Saturday, May 7, 2011

"મારા કણેકણે વસે છે તું માઁ..!!"

"મારા કણેકણે વસે છે તું માઁ..!!"
(સૌજન્ય-ગૂગલ)


"  જોજે વહી જતી ના,મળ્યા વગર આખરી ક્ષણે!
   તું તો વસે છે ને માઁ? મારા દરેક શરીરી કણે?"


પ્રિય મિત્રો,આપણો દેશ ઉત્સવો અને તહેવારોનો દેશ છે.આ તહેવારોમાં ઉમેરો થયો હોય તેમ, આશરે છેલ્લા એકાદ દસકથી, ભારતમાં, માતૃવંદના દિવસ (Mothers Day), દર વર્ષે, મે માસના બીજા રવિવારે મનાવાય છે.

જોકે, મહત્વનો સવાલ એ છેકે, આપણા શરીરના પ્રત્યેક કણ-કણમાં વસતી આપણી માં ને સન્માનવા, કોઈએક નિશ્ચિત દિવસ નિર્ધારિત કરી, તે દિવસે તેનું સન્માન કરીને, આપણે માતાનું ૠણ ચૂકવી શકીએ ખરા? શું કોઈ સંસારમાં કોઈ એક એવો શબ્દ પણ છે,જે માતાની યથાર્થ સ્વરૂપે સ્તુતિ કરવા માટે સમર્થ હોય?

કદાપિ નહીં,તેથીજ સન-૧૯૬૬ની ફિલ્મ `દાદીમાઁ`ના એક ગીતમાં,મહાન ગીતકાર-શ્રી ઈન્દિવરજી કહે છે," ઉસકો નહીં દેખા હમને કભી,પર ઇસકી જરૂરત ક્યા હોગી, અય માઁ,તેરી સુરત સે અલગ ભગવાન કી સુરત ક્યા હોગી?"

જેના ઉદરથી મહાતેજસ્વી, મહાપ્રતાપી, સ્વયં ઈશ્વર, વારંવાર જન્મ લેવા આતુર હોય,જેના પાલવનો છાંયડો જગતના અનેક મહાતપસ્વી, પ્રાતઃસ્મરણીય સાચા સંતોના શિરે રેલાયો હોય,જેના સ્તનપાનની અમૃતધારાએ, સ્વર્ગના અસલ અમૃતને પણ ફિક્કું પાડી દીધું હોય,જેના ચરણોમાં ત્રણેય લોકના નાથ પણ, શિશ ઝૂકાવતા હોય,તે માં ના ગુણગાન ગાવાનું કોનું ગજું હોઈ શકે...!!

કૂમળાં પંખી સમાન વહાલાં બાળકોને પાંખો ફૂટે, તેને માં ઊડતાં શીખવે, કોઈ દીકરી સાસરે જાય,દીકરો દૂર દેશ કમાવા જાય..!! સંતાનની સફળતા કાજે, માં જાતે હકૂમત છે, હિકમત છે, હિંમત છે. માં એકલી હોય, અટૂલી હોય,છતાં દોડી-દોડીને સંતાનના ક્ષેમકુશળ મેળવવા આતુર હોય અને કોઈ સારા વાવડ મળતાંજ, સાચા દિલથી આશીર્વાદ વરસાવતી, ઉમંગે હરખાતી, પ્રભુને વિનવતી,આખી જિંદગી સંતાનને નિસ્વાર્થભાવે કૈંકને કૈંક આપ્યાજ કરે,સામે વળતી કોઈ જ અપેક્ષા નહીં, બસ એનું જ નામ `માં` છે.

માં તારાં કેટલાં સ્વરૂપ?

માં તારા અગણિત સ્વરૂપ છે.માતા-પિતાની તું લાડકી દીકરી છે. ભાઈ-બહેનની તું હેતાળ બહેન છે.તારી સાસરીમાં તું પ્રેમાળ કર્મઠ પુત્રવધૂ છે.તારા પતિની તું અર્ધાંગના છે. તારા બાળકોની તું પ્રેમાળ માં છે..!! સંસારના તમામ જીવોના જીવનનિર્વાહ કાજે, તું આદ્યશક્તિ દૈવીમાતા રૂપે વિદ્યમાન છે. તમામ જીવોની ભૂખ-તૃષાને ઠારતી, પાવન માં ધરતી છે.

ભૂસ્તરશાસ્ત્રીઓ, વૈજ્ઞાનિકો, સાહિત્યના વિદ્વાનો પ્રતિપાદિત કરી ચૂક્યા છે,સંસારમાં જે દૃશ્યમાન છે તે સઘળું પરિવર્તનીય છે..!! પરંતુ, માતાનો પ્રેમ-લાગણી ક્યારેય બદલાતા નથી. સંસ્કૃતિ, સમય,સંજોગ, સમાજ, બદલાય કે ન બદલાય,પરંતુ માતાનું સ્થાન અને સ્વરૂપ એનું એજ છે.

પોતાના બાળકની રક્ષા કાજે સમય આવ્યે, વિશ્વભરની માતાઓએ, વાઘ,સિંહ,દીપડા જેવા હિંસક ખૂંખાર પ્રાણીઓ સાથે પણ બાથ ભીડી હોવાની ઘણી સત્ય ઘટનાઓ પ્રકાશમાં આવ્યાના સમાચાર પણ સમાચારપત્રોમાં ઘણીવાર નોંધાયેલા છે.જે દર્શાવે છેકે, જેમના શિર પર માતાના આશીર્વાદભર્યો,હેતનો સાથ સદા ફરતો હોય તેના માથે જગતના કોઈ પણ દુઃખનો ઓછાયો પણ પડતો નથી હોતો.

ગુજરાતના, ગીર પંથકનાં જંગલોમાં તો રસ્તે ચાલતાં વનરાજનો ભેટો થઈ જવો, તે રોજરોજની સાવ સામાન્ય બાબત મનાય છે. પોતાના બાળકને કોઈ માતા, હિંસક પ્રાણીના સકંજામાંથી છોડાવે તે સમજાય તેમ છે.પરંતુ, એક વાર ગીરના નેસમાં એક ચારણકન્યા નામે હિરાબાઈએ ફક્ત એક નાની સરખી લાકડીના સહારે, પોતાના વાછરડાનું મારણ કરવા આવેલા સિંહને, મારી-મારીને, સાવ ખાલી હાથે ભગાડી મૂક્યો હતો.આપણા લાડીલા કવિવર શ્રીઝવેરચંદ મેઘાણીએ આ દૃશ્ય નજરોનજર જોયું અને તે ઘટના પર એક સુંદર, શૌર્યરસપ્રચૂર કાવ્ય પણ રચ્યું હતું.

ટૂંકમાં. `માં`નું સ્વરૂપ કોઈપણ હોય,પરંતુ દુનિયાના કોઈપણ છેડે,કોઈપણ દેશ,કોઈપણ ભાષા,કોઈપણ સંસ્કૃતિમાં,અભણ હોય કે વિદ્વાન,ગરીબ હોય કે અમીર હોય, સર્વત્ર સહુના માટે, એક માત્ર `માં` શબ્દનો અનુભવ, સર્વમાન્ય, સર્વસંમત, એકસમાન જ હોય છે.


ધોરણ-૧૦ ન્યૂ.એસ.એસ.સી. માધ્યમિક બોર્ડની પરીક્ષા આપ્યા બાદ, એક માતાએ પોતાના દીકરાને સવાલ કર્યો," હવે આગળ શું વિચાર કર્યો છે?"

તમામ પેપર્સ સારા ગયાં હોવાથી ખુશ થયેલા દીકરાએ જવાબ આપ્યો," માં, મારે ખૂબ-ખૂબ ભણીને વકીલાત કરવાનો વિચાર છે..!! પછી, મારી પાસે આવતા તમામ કેસને હું ઈમાનદારીથી, કોર્ટમાં લડીશ અને જીત મેળવી,સારા વકીલ તરીકે ખૂબ નામ કમાઈશ."

માં એ પૂછ્યું,"પછી?"

દીકરાએ કહ્યું," પછી, મારી બાહોશીને કારણે મને સરકારી નોકરી મળશે, જેમાં ધીરે ધીરે  પ્રગતિ કરતો-કરતો, હું સર્વોચ્ચ ન્યાયાધીશના પદ સુધી પહોંચી જઈશ..!!"

માં એ ફરી પૂછ્યું,"અને પછી?"

દીકરાએ કહ્યું,"અને પછી? હું ખૂબ માન-અકરામ તથા અઢળક દોલત મેળવી, ઇજ્જત-આબરૂભેર  નિવૃત્ત થઈને, બાકીની જિંદગી આનંદથી પસાર કરીશ..!!"

સમજદાર માંએ દીકરાને છેલ્લી વાર પૂછ્યું,"અને ત્યાર પછી?"

હવે દીકરો ગૂંચવાયો, કદાચ, તેની પાસે," અને ત્યાર પછી?" સવાલનો જવાબ નહોતો. જગતમાં સહુને કાયમ પજવતા, આ મહાન પ્રશ્ન," અને પછી?" નો જવાબ મેળવવા તે દીકરો, પોતાની જાત સાથે, મથામણ કરવા લાગ્યો.

