Friday, October 8, 2010

શ્યામ, તમે આવો શમણામાં

નવરાત્રી પર્વ - `શ્યામ, તમે આવો શમણામાં`

"શ્યામ તમે આવો શમણામાં, રાધાના ક્‍હાન તમે, ક્યાંરે ખોવાણા..!!
  તમે  આવો,  શ્યામ  આવો, શ્યામ  તમે, આવો   શમણામાં..!!



 http://www.4shared.com/audio/ZFx9UwfM/Shyam_Shakshi_Final-new-1.html

 

============

પ્રિય મિત્રો,

" या देवी सर्वभुतेषु शांतीरूपेण संस्थिताः।
या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिताः।
  या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिताः।

नमस्तस्यै,नमस्तस्यै,नमस्तस्यै,नमोनमः॥"

જગતજનની, સર્વસુખદાયિની, માઁ જગદંબાનું, અનેરું શક્તિ-ભક્તિ, આનંદ પર્વ, સાવ ઢૂંકડું આવી પહોંચ્યું છે.નાનાં-મોટાં, નર-નારી, જાતિ-જ્ઞાતિ,ગરીબ-અમીર જેવા, સર્વ ભેદભાવ ભૂલીને, માઁ જગદંબાના તપ- ધ્યાન-નામસ્મરણ અને ભક્તિમાં, તરબોળ થવા, તલપાપડ થયા છે, ત્યારે જગતનાં, સર્વ દુઃખને હરનારી, પૂજનીય માઁ ને ભાવપૂર્વક નમન કરી,  તેના સ્મરણ થકી,ચાલો, આજે આપણે, નવરાત્રીના નવલા નવ દિવસના મહિમાની, થોડીક વાતો કરીશું..!!

ગત રવિવારે, વહેલી સવારે, મારા બંગલાના ગેટના  બહારના ભાગે, કોઈ ઝઘડતા હોય તેવો, મોટેથી અવાજ આવવાથી, બારી બહાર,મેં  નજર કરી તો, મારા બંગલાની સામેના બંગલામાં રહેતા, મિસ્ટર શર્માજી, અખબાર નાંખવા આવતા ફેરીયાને, ગુસ્સાથી, લાલપીળા થઈને, તતડાવી રહ્યા હતા. કારણ? દરરોજ શ્રીશર્માજીને, ત્યાં ,` રાસ-ગરબા`ની અવનવી સ્ટાઈલ શીખવવાનો દાવો કરતા, ડાન્સ ક્લાસિસની જાહેરાતનાં, અખબારના પાનાંની વચમાંથી, સરી પડતાં પૅમ્પ્લેટ (ચોપાનિયાં?) સામે, શર્માજીને સખત વાંધો પડ્યો હતો..!!  ડાન્સ ક્લાસિસની જાહેરાતનાં, આ પૅમ્પ્લેટ  વાંચીને તેમની, આશરે ૧૪ વર્ષની દીકરી, આ ડાન્સ ક્લાસ જોઈન કરવા, રોજ રોકકળ અને જીદ કરતી હતી, તે  શર્માજીથી સહન ન થયું..!!   જોકે, તેમાં અખબારના, નિર્દોષ ફેરીયાનો, ગુસ્સાથી વારો પાડવો તે, મને તો ઠીક ન લાગ્યું..!! .

મને એ પ્રશ્ન મૂંઝવે છેકે, આ પ્રશ્ન, મિસ્ટર શર્માજીનો, એકલાનો છેકે બધા માતાપિતાનો ?

હિંદુ ધર્મમાં, શાસ્ત્રોક્ત આજ્ઞા પ્રમાણે, દરેક શુભ કાર્યમાં, સર્વ પ્રથમ, વિધ્નહર્તા ભગવાન શ્રીગણપતિગજાનનનું, સ્મરણ-પૂજન-અર્ચન કરવાનો મહિમા છે. ભગવાન શ્રીગણેશજીની બુદ્ધિચાતુર્યના દેવ ગણાય છે. માતાપિતા ભગવાન શ્રીશીવજી-પાર્વતીજીએ, શ્રીકાર્તિકેયજી અને શ્રી ગણેશજીને, પૃથ્વીની સાત વાર પ્રદક્ષિણા કરીને આવવાની આજ્ઞા કરી, ત્યારે,શ્રીગણેશજીની સૂંઢાળી-ડૂંડાળી ભારેખમ કાયાને  જોતાં, તેઓ આ કાર્ય, શાસ્ત્રોમાં ઉલ્લેખ કર્યા પ્રમાણે, માતાપિતા  શ્રીશીવજી-પાર્વતીજીની સાતવાર પ્રદક્ષિણા કરીને, તેમની આજ્ઞાનું, ભાઈ શ્રી કાર્તિકેય કરતાં પહેલાંજ પાલન કરે છે..!!

હવે, તે પ્રમાણે, જોવા જઈએ તો, નવરાત્રીના રંગમાં રંગાઈ જઈ, રાસ-ગરબામાં ભાગ લેનાર, દરેક કુમાર અને કન્યા માટે, તેમનાં માતાપિતા, શ્રીશીવ-પાર્વતી સમાન અને તેમનું પૂજન કે પરિક્રમા તે, પૃથ્વીની સાતવાર પરિક્રમાની માફક,  માઁ જગદંબાની શક્તિભક્તિ કર્યા સમાન હોવી જોઈએ?  જોકે, શાસ્ત્રાર્થ મુજબ, શ્રીગણેશજીએ, માતાપિતાની પ્રદક્ષિણા કરી તેમની આજ્ઞા પાળવાનો, સ્થાપિત કરેલો ટ્રેન્ડ અત્યારે, આજકાલ જે રીતે, નવરાત્રી ઉત્સવનું સ્વરૂપ છે તે જોતાં, સાવ ઊલટાઈ ગયો હોય તેમ ભાસે છે.  નવરાત્રીના નવ દિવસ, પોતાનો દીકરો કે દીકરી, દાંડિયા ખેલવાના બહાને, ક્યાં હશે? તે ચિંતાને, રઘવાટમાં, આખાય શહેરમાં, દીકરા-દીકરીની આસપાસ, પ્રદક્ષિણા-પરિક્રમા કરવા, માતાપિતા  મજબુર બની જતા હોય તેમ નથી લાગતું?

