Saturday, November 20, 2010

ગુન્હાહિત મૌન

ગુન્હાહિત મૌન 

"સમયસર જાગવું, યુદ્ધ માટે સદાય તત્પર રહેવું, પોતાનું અન્ન ખાઈ જનારને ચાંચ મારી ભગાડી મૂકવા-આ તમામ ગુણ કૂકડા પાસેથી માણસે શીખવા જોઈએ." -સુભાષિત.

=========

પ્રિય મિત્રો,

મહાભારતના સભાપર્વમાં પાંડવો જુગટામાં, જયારે દ્રૌપદીને હારી ગયા, ત્યારે દુઃશાસન દ્વારા ભરી સભામાં, દ્રૌપદીનાં ચીરહરણ કરી, તેને નગ્ન નાચ કરવા મજબુર કરવા કાજે, ચોટલો ઝાલી, તેને ઢસડીને સભામાં ક્રૂરતાપૂર્વક ખેંચી લાવવામાં આવી.

દુર્યોધનના આદેશથી દુષ્કૃત્ય આચરવા તૈયાર થયેલા દુઃશાસનના, આવા  અત્યંત ધૃણાસ્પદ, બર્બર કૃત્ય પરત્વે ગુન્હાહિત મૌન સેવીને, સભામાં બિરાજેલા ગંગાપુત્ર  ભીષ્મ, વિદુરજી, ગુરુ દ્રૌણાચાર્ય, કૃપાચાર્ય જેવા સત્યવાદીઓને, પોતાની લાજ બચાવવા કરેલા કાલાવાલા, બહેરા કાને અથડાતા હોય તેમ લાગવાથી દ્રૌપદીએ છેવટે, પોતાના સખા શ્રીકૃષ્ણને કાલાવાલા અને પ્રાર્થના સાથે કેટલાક પ્રશ્ન કર્યા.

" *હે નાથ, આ સઘળા લંપટ લોકો ભેગા મળી, મારી લાજ લેવા ઢુંકી રહ્યા છે, હું  તમારી સેવામાં શું ચૂકીકે, મને પાંચ પતિઓએ જુગટામાં મૂકી?
* હે દયાળુ, હું અભિમાને છકી નથી, તોપછી શા દોષે આ ઉપાધિમાં આવી પડી?
* અરે, દીનબંધુ, હું પાંચ પતિને પામીને ગણિકા ગણાઈ, મને કોઈ પતિએ પોતાની ના ગણી?
* શું મેં કોઈ પવિત્ર માનવીની થાળી અભડાવી હશે?
* શું મેં સરોવરની (મર્યાદાઓની..!!) પાળ તોડી હશે?
* શું મેં ગંગાજીમાં મળમૂત્ર ધોયાં હશે?
* શું મેં પીપળાની ડાળ તોડી હશે?
* શું મેં ધાવતાં બાળ વછોડ્યાં હશે?
* શું મેં કોઈને પુણ્ય કરતાં આડી જીભ ઘાલી હશે? હે પ્રભુ, તમારા વિના મારું કોઈ બેલી નથી માટે મારી વહારે વહેલા પધારો. નહીં તો આ વખત મારા પ્રાણ કાઢું છું."

ભલભલા કઠણ માનવીનુંય  કાળજું કંપાવનારો, આવો આર્તનાદ સાંભળીને, એક અબળા નારીની વહારે `વિઠ્ઠલ` ધાયા અને પોતાની માનેલી બહેનનાં નવસો નવ્વાણું ચીરનું દેવું ચૂકતે કર્યું.

મિત્રો, હવે આજે આપણા દેશની લોકશાહી, માનોકે  દ્રૌપદી હોય તો, આજે સંસદની ભરી સભામાં તેનાં ચીરહરણ થઈ રહ્યાં છે તે જોઈને, ફરીથી `વિઠ્ઠલ` વહારે દોડી આવશે? કેપછી, કલમાડી-અશોક-રાજાજેવા અનેક દુર્યોધનોના ભષ્ટાચારમાંથી પક્ષભંડોળના નામે લૂણ ખાધું હોવાનું કહીને ભીષ્મ,વિદુર,દ્રોણ,કૃપાચાર્યની માફક, સહુ કોઈ ગુન્હાહિત મૌન ધારણ કરશે?

ભીષ્મ પિતામહ શ્રીમનમોહન ખરેખર `કલમાડી-અશોક -રાજાઓ`એ મારેલાં  ભષ્ટાચારનાં કાતિલ વિષ બાણોથી વિંધાઈને, જાણે મૃત્યુશૈયા પર પોઢ્યા હોય તેમ, ગુન્હાહિત મૌન ધારણ કરીને કેમ બેઠા છે?

આ બાબતે નામદાર સુપ્રિમ કૉર્ટે, સોગંદનામા પર આ  બાબતે ખુલાસો માંગ્યો છે, શું ભારતના પ્રાઈમ મિનિસ્ટરના મૌખિક ખુલાસા પર, નામદાર સુપ્રિમ કોર્ટને ભરોસોં નહીં રહ્યો હોય? ( કોઈ પાછળથી ફરી ન જાય તે માટે સોગંદનામું કરાય છે.)

