Monday, September 13, 2010

સંતાકૂકડી

સ્વત્વ સાથે સંતાકૂકડી  

અર્થાત  સ્વયં નિરીક્ષણ - Self  Inspection
  

" રમે,   સંતાકૂકડી  મોજાં, જોને સાગર કિનારે..!!
  શમે,  ઉછળતાંજ, ને  પાછાં  કૂકે  છે  ઘૂઘવાટે..!!"


( કૂકે = કૂકડેકૂક જેવો, સંતાકૂકડી રમતાં હોય તેવો અવાજ)


=========

( નોંધઃ આ લેખમાં દર્શાવેલ, વિચારો દ્વારા, લેખકનો ઈરાદો, કોઈપણ વ્યક્તિની લાગણી દુભવવાનો, હરગીજ નથી. લેખક, દરેક વ્યક્તિના, સમાજ ઉપયોગી આચાર - વિચારનો આદર કરે છે. મહેરબાની કરીને, કોઈએ બંધબેસતી પાઘડી પહેરી લેવી નહીં.)

=========

પ્રિય મિત્રો,

આજકાલ, કેટલીય ન્યૂઝચેનલના પત્રકાર મિત્રોને, પોતે સમાજના સર્વ લોકોના  રખેવાળ કે હામી હોવાનો ખ્યાલ મનમાં, સળવળતાંજ, જાણે  પૂંઠે ચળ ઉપડી હોય અને તેને ખણીને, ઉપડેલી ચળની શાંતિ-આરામ અને સાથેજ  કૂથલીનો અવર્ણનીય, નિંદાનંદ માણ્યાનો સંતોષ પ્રાપ્ત થતો હોય તેમ, છાશવારે સમયની ખાનાપૂર્તિ કરવા અને સનસનાટી જગાવવા, સ્ટિંગ ઑપરેશનના બહાને, કોઈની પણ તથાકથિત સમાજ વિરોધી પ્રવૃત્તિ,વાણી અને આચરણને, `BREAKING NEWS` ના નામે જાહેરમાં, રીપીટ ટૅલીકાસ્ટ દ્વારા, વારંવાર પ્રસારિત કરીને આપણા માથે ઠોકે  છે?

જોકે, એતો સ્પષ્ટ છેકે...!!

* માનવી બીમાર હોય તો સાજો થવા, ડૉક્ટરકે વકીલ પાસે જાય..!!

* માનવીથી જાણેઅજાણે ગુન્હો થયો હોય તો બચવા, ક્રિમિનલ લૉયર પાસે જાય..!!

* માનવીને મનની શાંતિ મેળવવી હોય તો, ધર્મ-કર્મ કે  કહેવાતા (કળીયુગી?)  સંત,સાધુ,ઑલિયા, ફકીર કે પાદરી પાસે જાય..!!

હવે વિચારોકે, બીમાર માનવી ડૉક્ટરને બદલે લૉયર પાસે જાય તો?

તેજ પ્રમાણે, કોઈ  ગુન્હેગાર લૉયરને બદલે, સંત,સાધુ,ઑલિયા, ફકીર કે પાદરી પાસે જાય અને  આ સૉ-કૉલ્ડ ધર્મરક્ષકો, પોતાના શરણે આવેલા ભક્તના મનની શાંતિ કાજે, પોતાનાજ  અન્ય ફૉલોઅર્સ એવા ડૉક્ટર, લૉયર, ઈંન્કમટેક્ષ પ્રેક્ટિશ્નર કે કમિશ્નર અથવા ઉંચા પદ પર બિરાજમાન, રાજનીતિજ્ઞને મળી, તેની  સમસ્યાને હલ કરવાની સલાહ, ગુન્હેગારને આપે તો?

તો...? તો, ન્યૂઝચેનલ માટે, સ્ટિંગ ઑપરેશન કરવા જેવી, `BREAKING NEWS` સ્ટોરી ગણાય?

* શું  પોતે વાલિયા લૂંટારામાંથી વાલ્મીકિ ૠષિની કક્ષાએ, પહોંચ્યા બાદજ, આ પ્રકારે, સમાજના રખેવાળની, તેઓ ફરજ અદા કરી રહ્યા છે?

