Wednesday, November 3, 2010

નવલા વર્ષના નવપ્રભાતે, પરિવર્તનની પાંચ પ્રતિજ્ઞા.

 નવલા વર્ષના નવપ્રભાતે, પરિવર્તનની પાંચ પ્રતિજ્ઞા.
આપ સર્વે સાહિત્યપ્રેમી મિત્રોને, મારા દિપાવલીમુબારક .


" ॐ सर्वे भवन्तु सुख़िनः , सर्वे सन्तु निरामयाः।
  सर्वेभद्राणि पष्यन्तु, मा कश्चित्दुःख  भाग भवेत॥" ( उपनिषद)


અર્થાતઃ- સર્વજન સુખી થાવ, સર્વજન નિરોગી રહો, સર્વના જીવનમાં, મંગળ પ્રવર્તે તથા કોઈના જીવનમાં દુઃખની છાયા ન પડે.


=============

પ્રિય મિત્રો,

વિક્રમ સંવત-૨૦૬૬ પૂર્ણ થઈને વિ.સં.-૨૦૬૭ના વર્ષે, જીવન પ્રકાશનો, શુભ સંદેશ લઈને, અબાલવૃદ્ધ સહુની પ્યારી, દિવાળી, રૂમઝૂમ, મલપતી, નૃત્યમય ચાલે, આપણા દિલના દરવાજે દસ્તક દેવા આવી પહોંચી છે ત્યારે, આ લેખ માણનારા, પૂખ્તવયના તમામ  મિત્રોને, એક ક્ષણ માટે, દુન્યવી સમસ્યાઓમાંથી બહાર આવીને, પોતાના બાળપણની બારીમાં ડોકિયું કરવા ખાસ ભલામણ છે.

મને ખાત્રી છે, આપણા  ઉરના એક ખૂણે ધરબાઈ ગયેલી, બાળપણની યાદનો, એજ અનેરો રોમાંચ, ફરીથી  બાળપણમાં અત્યંત હર્ષોલ્લાસથી માણેલી, એજ દિવાળીના તહેવારની સફરે,આપણને  જરૂર લઈ જશે. આપણા રોમે-રોમમાં રોમાંચ ભરી દેશે..!!

આ..હા..હા..હા..!! કેવા હતા તે દિવસો..!! ક્યાં ગયો, તે બાળસહજ આનંદ અને તેનો અવર્ણનિય રોમાંચ..!! બાળપણમાં, દિવાળીના દિવસોમાં, ઘણાબધા આનંદ બેવડાતા નહીં ત્રેવડાતા..!!

એક તો શાળાનું મનગમતું, આશરે વીસ દિવસનું મીની વેકેશન, બીજું ઘરમાં બનતાં  ફરસાણ, મઠિયાં અને મીઠાઈની મઘમઘતી સોડમ અને ત્રીજું, બહારગામ વસતાં,  આપણીજ સરખી ઉંમરનાં બાળગોપાળ સાથે, ઘરનાં આપણાં ભાઈ-બહેન અને અન્ય સગાનું, દિવાળી માણવા થયેલું આગમન..!!

અમારા, કેટલાક ઉંમરલાયક  મિત્રો, બાળપણમાં, દિવાળીમાં થતા, રોમાંચનું વર્ણન કરી રહ્યા હતા  તેવામાં, એક  મિત્ર અમને કહે,

" યાર..!! છોડોને, જુની વાતો. હવે જમાનો બદલાઈ ગયો છે. મારાથી નાની વયનાંને અગાઉ, વાતે-વાતે, એમ કહીને, દબડાવવાની, મને મઝા આવતીકે, બેસ, બેસ હવે, તારા કરતાં વધારે દિવાળી, મેં  જોઈ છે..!! પણ હવે, પાંચ વર્ષની વયનો મારો નાનો પૌત્ર, મને મોબાઈલના, લાલ-લીલા બટન દબાવતાં શીખવે છે,  બોલો, મારે મારા ગુરૂને કેમ કરીને દબડાવવો? "

જોકે, પેલા મિત્રની વાત, મને સાવ સાચી લાગે છે, આ  તહેવારનો અર્થ, સંદર્ભ અને રોમાંચની માત્રા એટલી હદે પરિવર્તન પામ્યાં છેકે, જુની પેઢી હવે, દિવાળીનો તહેવાર, જુની યાદના સહારે, માણે તેમાંજ તેમને મઝા છે..!!