ખરેખર, ઘણીવાર તો એ પ્રશ્ન  થાયછેકે, દર વર્ષે, નવરાત્રીમાં, લખલૂંટ ખર્ચ કરતા, ખેલૈયાઓમાંથી , 'નવરાત્રીનો મહિમા' અને 'ગરબો', શબ્દનો, સાચો અર્થ, કેટલાકને જ્ઞાત હશે?

નવરાત્રી મહિમા અને કથાઃ-

નવરાત્રી કથાનો મહિમા, માર્કંડેય પુરાણ, વામનપુરાણ, વરાહ પુરાણ, શીવપુરાણ, સ્કંધપુરાણ, દેવીભાગવતપુરાણ, અને કાલિકાપુરાણમાં કરવામાં આવેલો છે.

પુરાણ કથા અનુસાર,  રંભ નામના રાક્ષસને, મહિષીથી થયેલો પુત્ર, પાડાના સ્વરૂપવાળો, રાક્ષસ મહિષાસુર અથવા ભેંસાસુર તરીકે ઓળખાય છે.

મહિષાસુરે  હિમગિરિ ઉપર કેવળ વાયુ ભક્ષણ કરીને ઘોર તપ કર્યું જેનાથી, બ્રહ્મદેવે પ્રત્યક્ષ પ્રસન્ન  થઈ, વરદાન માગવાનું કહ્યું. તેણે માગ્યુંકે પુરુષ વ્યક્તિથી મારૂં મૃત્યુ ન થાય એટલું આપો. બ્રહ્મદેવે તે આપવાથી એ પ્રાણી માત્રને પીડા કરવા લાગ્યો  અટલુંજ નહીં, દેવતાઓ સાથે પણ  યુધ્ધમાં વિજ્યી બન્યા બાદ અને ઈન્દ્રનું ઈંન્દ્રાસન પણ કબજે કર્યા બાદ, મદથી છકી ગયેલા, બેફામ બનેલા, પોતાને દેવોના પણ  દેવ માનતા, પાડા જેવું મોં ધરાવતા, મહિષાસુર  રાક્ષસનો ત્રાસ જ્યારે અસહ્ય થયો.ત્યારે સર્વ દેવોએ, ભગવાન શ્રીબ્રહ્મા,શ્રી વિષ્ણુ અને શ્રી શીવની સ્તુતિ કરીને, આ રાક્ષસના કાળાકેરથી બચાવવા,આજીજી કરી. જેના ફળસ્વરૂપ, શ્રીબ્રહ્મા,શ્રી વિષ્ણુ અને શ્રી શીવના તેજથી, મહાશક્તિના પ્રતિકરૂપ, અઢાર ભુજાવાળાં આદ્યશક્તિ  માઁ દુર્ગા પ્રગટ થયાં. સાથેજ, ઉપસ્થિત તમામ દેવતાઓએ, મહિષાસુરનોવધ કરવા પોતાનાં, તમામ આયુધ, માઁ દુર્ગાને અર્પણ કર્યાં.

આધ્યશક્તિ માઁ દુર્ગાને મારવા, મહિષાસુરે મોકલેલા, તમામ અસુરનો, માઁ દુર્ગાએ સંહાર કરવાથી, અંતે મહિષાસુર, જાતે યુધ્ધ માટે આવ્યો.પરંતુ રાક્ષસરાજ મહિષાસુરે જ્યારે માઁ દુર્ગાને નિહાળ્યાં, ત્યારે તે તેમના સ્વરૂપથી સંમોહન પામી, તેમનું  રૂપ જોઈ, 'તું મને વર' ઈત્યાદિ કહેવા લાગ્યો.આથી અત્યંત ક્રોધાયમાન થઈને, માઁ દુર્ગા અને રાક્ષસ મહિષાસુર વચ્ચે, સળંગ નવ-નવ દિવસ સુધી ચાલેલા ભયંકર યુધ્ધના અંતે, દસમા દિવસે, માઁ દુર્ગાએ પોતાનું રૌદ્રસ્વરૂપ, માઁ ચંડિકા સ્વરૂપ ધારણ કરી, મહિષાસુરને, પોતાના પગ  નીચે, જમીનસરસો કરીને, ભાલાથી રાક્ષસનું ગળું છેદી નાખી, તલવારથી તેનું મસ્તક વાઢી, સર્વ જગતના મંગલ કાજે, માઁ દુર્ગાએ, પોતાની અપાર શક્તિ અને કૃપાનો પરચો આપ્યો.

ચૈત્રી પ્રતિપદાથી નોમ  સુધીના નવ દિવસ તથા  આસો માસની પ્રતિપદાથી નોમ સુધીના નવ દિવસને, નવરાત્રી અથવા નોરતાં કહે છે. હિંદુઓ નોરતાંને પહેલે દિવસે ઘટસ્થાપન કરે છે અને દેવીનું આવાહન, વ્રત  તથા પૂજન કરે છે. આ પૂજન નવ દિવસ સુધી ચાલે છે. નવમે દિવસે ભગવતીનું વિસર્જન થાય છે. ઘટસ્થાપન કરનારા, આઠમ કે નોમને દિવસે કુમારી ભોજન  પણ  ગોઠવે છે. આ  ભોજનમાં,ભાગ લેતી, બે  થી દશ વર્ષની ઉમરની, નવ કુમારિકાઓનાં કલ્પિત નામ પણ છે. જેમકે, કુમારિકા, ત્રિમુર્તિ, કલ્યાણી, રોહિણી, કાલી, ચંડિકા, શાંભવી, દુર્ગા અને સુભદ્રા. નવરાત્રીમાં નવ દુર્ગામાંથી નિત્ય ક્રમવાર, એક એક દુર્ગાનું દર્શન કરવાનું પણ વિધાન છે. શ્રીમહર્ષિ માર્કંડેય મુનિ પ્રણીત સત્પશતી 'ચંડીપાઠ' જે નિત્ય કરે તેને સંસારની તમામ, આધિ,વ્યાધિ,ઉપાધિ માંથી મૂક્તિ મળે છે.  માઁ દુર્ગાના, ચંડિકા સ્વરૂપે, મહિષાસુર મર્દનના, દસમા દિવસને, વિજ્યાદશમી તરીકે ઉજવાય છે.