* શું, આ પ્રકારે,યેનકેન પ્રકારે, પૂર્વઆયોજીત, `BREAKING NEWS` સ્ટોરી નિર્માણ કરીને,  સમાજના પ્રહરી બનવાની ખેવના રાખનાર સર્વે, `બદનામ હુએ તો ક્યા, નામ તો હુઆ..!!` ની માનસિકતા સાથે, અગ્ર સમાચારોના હેડિંગમાં, છવાયેલા રહેવા ઈચ્છે છે?

* શું પોતાની `સૉ કૉલ્ડ દુકાનો` ચલાવવા, સનસનાટી મચાવવા, અખબારી કૉલમની કે ચેનલના સમયની ખાનાપૂર્તિ કરવાના મોહમાં, કેટલાક  સૉ કોલ્ડ, વંઠેલા સંત, સાધુ, ઑલિયા, ફકીર કે પાદરી, જેવીજ રીતરસમ અપનાવવાનો, પોતે પણ, સતત ગુન્હો તો નથી આચરતાને?

* શું સમાજના, ખાસ કરીને,  દરેક સ્વસ્થ વિચારક, વિદ્વાન વાચક, ચેનલ વ્યૂઅરના ગમા-અણગમાને ધ્યાને લઈને,  શું પીરસવું? કેટલી માત્રામાં પીરસવું? કેટલીવાર પીરસવું? અને પીરસતાં પહેલાં પોતે પીરસેલ સ્ટોરીના કંન્ટેન્ટ અંગે, સ્વસ્થ, સ્વત્વ (સ્વયં) નિરીક્ષણ - Self  Inspection, તેઓએ કર્યું છે ખરું?

અહીં, કોઈની તરફેણ કે વિરોધ કરવાની, આપણી મનસા, ક્યારેય  ન જ હોઈ શકે..!! સમાજને નુકશાન કરતી કોઈપણ પ્રવૃત્તિને, ક્યારેય છાવરી ન શકાય અને તેથીજ આવા લેખ દ્વારા, અંધારે અટવાતા અસ્પષ્ટ ખ્યાલ, ધારણાઓના અંધારિયા ઓરડામાં, બેટરી કે મીણબત્તીનો પ્રકાશ પાથરવાનો, એક નમ્ર પ્રયાસ, આપણાથી જરૂર કરી શકાય.

મને એક મિત્ર કહે," હાલમાં આપણા સલ્લુભાઈએ, ઉલ્લુ જેવો ચહેરો કરીને, આપણને લલ્લુ સમજીને, પાકિસ્તાનમાં, `દબંગ` ફીલ્મની પબ્લિસિટી કરવા,
આતંકવાદી હુમલાઓ અંગે,  ઈરાદાપૂર્વક, કરેલા બયાન વિષે તમારો શો મત છે?"

મેં શાંતિથી જવાબ આપ્યો," તેમણે બોલતાં પહેલાં, સેલ્ફ ઈન્સ્પેક્શન નહીં કર્યું હોય..!!"

તે સાંભળી બીજા એક મિત્રએ ચર્ચામાં ઝુકાવતાં કહ્યું," પોતાની શરૂ કરેલી ચેનલની નિષ્ફળતા, રાજકારણમાં નિષ્ફળતા, ફીલ્મોમાં નિષ્ફળતાની હેટ્રીક નોંધાવીને, ગુજરાતની જનતાની સતત બદબોઈ કરતી, `SO CALLED  NGO`s` સાથે નકારાત્મક પબ્લિસિટી દ્વારા, સતત સમાચારોમાં રહેવા, હવાતિયાં મારતા એક લેખિકાના મંતવ્ય સાથે તમે સહમત છો?"

મેં તેમને મુંઝાઈને, સ્પષ્ટતા કરવા જણાવ્યું તો, તે મિત્રએ ઉમેર્યું," આ લેખિકાએ, હમણાં એક લેખમાં, જાહેર વિજ્ઞાપનમાં, સ્ત્રીઓનાં અર્ધ ઉઘાડા, સ્તનપ્રદેશ અંગે, પુરુષો દ્વારા કરાતા વિરોધમાં, ધોરણ દસની અબૂધ કન્યા કરે તેવી દલીલ કરી છેકે, પુરુષોને તેમના લિંગની લંબાઈ અંગે કોઈ સવાલ કરે છે?"