નાનાં સર્વે કરતાં, વધારે દિવાળી જોયા હોવાનું, જ્ઞાની હોવાનું, અભિમાન કરવાના, જુની પેઢીના લોકોના, દિવસો, હવે ગયા..!! સાથેજ, મને એક પ્રશ્ન થયોકે, શું આજના ડિજિટલ યુગમાં, મોટાભાગે, કુદરતી જન્મને બદલે  સિઝેરિયન ઑપરેશનથી, જન્મેલી નવી સ્માર્ટ પેઢીને, આપણા બાળપણ જેવીજ, દિવાળી માણવાની મઝા આવતી હશે?

દિવાળીની ઉજવણી (વિસરાતી ક્ષણો)

સન- ૧૯૮૦ના દાયકા સુધી, ગામડાં અને શહેરોમાં પણ, દિવાળીનો તહેવારએ, તમામ કડવાશ ભૂલીને, એકબીજાને, રૂબરૂ મળવાનો અને પ્રેમથી ભેટવાનો આનંદમય અવસર ગણાતો. પરંતુ જ્યારથી સંદેશા વ્યવહારની સુવિધાજનક ક્રાંતિ આવી છે ત્યારથી, મોટાભાગે " સાલમુબારક - ના મળશો આજ કે ના મળતા કાલ, લો આ કરી, કૉપી ટુ ઑલ" કરીને, મોં-માથા વગરના, અતિશયોક્તિભર્યા, `SMS; E-MAILS` કે વધારે નજીકનો સંબંધ હોય તો, મોબાઈલની ફૉન ડિરેક્ટરી ખોલીને, યાદ કરી-કરીને, થોડા મનથી અને  વધારે કમનથી, વારાફરતી ઘરનાં સર્વેને, દિવાળી અને નવલા વર્ષનું સાલમુબારક પતાવી દેવાય છે..!!

હવે, કોઈ કોઈના ઘેર જઈ, મઠિયું-ઘૂઘરા ચાખતું નથી કે કોઈ કોઈને, મઠિયું-ઘૂઘરા ચખાડતા નથી. પહેલાં જેવી પાચન શક્તિજ કોઈની ક્યાં છે? વળી લટકામાં, સહુ કોઈ હેલ્થ કૉન્સિયસ હોવાના  દંભમાં રાચે છે?

મને તો, નાનપણમાં, બા અને બાપુજીને, દિવાળીની સફાઈમાં કરાતી મદદનો આનંદ અને તેના કરતાંય, માળીયું સાફ કરતી વેળાએ  મળી આવતા, આપણાં જુના વિસરાઈ ગયેલા દડા, રમકડાં કે ફૉટા..!! અને પછી, તે  કામના છે કે નકામા? તે નક્કી કરવા, ઘરના સદસ્યોમાં, બે પક્ષ પડીને થતી મીઠી તકરાર અને છેલ્લે, બાએ, આપણા પ્રત્યેના વહાલને કારણે, આપણા પક્ષે આપેલો ફેંસલો..!! આ બધું આજે પણ યાદ આવે છે.

જોકે, હવેના ફાસ્ટ યુગમાં, જુનાં થઈ ગયેલાં,ઘરડાં માઁ-બાપ સામે જોવાની કોઈને નવરાશ નથી ત્યાં, પોતાના જુના દડા,રમકડાં કે ફૉટા સામે જોવાની દરકાર કોને રહી છે?

અગાઉ,દરેક, ઘરના આંગંણે, દરરોજ અવનવી રંગોળી પુરાતી, જે જોવા માટે ઘણા બધા કલારસિકો ઘેરઘેર ફરી વળતા. અમે તો  વળી, કોઈની રંગોળી, અમારા કરતાં સારી હોય તો, બાળસહજ ઈર્ષાથી, તેમની રંગોળીના રંગોની રંગત, તે લોકો નિહાળે નહીં તેમ, પગ વડે બગાડીને ભાગી જતા.