અત્યારે,આ સ્થળે,મહત્વના ચિંતનાત્મક પ્રશ્ન," અને પછી?"ના ઉત્તર તરફ સહુનું ધ્યાન આકર્ષિત કરવા માટે આ સંવાદ અહીં રજૂ કર્યો છે.

આપ સહુ વિદ્વાન પાઠક મિત્રોને, આપણા પૌરાણિક ધાર્મિક મહાગ્રંથ ના અધ્યયન દરમિયાન, ક્યારેક તો જરૂર,`જો અને તો` જેવા કેટલાય સવાલ મનમાં ઉઠીને મનમાં જ સમી જતા હશે..!!

આપણે અત્યારે કેવળ `મહાભારત`ને જ ધ્યાનમાં લઈએ તો..!!


* જો મહાભારતમાં, ગાંધારીએ પોતાની આંખ પર પટ્ટી બાંધવાને બદલે, કુંતામાતા અને તેના પાંચ દીકરાઓ પ્રત્યે, પોતાના કુટુંબ દ્વારા આચરવામાં આવતા રોજરોજના અપમાનજનક,અન્યાયી,પક્ષપાતભર્યા વ્યવહારને, એક સ્ત્રી તરીકે બીજી સ્ત્રીની પીડા અનુભવી, ખુલ્લી આંખે, નજરોનજર નિહાળ્યો હોત તો..!!

* જો મહાભારતમાં, ગાંધારીએ પોતાની આંખ પર પટ્ટી બાંધવાને બદલે,ખુલ્લી આંખે, પોતાના દીકરાઓને યોગ્ય સંસ્કાર આપવા તથા તેમની સારી સોબત પરત્વે યોગ્ય કાળજી રાખી હોત તો..!!

* જો મહાભારતમાં, ગાંધારીએ પોતાની આંખ પર પટ્ટી બાંધવા છતાંય, સંજયની દિવ્યદૃષ્ટિનો સદુપયોગ શરૂઆતથીજ, પોતાના કુટુંબના સર્વનાશ તરફ દોરી જતા કુકર્મ ને નાથવા માટે હંમેશા કર્યો હોત તો..!!

મિત્રો,સત્ય એ છેકે, ગાંધારી એક પતિવ્રતા અને સત્યપ્રિય નારી હતી તેથીજ,પોતાના પતિ ધૃતરાષ્ટ્ર જન્માંધ છે તથા જગત ને આજીવન જોઈ શકવાના નથી,તેમ જાણ્યું ત્યારે, પોતાના ચક્ષુ પર પણ પટ્ટી બાંધવાનો કઠોર સંકલ્પ કર્યો, તો શું એક માતા તરીકે ગાંધારી પોતાનો માતૃધર્મ સુપેરે બજાવવામાં ઊણી ઊતરી તેમ કહી શકાય?

કદાચ,હરગિજ નહીં..!! માતા ગાંધારીએ, પોતાના ચક્ષુ પર, જરૂર પટ્ટી બાંધી હતી પરંતુ, પોતાની સમજદારી પર, બુદ્ધિ પર ક્યારેય પટ્ટી બાંધી નહતી. આમપણ જગતભરની માતાઓ પોતાના સંતાનના ઉછેરમાં ક્યારેપણ ઓછપ દાખવતી નથી.પરંતુ માતા પણ આખરે માનવ છે અને તે જાણે છેકે પ્રત્યેક માનવ પ્રારબ્ધ (કર્મફળ) પાસે લાચાર છે..!!

મહાભારતના યુદ્ધના નિર્ણાયક સમયે દુર્યોધન, માં ગાંધારીના આશીર્વાદ પ્રાપ્ત કરવા, માતા પાસે જાય છે ત્યારે દુર્યોધન,માતાને વિનંતી કરે છે,"માં,યુદ્ધમાં હું વિજયી થાઉં તેવા આશીર્વાદ મને આપો." તે સમયે, માતા ગાંધારીને, એ બાબત જ્ઞાત હતીકે, " સ્વયં ઈશ્વર શ્રીકૃષ્ણ પાંડવ પક્ષે છે. હવે પોતાના કૌરવ કુટુંબે, પાંડવો સાથે આચરેલા અધર્મનો અંત સાવ નજીકમાં છે. યુદ્ધ હંમેશા અનિષ્ટકારક હોય છે.આ યુદ્ધમાં કોઈ હારે કે જીતે, પરંતુ પ્રત્યેકના હ્રદયમાં કેવળ અશાંતિ જ વ્યાપ્ત થશે..!!"
 
આથી, જ્યારે પુત્ર મોહવશ થઈને, મહારાજા ધૃતરાષ્ટ્ર, "॥મામકાઃ॥" નો રાગ આલાપતા હોય છે ત્યારે, માતા ગાંધારી પોતાના પુત્ર દુર્યોધનને,‘‘યતો ધર્મ સ્તતો જયઃ।’’ તેવા આશીર્વાદ આપે છે. પાંડવો સાથે, અત્યાર સુધી પોતાના કુટુંબે અધર્માચરણ દ્વારા કરેલા ઘોર અન્યાયનું, એક સમજદાર માતા અને સ્ત્રી તરીકે, ખરા હ્રદયથી માતા ગાંધારીએ કરેલું `પ્રાયશ્ચિત` દુર્યોધનને આપેલા,આ એકજ આશીર્વાદમાં સમાઈ ગયું છે..!!

આજ કારણે, છેલ્લીવાર, માતા પોતાના પુત્ર દુર્યોધનને સાંકેતિક ભાષામાં ચેતવે છે,"દીકરા, જ્યાં વિજય છે ત્યાં હમેશાં ધર્મ નથી હોતો, જ્યાં ધર્મ હોય છે ત્યાં હમેશાં વિજય હોય છે."

જોકે,મહત્વનો સવાલ એ પણ છેકે, પાંડવોએ પણ, ભગવાન શ્રીકૃષ્ણની ઉપસ્થિતિમાં, મહાતાત ભીષ્મ, ગુરુ દ્રોણ, દાનવીર કર્ણને છળકપટ અને ધર્મને કોરાણે મૂકીને માર્યા ન હતા? અરે, યુદ્ધના અઢારમા દિવસે, દુર્યોધનને પણ ભીમે, યુદ્ધના નિયમ વિરુદ્ધ સાથળ(જાંઘ) પર પ્રહાર કરીને માર્યો હતોને? તો પછી,પાંડવના પક્ષે ધર્મ ક્યાં હતો?

પરંતુ, ભીષ્મ, ગુરુ દ્રોણ, દાનવીર કર્ણ,ખરા સમયે મૌન રહીને,અધર્મના સાક્ષી બન્યા હતા, ઉપરાંત અધર્મ તથા અધર્મીઓના વિનાશ માટે, ભગવાન શ્રીકૃષ્ણની હાજરીમાં, તમામ નિયમભંગ કરાયા હતા તેથી તે ક્ષમ્ય ગણાય છે.

જોકે,આ નિયમભંગની જવાબદારી અંતે તો,શ્રીકૃષ્ણના શિરે આવી પડે છે અને પોતાના પુત્ર દુર્યોધનનો મૃતદેહ જોઈને, પવિત્ર નારી,પ્રેમાળ માતા ગાંધારીનો, માધવને મળેલો શ્રાપ અંતે સાચો પડે છેકે,"તમારા આખાય કુળનો નાશ અને પછી તમારો નાશ નિશ્ચિત છે." કદાચ આથીજ, એમ કહેવાય છેકે, જે મહાભારતમાં નથી તે, આખા જગતમાં પણ, ક્યાંય નથી..!!

પ્યારા વિદ્વાન પાઠક મિત્રો, માતા ગાંધારીએ સાચા હ્રદયથી કરેલા પ્રાયશ્ચિતનો, સત્યનો જ્ઞાનપ્રકાશ તો, જગતભરના `ઍવોર્ડ વિનર` ગુરુઓ ભેગા મળીને પણ, પોતાના શિષ્યના હ્રદયમાં,કદાચ પાથરી ન શકે..!! `કોઈ શક?`


દેશ અને વિદેશમાં,`Mothers Day.`


મિત્રો, હકીકતમાં તો `Mothers Day`ની ઉજવણીનું મૂળ અમેરિકામાંથી, વિશ્વવ્યાપી સેટેલાઈટ સંદેશ-સંચાર ક્રાંતિને કારણે,આપણા દેશમાં આયાત થયેલ છે. કોંકણના પશ્ચિમી ઘાટના જિલ્લાઓમાં, કેટલીક જાતિમાં, બાળકો એક વર્ષની ઉંમરે જ મૃત્યુ પામતાં હોવાથી,તે માતાઓ માટે આ પ્રાર્થનાના દિવસને `માતૃવંદના દિન-Mother's Day` તકે ઉજવવાનું શરૂ થયું.