શું આવા કિસ્સાઓમાં, બીનકોંગ્રેસી કેન્દ્ર સરકારોની સત્તા સમયે, વિરોધ પક્ષ તરીકે, જેતે સમયે ગાજેલાં કૌભાંડો માટે, કોંગ્રેસની આગેવાની હેઠળની, હાલની  UPA સરકારના ભાગીદાર પક્ષોમાંથી, કોઈએ જે.પી.સી.ની માંગણી નહીં કરી હોય? જો તે સમયે જે.પી.સી. રચાઈ હોય તો અત્યારે શું વાંધો છે?  શું પાછળથી કેસ રફેદફે કરવાની બદદાનત સર કરવા માટે જ, વિવાદાસ્પદ સીબીઆઈના માથેજ તમામ કેસના ભાર સોંપવાનો આગ્રહ કરાય છે?

આપણા યુવરાજ શ્રીરાહુલગાંધી એ કહ્યું," એવી સ્થિતિ નથીકે,  વડાપ્રધાને શરમાવું પડે?"   શું અબજો રૂપિયાનાં ભ્રષ્ટાચારથી વ્યય થયેલાં નાણાં, ભારતના ગરીબોની સમસ્યા ઉકેલી શકે છે તે બાબત, ગામડાઓમાં ગરીબના ઘેરઘેર ફરીને, તેમની મુલાકાતોની શક્ય તેટલી વધારે ચર્ચાઓ જગાવીને, ભારતને સમજવા મથતા હોવાનો દાવો કરતા શ્રીરાહુલબાબાને નહીં સમજાયું હોય?( જોકે, મહાભારતમાં, દ્રૌપદીના ચીરહરણ વખતે,ગુન્હાહિત મૌન ધારણ કરેલા ભીષ્મએ શરમથી માથું ઝુકાવી દીધું હતું. અહીંતો શરમજ ક્યાં છે?)

નવાઈ લાગે છેકે, વડાપ્રધાન શ્રીમનમોહનજીની હાજરીમાં, પોતાનાજ યુવરાજ પુત્રના ઉપરોક્ત કથનનું ખંડન કરતાં હોય તેમ, UPAના અધ્યક્ષા શ્રીમતી સોનિયાજી કહે છેકે," ભષ્ટાચારનું કેન્સર અને લાંચ-લાલચ ભારતની લોકશાહીને ખતરામાં મૂકી દેશે."

શું અશોક-રાજા-કલમાડી અને  બીજા અનેક ફાંદેબાજ દુર્યોધનો-દુઃશાસનોનાં કરતૂતોથી કંટાળીને, ન  રહેવાતાં હવે છેક રહી રહીને, માતા ગાંધારીએ, આંખેથી પાટા ખોલી નાંખ્યા? કેપછી મગરનાં આંસુ દ્રૌપદી નામની લોકશાહી જોઈ શકે, તેથી આંખેથી પાટા હટાવ્યાનો ઢોંગ રચાઈ રહ્યો છે? ( ચંપક જાસૂસ કહે છેકે, મધયસત્ર ચૂંટણી નજીક છે.)

એ જે હોય તે, હવે આર્તનાદી એજ સવાલો ફરીથી જનતાજનાર્દન ( એટલેકે વિઠ્ઠલ ) ના સભાપર્વમાં રજુ કરવામાં આવે તો,

લોકશાહી-દ્રૌપદી ઉવાચઃ-

" હે નાથ, આ સઘળા લંપટ લોકો ભેગા મળી, મારી લાજ લેવા ઢુંકી રહ્યા છે, હું  તમારી સેવામાં શું ચૂકીકે, મને `UPA` એ મને જુગટામાં મૂકી?

જવાબ - હા, સેવામાં ચૂક થઈ છે, તું નપુંસકોના દેશમાં જન્મી છે..!!

* હે દયાળુ, હું અભિમાને છકી નથી, તોપછી શા દોષે આ ઉપાધિમાં આવી પડી?

જવાબ- તું અભિમાને ભલે ના છકી હોય, પણ તારા સંતાનો, કોને ગાદીએ બેસાડાય, તેનું સાનભાન જરૂર  ભૂલ્યાં છે..!!

* અરે, દીનબંધુ, હું આટલા બધા પક્ષોના શંભુમેળાને (પતિઓને) પામીને ગણિકા ગણાઈ, છતાંય  મને  કોઈએ પોતાની ના ગણી?
જવાબ- ભ્રષ્ટાચારના રૂપિયા ગણવામાંથી ઉંચા આવે તો તને ગણે ને? આમેય, હે રાંક લોકશાહી, તું  કોઈનીય ગણતરીમાં નથી..!!

* શું મેં કોઈ પવિત્ર માનવીની થાળી અભડાવી હશે?