બેસતા વર્ષે સવારે, ચાર વાગે ઉઠીને, `સબરસ`નો સાદ કરતા, આખા ગામમાં, મોટાભાગનાં બધાનેં ઘેર ફરી વળતા અને તે ઉંમરે, કાણિયા તાંબાના પૈસા મળે તેને, પ્રથમ કમાણી સમજીને, જીવની માફક સાચવી, આખો દિવસ ગણ્યા કરતા.(સબરસ એટલે મીઠું-લવણ, મીઠા વગરનું ભોજન નક્કામું તથા તે દરેક વાનગીમાં ભળીને, અનેરો રસ ઉત્પન્ન કરે તેથી તેને સબરસ કહે છે.)

સમય બદલાય તેમ બધુંજ બદલાય છે તેથીજ, આટલું વાંચ્યા પછી, રખે કોઈ  એમ સમજેકે, જુના પ્રૌઢ માણસો, હાલની દિવાળીની ઉજવણીથી નારાજ છે..!!

પરંતુ, નવી પેઢી દ્વારા, દિવાળીના દિવસોનો મહિમા જાણ્યા વગર  ઉજવાતી દિવાળી, જુની પેઢીને થોડીક ફિક્કી લાગે તો તેમનો, હરગિજ વાંક કાઢવા જેવો નથી..!!

ચાલો, આ બધી જુની-નવી પેઢીની પંચાત પડતી મૂકીને, તહેવારની ખરીદી કરવા નીકળી પડીશું..!!

અત્યંત ભીડભાડ ભરેલાં, બજારમાં ચેઈનસ્નેચર, પીકપૉકેટર્સ અને કારચોરોથી સાવધાન


મિત્રો, દિવાળીમાં વહેલા થતા પગાર, બોનસ, ક્રેડીટકાર્ડ, બેંકસેવિંગ્સ, ધંધામાં થયેલો અઢળક નફો,જેવા અનેક આવકના સ્ત્રોત્રમાંથી, આપની કાળી મહેનતે કમાયેલી, કમાણીની મસમોટી રકમ લઈને આપ દિવાળીના તહેવાર રંગેચંગે ઉજવવાના સ્વપ્ન અને બાળકો-પત્ની સાથે, અત્યંત ભીડભાડ ભરેલાં, બજારમાં ખરીદી કરવા, અત્યંત ઉત્સાહથી પહોંચ્યા હોય, ત્યાંજ કોઈ ચેઈનસ્નેચર,પીકપૉકેટર કે, વાહનચોર આપના ઈરાદાને ધૂળમાં મેળવવા, ટંપીને બેઠો હોય. તો આપ શું કરશો?

આપ જાણો છો? ચેઈનસ્નેચર, પીકપૉકેટર્સ અને કારચોર નામના મોરલા ક્યાં અને કોના પર કળા અજમાવતા હોય છે?


* ગાફેલ વ્યક્તિઓ * થેલી-ચેઈન વગરની ખૂલ્લી બેગ * વધુ પડતું શોપિંગ કરીને થાકેલા લોકો * પેન્ટના પાછલા ખીસ્સામાં અથવા ખભા પાછળ લટકાવેલી હૅન્ડ બૅગ.* ઉતાવળમાં કાર લૉક  ન કરી હોય.* કારની આગળ-પાછળની સીટ પર, કિંમતી સામાન રાખીને, કારના કાચ ખૂલ્લા રહી ગયા હોય.* રૂપિયા પડી ગયા જણાવી તમને બેધ્યાન કરે * ખોટો ઝઘડો કરે * વારંવાર પોતાના પાકિટ પર હાથ લગાવી, તમે ખાત્રી કરી લેતા હોય જે ચોરના ધ્યાનમાં આવી જાય. * બાળગુન્હેગારને ભિખારી સમજી, ભીખ આપવા તમે, તેના દેખતાં બધાંજ નાણાં બહાર કાઢ્યાં હોય. *  આવા સ્થળોએ છદ્મવેશ લઈ, તમારી સાથે દાન માટે ત્રાગું થતું હોય * દારૂ પીધેલો હોવાનો ડોળ કરી, તેમને અથડાઈને, તમારી સાથે ઝઘડો કરે. * તમને ક્યાંક જોયા હોવાનું કહી, બીનજરૂરી વાત શરૂ કરે.વિગેરે..!!

આવા ચોરોથી બચવા, બસ આટલું કરો.

