપવા મહેરબાની. કોઈપણ ફોન્ટ, મે કે બીજા આર્ટીસ્ટ બનાવે અને નેટ પર કે અન્ય રીતે ફ્રિ (without - ©) મુકે અને તેને કોઈ કંપની તેના સોફ્ટવેરમાં ઉપયોગ કરી માલિકી જતાવે તો શુ કરવું? અમારે માલિકી નથી જોતી પણ પબ્લિક માટે તે ફ્રિ હોવા જોયે તેમ કરવા, કઈ માર્ગ દર્શન આપશો.. (તમારો આ કોપીરાઇટ વાળો આપનો લેખ પબ્લિકના હિત્માથે તમે લખેલ છે, તે હું મારી સાઈટ મૂકીને દાવો કરું કે આ લેખમા મારા કોપીરાઇટ છે તેમ.!!!.)

    ReplyDelete
  6. પ્રિય શ્રીદિનેશભાઈ,

    આપનો પ્રશ્ન છેકે,

    " કોઈપણ ફોન્ટ, મે કે બીજા આર્ટીસ્ટ બનાવે અને નેટ પર કે અન્ય રીતે ફ્રિ (without - ©) મુકે અને તેને કોઈ કંપની તેના સોફ્ટવેરમાં ઉપયોગ કરી માલિકી જતાવે તો શુ કરવું? અમારે માલિકી નથી જોતી પણ પબ્લિક માટે તે ફ્રિ હોવા જોયે તેમ કરવા, કઈ માર્ગ દર્શન આપશો.."

    જો ફૉન્ટ આપે બનાવ્યા હોય અને તેના આપની પાસે પુરતા પુરાવા હોય તો,તેની માલિકી અને કૉપીરાઈટ આપના જ ગણાય, માટે કોઈ સારા ઍડવોકેટશ્રી પાસે આ કંપનીને નોટિસ પાઠવી તે અંગે આપ કાનૂની કાર્ય્વાહી અવશ્ય કરી શકો છો.

    આપનું સર્જન જાહેર જનતા માટે આપ ફ્રી વહેંચો કે કિંમત લઈને વેચો,તે આપનો નિર્ણય છે.કોઈ અજાણી વ્યક્તિ કે કંપની, આપે ફ્રી વહેંચેલ સર્જનને, આપની લેખિત સંમતી મેળવ્યા વગર, પોતાની માલિકીનું કોઈ સંજોગોમાં ન દર્શાવી શકે.

    આભાર.

    માર્કંડ દવે.

    ReplyDelete

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.