મેં શાંતિથી જવાબ આપ્યો," તેમણે બોલતાં પહેલાં, સેલ્ફ ઈન્સ્પેક્શન નહીં કર્યું હોય..!!"

જોકે, હું પોતે ઉપર ઉલ્લેખાયેલા, તમામ મહાનુભવના વિચારોનો સંપૂર્ણ આદર કરું છું. સાથેજ, તેઓએ વ્યક્ત કરેલા વિચાર, સાથે સહમત થવું કે ન થવું, તે દરેકની પોતાની વ્યક્તિગત મરજી - નામરજી પર છોડું છું.

સન- ૧૯૭૪ની, નિર્દેશક શ્રીમનમોહન દેસાઈની, સુપરહીટ હીન્દી ફીલ્મ, `રોટી`માં, ગીતકાર શ્રીઆનંદબક્ષીજી અને સંગીતકાર શ્રીલક્ષ્મીકાંત-પ્યારેલાલજી, સુપ્રસિદ્ધ ગાયક શ્રીકિશોરકુમારના કંઠે ગવાયેલા એક ગીતમાં, શ્રીરાજેશ ખન્ના સરસ વિચાર રજુ કરતાં, કહે છેકે,

" યાર હમારી બાત સુનો, એક ઐસા ઈન્સાન ચુનો, જીસને પાપ ના કીયા હો, જો પાપી ન હો, ઈસ પાપનકો આજ સજા દેંગે, મીલકર હમ સારે, લેકિન   જો પાપી ન હો વો, પહેલા પથ્થર મારે, પહેલે અપના મન, સાફ કરો રે ફીર,  ઔરોં  કા ઈન્સાફ  કરો. યા...ર હમારી....!!"

(આ ગીતની વીડિયો લિંક, બ્લોગ પરથી માણી શકાશે.)

આપને આ  પ્રખ્યાત , માર્મિક  ગીતની કડીઓમાં,  ખ્રિસ્તીધર્મની માન્યતાનું, મહાન સત્ય , સંતાકૂકડી કરતું  હોય તેમ ભાસે છે?

" હ્યદય, દુન્યવી બાબતો પરત્વે,  કપટી, ધોખેબાજ, ભ્રામક અને નાઈલાજ પાપી, દુર્ગુણી છે, તેને કોણ જાણી શક્યું છે? The heart is deceitful above all things, and desperately wicked: who can know it?" (Jeremiah 17:9)

જીહા, આ મહાન સત્યને આપણે સ્વીકારતા હોઈએ તોપછી, આપણે દરેક વિચાર અને તેમાંથી ઉદભવતા શબ્દને, સ્વસ્થ, સ્વત્વ (સ્વયં) નિરીક્ષણ - Self  Inspection ની કઠોર પરીક્ષામાંથી પસાર કરવા, મજબૂર કરવો જોઈએ.

જોકે, ઉપર જણાવેલા, લાગણીહીન વ્યવસાયીઓને, એક કહેવત લાગુ પડી શકે કે, ` કૂકડીનું મોં ઢેફલીએ રાજી = નાના માણસને થોડાથી સંતોષ થાય છે.` પરંતુ આજે આપણે, `થોડાથી સંતોષ કરનારાઓ`ની વાત નથી કરવી.

આપણે તો,  સાત્વિક મહત્ત્વાકાંક્ષાના બળે, સ્વત્વ નિરીક્ષણની આકરી કસોટીને લાગુ પાડીને, જેઓ જીવનને જોમથી ભરી,પોતાના કુટુંબના અને  સમાજના કલ્યાણ માટે કાંઈ કરી છૂટવા, ખરા દિલથી ઈચ્છે છે, તેમની વાત  કરવી છે.

સ્વસ્થ સ્વત્વ (સ્વયં) નિરીક્ષણ - Self  Inspection એટલે શું?

મિત્રો, સેલ્ફ ઈંન્સ્પેક્શન એટલે,  પોતે બોલવા ધારેલા શબ્દ અને આચરવા ધારેલા વિચારને, સાર્વજનિક કરતા અગાઉજ, પોતાના આત્માના અવાજની આજ્ઞાનુસાર, તેની કરેલી આકરી કસોટી..!!