જવાબ-હા, મોંધવારીને લીધે ગરીબની થાળી અભડાઈ છે..!!

* શું મેં સરોવરની (મર્યાદાઓની..!!) પાળ તોડી હશે?

જવાબ- હા, ખરા સમયે કડકાઈનો ખોંખારો ખાઈ તેં વંઠેલાં સંતાનો પ્રતિ સમયસર લાલ આંખ ના કરી..!!

* શું મેં ગંગાજીમાં મળમૂત્ર ધોયાં હશે?

જવાબ- આઝાદી પછી, વહેતી ગંગામાં લોકો હાથ ધોઈ લેતા હતા, હવે  તારાં સંતાનો મળમૂત્ર અને ગરીબની અર્ધબળેલી `હાય` પણ વહાવે છે..!!

*શું મેં પીપળાની ડાળ તોડી હશે?
જવાબ- પીપળાની ડાળ નહીં. આ વંઠેલાઓએ  આખેઆખા પીપળાનાં વૃક્ષજ મૂળીયાઁ સાથે ઉખાડી નાંખ્યાં છે..!! પૂછો`ચીપકો` આંદોલનવાળાને.

* શું મેં ધાવતાં બાળ વછોડ્યાં હશે?
જવાબ- તો શું દુધ સહિતની ખાદ્યવસ્તુઓમાં  ભેળસેળનો ભ્રષ્ટાચાર કરવા, બ્રિટનથી અંગ્રેજોની ઓલાદ અહીં આવે છે?

* શું મેં કોઈને પુણ્ય કરતાં આડી જીભ ઘાલી હશે?

જવાબ- એકવાર નહીં, સો વાર આડી જીભ ઘાલી છે. અરુંધતિ અને ગિલાનીનું માનીને, કાશ્મીર દાનમાં આપી, પુણ્ય કમાવામાં તું આડી જીભ નથી ઘાલતી? સાવ જુઠ્ઠી?

લોકશાહી ઉવાચ, " હે પ્રભુ, આ ઠોકશાહીમાં,  તમારા વિના મારું કોઈ બેલી નથી માટે મારી વહારે વહેલા પધારો. નહીં તો આ વખત મારા પ્રાણ કાઢું છું."

વિઠ્ઠલ ઉર્ફે જનતા જનાર્દન ઉવાચઃ- " હે લોકશાહી (દ્રૌપદી) બહેન, તું ગભરાઈશ માં, ભલે બધાએ ગુન્હાહિત મૌન ધારણ કર્યું હોય, ચૂંટણી આવવા  દે. અમે ચોક્કસ, નવસો  નવાણું ચીર પુરીને, તારી લાજનું રક્ષણ અવશ્ય કરીશું..!!"

ભાઈ વિઠ્ઠલજી, આપ  શું કહો છો? પ્રાણ જાય પણ વચન ના જાય જોજો..!! આપણે કૌરવો થોડાજ છે તે, વચન આપીને વીસરી જઈએ?

`ANY COMMENTS`

માર્કંડ દવે. તા.૨૦ નવેમ્બર ૨૦૧૦.

3 comments:

  1. શ્રી માર્કંડભાઈ.

    ભારતીય લોકશાહીનું રૂપ દેખાડવાની આપની કોશિશ ખૂબજ સચોટ રહી છે. "ગુન્હાહિત મૌન" ત્યારેજ તૂટે કે જ્યારે પોતે પોતાના વાસ્તવિક જીવનમા પણ અનેક આવી ઘટનાઓમાં પોતાનો સૂર કાઢી શકતા હોય. બાકી આ નમાલી પ્રઝા પાસે દેશની લોકશાહી શું અપેક્ષા રાખી શકે !?

    http://das.desais.net

    ReplyDelete
  2. શ્રી માર્કંડ ભાઈ,
    અમેરિકા માં ઇન્ટરનેટ ઉપર છાપા ના સમાચારો વાંચી પ્રશ્ન થતો
    હે પ્રભુ "ભારત ની આઝાદી પછી આવી અવદશા ? હવે શું થશે ? આંતકવાદી ઓ, ભ્રષ્ટાચારી ઓ
    ની બેવડી ચુન્ગાલ માંથી હવે કેમ મુક્ત થવાશે ? " પણ તમારો બ્લોગ સંદેશ વાંચી ખાતરી થઇ
    કે હજી ગાંધી નું ગુજરાત અને આપણા ગુજરાતી ઓ કોઈ પણ પરિસ્થિતિ ને પચાવી દરેક પ્રશ્ન ને
    હલ કરવામાં સક્ષમ છે.
    યશવંત શાહ / રેડમંડ/ અમેરિકા
    ૧/૧૨/૨૦૧૦

    ReplyDelete
  3. આદરણીય શ્રીયશવંતભાઈ,

    આપનો ખૂબ-ખૂબ આભાર

    માર્કંડ દવે.

    ReplyDelete

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.