* એમ મનાય છેકે, પુરાતન વખતમાં, મ્હૈસુર એ મહિષાસુર રાક્ષસની રાજધાની હતું. જનમેજયે જે સર્પસત્ર કર્યો હતો, તે પણ મ્હૈસુરમાં જ થયો હતો.

* સમગ્ર ઉત્તર ભારતમાં, રાક્ષસરાજ રાવણ પર, ભગવાન શ્રીરામના, વિજ્યના પ્રતિક સ્વરૂપે, નવરાત્રી ઉજવાય છે, આ તહેવાર દરમિયાન વિશાળ મંચ ઉપર, જાહેર જનતાના લાભાર્થે, સ્ટેજના કલાકારો દ્વારા,`રામલીલા` ભજવાય છે જેના દસમા દિવસે રાવણનાં દસ માથાં ધરાવતા વિશાળ પુતળાના દહન સાથે આ તહેવાર સંપન્ન થાય છે.

* ઉપરાંત,મરાઠા સામ્રાજ્યના સમ્રાટ છત્રપતિ શ્રી શિવાજી મહારાજ, માઁ તુલજા ભવાનીના, અનન્ય ભક્ત હોવાથી, માઁ ભવાનીએ, સાક્ષાત દર્શન આપીને, તલવાર ભેટ આપી હતી, જેને 'ભવાની તલવાર' તરીકે ઓળખવામાં આવે છે.

* આશરે ૧૨મી શતાબ્દીમાં, મહારાષ્ટ્રની સહ્યાદ્રિ પર્વતમાળાની યમુનાંચલ નામની ટેકરી પર, સોલાપુર પાસે આવેલા, તુલજાપુરમાં નિર્માણ પામેલું, માઁ ભવાનીનું મંદિર આજે પણ ભક્ત-દર્શનાર્થીઓની આસ્થાનું પરમધામ ગણાય છે.જેમાં, હાથમાં અનેક આયુધ અને મહિષાસુરનું વાઢેલું મસ્તક ધરીને, અષ્ટભૂજાધારી માઁ ભવાનીની ગ્રેનાઈટની મૂર્તિ સ્થાપિત કરેલી છે.

* વેસ્ટ બંગાળમાં, નવરાત્રીને `દુર્ગા પૂજા',ના ઉત્સવથી ઓળખાય છે.

* પંજાબમાં, નવરાત્રીના તહેવારને, પાકની લણણીના આનંદોત્સવ સાથે જોડી દઈને, આ સાત દિવસ ઉપવાસ કરીને, આઠમા અષ્ટમીના  દિવસે, કુમારિકા ભોજન કરાવી, શીરો, ચણા-પુરીથી પારણાં કરવામાં આવે છે.

* સમગ્ર દક્ષિણ ભારત, તામિલનાડુ,કર્ણાટક, કેરાલા અને આંન્ધ્રપ્રદેશમાં, નવરાત્રીના દસ દિવસ દરમિયાન, માઁ સરસ્વતી પૂજા કરી, ઘરના દરવાજે, મહિલાઓ,  'Bommai Kolu' નામની લાકડાની મૂર્તિ ટીંગાડે છે તથા આંગણામાં, રંગપાવડર તથા રંગબેરંગી ફુલોથી સાથિયા પુરે છે.મસૂરની દાળ અને સાકરમાંથી બનાવેલ, 'sundal',નામની વાનગી બનાવે છે તથા મિત્રો અને સગાવહાલાંને, નાળીયેરની મીઠાઈ અને વસ્ત્ર ભેટ આપે છે.

`ગરબો`, શબ્દનો મૂળ અર્થ

`ગરબો`, શબ્દનો મૂળ અર્થ, `કુંભના ગર્ભમાં (ઘડામાં) પ્રગટાવેલો દીપ`, થાય છે. તેથીજ, રાસ ગરબાના કાર્યક્રમમાં, માતાજીની છબી અથવા મૂર્તિની, સ્થાપના સાથેજ, ભીતર અખંડ પ્રગટે તેવો, દીપ પ્રગટાવીને મૂકેલા,  કાંણાવાળા કુંભની સ્થાપના કરવામાં આવે છે અને તેને `ગરબો` કહે છે.

ગરબા રમવાની પદ્ધતિ પરથી તેની અલગ ઓળખ સ્થાપિત થયેલી છે, જેમકે, દાંડિયા રાસ, એક તાલી, ત્રણ તાલી, ખંજરી-મંજિરા ડાન્સ, દીવા નૃત્ય (જેમાં ૧૦૦૧ દીવાની આરતી પણ થાય છે..!!) ,ટીપની નૃત્ય, તલવાર ડાન્સ, બેડાં ડાન્સ, થાળી ડાન્સ, છત્રી ડાન્સ, કેવળ આઠ ખેલૈયા રમે તે 'અઠંગો' અને સોળ ખેલૈયા રમે તેને 'સોલંગો' ડાન્સ કહે છે..!! વર્તમાન ૨૦૧૦ના ગરબા ક્લાસિસમાં, વળી હિપહોપ,સાલસા, જાઝ, વિગેરે વિદેશી નૃત્ય શીખવવાનું ચલણ જોરમાં છે?