ન્યૂયોર્ક સીટીમાં, "મધર્સ ડૅ" ની ઉજવણીની શરૂઆત તાઃ ૦૨ જૂન ૧૮૭૨ ના રોજ,`જૂલિયા વૉર્ડ હૉવ`(કવિયત્રી અને લેખિકા) તથા `આન્ના જૅર્વિસ` દ્વારા કરવામાં આવી જેનો ઉદ્દેશ્ય કોઈપણ કારણસર અલગ થયેલાં દંપતીનાં સંતાનોને તેમની માતા સાથે મેળવી આપી, માતાનું યથાશક્તિ ૠણ ચૂકવવાનો પ્રયત્ન કરવાનો હતો.સન-૧૯૦૮માં, `આન્ના જૅર્વિસે`,પોતાની માતાની સ્મૃતિમાં `Mother's Day`ઊજવ્યો, જે બાદમાં સન-૧૯૧૦માં સ્થાનિક ચર્ચમાં ૪૦૦ થી વધુ બાળકોની ઉપસ્થિતિમાં,`Mother's Day`ની સાર્વજનિક ઉજવણી સ્વરૂપે પ્રસ્થાપિત થયો.

સન- ૧૯૧૪માં,અમેરિકાના,તત્કાલીન,પ્રેસિડન્ટ `થૉમસ વુડરૉવ વિલ્સને (The 28th President of the United States, from 1913 to 1921 = Thomas Woodrow Wilson- Born-December 28, 1856 – February 3, 1924) દર મે માસના બીજા રવિવારે સાર્વત્રિક રાષ્ટ્રીય જાહેર રજા પાળવાનો ઠરાવ કર્યો હતો.

જોકે,વિશ્વના બીજા દેશોમાં `મધર્સ ડૅ`, વર્ષના અલગ-અલગ, માસ-દિવસે ઉજવવામાં આવે છે. ઑસ્ટ્રેલિયા,કેનેડા,અમેરિકામાં દર વર્ષે મે માસના બીજા રવિવારે, ઈંગ્લેન્ડમાં ઈસ્ટર સન્ડૅના ત્રણ અઠવાડિયા અગાઉ,થાઈલેન્ડમાં બારમી ઑગસ્ટે,નેપાલમાં વૈશાખ માસની અમાસના દિવસે, `મધર્સ ડૅ` ઉજવાય છે. એ પણ યોગાનુયોગ છેકે, સેવાની મૂર્તિ સમાન માતા ઉપરાંત, સેવાભાવી `નર્સ (સિસ્ટર્સ)`ના માનમાં `ઈન્ટરનેશનલ નર્સિસ ડૅ` પણ મે માસમાંજ ઉજવાય છે.

મિત્રો, જગતમાં માતાની કોઈજ નિશ્ચિત પરિભાષા નથી. આજ કારણસર પોતાના કેરિયરને અનુલક્ષીને ઘણી વર્કિંગ વુમન મોટી ઉંમર સુધી અવિવાહિત રહે છે, તેવા સમયે તેમની માતૃત્વની લાગણી પ્રબળ બનતાં, તેઓ બાળકને દત્તક લેવાનું સરાહનીય વલણ અપનાવે છે.આ ઉપરાંત,સમય આવ્યે માતાને બાળકના પિતાની જવાબદારી પણ નિભાવવી પડે છે. પતિનું અકાળ મૃત્યુ, છૂટાછેડા,ત્યક્તા જેવા કોઈપણ કારણસર બાળકના શિર પરથી પિતાનો આશરો છીનવાઈ જાય ત્યારે, માતા ના શિરે પોતાના બાળકને, માં અને પિતા બંનેની જવાબદારી વહન કરવાનો કઠોર સમય આવી પડે છે. આવા સમયે, કેવળ માતા જ પોતાના બાળકને પિતાની સહેજ પણ ખોટ વર્તાયા દીધા વગર, સહજતાથી ઉછેરી જાણે છે.જોકે, આનાથી વિપરીત સંજોગોમાં, કોઈ કારણસર, માતાના છત્રવિહોણાં સંતાનનો ઉછેર, કોઈ પિતા માટે જીવનનો કારમો અનુભવ બની રહે છે.મોટાભાગે તો, પુરુષ બીજાં સગવડિયાં લગ્ન કરી લેવાનું મન બનાવતો હોય છે..!!

કેટલીક સ્ત્રી માનસચિકિત્સકોના મતે, ઉપરના સંજોગોમાં, ગૃહિણી માતા કરતાં, નોકરી કે વ્યવસાય કરતી માતાને, એકલા હાથે બાળકને ઉછેરવાની તકલીફ વધારે અનુભવાતી હોય છે.

જોકે,સ્ત્રી રોગ વિશેષજ્ઞ ડૉ.અર્ચના ધવનના માનવા મુજબ,"સમય બદલાતાં જ, માં ની ભૂમિકા આપોઆપ બદલાતી રહે છે.તેમાં ગૃહિણી માં કે વ્યવસાયી માં તેવા ભેદ પાડી ન શકાય. માં કોઈ પણ સ્થિતિમાં માં રહે છે."

આ વાત તદ્દન સાચી છે. નોકરી-વ્યવસાય કરવા સાથે સંતાનને સુપેરે ઉછેરી જાણતી `મમ્મી`ને,"Super Mom" કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી. જોકે,તેથી કાંઈ, નોકરી-વ્યવસાય ન કરતી તથા કેવળ ગૃહિણી તરીકે, સંતાનને ઉછેરતી માતાનો મહિમા, સહેજ પણ ઓછો આંકી શકાય નહીં..!!



વિશ્વની પ્રખ્યાત,સફળ,"Super Moms"

* મધર ટેરેસા - (Mother Teresa-26 August 1910 – 5 September 1997),સન-૧૦૫૦માં કલકતા-ભારત ખાતે,ગરીબ,બીમાર તથા બેસહારા અનાથ લોકોના ઉત્કર્ષ માટે, મિશનરી ઑફ ચેરિટી સંસ્થાની સ્થાપના કરી,આજીવન તેમની સેવા કરી. તેઓને, ખ્રિસ્તી ધર્મના સર્વોચ્ચ વડા, પૉપ જોહ્ન પૉલ દ્વારા,`Blessed Teresa of Calcutta`નો ખિતાબ પ્રદાન કરાયો છે.

* માદામ મૅરી ક્યૂરી ( Marie Curie -7 November 1867 – 4 July 1934)પ્રખ્યાત પૉલિશ-ફ્રેંચ, ભૌતિક-રસાયણશાસ્ત્રી, જેઓએ  કિરણોત્સર્ગ (Radioactivity) પર પાયાનું સંશોધન કરીને, `અણુકેન્દ્રના આપોઆપ વિઘટન થવાના ગુણ` અંગે અનેક મહત્વના  સિદ્ધાંત તારવ્યા છે. આ માટે તેઓને નૉબલ પ્રાઇસથી નવાજવામાં આવ્યાં છે.

* ઍલિસ લુઈસ વૉટર્સ (Alice Louise Waters-born April 28, 1944, Chatham, New Jersey) અમેરિકન શૅફ, ચેઇન રેસ્ટોરન્ટની માલિક, સામાજિક કાર્યકર,લેખિકા તથા લોકોપકારી કાર્યકર.

* હેરિએટ ટ્યુબમેન ( Harriet Tubman- born March 1822 – March 10, 1913) આફ્રિકન-અમેરિકન, `ગુલામીપ્રથા નાબૂદી`ની ચળવળકાર, અમેરિકન સિવિલ વૉર દરમિયાન સંઘરાજ્યની જાસૂસ તથા લોકોપકારી કાર્યકર.

* અન્ના મૅરી રૉબર્ટસન મોસેસ ( Anna Mary Robertson Moses-September 7, 1860 – December 13, 1961) જાણીતા અમેરિકન લોકકલાકાર હતાં. તેઓનાં દસ સંતાનમાંથી વિવિધ કારણસર પાંચ સંતાન જન્મતાં  સાથેજ,મૃત્યુ પામ્યાં હતાં. એક લોકકલાકાર તરીકે તેઓની એકસોમી જન્મજયંતિ, પ્રખ્યાત`LIFE magazine` દ્વારા તેમની જીવનગાથા પ્રગટ કરીને તેમને અનેરું સન્માન બક્ષ્યું હતું.

* ખ્યાતનામ લેખિકા જે.કે. રોલિંગ.

બ્રિટિશ માતા ઍને તથા પિતા પીટરની હોનહાર દીકરી એટલે, ૪૦૦ બિલિયન બુક્સનું રેકૉર્ડ બ્રેક વેચાણ ધરાવતી, હેરીપૉટર બુક્સ સિરિઝની ખ્યાતનામ લેખિકા, શ્રીમતી જે.કે. રોલિંગ (Joanne "Jo" Rowling, જન્મ-૩૧ જુલાઈ ૧૯૬૫.)