યાદ રાખો, બસસ્ટેન્ડ-રૅલ્વે સ્ટેશનનાં ATM સેન્ટર્સ, ધૂમ ખરીદી થતી હોય તેવાં ભીડ ભર્યા બજાર, બાગબગીચા, સાંસ્કૃતિક મેળા, ટૂરિસ્ટ અને પિકનિક સ્પોટ વિગેરે સ્થળોએ ચેઈનસ્નેચર, પીકપૉકેટર્સ અને કારચોરોથી સાવધાન રહો. તે ભિખારી,છૂટક માલ વેચનાર ફેરિયા કે સામાન્ય જાદુગર, માળા-મણકા આપતા,તાંત્રિક, સાધુ-ફકીર જેવા કોઈપણ સ્વાંગમાં આવી શકે છે.

*કિંમતી ધરેણાં કે પૈસા-પાકિટ બાબતે, વધારે પડતો આત્મવિશ્વાસ ના રાખો. તમારી ઈચ્છા વગર, કોઈ તમારું નુકશાન કરી નજ શકે.* કૉમનસેન્સનો ઉપયોગ કરો.* એકનાં એક,  નાનાં બાળકો તમારી આસપાસ મંડરાયા કરતા હોય તો ચેતી જાવ.* જાહેર સ્થળો એ કોઈની સાથે, લડાઈ અને દલીલો કરવાનું ટાળો  * તમારા પૈસા પડી ગયાની વાત, અથવા કપડાં બગડ્યાની વાતને ગંભીરતાથી ના લેશો. તેમ કહી કોઈ તમને સફાઈમાં મદદ કરે તેને સ્વીકારશો નહીં* તમને કોઈ ઘસાય કે અથડાય નહીં તેનું ધ્યાન રાખો * મોટાભાગે આ ચોરલોકો ટીમમાં કામ કરતા હોય છે તેથી સતર્ક રહો. * બ્લૅડ-રેઝર,ચીપિયો, સાણસી, ચીમટો જેવી વસ્તુઓ લઈ ફરતા માણસોથી સાવધ રહો  * વધારે પડતાં ઘરેણાં જેવાંકે સોનાની ચેઈન, વીટીંઓ વિગેરે પહેરવાનું ટાળો * જરૂર ન હોય તેવી કિંમતી જણસ-પૈસા,ગળાની ચેઈન,હાથની બંગડી-કંગન, અગત્યના પેપર્સ વિગેરે સાથે રાખવાનું ટાળો * પૈસા એકજ ખીસ્સામાં ના રાખતાં અલગ- અલગ જગ્યાએ, એકથી વધારે સદસ્યમાં વહેંચી રાખો    * વગોવાયેલી જગ્યાઓ પર વધારે સાવધાની રાખો * બધી વસ્તુ આગળના ખીસ્સામાં રાખો, ઝીપવાળાં પૉકેટ શ્રેષ્ઠ ગણાય અથવા હવે તો વિવિધ પ્રકારના મની બૅલ્ટ મળે છે તેનો ઉપયોગ કરો* * ચોરનું ધ્યાન ભટકાવવા,બનાવટી નક્કામા કાગળોથી પાછળના ખીસ્સામાં, એક વૉલેટ રાખો * અજાણી જગ્યાએ, અજાણ્યા લોકો વચ્ચે, તમારી કમાણીની ગાથા-બણગાં ફૂંકવાનું ટાળો. * તમારા પૈસાનું પાકીટ કે લેડીઝ પર્સ, જમીન, શોપના કાઉન્ટર, તમે બેઠેલી ખુરશીના હાથા પર કે બ પગ વચ્ચે પણ દબાવીને રેઢું ના મૂકશો * કાયદેસર `પૅ એન્ડ પાર્ક` વાળા પાર્કિંગ પ્લૉટમાં જ કાર પાર્ક કરો * કારમાં  કિમતી સામાન રેઢો મૂકીને ક્યાંય જશો નહીં * જ્યાં જવા માટે સરળતાથી રિક્ષાકે ટેક્સી ઉપલબ્ધ હોય ત્યાં પોતાની કાર લઈ જવાનું ટાળો * તહેવારોની સિઝનમાં, બીજાનાં બાઈક, કાર અથવા પેટ્રોલ ચોરીનું પ્રમાણ ઘણુંજ વધી જાય છે * કોઈ ચોર ફાવી જાય તો, બૂમો પાડી, બીજા લોકો અથવા પોલીસને, ચોરને પકડવા મદદ માંગો .* છતાંય, આવો બનાવ બને તો, તરતજ નજીકના પોલીસ સ્ટેશને જઈ, જાણવા જોગ ફરીયાદ નોંધાવો * બસ, આપણી  થોડીકજ ગફલત અને આપણી  દિવાળી, હૈયાહોળીમાં પલટાઈ જાય છે અને  ચોરટાઓની બની શકે છે,  દેવદિવાળી..!!

