Thursday, August 5, 2010

મૌનનો કોશેટો

મૌનનો કોશેટો

" મૌનના કોશેટાને,  કટાણે  ફોડ્યોને?  પાળજે  હવે,  ઘોંઘાટ,   રોગિષ્ઠ   કીટક   સમજી..!!"

અર્થાતઃ-  ભીતરના ઘોંઘાટને, અટકાવીને, મનને શાંતિના કોશેટામાં, બરાબર વિકસવા દઈએ તો, જેમ બરાબર સમય પાકતાં, કોઈ ફળમાં અદ્વિતિય મીઠાશ વ્યાપે છે, તેજ પ્રકારે આપણું મન, દુન્યવી ઘોંઘાટથી રહિત થઈને, એકદમ સ્વચ્છ બની જશે..!!

" The easiest way, to get touch with this universal power, is through silent Prayer."


===========

પ્રિય મિત્રો,

તાજેતરમાં રિલિઝ થયેલી, અક્ષયકુમારની હીન્દી ફીલ્મ,` ખટ્ટામીઠા`માં, ફીલ્મની શરૂઆતના દ્રશ્યમાંજ, અક્ષયકુમારને, ભગવાન પાસે, અત્યંત ઘોંઘાટ લાગે તેવા, ઉંચા સ્વરમાં, પોતાને સારો કોન્ટ્રાક્ટ મળે તે માટે, આર્તનાદ-પ્રાર્થના કરતો જોવા મળે છે. જેનાથી સવાર-સવારમાં ઘરનાં તમામ સદસ્ય કંટાળે છે.

મને ક્યારેક વિચાર આવે છેકે, શું ભગવાન બહેરા હશે?  કદાચ `હા`..!!

યોગ્ય-અયોગ્ય, કામની-નક્કામી,સાચી - ખોટી, ઢોલ ને ઝાલર સાથે, લાઉડ સ્પીકર અને વરઘોડા કાઢીને, એક પ્રકારે, અનેકજાતનાં ત્રાગાં કરીને,  શક્ય તેટલો વધારે ઘોંઘાટ કરીને, આપણે  ભગવાનની પૂજાઅર્ચના, કે  સ્તુતિ  કરવા ટેવાઈ ગયા છે, તે  જોઈને તો, એમજ માનવું પડે કે, ભગવાન બહેરા હશે અથવા જાણીજોઈને, બહેરા હોવાનું નાટક કરતા હશે અથવા બહેરા નહીં હોય તો હવે બહેરા થઈ જશે...!!

આપણા પ્રાચીન  શાસ્ત્ર-પુરાણના ગ્રંથોમાં, અનેક જગ્યાએ, ઉલ્લેખ છેકે, કેટલાય રાજાઓ- મહારાજાઓ, સાધુ-સંતોએ, ભગવાનની તપસ્યા કરવા માટે, એકાંત અને શાંત સ્થળ પસંદ કરીને, મૌન ધારણ કરી, સમાધિ અવસ્થામાં, અનેક વર્ષો સુધી, ઘોર તપસ્યા કરી, ભગવાનનો સાક્ષાત્કાર કર્યો હતો.
(નોંધઃ આ બાબતે, ભોળા શંકરશંભુએ, ભક્તો પર, હાજરાહજુર પ્રસન્ન થયા હોવાનો, ગિનિઝ વર્લ્ડ રૅકોર્ડ નોંધાવવા, દાવો કરી શકાય?)

તો પછી, હવે ભગવાનને શું થયું છે? તે, તેઓ મંદિર-મસ્જીદ-ચર્ચ  કે ગુરૂદ્વારામાં, એક  યા બીજા સ્વરૂપે, પથ્થર, ઈટ કે  સીમેંટ-ચૂનાના ઢગલામાં, મૌન ધારણ કરીને વસે છે?

યાર..!! આ  ભગવાનના,  ભક્તોય ખરા છે?

આ ભક્તોના ગાંડા અભરખાએ જ, ભગવાનનો સાક્ષાત્કાર કરવાના, જાતજાતના, સાધુ-સંત-ફકીર-કે ગુરૂઓની, એક આખી જમાતને જન્મ આપ્યો છે,જે અન્ય કોઈને રીત ન બતાવવાના સોગન લેવડાવીને, જાતજાતની રીતે, ભગવાનને રૂબરૂ મળવાનો મોકો અપાવવાનો દાવો કરે છે..!!
( અલબત્ત, તગડી ફી વસૂલ કરીને જ સ્તો..!!)