લેખિકા જે.કે. રોલિંગ,પોતાના પ્રથમ પતિ, પૉર્ટુગિઝ ટીવી.જર્નાલિસ્ટ જ્યોર્જ અરૅન્ટ્સ સાથે પરસ્પર સંમતિથી અલગ થયા બાદ, પોતાની દીકરી જેસિકાને વાર્તા સંભળાવતાં,સંભળાવતાં એટલાં સુપ્રસિદ્ધ લેખિકા સિદ્ધ થયાંકે, વિશ્વવિખ્યાત ‘ફોર્બ્સ’ મેગેઝિને ત્રીસ પ્રેરક મહિલાઓની યાદી તૈયાર કરી તેમાં’હેરી પોટર’ની સિરીઝ થકી જાણીતાં થયેલાં લેખિકા જે. કે. રોલિંગનો સમાવેશ કરીને, તેમના વિશે લખવું પડ્યું કે ‘સિંગલ મધર હોવા છતાં રોલિંગે લેખન ક્ષેત્રે પોતાનું નામ રોશન કર્યું છે. રોલિંગ માઇલસ્ટોન સમી મહિલા છે.’ આ લેખિકા, એ માતાનું એક એવું રૂપ છે જે, પોતાનાં નાનાં બાળકો માટે એક વાર્તાનો ખ્યાલ મનમાં લાવે છે અને તે બેસ્ટ સેલિંગ પુસ્તકો, સુપર-ડુપર હીટ ફિલ્મનું રૂપ ધારણ કરીને અનેક પેઢીને તારી શકે,તેટલું અઢળક ધન કમાઈ આપે છે.

આપણા દેશની પણ, આવી કેટલીક,`Super Mom`નો ઉલ્લેખ જો `ન કરીએ તો, આ લેખ અપૂર્ણ ગણાશે..!!

* શ્રીમતીપ્રતિભા પાટિલ- ભારતના આદરણીય મહામહિમ, પ્રથમ સ્ત્રી રાષ્ટ્રપતિ.

* શ્રીમતીસૉનિયા ગાંધી-નેશનલ કૉંગ્રેસ પ્રમૂખ તથા યુ.પી.એ.ની કેન્દ્રિય સરકારના ચેરપર્સન.

* શ્રીમતીસુષ્મા સ્વરાજ-કાયદાશાસ્ત્રી,ભૂ.પૂ. કેન્દ્રિયમંત્રી(Minister of Information and Broadcasting) તથા હાલ લોકસભાના વિરોધ પક્ષના નેતા.(ભા.જ.પા.)

*શ્રીમતીવસુંધરારાજે સિંધિયા- ભૂતપૂર્વ કેન્દ્રિય રાજ્યમંત્રી (External Affairs)તથા રાજસ્થાનના ભૂ.પૂ.મૂખ્યમંત્રી.

*શ્રીમતીબ્રિંન્દા કારત- કમ્યૂનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયાના પ્રથમ મહિલા સદસ્ય.

* શ્રીમતીશીલા દીક્ષિત- સન-૧૯૯૮ થી દિલ્હી સરકારનાં મૂખ્યમંત્રી.

*શ્રીમતીઆનંદીબહેન પટેલ- ગુજરાત રાજ્યના પૂર્વશિક્ષણમંત્રી તથા હાલના મહેસૂલમંત્રી.


સંતાનની પ્રગતિમાં, માતાનું યોગદાન.

મિત્રો,જે માતા પોતાના ઉદરમાં આપણો દેહ આસાનીથી ઘડી શકવા સક્ષમ હોય તે આપણા જીવન ઘડતર માટે શું ના કરી શકે? ચિંતન કરવા યોગ્ય બાબત એ છેકે, માતા સર્જનાત્મક ગુણ ધરાવે છે તેથીજ, આપણા જીવનસાફલ્યમાં તેનું યોગદાન અમૂલ્ય છે.

બ્રિટિશ માનસચિકિત્સા ડૉ.મૅલાનૈ ક્લૈન (Dr.Melanie Klein-Psychotherapists; British Psychoanalytic Society)ના મત પ્રમાણે,"માતાના યોગદાનને મહત્વ આપી શકાય નહીં કારણકે, દરેક જટિલ સમસ્યાઓને ઓળખવાની કલ્પનાશીલતા (કલા),પ્રત્યેક બાળકમાં  નાનપણથીજ જન્મજાત હોય છે."

અન્ય એક બ્રિટિશ મનોચિકિત્સક,`Dr.D.W. Winnicott` ના માનવા પ્રમાણે,"સંતાનના જન્મ સાથેજ, સંતાન પર માતાના વિચારોનો પ્રભાવ,અસરકારક રીતે પથરાવા લાગે છે.સંતાનના યોગ્ય ઉછેર માટે, તેને સમય-સમય પર યોગ્ય માર્ગદર્શન અને વાતાવરણ એક માતા જ પૂરું પાડી શકે છે."

મારા નમ્ર મતે, `ડૉ.વિન્નીકૉટ્ટ`નું તારણ, વાસ્તવિકતાની ખૂબ નજીકનું, સત્ય જણાય છે. દરેક સમજદાર માતા પોતાનું સમગ્ર જીવન, પોતાના કુટુંબના ઉત્કર્ષ કાજે વિતાવે છે. પોતાના સંતાનને,સમાજમાં માન-મોભો તથા આબરૂદાર સ્થાન અપાવનાર, એક માતા જ હોય છે. તેથીજ તો કહેવાય છેકે,"દરેક સફળ પુરૂષની પાછળ એક સ્ત્રીશક્તિ છૂપાયેલી હોય છે."

* પોતાનાં એકથી વધારે સંતાનોને એકસૂત્રમાં બાંધવા.

* સંતાનોને એકમેકની સહાયથી જીવનમાં પ્રગતિના પંથે અગ્રેસર કરવા.

* સંતાન અનુભવવિહોણાં હોવાથી,જીવનમાં મૂંઝાય ત્યારે સાચો માર્ગ બતાવવો.

*સંતાન સમજી શકે તેવી ભાષામાં,તેનામાં છૂપાયેલી ક્ષમતાઓની તેને ઓળખ કરાવવી.

* નકારાત્મક વિચારો-લઘુતાગ્રંથિને દૂર કરવામાં સહાયતા કરી,સંતાનને આત્મવિશ્વાસ કેળવવામાં મદદગાર થવું.

* પોતાના સંતાનોને, સમાજ સમક્ષ, તેમની મહત્તમ પ્રતિભા સાથે રજૂ કરવાં.

* કુટુંબના તથા સમાજના સર્વે સભ્ય પ્રત્યે, આદર,માયા અને હેતનો ભાવ જાળવવાના સદ્ગુણનું સિંચન કરવું

*ઘર-કુટુંબનું વાતાવરણ આનંદમય-શાંત રહે તે રીતે,પરસ્પર લાગણીને તાજી રાખીને, સદૈવ હૂંફાળું વાતાવરણ રાખવું.

* સમય આવે, માતાનો પ્રેમ તથા પિતાની શિસ્તબદ્ધતા, બંને બાબતોનો સમન્વય અપનાવીને, પ્રેમ અને કાળજીપૂર્વક, સંતાનને સાચું વ્યવહાર જ્ઞાન કરાવવું .

આ ઉપરાંત, માતાનાં એવાં તો અનેક યોગદાન છે, જેનું વર્ણન કોઈ એક લેખમાં કરવું કોઈપણ લેખકની પહોંચ બહારની બાબત છે.

આપણા જીવન ઘડતરમાં માતાના યોગદાન અંગે,ચર્ચા સમયે, એક અજાણ્યા સંતને કોઈ સચોટ ઉદાહરણ દર્શાવવાની વિનંતી કરતાં તેઓએ,મને અનાયાસ એક ઉમદા ઉદાહરણ દર્શાવ્યું. સંતે મને કહ્યું, "પોતાના બાળકને સ્તનપાન કરાવતી વેળાએ, માં પોતાના બાળકના ચહેરા પર પોતાની સાડીના પાલવનો છેડો ઓઢાડીને તેને "કૂકડી કૂક" જેવા અવાજ સાથે, સંતાકૂકડીની રમત રમાડતી હોય છે,તેની પાછળનો શુભાશય એ છેકે,"બેટા, કાલે ઉઠીને હું હોઉં કે ન હોઉં..!! પણ આ અજ્ઞાનના અંધારાથી ભરેલા, આ વ્યર્થ સંસારમાં, અત્યારથી જ તું તારો પ્રકાશમય માર્ગ જાતે શોધતાં શીખી જા..!!" જોકે, તેથીજ તો સંસારમાં માતાને, બાળકની પ્રથમ ગુરુ હોવાનું ગૌરવ પ્રાપ્ત થયું છે.

ચાલો, આજે આપણે પ્રમાણમાં, અજ્ઞાત માતાના, જગવિખ્યાત સંતાનોના, પોતાની માતા પ્રત્યેના વિચારને જાણી, તેમાંથી જીવન ઉપયોગી પ્રેરણા મેળવવાનો એક નમ્ર પ્રયાસ કરીએ.

* અબ્રાહમ લિંકન," મેં જીવનમાં જે કાંઈ મેળવ્યું છેતે, મારી દેવદૂત સમાન માતાને પ્રતાપે પ્રાપ્ત કર્યું  છે. જે વ્યક્તિ પાસે, ઈશ્વરમાં અનન્ય આસ્થા ધરાવતી,પ્રેમાળ માતા હોય, તેણે પોતાની જાતને ક્યારેય દરિદ્ર માનવી ન જોઈએ."