મુંબઈમાં, મોટાભાગે, સંકલ્પ તથા સુવિખ્યાત દાંડિયા ક્વીન સુશ્રીફાલ્ગુની પાઠકના ગરબા અત્યંત લોકપ્રિય છે. જોકે, લહેરીલાલાની નગરી સુરત અને રજવાડી ધરોહર સમી, સંસ્કારનગરી વડોદરાના, બાહ્ય આછકલાઈ અને કૃત્રિમ દેખાડાથી, જોજનો દૂર એવા, સુગમ સંગીત આધારિત, પરંપરાગત ગરબા નિહાળવા તે, જીવનનો એક અલભ્ય લહાવો ગણાય  છે.

અમદાવાદની પોળમાં યોજાતા 'શેરીગરબા'નો, આજે વર્ષો પછી પણ એવોજ ચાર્મ જળવાઈ રહ્યો છે. સાથેજ અત્યંત જોશ અને ઉમંગ ભરેલા,પાવન સ્થળ, પોશીના(સાબરકાંઠા), બાલારામ, અંબાજી, પાવાગઢ તથા સૌરાષ્ટ્રના કચ્છ-ભૂજ  વિસ્તારના, અદ્વિતિય દાંડિયા - રાસનું તો પૂછવુંજ શું? આવા  રાસ-ગ્રુપને તો, પોતાની કળા રજુ કરવા, ખાસ વિદેશમાં પણ, સાદર આમંત્રણ મળે છે..!!

ગુજરાતની ઓળખ  સમાન, રાસ-ગરબાએ , છેલ્લા કેટલાક દસકાઓથી, આખાય ભારત જ નહીં, વિદેશમાં વસતા ગુજરાતીઓના ઉલ્લાસ અને ઉત્સાહને કારણે, લૉસ એન્જેલેસ (USA), લંડન, લૅસેસ્ટર અને બર્મિંગહામ ( UK ), ન્યૂ સાઉથ વૅલ્સ, સિડની, મૅલબૉર્ન, બ્રિસબૅન અને પર્થ (ઑસ્ટ્રેલિયા), દુબાઈ કન્ટ્રી ક્લબ હૉટેલ ( Dubai - UAE) , જેવા  સાવ  અલગ જ સંસ્કૃતિની ઓળખ ધરાવતાં સ્થળ - કાળ - દેશની, સંગીત-નૃત્યપ્રેમી જનતાને પણ, આપણા રાસ-ગરબાનું ઘેલું લગાડ્યું છે.

નવરાત્રી અંગે કરાતા સાચા-ખોટા આક્ષેપો, ( તથ્ય અને તારણ )

શું આપને આ આક્ષેપમાં તથ્ય લાગે છે કે, આ કારમી મોંઘવારીમાં, સતત, આથિક તંગીમાં જીવનનિર્વાહ કરતા, ઘણા બધા, માતા-પિતાને, નવરાત્રી નજીક આવે ત્યારે પોતાના સંતાન માટે, `ગરબા ક્લાસીસ`, નવ દિવસ માટે, નવ અલગ ચણીયાચોળી અથવા કાનુડાના ડ્રેસ, અવનવી ડીઝાઈનનાં ઑક્સીડાઈઝનાં નકલી ઘરેણાં, ગરબાના સ્થળે, મોંઘોદાટ પ્રવેશ પાસ,   આવવા જવાનો   અને   ખાણીપીણીનો ખર્ચ ગણીને, સંતાન   દીઠ,   નવ-દસ   દિવસનો   કુલ    ખર્ચ, ` . ૫૦૦૦/- થી લઈને  `. ૫૦,૦૦૦/- અને ક્યારેક તો, તેથી પણ વધારે રકમની જોગવાઈ, કરવાની ફરજ પડે છે?

સર્વને વિદિત છેકે, સન- ૧૯૭૦ ના, દશકની શરૂઆત સુધી, નવરાત્રી મહોત્સવ, પોતાની પોળ, શેરી, મહોલ્લા, કે બેચાર સોસાયટીના રહીશો  ભેગા મળી, જરૂર પુરતી  રકમનું   ઉઘરાણું (દાન) એકઠું  કરીને, રંગેચંગે ઉજવતા. જેમાં દરરોજ રિસેસ દરમિયાન ચ્હા-કોફી કે નાસ્તાનો પણ પ્રબંધ રહેતો, ક્યારેક વળી આશ્ચર્યરૂપે, કોઈ દાતા તરફથી, તમામ ખેલૈયાઓને, પ્લાસ્ટીકની સસ્તી વસ્તુઓથી લઈને સ્ટીલના મોંઘા વાસણ સુધીની, લહાણી પણ વહેંચાતી હતી..!!

જોકે, આજકાલ તો, નવરાત્રીના રંગમાં,અન્ય કોઈથી સહેજપણ  નીચા ન દેખાઈ જવાય તે માટે, જેમનાં ખીસ્સાં ખાસ ગરમાગરમ, હોય છે, તેવાં ભાઈઓ અને બહેનો માટે, હાટડીઓ, નવરાત્રીના મહિનાઓ અગાઉથીજ મંડાઈ જાય છે. જેમાં, બહેનો માટે, ચણીયા ચોળીમાં સજાવેલા રંગબેરંગી મણકા, નાના શંખ,કૉડી,છીપલાં, આભલાં (mirror)  અને ભારે પ્રમાણમાં ઍમ્બ્રોયડરી વર્ક કરેલું હોય છે. આર્ટીફીસીયલ ઘરેણાંમાં, ઑક્સૉડાઈઝ  મેટલનાં ઝૂમખા, નેકલેસ, ભાતભાતની બિન્દી, બાજુબંધ, ચૂડા, કંગન, કમરબંધ, પાયલ, પગમાં અવનવી મોજડીઓ, રોજ નવી ઓઢણીઓની, એકમેકથી ચઢી જાય તેવી, વિવિધતા જોવા મળે છે.