ચાલો, સલામતીપૂર્વક, દિવાળીની  ખરીદી તો થઈ ગઈ, હવે દિવાળીના તહેવારનો મહિમા સમજીએ..!!

દિવાળીનો મહિમા

દિવાળી શબ્દ, મૂળ સંસ્કૃત શબ્દ, `दीपावली` પરથી ઉદભવ્યો છે. `દીપ` = દીવો અને `અવલી`= હારમાળા (દીપ+અવલી= દીપાવલી),તેથીજ તેને, `ફૅસ્ટિવલ ઓફ લાઈટ્સ` પણ કહે છે.

આપણાં, શાસ્ત્રોમાં દર્શાવ્યા પ્રમાણે, પૂજ્ય દેવી-દેવતા, ગુરુ, સંત - સાધુ અને પૂજનીય વડીલોને, માન આપવાની કુલ અઢાર રીત છે, જેને `અષ્ટાદશોપચાર` કહેછે.
અષ્ટાદશોપચાર મુજબ, સ્વાગત, આસન, પાદ્ય, અર્ધ્ય, આચમન, સ્નાન, વસ્ત્ર, ઉપવીત, ભૂષણ, ગંધ, પુષ્પ, ધૂપ, દીપ, અન્ન, તર્પણ, માલા,અનુલેપ તથા નમસ્કાર, તેમ અઢાર ક્રિયાઓમાંની લગભગ તમામ ક્રિયાઓનો સમાવેશ, એક યા  બીજી રીતે, દિવાળીના તહેવારોમાં સમાવેશ થતો હોવાથી, દિવાળીનો મહિમા, સર્વ હિંદુ તહેવારોમાં સર્વોચ્ચ સ્થાને ગણાય છે.

વિ.સં.-૨૦૬૬,આસો વદ બારશ
તા.૩ નવેમ્બર ૨૦૧૦ બુધવાર

વાઘબારશ મહિમા.


દિવાળીના તહેવાર, આસો વદ બારશથી શરૂ થાય છે. વાઘબારશના દિવસે બારણામાં રંગોળીથી વાઘ દોરવામાં આવે છે. આ દિવસને `ગોવસ્ત દ્વાદશી` અથવા `ગુરુદ્વાદશી` તરીકે પણ ઓળખવામાં આવે છે તથા ગાય અને ગુરુના પૂજનનો અનેરો મહિમા છે.જેને નંદીની વ્રત કહે છે.

આસો વદ તેરશ - ધનતેરશ
તા.૩ નવેમ્બર ૨૦૧૦ બુધવાર


આસો વદ તેરશનો દિવસ. જે પ્રકારે, માઁ લક્ષ્મીજી સમૂદ્રમંથનમાંથી ઉત્પન્ન થયાં છે.તેથીજ ધનતેરશ તેઓનો જન્મદિવસ ગણાય છે અને તેને ધનતેરસ તરીકે ઓળખવામાં આવે છે. બધી દેવીઓમાં મુખ્ય દેવી લક્ષ્મી છે, કે જેને ધનની દેવી માનવામાં આવે છે. તે હિંદુના દેવની ત્રિપુટી માંહેના વિષ્ણુની રાણી મનાય છે.
ભગવાન ધનવંતરી પણ અમૃત કળશ સાથે ઉત્પન્ન થયા, તેથી તેઓના જન્મ દિવસે, ચાંદીનાં વાસણ કે સિક્કાની ખરીદીનો પણ મહિમા છે. ભગવાન શ્રીધનવંતરી ની પૂજા કરીને, તેઓ વૈદ્યચિકિત્સાના પણ ઈશ્વર હોવાથી, નવા વર્ષમાં, પોતાના સારા સ્વાસ્થ માટે, સહુ કોઈ ભક્તગણ પ્રાર્થના કરે છે.