* નેપોલિયન," હે દેશવાસીઓ, તમે દેશને, પ્રેમાળ સારી માતાઓ આપો અને સારા સંતાનોની તમામ જવાબદારી સ્વીકારવા દેશ તૈયાર છે."

* થૉમસ આલ્વા ઍડિસન," મારા જીવનમાં, મારી માતાએ મારામાં સતત વિશ્વાસ મૂક્યો, તે સમય મારા માટે ઘણોજ ચિંતાજન્ય હતો. મારી માતાને વિશ્વાસ હતોકે, હું દરેક કાર્યમાં સફળતા મેળવીશ તેથીજ, હું મહાન શોધક બની શક્યો."

* ઍરિસ્ટોટલ-" પિતા કરતાં, માતા સમક્ષ બાળકો વધુ આત્મીયતા અનુભવે છે."

* વિલિયમ ગૉલ્ડસ્મીથ બ્રાઉન- " મૃત્યુશય્યા પર સૂતેલા માનવીને ત્રણ બાબતથી શાતા વળે છે, માતાનો અવાજ,ઘરનું આંગણું અને સ્વર્ગ..!!"

* ઍમિલિ ડિંકિન્સન-" તમે જ્યારે ખૂબ ઉતાવળમાં હોવ ત્યારે એકમાત્ર માતાને તમે તકલીફ આપી શકો છો."

* બૅવર્લી જૉન્સ-" માતા ઘરનાં તમામ કાર્ય આપોઆપ કરી શકતું, એક સ્વચાલિત ઉપકરણ છે."

* જૅમ્સ રૂસેલ લૉવેલ-" માતાના ચરણોમાં જગતની સર્વશ્રેષ્ઠ યુનિવર્સિટી સમાયેલી હોય છે."

* વિક્ટર હ્યુગૉ-" માતાના સુકોમળ હાથમાં સંતાન નિરાંતની ઊંઘ લઈ શકે છે."

* શૅરોન લૉરા ઍડન્સ- "મારી માતા એક એવું  કાવ્ય છે, જે લખવા હું સક્ષમ નથી, છતાંય હું જે કાંઈ લખુ છું, તે મારી માતાને મન કાવ્ય છે."

માતૃવંદના અને ફિલ્મ જગત.

વિશ્વના કોઈપણ દેશની ભાષામાં, માતા અંગેના કથાનક પર નિર્માણ થયેલી લગભગ તમામ ફિલ્મ બૉક્સ ઑફિસ પર સફળ થતી જોવા મળે છે.

ભારતમાં જુની ફિલ્મના યુગમાં,શ્રીઅશોકકુમારની `દાદીમા`, ઑસ્કાર નામાંકિત ફિલ્મ-`મધર ઇન્ડિયા` ઉપરાંત, મદ્રાસની ફિલ્મ નિર્માણ સંસ્થાઓ, એ.વી.એમ. ઘરાના,જેમીની વગેરે દ્વારા પણ પારિવારિક સ્વચ્છ મનોરંજક ફિલ્મમાં,`માતૃ દેવો ભવઃ।`નો સંદેશ હમેશાં કેન્દ્રવર્તી રહેતો.

આધુનિક કથાનકના સમયમાં, ફિલ્મ`ચાંદનીબાર`ની પોતાના બાળકને ઉછેરવા તન વેચવા મજબૂર થતી માતા તબ્બુ, ફિલ્મ- `કોઈ મિલ ગયા`માં જિનીયસ પરંતુ પાગલ ગણાતા દીકરાની માં રેખા, ફિલ્મ-`પા` માં રોગગ્રસ્ત દીકરાને એકલા હાથે ઉછેરી, તેના મૃત્યુના આઘાત ને પચાવી જાણતી માતા વિદ્યા બાલન, ફિલ્મ,`ક્યા કહના`માં કુંવારી માતા પ્રિટી ઝિંટા વગેરે ઉલ્લેખનીય છે.

આપણી પૌરાણિક કથાઓમાં પણ આવા ઉદાહરણ જોવા મળે છે. જેના નામ પરથી આપણા દેશનું નામ પડ્યું છે તે ભરતરાજાની માતા શકુંતલા, શ્રીરામ દ્વારા વનવાસનો આદેશ આપ્યા બાદ, લવ-કુશને એકલા હાથે ઉછેરતાં સીતામૈયા,પાંડુરાજના અવસાન બાદ પાંચ પાંડવોને એક માત્ર ભગવાન ભરોસે ઉછેરતાં કુંતામાતા, ઉલ્લેખનીય છે.

કલિયુગ અને માતાનું સ્થાન.

અમારી સોસાયટીમાં, સાંજની ફાલતુ-સભામાં, ભગવાન શ્રીશીવજી મંદિરના બાંકડા પર, બેસીને,`મધર્સ ડૅ` એટલે શું?" ના પ્રશ્નના જવાબમાં, ત્યાં હાજર તમામને,`મધર્સ ડૅ` નો મહિમાગાન કરતી એક `બોધકથા` મેં કહી સંભળાવી,

"આપણા દેશના રાજકારણ અને કુશળ મહામાત્ય આચાર્ય શ્રીચાણક્ય,  બાળપણમાં એક દિવસ ઘર પાસે, ઓસરીમાં માતાની પાસે રમી રહ્યા હતા, તે સમયે એક સિદ્ધ મહાત્મા, `ભિક્ષાન્ન દેહી મૈયા.` કહેતા આવી પહોંચ્યા.

ચાણક્યની માતાએ મહાત્માને મીઠો આવકાર આપી બેસાડ્યા અને જલપાન-ફળફળાદિની ભિક્ષા આપી. સિદ્ધ મહાત્માએ માતાને આશીર્વાદ આપીને જ્યારે જવા લાગ્યા ત્યારે, જગતની દરેક માં પોતાના બાળક માટે જે બાબત જાણવા કાયમ ઉત્સુક હોય છે તેજ બાબતે આતુરતા દર્શાવીને માતાએ, પોતાના દીકરા ચાણક્યનું ભવિષ્ય જાણવા ચાહ્યું.

સિદ્ધ મહાત્માએ,તરત ચાણક્યને પાસે બોલાવી, તેમના માથે હાથ મૂકી આશીર્વાદ આપીને,તેનું ભવિષ્ય ભાખ્યુંકે," તારા દીકરાના આગળના બંને દાંત જોઈને ભવિષ્ય ભાખું છુંકે, મૈયા તારા દીકરાના નસીબમાં રાજયોગ છે.તારો દીકરો એક દિવસ  જરૂર ચક્રવર્તી સમ્રાટ બનશે અને પરિવારનું નામ ઉજાળશે..!!" આટલો આશીર્વાદ આપી મહાત્મા તો ચાલતા થયા. પરંતુ, ચાણક્યએ જોયુંકે, મહાત્માની ભવિષ્યવાણી સાંભળીને માં ખૂબ ઉદાસ થઈ ગઈ છે?

ચાણક્યએ જિદ્દ કરીને માતાની ઉદાસીનું કારણ જાણવા ચાહ્યું,ત્યારે માં એટલું બોલી,"બેટા, તું મોટો ચક્રવર્તી સમ્રાટ બની જાય ત્યારે રાજકાજની વ્યસ્તતાને કારણે, તારા પરિવારને તો ભૂલીજ જઈશને?"

માતા આટલું બોલી રહી ત્યાંતો, ચાણક્યએ ઘર પાસેથી એક પથ્થર ઉઠાવી,પથ્થરના એકજ પ્રહારથી, પોતાના આગળના બંને દાંત તોડી નાંખ્યા અને બોલ્યા," લે બસ માં,તું ઉદાસ ન થઈશ. મને ચક્રવર્તી સમ્રાટ બનાવનારા આ બંને દાંત મેં તોડી નાખ્યા, તારી મરજી ન હોય તો, મારે સમ્રાટ નથી બનવું..!!"

બંને દાંત તૂટી જવાથી, ચાણક્યના ચહેરા પર લોહી વહેવા લાગ્યું.પોતાના દીકરાની અસીમ માતૃભક્તિ જોઈ,ચાણક્યની માતાએ, આંખમાં આંસુ સાથે, તેમને હેતથી ગળે વળગાડી,તેમની સારવાર કરવા લાગ્યા.

જોકે, મોટા થયા બાદ ચાણક્ય સમ્રાટ તો ન થયા પરંતુ, તેઓએ ચંદ્રગુપ્ત મૌર્યને સમ્રાટ જરૂર બનાવી દીધા."

`મધર્સ ડૅ`ના મહિમાગાનની આ બોધકથા સાંભળીને, અમારી સામેના ખાંચામાં રહેતા અને નિવૃત્તિ બાદ, એક `ઘરડાઘર`માં સેવાર્થે ટ્રસ્ટી તરીકે ફરજ બજાવતા, આશરે ૭૫ વર્ષની વયે પહોંચેલા ચંપકકાકા, મારી ઉપર બરાબર બગડ્યા.