ઘણીવાર, સાગર કિનારે ઉભા રહીને, `કૂકડેકૂક` જેવા, અહર્નિશ નાદ સાથે ઘૂઘવતા, તેના ઉછળતાં-શમતાં મોજાંને, કિનારા સાથે, સંતાકૂકડી  રમતા  નિહાળીને, આપણી જિંદગીમાં  વધતી - ઘટતી - ઘૂઘવતી અને શમતી, અનેક આકસ્મિક  ઘટનાઓ  સાથે, તેને  સરખાવવાની, મને લાલચ થઈ આવે છે.

એમ કહેવાયકે, આપણો પ્રથમ ગુરૂ, તે આપણી જન્મદાતા માતા છે. આ જગતમાં,  વિધાતા દ્વારા તિરસ્કૃત થયેલા, ભાગ્યેજ  કોઈ  જીવ એવા હશે, જેમને બાળપણમાં માતા પાસેથી, જીવનના અમૂલ્ય પાઠ શીખવાનું, સૌભાગ્ય પ્રાપ્ત ન  થયું  હોય..!!

માત્ર ત્રણ-ચાર માસના,પોતાના ખોળામાં સુતેલા, પ્યારા સંતાનને, સ્તનપાન કરાવતી વેળાએ, માઁ દ્વારા લાડ અને લાજમાં, સાડલાનો પાલવ, સંતાન પર ઢાંક્યા  પછી, ક્યારેક અતિશય હરખમાં, ચહેરા પર અમીભર્યું સ્મિત પાથરીને, માતા `કૂકડેકૂક`, જેવો અવાજ કરી, વારંવાર પાલવને  ઉઘાડ-ઢાંક કરે છે. સંતાન તરીકે, આપણે વારંવાર, અસમંજસમાં પડીને,આપણી ખોવાઈ ગયેલી માતાને, બહાવરા થઈને શોધીએ છે..!!

જોકે, બહુ મોટી ઉંમરે, પહોંચ્યા પછી અતિશય ચિંતન કરતાં, આપણને એટલુંજ  સમજાય છેકે, ' આ પ્રકારે કૂકડેકૂક - સંતાકૂકડીની રમત રમીને,  માઁ આપણને એટલુંજ સમજાવવા-શીખવવા મથતી હતીકે, બેટા, મોટા થઈને તારે આ જગતમાં, મારી ઉપસ્થિતિ વગરજ, સંસારની  સર્વ, આધિ-વ્યાધિ-ઉપાધિના હલ, તારી જાતેજ શોધવાના છે..!!'

કેવો સરસ ઉપદેશ..!! વળી, ત્રણ-ચાર માસનું બાળક સમજી શકે  તે કાજે, કેવી હેરત પમાડે તેવી, સરળ પણ સચોટ, સંતાકૂકડીની રમત..!!

બાદમાં, શેરીમાં રમવા જેવડા થયા પછી, બાળસહજ રમત સ્વરૂપે, આપણા બાળપણ ના ગોઠીયાઓ સાથે, આપણે  સંતાકૂકડીની રમતને, તેનો ગૂઢ મર્મ સમજ્યા વગર, રમવા લાગીએ છે.

જે ન જાણતા હોય તેમને, એક પ્રશ્ન થાયકે, ' શું છે આ સંતાકૂકડી?  શું છે આ સંતાકૂકડીની રમતનો ગૂઢ મર્મ?'

સંતાકૂકડી એટલે, એક જાતની દેશી રમત; શેરીમાં ખુલ્લી જગ્યામાં આ રમત રમાય, પ્રથમ એક છોકરાને માથે દાવ ઠરાવવામાં આવે છે. આ  રમતમાં દાવ લેનાર છોકરા સિવાયના, બાકીનાં છોકરાંઓ સંતાઈ જાય છે. સંતાઇ ગયેલ છોકરાં માંહેનો એક પોતાનો સાદ બદલી નાખીને ધીમેથી `કૂકડી કૂક` એમ બોલે,એ આધારે દાવ દેનાર છોકરો સંતાઈ ગયેલાં છોકરાંઓને શોધવા નીકળે, જ્યારે બધાં છોકરાંઓ જડે છે ત્યારે દાવ દેનાર માથેથી દાવ ઉતરે છે અને પછી જે સહુથી પહેલાં પકડાયો હોય તે છોકરાના માથે દાવ નાંખીને, બધા આજ રમત  ફરીથી રમે છે. આ રમતમાં ઘણે ભાગે અંધારું હોય તેવી જગ્યામાં સંતાવાનું હોય છે. આ રમતથી ઘણા થોડા અજવાળા કે અંધારામાં અવાજ કે થોડું ઘણું જે દેખાય તેટલાથી જોવાની ટેવ આંખને પાડી, બીજાં બાળકોને પકડી પાડી, ચક્ષુ ઇંદ્રિય અને કર્ણેંદ્રિયને ઘણી સરસ કેળવાય છે અને અંધારામાં રસ્તો વગેરે ખોળતાં અને મુસાફરી કરતાં શીખાય છે.