જ્યારે, ભાઈઓ માટે, કફની-પાયજામા, કેડીયાં, નાના કુર્તા, જાતજાતની બાંધણીમાંથી બનાવેલા પાઘડી, ફેંટા, ઘરેણામાં રબારી સ્ટાઈલનાં કડાં તથા વિવિધ રંગની મોજડીઓની વિવિધ શ્રેણી પસંદગી માટે હાજર હોય છે.

જોકે, નવરાત્રી બાદ ઍબોર્શન અને જાતીય રોગના દર્દીઓમાં, અપ્રતિમ વધારો થવાના આક્ષપોથી અકળાયેલા, એક મિત્ર કહે," મહિષાસુરમર્દિની, માઁ દુર્ગા-ચંડિકાએ, તેમના પર કુદ્રષ્ટિ કરનારા, માઁસ-મદિરાનું સેવન કરનારા, રાક્ષસવૃત્તિ ધરાવતા, મહિષાસુરનો વધ કર્યો તો, પછી, તેજ માતાની ભક્તિ અને તપ કરવાના પાવન દિવસોમાં, રણચંડી, માઁચંડિકાના સાક્ષાતરૂપ સમી, ગરબે ઘૂમતી આ, કન્યાઓ, નવરાત્રીની નવરાત  દરમિયાન, પોતાની મજાક-મશ્કરી કે લાજ લૂંટવાની કોશિશનો મલિન ઈરાદો ધરાવતા, કળીયુગી રાક્ષસોનો વધ કરવાનું તો દૂર, તેમનો વિરોધ પણ નથી કરી શકતી?"

સાલું..!! વાત તો વિચારવા જેવી છે. આવા પાવન પર્વમાં, આ પ્રકારના, `સેક્સ્યુઅલ હેરેસમેન્ટ`થી પીડાતી, દરેક ભારતીય કન્યાઓએ, આ પ્રશ્નનો જવાબ મેળવવા, પોતાના અંતર મનમાં, ખોજ કરવી જોઈએ?

માની લઈએકે, આપણી ગુજ્જુ કન્યાઓ નવરાત્રી દરમિયાન હજુ પોતાને, સેક્સની લપસણી લાલચમાંથી બચાવી જાણે છે..!!  પરંતુ, શું મુંબઈની આશરે, ૫૦,૦૦૦ બારબાળાઓ, નવરાત્રીના સમયગાળામાં, ગુજરાતમાં નવરાત્રીના બહાને,  નૃત્ય કરવા ( લટકાઝટકા?)  થનગની રહી છે? જો આ સત્ય હોય તો, આપણા ગુજ્જુ યુવાનો, તેમના સેક્સી લટકાઝટકાઓના આકર્ષણમાંથી બચી શકશેકે કેમ, તે એક અતિ ગંભીર સવાલ છે?

ગુજરાતમાં, પોતાની સોસાયટીના રહીશો પુરતું, નવરાત્રી મહોત્સવનું આયોજન કરતાં,કેટલાક સુપ્રસિધ્ધ સ્થાનિક મંડળોના, આયોજનકર્તાઓએ તો, આવા  બધા આક્ષેપોથી પીછો છોડાવવા, નવરાત્રીનું આયોજન  કરવાનુંજ  બંધ  કરી  દીધું છે. પણ તેથી શું?

આ તો એવી વાત થઈકે, પોતાના ઘરમાં,  પ્રેમી સાથે રોમાન્સ કરતી દીકરીને નિહાળીને, ફરીથી તેમ ન બને તે માટે, જે  સોફાસેટ પર રોમાન્સ થતો હતો, તે સોફા વેચીને, કાયમી નિરાંત અનુભવી? આમ કરવાથી તો , યુવાધન, સાવ અજાણી, અસલામત જગ્યાએ, નવરાત્રી માણવા, જવા નહીં પ્રેરાય?

નિષ્ણાત જાણકારોના મત અનુસાર, "નવરાત્રીના નવ દિવસ દરમિયાન, હજારો યુવાન કન્યા અને યુવકો, મોડી રાત સુધી, એકસાથે ગરબે ઘૂમવાનો આનંદ માણે છે. ત્યારે  આગ અને ઘી ભેગાં થવાથી જે પરિણામ આવી શકે તેવીજ શક્યતા દ્વારા, ન ગમતા ગર્ભધારણ અને જાતીયતાને લગતા, સામાન્ય,  સાધ્યથી લઈને, `HIV+` જેવા અસાધ્ય,જીવલેણ રોગના ભોગ બનવાની શક્યતા, અનેકઘણી વધી જાય છે."

મુંબઈમાં, `નવરાત્રી ડાંડિયા ફેસ્ટિવલના આયોજક`, (project coordinator, Avert society), શ્રીમંગલ મોરે કહે છે," અમારા ફેસ્ટિવલમાં, પુરુષ અને સ્ત્રી કાર્યકર્તાઓ, સતત ફરતા રહીને, મફત `condoms`નું વિતરણ સ્ટોલ પરથી કરે છે..!! જેનો, અમને સારો પ્રતિસાદ મળે છે."

જોકે, મુંબઈની જસલોક તથા નાણાવટી હૉસ્પિટલ અને રિસર્ચ સેન્ટરના વડા,ગાયનેકૉલોજિસ્ટ, ડૉ.રેશ્મા પાઈના  મતે, " આ રીતે, જાહેરમાં, કંડોમનું મફત વિતરણ, યુવાઓમાં, ખોટો મેસેજ વહેતો કરે છે, કારણકે, તેમ કરવા છતાં આ પદ્ધતિ નિષ્ફળ જવાના ચાન્સ ઘણા વધારે છે..!!"