મને કહે," તું આ બધી બોધકથાઓ બધાને કહેતો ફરે છે,તે અત્યારે ચાણક્યનો જમાનો હજુ ચાલે છે? આ વરસના વચલે દહાડે, એકવાર પોતાની `માં` ની  સાવ ખોટે-ખોટી ખુશામત કરીને પછી બાકીના દહાડા તેને લોહીનાં આંસુથી રડાવનારા કલિયુગમાં તારી બોધકથાને કોણ સાંભળશે? વરસના બાકીના દહાડા તો, માં ને પડતી મૂકીને, પોતાની `બકી` (પત્ની) પાછળ ફર્યા કરે છે. મારી વાત ખોટી હોય તો લે આ કાગળ વાંચ..!!"

ચંપકકાકાએ ઉગ્ર આક્રોશ ઠાલવીને, તાજેતરમાં જ,`ઘરડાઘર`માં દાખલ થયેલી, એક દુઃખી માતાએ, પોતાના દીકરાને પહોંચાડવા, ચંપકકાકાને આપેલો પત્ર,સહુને વાંચવા આપ્યો..!!

એક વિધવા માંનું વ્યથાવલોણું.

"માણસને માણસનો થાક લાગે, કેવી અજબની આ વાત લાગે..!!
બાથ ભરી જ્યાં મેં એકલતાને, ચોમેર કરડતી કમજાત લાગે..!!"


"મારા વહાલા દીકરા,

આજે હજીતો તું ઑફિસ પહોંચ્યો જ હોઈશ અને મને યાદ આવતાં, મેં કેલેન્ડરનાં પાનાં ફેરવ્યાં. તું તો જોકે, બહુ નાનો, ફક્ત અઢી વરસનો હતો, એટલે તને તારા બાપાની યાદ તો ક્યાંથી હોય? પણ તારા બાપુ પણ આજ માસમાં, આ દિવસે જ પાછા થયા હતા..!! તેમના ગયા પછી, તને ઉછેરવા મારાથી જેટલું થયું, તેટલું તન તોડીને મેં કર્યું, પણ હવે હું સાઠે પહોંચી છું અને મારાં થાકેલાં તન-મન, હવે જવાબ દેવા લાગ્યાં છે.ગામડાનું ઘર વેચીને,તેં મને અહીં શહેરમાં બોલાવી અને હું તારા આગ્રહથી બધુંય વેચીસાટીને, શહેરમાં આવી પણ ગઈ. તારી વહુના કહેવાથી,તે રકમથી, તેં વહુના નામે અહીં મકાન લીધું તોય, મને મનમાં સહેજે લાગી ન આવ્યું.

પરંતુ ભાઈલા, હું આવી ત્યારથી, મારી સાથે જાણે ગયા ભવનું વેરઝેર હોય તેમ,તારી વહુને હું દીઠી ય ગમતી નથી.

ઘરનું કામકાજ તો, માનોને કે હાથપગ ચાલે ત્યાં સુધી હું કરવા લાગુ,પણ ભાઈલા,ઘૂંટણના દુખાવાને લીધે, શાકભાજી લેવા, દૂર શાક-માર્કેટ સુધી હવે મારાથી નથી જવાતું. તેમાં પાછું આ ડાયાબીટીસને લીધે ગમે ત્યારે, શુગર ઘટી જાય અને રસ્તામાં ચક્કર આવે છે.તેમાં પાછો તારો મુન્નો જીદ કરીને મારી સંગાથે થાય તો, તેને ઊંચકવાનો.મારું હવે ગજું છે?

ડાયાબીટીસની ગોળીઓ ખલાસ થઈને, ખાલી પત્તું થઈ ગઈ છે,તારી વહુને કહ્યું તો વડચકું ભર્યું. રોજ શાકભાજી લાવવા જેટલા પૈસા ગણીને આપે,ગણીને હિસાબ પાછો લે.વધારે એક રૂપિયો આપે તો મારી દવા લાવુંને? સાંજે થાકેલો-પાકેલો તું આવ્યો હોયને તને કહી દઉં તો, બીજા દિવસે વહુ, સવારની થાળીનો મારો કોળિયો કકળાટથી ભરી મૂકે..!!

હવે તો તારો મુન્નો પણ રમવા માટે, મને ચ્હા પીતાં-પીતાં હીંચકેથી ઉઠાડી મૂકે છે. ઘૂંટણના દુખાવાને લીધે હીંચકેથી ઊઠતાં, મને વાર લાગે તો, તેની માંની મને બીક બતાવે છે..!! બેટા, અત્યારે, તારા બાપા, મને બહુ યાદ આવે છે, ગામડે ઓસરીમાં બાંધેલા હીંચકે,તને ખોળામાં લઈને, ચ્હા પીતાં-પીતાં, અમે બંને કેવી મઝાથી, હીંચકે ઝૂલતાં હતાં.

જોકે મુન્નાની બાળહઠ સામે નમી જઈને હું તો હીંચકેથી ઉઠી જાઉં છું અને મન મનાવું છુંકે, હશે આમેય તારા બાપુની જગ્યા હવે હીંચકે સાવ ખાલી જ થઈ ગઈ છેને?

પણ બેટા, આજે તો હદ થઈ ગઈ, આજે તારા બાપુની સંવત્સરી હતી અને મેં વળી તારી ફોઈને આગ્રહ કરીને બપોરે જમવા બોલાવી.તારી વહુને ગમ્યું નહીં હોય કે ગમેતે થયું.મારી કાળજી રાખવા બાબતે તારી ફોઈએ વહુને બે શબ્દ શિખામણના કહ્યા, તેમાં તો વહુએ, તારી ફોઈને ખરાબ વેણ કહીને, ઘરમાંથી જતા રહેવાનું કહી, એવો તો ધક્કો માર્યોકે, તે આવ્યાં હતા તેવાંજ વળતા પગલે, રડતી આંખે અને કકળતા હ્રદયે, જમ્યા વગર ચાલતા થયાં. આવું થયા પછી મારા ગળે કોળિયો ઉતરે? મેંય ના ખાધું..!!

બેટા, આ બનાવ તને કહેવાની મારી હિંમત નથી. મારા કારણે, તારા સંસારમાં પલીતો ચંપાય તેમ હું, નથી ઇચ્છતી, પણ મારાથી હવે સહન થતું નથી. ગામડે પાછા જવાનું ઠામ-ઠેકાણું નથી..!! મને થાય છેકે તારા બાપા તેમની હારે મનેય લેતા ગયા હોત તો સારું થાત..!!

મેં  મારા મનને કાઠું કરીને અત્યારે એક નિર્ણય કર્યો છે. હું બધી તપાસ પણ કરી આવી,ત્યાં તારે એકપણ રૂપિયો ભરવાનો નથી. તારું ખરાબ ન દેખાય તેથી, કોઈને કહ્યા વગર, અત્યારે હું ચંપકકાકાના ઘરડાઘરમાં રહેવા આવી ગઈ છું..!! તું ચિંતા ના કરીશ.અહીં હું કોઈને તારી ઓળખાણ નહીં આપું..!! તારા બાપા,કોઈપણ કામ ચોઘડિયું જોયા વગર નહતા કરતા,જોને, અત્યારે પણ ત્રણેય ચોઘડિયાં પણ સારાં છે,તેથી હું ઘરમાંથી કશુંજ લીધા વગર નીકળી ગઈ છું ..!!

બેટા,તને સમય ના મળે અને તારાથી કે તારી વહુથી મને મળવા ન અવાય તો, મનમાં દુઃખ ના ધરતો..!! આ સંસારમાં જે આવે છે તેણે એક 
દિવસ પાછા જવુંજ પડે છે..!! 

એમ માનજે કે હુંય તારા બાપાની પા..છ..ળ..!!

તારી અભાગી વિધવા માં."

અમારી સોસાયટીની સાંજની ફાલતુ-સભામાં, દુઃખી માતાએ કકળતા હ્યદયે લખેલો પત્ર, મોટેથી વાંચી સંભળાવીને, ઝળઝળિયાં ભરેલી આંખે, મેં જ્યારે ઊંચે જોયું તો, ત્યાં હાજર સર્વે કોઈના ચહેરા પર કારમા વિષાદનાં વાદળ છવાઈ ગયા હતાં. સહુ કોઈની આંખ ભીની હતી. 


છેલ્લે આક્રોશના માર્યા, દીકરા ઉપર અકળાયેલા ચંપકકાકા એટલુંજ બોલ્યાકે,"માનોને કે વહુ તો પારકી છે પણ આ નપાવટ દીકરાને ઘરમાં શું ચાલે છે તેનું ભાન નહીં હોય? મનમાં તો એવું થાયછેકે, આ પત્ર આપવા જાઉં ત્યારે, આ નઘરોળ ચાણક્ય દીકરો અને તેની વઢકણી વહુ, બંનેના 
આગળના દાંત, પથ્થર મારીને હું જ તોડી નાખું..!!" 

મનમાં અત્યંત દુઃખ ભરીને અમારી ફાલતુ-સભા તો જાણેકે વિખેરાઈ ગઈ,પરંતુ મારા મનમાં અનેક સવાલ છોડતી ગઈ..!!

" શું આપણે, આપણી પ્રેમાળ માતાના અમૂલ્ય બલિદાનને આજકાલ,`TO BE GRANTED` તરીકે લેવાનું શરુ કર્યું છે?"