વાહ..!! જીવન સુપેરે જીવવા કાજે, એક સરળ,મનોરંજક રમત દ્વારા, કેટલું સરસ પ્રેક્ટિકલ શિક્ષણ?

આપણા  જીવનમાં, વિપરિત સમય, સંજોગ, પૂર્વગ્રહ જેવા, આધિ-વ્યાધિ-ઉપાધિના જનક અને  દાતાઓ તરફથી, આપણને ભવિષ્યની અજ્ઞાનતાના, અંધારિયા માર્ગ પર, મૂંઝવણભર્યા સંજોગોમાં, જે અસહ્ય તકલીફ પડવાની છે, તે  સર્વના ઉકેલ માટે,આવો સરળ, મનોવૈજ્ઞાનિક, પ્રેક્ટિકલ અનુભવ, બીજો કયો હોઈ શકે?

સંતાકૂકડીની રમત આપણને, વિજય  મેળવવા સતત પ્રયત્ન કરતાં શીખવે છે, ઉપરાંત, યોગ્ય સમયે,યોગ્ય મદદ મળી રહેતી હોવાનું, આશ્વાસન આપે છે.

ચીની તત્વચિંતક કન્ફ્યૂસિયસ ના મત અનુસાર, પોતાના સમગ્ર કુટુંબના, સંસ્કાર- values, શિક્ષણ-education, અને વ્યવસ્થાપન-management ના ઉત્થાન દ્વારાજ વ્યક્તિ, કુટુંબ અને રાજ્યનો વિકાસ શક્ય હોવાનું, તારણ કાઢે છે. - Confucius (around 551 BC – 479 BC)

પોતાની જાતને, સ્વયં નિરીક્ષણ દ્વારા, સતત  નિયંત્રિત કરીને, આપણા સમગ્ર વિકાસ માટે, વ્યવસ્થિત જીવન પદ્ધતિઓ સ્થાપિત કરતા, ઉપયોગી માપદંડ નક્કી કરી શકાય છે.પરિણામે,

* નૈતિક આચરણનું, એકસમાન ધોરણ જાળવતી રૂપરેખા,આપણને સમાજમાં સ્વીકાર્ય બનવામાં મદદ કરે છે.

*  જ્યારે આપણી સમજશક્તિથી વિપરીત ઘટનાઓ બની રહી હોય ત્યારે, જ્યાં સુધી સત્ય ન સમજાય ત્યાં સુધી, મૌનનું મહત્વ સમજવામાં મદદરૂપ થાય છે.

* આપણા જીવનમાં, અયોગ્ય રીતરસમ અપનાવવાથી, પેદા થતાં દુઃખમાંથી ઉગારે છે.

* એક મિલિટરીમેન જેવી, શિસ્તબદ્ધ જીવન પદ્ધતિ અપનાવતાં શીખવે છે.

* શુદ્ધ આચરણ ધરાવતા, લીડરની પસંદગીમાં મદદ મળે છે.

* આવી વિચારધારા ધરાવતા બહુમતી વર્ગનો,સમાજમાં પ્રભાવ વધવાથી, આખરે સર્વની ઉન્નતિ થાય છે.

માતાના ખોળામાંથી શરૂ થયેલી, સંતાકૂકડીની રમત આપણને શું શીખવે છે?