કાળીચૌદશ - નર્ક ચતુર્દશી
તા.૪ નવેમ્બર ૨૦૧૦ ગુરુવાર


આસો વદ ૧૪; આ દિવસને, કાળીચૌદશ, મોહરાત્રિ અથવા નરકચતુર્દશી. કહે છે. અઘોરી તાંત્રિકો માટે આ દિવસ,સ્મશાનમાં જઈને મંત્રતંત્રની સાધના કરવાનો દિવસ મનાય છે. કાળીચૌદશ, કાળકા માતાના માનમાં ઊજવાય છે. શ્રીકૃષ્ણે નરકાસુરનો વધ કરીને, તેના દ્વારા કેદ કરાયેલ, સોળ હજાર રાજકન્યાઓને આ દિવસે બંદીખાનામાંથી છોડાવી હતી. ભગવાન શ્રીકૃષ્ણએ, રાક્ષસોનો  નાશ કરી, પૃથ્વી પરથી ગંદકી દૂર કરી, તેના માનમાં આપણે આપણા ઘરની સાફ કરવાનો રીવાજ પાડ્યો છે. ( એ વાત અલગ છેકે, આપણું  મન, કદાચ મેલુંજ રહે છે..!!)

દિવાળી
તા.૫ નવેમ્બર ૨૦૧૦ શુક્રવાર


આસો વદ અમાસનો દીપોત્સવનો મોટો તહેવાર; વિક્રમ સંવત-૨૦૬૬ નો છેલ્લો દિવસ;  પશ્ર્ચિમ ભારતમાં દિવાળીના પાંચ દિવસ બહુ મોટા ગણાય છે. લોકો તે આનંદથી ઊજવે છે. આ દિવસે અગાઉ માટીનાં કોડિયાંમાં દીવા કરી ઘર તથા દુકાનોને દીપાવવામાં આવતાં છે, હજુ પણ ઘણાંખરાં ગામડાંમાં, નાનાં શહેરોમાં અને મોટાં શહેરોના અમુક ભાગોમાં આ રીત પ્રચલિત છે. જોકે, શહેરોમાં હવે દીવાનું સ્થાન, રંગબેરંગી નાની ઈલેક્ટ્રિક સિરિઝોએ લઈ લીધું છે. નાના-મોટા તમામ વેપારીઓ, દુકાન અને ધંધાના સ્થળે, દિવાળીની ખાસ રોશની કરે છે.રામાયણની કથા પ્રમાણે,ત્રેતા યુગમાં ભગવાન શ્રી રામે રાવણને મારીને, આ દિવસે રાજપદ ધારણ કર્યું, ત્યારે અયોધ્યાવાસીઓએ, ભગવાનનું સ્વાગત કરવા, ઘેરઘેર દિવડા પ્રગટાવ્યા હતા. તે દિવસથી સુવ્યવસ્થા અને પવિત્રતાનો રામરાજ્ય યુગ શરૂ થયો.  [જોકે, પારકે પૈસે (આપણા પૈસે) દિવાળીની  તાગડધિન્ના કરનારા, આપણા વામણા રાજકારણીઓને આ ઉપદેશ ક્યારેય સમજાયો નથી અને સમજાવાનો પણ નથી?]

મંત્ર જાપઃ-
" मम सर्वापच्छांतिपूर्वक  दीर्घायुष्य बलपुष्टिनैरुज्यादि- सकल शुभफल प्राप्त्यर्थं ।
गजतुरगरथराज्यैश्वर्यादि सकलसम्पदामुत्तरोत्तराभि वृद्ध्‌यर्थं  इंद्रकुबेर सहित श्रीलक्ष्मीपूजनं करिष्ये।।"


સંધ્યા ઢળ્યા બાદ  સ્નાન કરી, સ્વચ્છ વસ્ત્રો ધારણ કરીને, ભગવાન શ્રીગણેશજી, માઁ સરસ્વતીજી, માઁ લક્ષ્મીજી તથા મૈયા તુલસીજીના ક્યારા સમક્ષ, દીપ પ્રગટાવી, મીઠાઈનો પ્રસાદ ધરાવી,નીચે જણાવેલ મંત્ર અને માઁ લક્ષ્મીજીની આરતી કરવી. આ પૂજન રાત્રીના બાર વાગે કરવાનો મહિમા છે.