લેખના મથાળે આપણે નોંધ્યું છે તેમ, માતાનો અર્થ આપણે કેવળ સ્થૂળ દૈહિક સ્વરૂપ ન ગણવો જોઈએ..!! અહીં માતા એટલે આપણી `જન્મદાતા માં`, આપણી માતૃભૂમિ આપણી `ભારતમાતા`, આપણને સોના-હીરા-મોતી જેવું કિંમતી ધાન્ય ઉગાડીને, એક બીજમાંથી લાખો-કરોડો બીજનું  વરદાન આપી આપણા કોઠાર છલકાવનારી `ધરતીમાતા`, આપણી `જન્મદાતા માં` ની માફક આપણા દેશમાં દૂધ-માખણ-ઘી કેરી સરિતા વહેવડાવી આપણને સતત તરોતાજા રાખતી પવિત્ર `ગૌમાતા`, છેક હિમાલયના શિખરોથી અનેક તકલીફ વેઠીને આપણા સુધી પવિત્ર જળને સદૈવ પહોંચાડવા મથતી,પૂજનીય (પરંતુ, હવે મેલી) `ગંગા-જમના-નર્મદા મૈયા`, આ દરેક માતા આજે તેમનાંજ ઉછેરેલાં સંતાનોનાં,મનસ્વી,અવિચારી કરતૂતથી હેરાન-પરેશાન છે..!!

* શું પોતાના સંતાનનું ભવિષ્ય જાણવા અધીરી બની જતી, આપણી `જન્મદાતા માં`ના ખુદના ભાગ્યમાં, તેણે જ ઉછેરેલાં સંતાનોની ગુન્હાહિત ઉપેક્ષાને કારણે,`જીવતા છતાં મૂવા` જેવી હાલતમાં શ્વાસ લેવા સાથેનો, સવાર-સાંજનો કકળાટભર્યો કોળિયો લખાયેલો છે? 


શા માટે,`ઘરડાઘર`ની સંખ્યા દિનરાત વધતી જાય છે? શા માટે દીકરીને ગર્ભમાં મારી નખાય છે. શું તે દીકરી ભવિષ્યમાં કોઈની પ્રેમાળ માતા ન બની હોત? તો શું સ્ત્રીભ્રૂણ હત્યા, તે (ગર્ભપાત) એક માતા ની હત્યા નથી? 

આપણે ક્યા મોઢે, `મધર્સ ડે` ઉજવવાની નિર્લજ્જ ચેષ્ટા કરીએ છે?

* શું ઘરતીમાતાની ઉદારતાનો દુરુપયોગ કરીને, તેની ભીતરથી ધાવણને બદલે તેનું રસકસભર્યું રક્ત ચૂસાઈ જાય ત્યાં સુધી માઁ ધરતીને અનેક પ્રકારે ચૂસવાની તથા તેની ઉદારતાનો ગેરલાભ ઉઠાવવાની ગંભીર ભૂલ આપણે કરી રહ્યા છીએ, તેમ નથી લાગતું?

* શું મુંગી અને અબોલ પવિત્ર ગોમાતાનું ધાવણ સૂકાય જતાંજ તેને કતલખાનાને હવાલે કરી દઈને, આપણી ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારની મજાક, આપણે જાતેજ જ નથી ઉડાવી રહ્યા? શા માટે, માંસાહારી હૉટલ-રેસ્ટોરન્ટની સંખ્યા વધતી જાય છે? જેના ધર્મમાં નિષેધ હોય તેવા લોકો શા માટે, જીભના ચટાકા લઈને, ગોમાંસની (નોન-વેજ) જ્યાફત ઉડાવવા, આવી માંસાહારી હૉટલ-રેસ્ટોરન્ટમાં પહોંચીને ભીડ કરતા જણાય છે?

* શું આપણા ઘર આંગણા સુધી, આપણને નિર્મળ જળ પહોંચાડવા, ઈશ્વરના વરદાનથી,ખળખળ જળ ભરી, બેય કાંઠે સતત વહેતી દેશની તમામ પવિત્ર નદીઓમાં, દુનિયાભરની ગંદકી અને મેલ ઠાલવીને, બાદમાં તેના જળને શુદ્ધ કરવા મશીનો વસાવી, વાતાવરણમાં મશીનનું પ્રદૂષણ ફેલાવી, હવા-પાણી દૂષિત કરીને, વળી પાછા તેજ જળને, પ્લાસ્ટિકનો નુકસાનકારક કચરો ઉત્પન્ન કરતા આવરણમાં લપેટી, ગર્વભેર મિનરલ વોટર પીધાનો વ્યર્થ સંતોષ ધારણ કરીને, દેડકાની માફક ફૂલાતા ફરીએ છે? શું આપણી બુદ્ધિ સાવ બહેર મારી ગઈ છે? શું આપણે આ તમામ નદીઓને હેરાન-પરેશાન કરીને, `સરસ્વતી નદી`ની માફક લુપ્ત કરી દેવાની પ્રતિજ્ઞા લીધી છે?

* ક્યાં ગયા, ભારતમાતાના મહાન સપૂત છત્રપતિ શિવાજીમહારાજ જેવા સમજદાર પણ શૂરવીર પરિવારપ્રેમી, સંસ્કારી, સાત્વિક, સંતાનો?

“આભમાં ઊગેલ ચાંદલો ને,જીજાબાઈને આવ્યા બાળ રે, બાળુડાને માત હીંચોળે.ધણણણણણણ ડુંગરા ડોલે,એ શિવાજીને નીંદરુ ના આવે,માતા જીજાબાઈ ઝુલાવે...”

* શું જીજાબાઈના આ હાલરડાંનો પ્રભાવ, કલિકાલે નષ્ટપ્રાય કરી નાખ્યો છે?

પ્રિય મિત્રો, આ ઉદ્દેશ્યલક્ષી લેખ,જગતના કોઈપણ સંતાનને અપમાનિત કરવા નથી લખાયો. આ લેખનો શુદ્ધ હેતુ તો માત્ર સમાજના તમામ વિચારશીલ, લાગણીશીલ માનવીઓને, મનોમંથન કરવા મજબૂર કરીને, જરા વિચારતા કરવા પુરતો જ હોઈ શકે. જે આપણને પાળે-પોષે, પ્રેમપૂર્વક મોટા કરે,આપણી પ્રગતિના રાહબર બને, આપણને ઉજળા સંસ્કાર અર્પી આપણી ભાવિ પેઢીને પણ સુસંસ્કૃત કરે, તેમની ઘડપણની ટેકણ-લાકડી બની રહેવાને બદલે, તેમને દુઃખની ઊંડી ખાઈમાં ધકેલી દેવા જેવો, અધર્મ આચરીએ, ત્યારે એ `જન્મદાતા માં`;`માભોમ`; ગોમાતા; કે પછી ગંગા-જમના-નર્મદામૈયા (નદીમાતા),સર્વે લાચાર થઈને, હ્રદયની કકળતી આંતરડીએથી,એક સ્વરે એમ કહેકે,

"જનની જણે તો જણજે, કાં દાતા કાં સૂર, નહિ તો રહેજે વાંઝણી, તારું મત ગુમાવીશ નૂર..!!"


દેશમાં, ભ્રષ્ટાચાર વગર, પોતાનાજ હક્ક માટે, પોતે ચૂંટેલી સરકાર સામે,જનતાને આમરણાંત ઉપવાસનું શસ્ત્ર ઉગામવું પડે, ત્યારબાદ પણ તેને કાયદાનું સ્વરૂપ આપતાં પહેલાં, આ સંઘર્ષને ખોરંભે પાડવા, ભ્રષ્ટ રાજકારણી-નેતાઓ દ્વારા અનેક પ્રકારના કાવાદાવા કરવામાં આવે, જ્યાં અનેક ઊગતી પ્રતિભાને ઊગતાં જ ડામી દેવાના કારસા ઘડવામાં આવે, જ્યાં ગરીબોના ઉત્કર્ષના નામે,સરકારી યોજના દ્વારા, નેતાઓ પોતાની `ગરીબી(?)` દૂર કરવા પ્રયત્નશીલ હોય, જ્યાં શિક્ષણ શિથિલ અને વિદ્યા કથીર દીસતી હોય, જ્યાં ઘન ખર્ચતાં બનાવટી ડિગ્રીઓ સરેઆમ વેચાતી મળતી હોય,જ્યાં દલા તરવાડી બનીને, ગરીબ જનતાના ભોગે, સરકારી નોકરશાહ તથા સંસદસભ્યો અને ધારાસભ્યો, જાતેજ `બે-ચાર રીંગણ ને બદલે દસબાર રીંગણ`નો માતબર વેતનવધારો કરી માલામાલ થતા હોય? ત્યારે, હે ભારતમાતા, તારા મનમાં, `આના કરતાં તો હું વાંઝણી રહી હોત તો સારું..!!` તેવો વિચાર આવે તે સાવ સ્વાભાવિક બાબત છે.