ફૅમીલી પ્લાનિંગ ઍસોસિયેશનના (FPA), પ્રૅસિડન્ટ  અને  ' International Council of Sex Education and Parenthood' ના વડા , ડૉ. મહિંન્દર વત્સ, અને `FPA`ના વાઈસ-પ્રેસિડન્ટ, સુશ્રીજાનકી દેસાઈ  જણાવે છેકે," આવા તહેવારો દરમિયાન, અસલામત જાતીય સબંધની શક્યતાઓને ધ્યાને લેતાં, યુગલોને `કૉન્ટ્રસૅપ્ટિવ પીલ્સ`, હાથવગી રાખવા, ખાસ ભલામણ છે."  સરકારી સંસ્થા` Family Planning Association (FPA)`, નવરાત્રી ના ખેલૈયાઓને, દર વર્ષે, અસલામત જાતીય સબંધ વિરુદ્ધ, સાવચેતી રાખવા, સચેત કરતી જાહેરાત કરે છે?

UNICEF - Gujarat ના સર્વે પ્રમાણે, "Among the estimated 5.1 million people living with HIV/AIDS in India, 15% are children under 15 years of age."

જોકે, કેટલાક ઉદાર મતવાદી વિશ્લેષકો અને યુવાઓના મત અનુસાર," ૧૮ વર્ષની પૂખ્ત વયે પહોંચેલી વ્યક્તિને, તેના ભલાબૂરાનું જ્ઞાન હોય છે જ..!! આજના આધુનિક યુગમાં જન્મેલાં, કુમાર,કન્યા, એટલાં તો સ્માર્ટ છેજકે, તેઓ જે કાર્ય કરે તેમાં પુરતી સાવચેતી જાળવી શકે...!! તેથીજ, તેમને કોઈ બાબતે, પરાણે આપવામાં આવતો ઉપદેશ, તે હંમેશા, એક કાન થી બીજા કાનમાંથી કાઢી નાંખતા હોય છે, તો તેવા સંભાષણ કે ઉપદેશનો ફાયદો શું?"

એક  યુવાન કૉલેજ કન્યા મને કહે," અંકલ, આવા આક્ષેપોમાં કોઈ દમ નથી. કોઈ યુવા કપલને, રોમાન્સ કરવોજ હોય તો, આડા દિવસે, અમે બધા મનફાવે ત્યાં ફરતાજ હોઈએ છેને, અમને કોણ રોકવા આવે છે?"

પરંતુ, મારી બહેન..!! આમાં કોઈ ઉપદેશ આપવાનો સવાલ જ નથી. જેને જે કરવું હોયતે, ભલે કાયમ, ગમે તે કરેને? પરંતુ, નવરાત્રીના બહાના હેઠળ?

 * જે કુમાર કે કન્યા, જાતીયતાની બાબતમાં અજ્ઞાન હોય,  * ઉપરાંત જેમની, આવાં ધૃણિત કાર્ય પ્રત્યે, નામરજી હોય,

* જેમને છેતરીને નિર્દોષ પીણાં પીવાના બહાને ડ્રગ્સ ભેળવી,લાચાર, અભાનાવસ્થાનો લાભ લેવાતો હોય,

* જેમની લજ્જા-શીલ કે મર્યાદા ભંગ થાય તેવા ગંદા ઈશારા કે ચેનચાળા કોઈ કરે, તે ગમતી વાત નહોય,

* જે આ રીતે, પોતાની પર થયેલા, અત્યાચારી બળાત્કારને સાંખી લેવા ન માંગતા હોય,

તેવા સર્વ યુવા કુમાર-કન્યાઓને માટે, આવી કફોડી અને પોતાના સ્વમાનભંગ જેવી, હીણપતભરી પરિસ્થિતિથી બચવા માટે, શું સાવધાની રાખવી જોઈએ અથવા તેની વિરુદ્ધ કાયદામાં કઈ જોગવાઈઓ કરેલી છે તેનું જ્ઞાન આપવું, ઉપદેશ  આપ્યો,  કેવી રીતે કહી શકાય?

" While a murderer destroys the physical frame of the victim, a rapist degrades and defiles the soul of a helpless female."

As observed by Justice Arjit Pasayat. (Hon'ble Dr. Justice Arijit Pasayat ; Born on 10.5.1944; Appointed as Judge , Supreme Court of India on 19-10-2001; Retired on 10-05-2009)

જોકે, નીચે જણાવેલ, કેટલાક પ્રશ્નોના જવાબ મેળવવા સહેલું નથી..!!

* શું નવરાત્રી દરમિયાન,તમારો ડ્રેસ સેક્સી અને વ્યવહાર, કોઈ દિલફેંફ મજનુને, તમારા વિષે, ખોટા સંકેત આપે તેવો છે?

* શું નવરાત્રી દરમિયાન, આકસ્મિક થયેલ મિત્ર, પુરતા પરિચય વગરજ, તમને સીધીજ લગ્નની લાલચ આપે છે?

* શું, નવરાત્રી દરમિયાન, ગુજરાતની મોટાભાગની હૉટલ-લૉજ હાઉસફુલ રહે છે?


* શું આ ગાળા દરમિયાન, કંડોમ્સ અને કૉન્ટ્રાસેપ્ટિવ પીલ્સનું  વેચાણ  ૩૦%  જેટલું  વધી  જાય  છે?

* શું  જેમને નવરાત્રીની આસ્થા સાથે, કોઈજ લેવાદેવા નથી, તેવા હિંદુ સિવાયની, અન્ય તમામ કોમના, માઁસાહારી, વિધર્મી યુવકો, તમારી સાથે  મૈત્રી કરીને, ટ્રેડીશનલ ડ્રેસમાં, તમારા ગ્રુપ સાથે, ગરબે રમવા આવવા માટે, સફળ-નિષ્ફળ, પ્રયત્ન કરે છે?

* શું કોઈ ચોરીછૂપીથી, મૉબાઈલ અથવા અન્ય હેન્ડી કૅમેરાથી, તમારા ફોટા અથવા વીડીયો ક્લીપ ઉતારવાનો પ્રયત્ન કરે છે?