* રાત્રે આરામની શાંત ઊંઘ લેતાં.
* કંટાળાના ભાવને દૂર કરતાં.
* દાવ લેવાની, લીડરશીપનો સ્વીકાર કરતાં.
* પોતાના આત્માના અવાજને સાંભળતાં.
* ઉચ્ચ આકાંક્ષાઓ રાખતાં.
*  સ્મૃતિ, સ્મરણશક્તિને ધાર કાઢતાં. 
* કલ્પનાશક્તિ ખીલવતાં.
*  સમસ્યાઓનું સમાધાન મેળવતાં.
* દિવાસ્વપ્ન જોતાં.
* શરીરને અણધારી પરિસ્થિતિઓમાં મૂકી, નાની મોટી ઈજા સહન કરવાની ટેવ પાડતાં .
* હતાશા અને નિરાશાની સ્થિતિને સંભાળતાં.
* સમય અને સ્થળનો સદઉપયોગ કરતાં.
* પોતાની ક્ષમતાનું માપ કાઢતાં.
* ઝડપથી બદલાતી સ્થિતિઓમાં, ત્વરિત નિર્ણયો લેતાં.
* સતત વિજયી થવા માટેના, અજમાયેલા સફળ વિચારો  અને અકસીર ઉપાયોને, મનના ખૂણે કાયમીપણે સંઘરતાં.
* નિર્ણયો-વિચારો અને કાર્યપ્રણાલીની વચ્ચે, તાલમેલ બેસાડતાં.
* નિષ્ફળતાને, હતાશ થયા વગર, સાક્ષીભાવે, સ્પોર્ટ્સમેન સ્પીરીટથી, પચાવતાં.
* ડરની લાગણી, નકારાત્મક વિચારો અને નિષ્ફળતાને અવગણી, તેને મનમાં દ્રઢ ન થવા દેવાની તાલીમ આપતાં.
* પોતાની જાતને, સંસારમાં આવનાર, કોઈપણ મુશ્કેલીના સામના માટે, સદાય તૈયાર રહેતાં.
* સામા પ્રતિસ્પર્ધીઓનો આદર કરતાં.
* પોતાની જાતને, સામેના પ્રતિસ્પર્ધીની સ્થિતિમાં,મૂકાયેલી કલ્પીને, બુદ્ધિના આંકને, વિજયી ઉંચાઈ પર લઈ જતાં.
* હાર-જીતને ધ્યાને ન લેતાં, ભાગ લીધાનો અનેરો સંતોષ માણતાં.
* પોતાની આંતરિક શક્તિઓને ઓળખી તેને તાકાતવાન બનાવતાં
* મહત્ત્વાકાંક્ષા સંતોષતાં
* વ્યક્તિત્વનો વિકાસ કરવાના પ્લાનને ઓળખતાં
* વિજય મેળવીને સમૃદ્ધ કેવીરીતે થવાય તે જ્ઞાન મેળવતાં
* મનમાં ધીરજના ગુણને વિકસાવતાં
* વિશિષ્ટ આવડતની તાકાત વધારતાં
* પોતાની સામાજીક ઓળખમાં સુધારો કરતાં
* નવી-નવી સમસ્યાઓને ઓળખી, પોતાનું જ્ઞાનસંચય વધારતાં
* વિપરિત સ્થિતિમાં પણ, મનને શાંત અને સ્વસ્થ રાખતાં
* સાચા રસ્તે જીત મેળવવાનું મૂલ્ય સમજાવતાં
* કાર્ય ન સધાય ત્યાં સુધી, આંતરિક ઉર્જાને  મેનેજ કરતાં
* બીજાને માફ કરવાની ટેવ રાખતાં.
* બગડેલા સંબંધોને મધુર બનાવતાં.

મહાન ગ્રીક ફિલૉસોફર ઍરિસ્ટોટલ, `ભણતર સાથે ગણતર`ની જરૂર હોવાના સમર્થનમાં, `વ્યવહારીક શાણપણને કેળવીનેજ, સાચું સુખ મેળવી શકાય` તે વિધાનનું સમર્થન કરે છે. - Aristotle (384 BC – 322 BC)

સન - ૧૯૭૧માં જન્મેલા, અમેરિકન લેખક, ડૉનાલ્ડ મીલરના બૅસ્ટ સેલર પુસ્તક, `A Million Miles in a Thousand Years, સબટાઈટલ, What I Learned While Editing My Life.`માં પણ સ્વયં નિરીક્ષણ દ્વારા, જીવન પદ્ધતિને, સતત ઍડીટ કરવા બાબતનું સમર્થન કરતા, કેન્દ્રવર્તી વિચારો માણવા લાયક છે. જેમકે,

" સારું જીવન જીવવા માટે, માનસિક શક્તિઓ પર, સત્કર્મ દ્વારા, સહેતુક દબાણ લાવીને, સુપેરે જીવવાની વધુ  સારી, જીવનગાથા રચી શકાય છે.