એકવાર, અકબરને બીરબલનું કામ પડવાથી, તેને બોલાવવા, થોડી-થોડીવારે,  ઉપરાછાપરી, માણસો બાદશાહે મોકલ્યા. દરવખતે, તે માણસ એમ સંદેશ લઈને આવેકે," હમણાંજ આવે છે, બીરબલ પૂજા-પ્રાર્થના કરે છે..!!" અકબર બાદશાહ, બીરબલની રાહ જોઈને કંટાળ્યા  અને  બીરબલ પર ગુસ્સો આવવાથી, જાતેજ તેના, રહેઠાણે, જવા તૈયાર થયા, ત્યાંતો બીરબલ દૂરથી આવતા  દેખાયા.

ગુસ્સામાંને ગુસ્સામાં, બાદશાહે, બીરબલને,  તે જે ભગવાનની પૂજા કરતા હતા, તે ભગવાન, તાત્કાલિક પોતાને પણ, રૂબરૂ બતાવવા હુકમ કર્યો.

બીરબલ સમજી ગયાકે, બાદશાહ સલામત, મારો અને મારા ભગવાનની પૂજાનો, ઉપહાસ કરવાનો હીન પ્રયાસ કરે છે..!!

એટલે, બીરબલે જવાબ આપ્યોકે," બાદશાહ સલામત, મારો ભગવાન એમ રસ્તામાં નથી બેઠો, તે દરેકને રૂબરૂ મુલાકાત આપે. જોકે,  ભગવાનને હું પ્રાર્થના કરીશ તો, તે તરત જ દેખાશે, પણ મને જૂઠ્ઠો સાબિત કરવા, આ ઈર્ષાળુ દરબારીઓ, ભગવાન દેખાય છતાં, જોયા નથી તેમ કહેશે તો?"

બાદશાહે હુકમ કર્યોકે, " ભગવાન દેખાય તેણે, તરત સાચું જણાવવું નહીંતર તેને  બે બાપનો કહેવો ને ગણવો."

બીરબલે એક ખાલી ઓરડામાં, દીવો અને અગરબત્તી પ્રગટાવી, ભગવાનને રૂબરૂ મુલાકાત માટે, વારાફરતી દરબારીઓને, અંદર જવા માટે કહ્યું.

હવે થાય એમકે..!! એકપણ દરબારીને, ઓરડામાં, ભગવાન તો ન જ દેખાય, પણ પોતે બે બાપનો ન ગણાય તેથી, દરેકજણ  બહાર આવીને, બીકના માર્યા, એમ  કબુલ કરે કે, " હા, મને ભગવાન રૂબરૂ મળ્યા..!!"

છેવટે સહુથી છેલ્લે, બાદશાહ ઓરડાની અંદર ગયા. તેમને ભગવાન ન દેખાયા તેથી તે સમજી તો ગયાકે, બીરબલે મારા ઉપહાસનો બદલો લીધો છે.

પરંતુ, બધાજ દરબારીઓએ, ભગવાન જોયાનો, દાવો કર્યો અને પોતે એકલા જો એમ કહેશેકે," મને ભગવાન દેખાયા નથી તો, બધા મને બે બાપનો કહેશે..!!"

છેવટે,આ  બીકને કારણે, બહાર આવીને, બાદશાહે પણ, કબુલ કરવું પડ્યું કે, " બીરબલ તારી પૂજા-પ્રાર્થના, સાચેજ અસરદાર છે, મનેય ભગવાનનાં રૂબરૂ દર્શન થયાં..!!"

મિત્રો, જાતજાતના, સાધુ-સંત-ફકીર-કે ગુરૂઓની, એક આખી જમાત, અન્ય કોઈને રીત ન બતાવવાના સોગન લેવડાવીને, જાતજાતની રીતે, ભગવાનને રૂબરૂ મળવાનો મોકો, આવી રીતે તો નહીં અપાવતા હોયને?

સાચી વાત તો એ છેકે, આપણે જો ઈશ્વરના  જ, અંશ હોઈએ અને તેથીજ ઈશ્વર આપણામાં, જીવતત્વ, પ્રાણ કે ચેતના સ્વરૂપે જો, આપણી  ભીતરજ રહેતા હોય તો..!!