`છોરું કછોરું થાય છે, પણ માવતર કમાવતર નથી થાતા..!!" તે ન્યાયે, `જન્મદાતા માં`, `ભારતમાતા`, `ધરતીમાતા`,`ગોમાતા`, કે પછી પવિત્ર `સરિતા માતા`(નદીમાતા) તો તેનો પાલવ પહોંચશે ત્યાંસુધી આપણ સહુ સંતાનોને તેની શીતળ છાંય અવશ્ય પૂરી પાડશે, કારણકે, સમર્થ ગુરુ પ્રાપ્તિ માટે, એમ કહેવાય છેકે, "બિના હરિ કૃપા મિલે નહીં સંતઃ।", સત્ય કથન છે પરંતુ, "બિના હરિ કૃપા, બરસતી રહે મૈયા।" 

માતાના અપાર ૠણને યાદ કરવા, સન્માનવા, કોઈ એક દિવસ નક્કી કરીએ, અનેક પ્રકારનાં ગ્રીટીંગ કાર્ડ વહેંચીએ, જેને આખું વર્ષ હડધૂત કર્યાં હોય તેને તે દિવસે મોંઘી ભેટ આપીએ, તેનાં ભાતભાતનાં ગીત-કવિતાઓ બનાવીને લલકારીએ, તે દિવસનો મહિમા વર્ણવતા લેખો લખીએ, તેના ગુણગાનનાં દળદાર પુસ્તકો છપાવીએ-ખરીદીએ, એકબીજાને જાતજાતના લાગણીહીન-અર્થહીન SMS-EMAILS ફોરવર્ડ કર્યા કરીએ, આ દિવસના બહાને મોટી-મોંઘી હોટલોમાં પાર્ટીઓ મનાવવા અઢળક ખર્ચ કરીએ, તે સઘળી સારી બાબત હશે,તેની ના નથી..!!

પરંતુ, આપણી આદ્યશક્તિ માઁઅંબા,ખોડિયાર,આશાપુરા,ચામુંડા આખા જગતની માતા તરીકે પૂજાય છે, ત્યારે સમગ્ર પૃથ્વીનો કાગળ બનાવીએ,સમગ્ર સાગરને શાહી બનાવીએ,સમગ્ર વૃક્ષની કલમ બનાવીએ, છતાંય જેના ગુણ વર્ણવી ન શકાય, તે છે માં..!! 

માં નું વર્ણન કરવાનું ન હોય, માં નો તો આકંઠ અનુભવ કરવાનો હોય..!!

અંતમાં, હિન્દી સાહિત્ય જગતના સુપ્રસિદ્ધ કવિવર શ્રીઑમ વ્યાસજીના શબ્દોમાં કહીએ તો,

"माँ संवेदना है, भावना है अहसास है , माँ जीवन के फूलों में खुशबू का वास है। माँ  कलम है, दवात है, स्याही है, माँ, माँ परमात्मा की स्वयं एक गवाही है, ॥ माँ का महत्व दुनिया में कम हो नहीं सकता,और माँ जैसा दुनिया में कुछ हो नहीं सकता ।
 
.....तो माँ की ये कथा अनादि है, ये अध्याय नही है और माँ का जीवन में कोई पर्याय नहीं है ॥

અસ્તુ.

(આપને લેખ કેવો લાગ્યો? આપના પ્રતિભાવ જરૂરથી પાઠવશો.)

mdave42@gmail.com

માર્કંડ દવે. તા.૨૪-૦૪-૨૦૧૧.

7 comments:

  1. Jayesh Parikh to me, gujblog

    show details 8:01 PM (2 minutes ago)

    પ્રિય માર્કંડભાઈ દવે,

    અંત:કરણપૂર્વક અભિનંદન ! ધન્યવાદ !

    અતિ સુંદર હ્દયસ્પર્શી અને મર્મજ્ઞ લેખ....પ્રશસ્તિ માટે શબ્દો જડતાં નથી....

    વાંચીને.... કદાચ કોઈક આ ભરમારવાળા રસ્તેથી પાછો વળે તો લેખકના પ્રયત્નને નિર્ધાર મા-બાપના કોટિ કોટિ આશીર્વાદ સાંપડશે.

    જયેશ પરીખ

    ReplyDelete
  2. malhar bhatt to me

    show details 8:46 PM (9 minutes ago)

    Shri Dave saheb,

    khub j saras lakhyu 6e, aape.
    Hu hamesha aap na lakhan no aashiq rahyo 6u, maro pariwar aap na motabhag na lekho vanche 6e, pan aaje to hu ekdum dhanya thai gyo saheb.

    Hates off to you.....

    jsk
    --
    Malhar B Bhatt
    Member SHE
    CGPL - A TATA Power Company
    +91 990 90 269 18
    malharsir@gmail.com
    malharsir@hotmail.com

    ReplyDelete
  3. આદરણીય માર્કંડ સાહેબ,

    આપે ઘણો સરસ લેખ લખ્યો છે. ઇતિહાસના દાખલાઓ અને વર્તમાન માતાઓની વિગતો પણ સરસ રીતે આપે વર્ણવી છે.

    પણ છેલ્લે લેખનો કરુણ અંત ખૂંચ્યો. મને માન્યામાં નથી આવતું, કે કોઈ સંતાનો આવા નિર્દયી પણ હોય.

    રીડગુજરાતી પર જયવતીબેનના 'ભાવિ વહુને પત્ર'ના અનુસંધાનમાં મેં વળતો પત્ર 'ભાવિ સાસુને પત્ર' લખેલો. પોતાના ૨-૩ વરસના અનુભવને આધારે.

    http://hirals.wordpress.com/category/letter-series/ અહીં બ્લોગ પર પણ વાંચી શકાશે.

    હું તો એટલું જ કહીશ કે હું ઘણી નસીબદાર છું અને ખરેખર ઉત્તમ ઉછેર પામી છું. પરિવારમાં (પિયરમાં) ઘણી ભાભીઓ, ફોઈ અને માસીઓ વગેરેનો પરિચય છે. સાસરીમાં સાસુ અને વડસાસુ છે.

    કોઈ પણ વડીલોને ઘરડા - ઘર જેવી કમનસીબી કે એવું ખરાબ જીવન જોયું નથી. હા, ક્યારેક બહુજ આત્યંતિક ધાર્મિકતા અને જડ સાસુઓ સામે, વહુઓને અન્યાય થાય છે.

    પણ પરિવારમાં પરિસ્થિતિ સંભાળાઈ જાય છે. એટલે મારા ગળે હજુ સુધી ઘરડાઘરોની વાતો - વાંચેલી કે સાંભળેલી મગજમાં ઉતરતી જ નથી.

    છેલ્લે એક જ પ્રાર્થના, કે દરેક માતા-પિતા સર્વોચ્ચ માતા-પિતા બને. દરેક સંતાનો વડીલોનું સન્માન કરવાવાળા બને.

    આટલો સરસ લેખ લખવા બદલ અભિનંદન.

    -હિરલ શાહ

    ReplyDelete
  4. શ્રી માર્કંડભાઈ,

    સમયની માંગ પ્રમાણે આપનો લેખ ખૂબજ હૃદયને અસરકારક -ભાવવાચક, માર્મિક રજૂઆત સાથેનો લેખ છે.

    આજના યુવા વર્ગ માટે બહુજ ઉપયોગી લેખ છે.

    ધન્યવાદ !

    ReplyDelete
  5. શ્રી માર્કંડ સાહેબ,
    આજે આપનો આ માં વિષે નો લેખ વાંચી ને મન ભરી આવ્યું. માં વિષે આપે જે પણ વર્ણવ્યું છે તે ૧૦૦% સાચી વાત છે કે જેના ઉદર થી જન્મ લેવા સ્વયં ઈશ્વર પણ આતુર હોય છે અને ત્રણેય દેવતાઓ જેના ચરણે શિશ ઝુકાવતા હોય તે માં નું ઋણ તો આપણે શું ચૂકવી શકવા ના, પણ હા તેના મમતાભર્યા પ્રેમ અને વ્હાલ ને આપણે સન્માન આપવું જોઈએ નહિ કે તેને કોઈ પણ કાળે અપમાનિત કરવી જોઈએ. દવે સાહેબ, આપને ખુબ ખુબ અભિનંદન આવા લેખ નું સર્જન કરી ને અમારા જેવા નવી પેઢી ના યુવાનોને માં વિષે ની લાગણી નું સાચું અને સાતત્યતાભર્યું જ્ઞાન આપવા બદલ.

    " માં "
    " માં, તું છે ઈશ્વર ની કૃપા, માં ".
    " માં, તું છે મમતા નો દરિયો, માં ".
    " માં, તું છે અવિરત વેહતી પ્રેમ ની સરિતા, માં '.
    " માં, તું છે વિશાળ હર્દય રૂપી વ્યોમ, માં'.
    " માં, ઈશ્વર અને તેના સર્જન પૃથ્વી, જળ, આકાશ માં સર્વત્ર તું જ વ્યાપ્ત છે, માં "
    " માં, કોટી કોટી કરોડ વંદન તુજ ને, માં".

    આભાર દવે સાહેબ.

    ReplyDelete
  6. maa te maa bija badha vagda na vaa.
    parth

    ReplyDelete

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.