અમને, નાનપણમાં, ગુજરાતીમાં, `દલા તરવાડી અને વશરામ ભુવા`નો એક પાઠ આવતો. તેમાં  કોઈ અન્યની, મહા મહેનતે ઉગાડેલી, વાડીમાં, ઉગાડેલાં રીંગણ,  વાડીના માલિકને પૂછ્યા વગર ન જ લેવાય, તે નિયમ પાળવા માટે, દલા તરવાડી નામના રીંગણપ્રેમી ભાઈ, વાડીના માલિકની ગેરહાજરીમાં,  નીચે દર્શાવેલ, સ્વગત સંવાદ દ્વારા, પોતાનીજ સંમતિ,પોતે જ મેળવી લે છે...!!

" વાડી રે વાડી,"

"બોલોને, દલા તરવાડી?"

" રીંગણાં લઉં બે-ચાર?"

" અરે..!! લોને દસ-બાર..!!"

અને દલા તરવાડી દસ-બાર રીંગણ તોડે ત્યાં તો, વાડીનો માલિક વશરામ ભૂવા આવી ચઢે. પછીં તેણે `વાડીને પૂછીને રીંગણ તોડ્યા` હોવાની બાલિશ દલીલથી ચીઢાઈને, વશરામ ભુવા, દલા તરવાડીને, કૂવામાં  ઊંઘા લટકાવીને, તરવાડીની સ્ટાઈલમાં,  કૂવાની  સંમતી  મેળવે..!!

"કૂવા રે કૂવા"

"બોલોને, વશરામ ભુવા?"

" ડૂબકી ખવડાવું બે-ચાર?"

" અરે...!! ખવડાવોને, દસ-બાર..!!"

મિત્રો, મને ખાત્રી છે, આ લેખ વાંચ્યા પછી, જે મિત્રોને " સ્વત્વ સાથે સંતાકૂકડી  અર્થાત  સ્વયં નિરીક્ષણ - Self  Inspection." ની ટેવ નથી તે, આ સારી, જીવન વિકાસ ઉપયોગી આદત જરૂરથી પાડશે  અને જીવન પણ એક  સંતાકૂકડીની રમતજ હોવાથી,  સમાજને નુકશાન કરનારા, દલા તરવાડીઓને, વશરામ ભુવા જેવી જાગૃતિ દર્શાવીને, જ્ઞાનના કુવામાં, ઊંધા માથે દસ-બાર ડુબકીઓ ખવડાવીને, સુધારવાનો નમ્ર પ્રયાસ જરૂરથી કરશે..!!

આમેય,મહાત્માગાંધીબાપૂના, અણમોલ પ્રાણના બલિદાનના ભોગે , પ્રાપ્ત થયેલી, મહાઅમૂલ્ય આઝાદીની, આપણા મનમાં, કાંઈક તો કિંમત હશેજને?

જોકે,અંગ્રેજોને તગેડવા,  " સ્વત્વ સાથે સંતાકૂકડી  અર્થાત  સ્વયં નિરીક્ષણ - Self  Inspection." ના અમોઘ  શસ્ત્રનો, સર્વશ્રેષ્ઠ ઉપયોગ, જો કોઈએ કર્યો હોય તો તે, પૂજ્ય બાપૂએ જ કર્યો હતો, તેમ મારી જેમ આપ પણ માનો છો?

માર્કંડ દવે. તાઃ ૧૩ - સપ્ટેમ્બર ૨૦૧૦.

1 comment:

  1. એ હકીકત છે કે કોઈ પણ કાર્ય કરતાં પેહલાં તમે તમારું પોતાનું નિરિક્ષણ કરો., પરંતુ માનસિક બીમારી છે કે શું તે નથી કેહ્તો, પરંતુ પોતાનું અસ્તિત્વ દર્શાવવા, આજે માનવ કોઈ પણ હદે જતો હોય છે.

    સરસ લેખ.

    અભિનંદન

    અશોકકુમાર-'દાદીમાની પોટલી'
    http://das.desais.net

    ReplyDelete

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.