જેમ આપણે, આપણા અંતરમન સાથે, વાત કરવા, ઢોલ-ઝાલર, લાઉડસ્પીકર કે વરઘોડા કાઢતા નથી, તેજ પ્રમાણે અંતરાત્માના સાક્ષાત્કાર માટે, ઘોંઘાટમય પ્રાર્થનાની નહીં, સાચા હ્યદયની, મૌનભાવ  ધારણ કરીને,  પ્રાર્થના  કરવાની જરૂર છે.

"  Perfect prayer does not consis,t in many words, silent remembering and pure intention,  raises the heart to that supreme Power."


"હ્યદય વગરની પ્રાર્થના મિથ્યા કાકલૂદી બની રહે, સાચી પ્રાર્થનાનો નાદ તો સ્વયં પ્રકટ થતો હોય છે. આવી પ્રાર્થના જ માનવજીવનને સાચી જ્યોતિર્મયતા અર્પે છે". - ધૈર્યચંદ્ર ર. બુધ્ધ

એક જ્ઞાની સંત, મને કાયમ જણાવતાકે," તમે જોજો, સાવ નાસમજ કુતરુંય, જ્યારે કોઈક ઠેકાણે બેસે, તે પહેલાં પોતાની પૂંછડી અને પગ વડે, આસપાસની જગ્યાને, સ્વચ્છ કરીને, પછીજ ત્યાં બેસે છે, પરંતુ, આપણે  આપણા મનને,  દુનિયાભરની,  તમામ ગંદકીથી, એટલું તો અસ્વચ્છ  કરી નાખ્યું છેકે, તેની સફાઈ કરવી તે, ભગવાન  માટેય  કપરું  કાર્ય  છે."

વાત તો સાચી છે, અત્યાર સુધી, આ લેખમાં, આપણે, આપણા કાને પડતા, બહારના દુન્યવી ઘોંઘાટની વાત કરી, પણ આપણા મનમાં જે ઘોંઘાટ, નિરંતર ગાજે છે, તેનું શું?

ચાલોને, એમ માની લઈએકે, બહારની દુનિયામાં થતા ઘોંઘાટને રોકવા પર, આપણો  કાબૂ  નથી.

પણ ભીતરના ઘોંઘાટને, અટકાવીને, મનને શાંતિના કોશેટામાં, બરાબર વિકસવા દઈએ તો, જેમ બરાબર સમય પાકતાં, કોઈ ફળમાં અદ્વિતિય મીઠાશ વ્યાપે છે, તેજ પ્રકારે આપણું મન, દુન્યવી ઘોંઘાટથી રહિત થઈને, એકદમ સ્વચ્છ બની જશે..!!

અને `જ્યાં સ્વચ્છતા છે ત્યાં ઈશ્વરનો વાસ હોય છે.`, તેથીજ ભગવાન શ્રીમદ ભગવદગીતામાં, વિષાદમાં સરી પડેલા અર્જુનને કહે છેકે,

" सर्व धर्मान परितज्य, मामेकंशरणं व्रजः I "   

જોકે, આપણે અહીં, આજ વાતને, " સર્વ  નાદમ પરિત્યજ્ય, બ્રહ્મનાદમ શરણં વ્રજઃ I" પણ કહી શકીએ?

જો, કુતરાનેય,  અસ્વચ્છ જગ્યા ન ગમતી હોય તો, મૌનના કોશેટાને કટાણે ફોડી નાંખીને પછી, આપણે બહાર અને ભીતરની ઘોંઘાટભરી પરિસ્થિતિમાં, ભગવાનને રૂબરૂ, આપણા ઘેર, સાક્ષાત્કાર આપવા બોલાવીએ, તો તે આવે ખરા?

સોચો ઠાકુર..!! જરા સમાધિ - ધ્યાન લગાકે સો...ચો..!!

=====

તા.ક. " મૌનના મહિમાને પામી ગયેલા જ્ઞાનીને, આ દુનિયા ફાની લાગવાનું ભયસ્થાન વિસરવું નહીં..!!"

=====
માર્કંડ દવે. તાઃ૦૫ ઑગસ્ટ ૨૦૧૦.

No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.