નવરાત્રીપર્વને સલામતીપૂર્વક માણવા, આટલું જરૂર કરો.


* જગતજનની,રણચંડી  માઁ ભવાનીના જપતપ માટે યોજાતા, ગરબામાં ભાગ લેતી વેળાએ, રોડ રોમિયોની અભદ્ર કૉમેન્ટ પ્રત્યે, તમારો મિજાજ પણ, માઁ ચંડિકા જેવો, ઉગ્ર, 'ZERO TOLERANCE'નો  રાખો.

* કોઈપણ પ્રકારનું વ્યસન કરનારાકે, ફ્રેન્ડશીપ કરવાના બહાને, અગાઉ અન્ય સાથે, શારીરિક છૂટછાટ લઈ ચૂકેલા હોય તેવા, ખેલૈયા ગ્રુપ કે કપલથી, બને તેટલા છેટાજ રહો. શક્ય હોય તો તમને, જેના પર વિશ્વાસ હોય તેવા સગાસબંધી અને  મિત્રોનું,પોતાનું જ અલગ ગ્રુપ બનાવો.

* કોઈ બદઈરાદો ધરાવતા હોય તેવા, ' One night stand ' નો આનંદ ભોગવવામાં માનનારા અથવા અજાણ્યા ખેલૈયાના હાથે, કોઈજાતનું પીણું કે નાસ્તો લેવાનું ટાળો. તમારી છઠ્ઠી ઈંન્દ્રીયનો મહત્તમ ઉપયોગ કરો.


* ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં, તમારો આત્મવિશ્વાસ નબળો પડવા ન દેશો.યાદ રાખો 'સેક્સ મૅનિયાક' સ્વભાવે, હંમેશા બીકણ હોય છે.

* તમારા ગ્રુપ સાથે, કારણ વગર કરાયેલા ટંટા-ઝઘડા જેવી, કોઈપણ સ્થિતિમાં, કોઈ અજુગતું સમાધાન સ્વીકારવાને બદલે, સીધાજ, પોલીસની સહાય મેળવો.


* તમારી સાથે આવેલા તમામ મિત્ર, તમારી સલાહ ન માનીને, વ્યસન કે અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા હોય અને તમે સાવ એકલા પડી જાવ તો, તેમની રાહ જોઈને, ત્યાં રોકાવાને બદલે, સહેજપણ  વિલંબ કર્યા વગર, ઘર ભેગા થઈ જાવ.

* ગુજરાતમાં, ગરબાનો સમય માત્ર રાત્રીના ૧૨ વાગ્યા સુધીનો છે, ત્યારબાદ મોડી રાત સુધી, આડાઅવળા ફરવાને બદલે, સમય વિત્યે ઘેર પહોંચીને, આરામ કરવાનું રાખો.

* નવરાત્રીના, દર ત્રીજા દિવસે, ઘેર વહેલા પહોંચી,ઉજાગરા ભરેલા, થાકેલા શરીરને, પાકી ઊંઘ ખેંચી નાંખીને, પુરતો આરામ આપો.

* ચરબીયુક્ત ભારે ખોરાકને બદલે, હલકો ખોરાક અને પાણી કે છાશ જેવું, કુદરતી પ્રવાહી, શક્ય તેટલું વધારે લો. હદ બહાર તરસ લાગે ત્યાં સુધી, પાણી પીવાની રાહ ન જુવો. વચ્ચે-વચ્ચે થોડું પાણી પીતા રહો. બહારના જંકફૂડની ક્વૉલીટીની ખાત્રી કર્યા વગર, તેનો ચટાકો હરગીજ ન કરશો. શક્ય હોય તો ઘરનો બનાવેલો નાસ્તો સાથે રાખો.


* ઝડપથી થકવીને, ડીહાઈડ્રેશન કરે તેવા, અતિશય સજાવટવાળા, ભારે ડાન્સ ડ્રેસ પહેરવાનું ટાળો. કોઈની વિકૃતિને લલચાવે, તેવા શરીરનાં અંગપ્રદર્શન કરતા ડ્રેસ પહેરવાનું ટાળો. આમેય પોલીસ કમિશ્નરના જાહેરનામા અનુસાર,ગરબાના સ્થળે પ્રવેશ માટે, જીન્સ, જર્સી, ટીશર્ટ તથા સ્કર્ટ  જેવા વસ્ત્રોને, અભદ્ર (indecent dresses) ની શ્રેણીમાં ગણવામાં આવે છે, તેથી સાદો ટ્રેડીશનલ ડ્રેસ પહેરીને જવાનો આગ્રહ રાખો.


* ગરબે ઘૂમતાં, સહેજપણ થાક અનુભવાયતો, ભીડ ભરેલી જગ્યાએ, થોડોક વિરામ કરી લો. હૉટલ,લૉજ,ફાર્મ હાઉસ  જેવા એકાંત સ્થળ પર, આરામ કરવાના આમંત્રણને, શરમ વગર, વિવેકપૂર્વક પાછું ઠેલો.

* આખરે શરીરની પણ  એક મર્યાદા છે. હાથ-પગના સ્નાયુઓની ઈજા કે અસહ્ય દર્દથી રાહત મેળવવા,  'Ibuprofen', જેવી વેદનાપરિહારક ગોળીઓ, (તબીબની સલાહ લઈનેજ)  હાથવગી રાખો.

* ગરબાના સ્થળે,પહોંચતાંજ સલામતી માટે, ગોઠવેલા સિક્યુરીટી પર્સન્સ, બાઉન્સર્સ અને ખાનગી ડ્રેસમાં ગોઠવાયેલા, પુરુષ અને સ્ત્રી પોલીસ કર્મચારીઓ,  ક્યા-ક્યા  સ્થળે ગોઠવાયેલા છે..!! તે અવશ્ય ચેક કરી લો.


* બૉમ્બ  બ્લાસ્ટ અને દંગા-ધમાલ જેવી ઈમરજન્સીમાં, ઝડપથી બહાર જવા, સહુથી નજીકના ગેટની તપાસ કરી લો.


નવરાત્રીના પાવન પર્વ દરમિયાન,અસામાજીક તત્વો દ્વારા થતી, નિર્દોષ મહિલા ખેલૈયાની. જાતીય સતામણી, રંજાડ અને બળાત્કાર જેવા, જઘન્ય કુકૃત્યને, રોકવા ( Provisions of the Indian Pena Code.) ભારતીય દંડ સહિતાની અગત્યની જોગવાઈઓ પર એક નજર નાંખીશું?

* Indian Penai Code Section.509 તથા Indian Penal Code ના under Sections.294.4 અનુસાર, કોઈપણ સ્ત્રીની લજ્જા,શીલ કે મર્યાદાનું અપમાન થાય અથવા જાતીય સતામણી  થાય તે પ્રમાણે, જાહેરમાં અયોગ્ય વર્તન કરનાર વ્યક્તિ, જેમકે- દ્વીઅર્થી ગીત ગાવું, અભદ્ર ભાષાપ્રયોગ, ચેનચાળાકે ઈશારા કરવા, ખરાબ ઈરાદાને અનુરૂપ કોઈ ચીજવસ્તુ(object) દર્શાવવવી અને/અથવા નારીના એકાંતના હક્કનો ભંગ થાય, તેવી વર્તણુંકને, કાયદા અનુસાર ગુન્હો ઠેરાવી, તેમ વર્તનારને, એક વર્ષ સુધીની કેદ અને / અથવા દંડ, બંને  સજાને પાત્ર થઈ શકે છે

* Indian Penal Code ની સેક્સન ૩૭૫ અનુસાર,`બળાત્કાર`ની વ્યાખ્યા મુજબ,નીચે જણાવેલા, છ સંજોગોમાંથી, કોઈપણ એક પરિસ્થિતિમાં આચરવામાં આવેલા,જાતીય સમાગમના કૃત્યને, `બળાત્કાર`નો ગુન્હો ગણી શકાય.

૧. બળાત્કારનો ભોગ બનનારની, મરજી વિરૂદ્ધ આચરેલું કૃત્ય.

૨.  બળાત્કારનો ભોગ બનનારની, સંમતિ મેળવ્યા વગર આચરેલું કૃત્ય.

૩. બળાત્કારનો ભોગ બનનારની, મોત અથવા ઈજા પામવાના ડર સાથે,ધાકધમકીથી મેળવવામાં આવેલી સંમતિ ના સંજોગોમાં.

૪. બળાત્કારનો ભોગ બનનારનો, પોતે, પતિ ન હોવાનું જાણવા છતાં, લગ્નની લાલચ આપીને મેળવવામાં આવેલી સંમતિ

૫.બળાત્કારનો ભોગ બનનારની, મનઃસ્થિતિ કાબૂમાં ન હોય અથવા કોઈ નશો,કેફ, કે આવેશમાં આવીને અથવા બીનતંદુરસ્ત પદ્ધતિથી બેવકૂફ બનાવીને, અથવા આ કૃત્યનાં પરિણામ સમજવાને અસમર્થ મનઃસ્થિતિના સંજોગો ઉભા કરીને મેળવાયેલી સંમતિ.

૬. બળાત્કારનો ભોગ બનનારની ઉંમર, જો સોળ વર્ષ કે તેથી ઓછી હોય તો તેની સંમતિ હોય કે અસંમતિ હોય તો પણ તેને બળાત્કાર ગણી શકાય.

"The law of rape is not just a few sentences. It is a whole book, which has clearly demarcated chapters and cannot be read selectively. We cannot read the preamble and suddenly reach the last chapter and claim to have understood and applied  it."                                                             

-   Kiran Bedi.  ( Kiran Bedi - Born 9 June 1949  ; Ex. Director General, BPR&D (Bureau of Police Research and Development), Ministry of Home Affairs. She retired from the IPS in December, 2007.)

સત્ય તો એજ છેકે, જાણે કાલનો સૂર્ય જોવાનું ભાગ્યમાં લખ્યું જ નથી તેમ સમજીને, `આજની ઘડી રળિયામણી રે લોલ`,ની માફક, બેફિકરાઈભર્યા, સ્વચ્છંદતા ભરેલા, મૂક્ત  વાતાવરણમાં, ઘોંઘાટથી ભરેલા, અતિશય ખર્ચાળ, અનેક વ્યસનને તથા અનેક જીવલેણ રોગને આમંત્રણ આપતા, જાહેર તહેવારોની ઉજવણી, કાયદાના પાલકો અને સમાજ માટે, દિવસે-દિવસે ઘાતક પરિસ્થિતિનું નિર્માણ કરી રહ્યા હોય તેમ, કોઈને લાગતું હોય તો, નવાઈ પામવા જેવી બાબત નથી જ નથી..!!

બાકીતો, જેમને મન નવરાત્રી એટલે, પોતાનું સ્વમાન ખોઈને, પોતાના જીવનને જોખમમાં મૂકી, આખાય કુટુંબને શરમજનક સ્થિતિમાં મૂકી, બેશરમીથી આઝાદી ભોગવવી, તેમ અર્થ થતો હોય તેવા, માર્ગ ભૂલ્યા તમામ ખેલૈયાઓને, સુધારવા ની કવાયત એટલે..!!

બળદને દોહીને, દૂધ પીવાની આશા રાખવા જેવી, નિરર્થક કવાયત છે, તેમ આપને નથી લાગતું?


માર્કંડ દવે. તા. ૦૮ - ૦૯-૨૦૧૦.

1 comment:

  1. Nice audeo linked site, compositions are nice and inspiring.
    "Saaj" Mevada

    ReplyDelete

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.