श्लोक - 'पत्रं पुष्पं फलं तोयं यो मे भक्त्या प्रयच्छति। तदहं भक्त्यु पहृतमश्नामि प्रयतात्मनः॥'

પરમપૂજ્ય શ્રીપાંડુરંગ શાસ્ત્રીજી પૂજામાં ભાવના મહત્વને દર્શાવતા કહે છે," પૂજામાં વસ્તુનું નહીં ભાવનું મહત્વ છે. જે કોઈ ભક્ત ઈશ્વરને, શુદ્ધ ચિત્ત દ્વારા, ભક્તિપૂર્વક, પત્ર,પુષ્પ, ફળ અથવા જળ અર્પણ કરે છે, તે સર્વ પદાર્થને ભગવાન પ્રેમપૂર્વક ગ્રહણ કરે છે." ગીતામાં એટલેજ ભગવાન કહે છેકે, 'छन्दांसि यस्य पर्णानि।' સાચા હ્યદયથી, ઈશ્વરને પાઠવેલો પ્રાર્થનાપત્ર એટલેકે સાક્ષાત જ્ઞાન.

બેસતું વર્ષ કારતક સુદ એકમ વિ.સં.-૨૦૬૭,
તાઃ ૭ નવેમ્બર ૨૦૧૦ રવિવાર

કારતક સુદ એકમની કથા-મહિમા


ભગવાનના અનન્ય ભક્ત પ્રહલાદના પૌત્ર બલિરાજાનો જન્મ, કારતક સુદ એકમના દિવસે થયો હતો. તેણે ઈન્દ્રનું ઈન્દ્રાસન અને રાજપાટ પ્રાપ્ત કરવા, નર્મદાતીરે, નવ્વાણું યજ્ઞ કર્યા બાદ, છેલ્લો સો મો યજ્ઞ આદર્યો, ત્યારે સહુ દેવોની પ્રાર્થનાથી, ભગવાન શ્રીવિષ્ણુજીએ, વામનરૂપ ધારણ કરીને, ત્રણ ડગલાં પૃથ્વીનું દાન માગ્યું વામનમાંથી વિરાટરૂપ ધારણ કરેલા ભગવાન વિષ્ણુજીને, પહેલા પગલામાં, સમગ્ર પૃથ્વી, બીજા પગલામાં, સમગ્ર આકાશ, દાન કર્યું. છેલ્લે કંઇ બાકી ન રહેતાં, ત્રીજું પગલું બલિરાજાના માથા ઉપર મૂકીને, ભગવાને તેને, પાતાળમાં ચાંપી દીધો, પરંતુ સાથેજ, તેની ભક્તિથી પ્રસન્ન થઈ, ભગવાને બલિરાજાને વરદાન આપ્યુંકે, તારો જન્મ દિવસ` બલિપ્રતિપદા` તરીકે ઉજવાશે.  શ્રીમદ ભાગવતમાં વર્ણવ્યા પ્રમાણે, ઈન્દ્રને બદલે ગોવર્ધન પર્વતનું પૂજન કરવાના સૂચનને કારણે, કોપાયમાન થયેલા ઈન્દ્રએ, સાત દિવસ સુધી અતિ વર્ષા કરી, ત્યારે સહુને બચાવવા નાનકડા શ્રીકૃષ્ણએ, આખો ગોવર્ધન પર્વત એક આંગળીથી ઉંચકી, સહુને તેની છાયામાં આશરો આપીને, ઈન્દ્રના ગર્વનું ખંડન કર્યું.

બેસતા વર્ષના દિવસે, સહુ કોઈ ઉમંગભેર, નવાં-નવાં વસ્ત્રો પહેરીને, દારૂખાનું ફોડે છે, મંદિરે દર્શનાર્થે જાય છે. આખા વર્ષના ટંટા-ઝઘડા-મતભેદ અને દુઃખ ભૂલીને, સહુ કોઈ, એકમેકને, નવા વર્ષની શુભકામના પાઠવીને, ચોક્લેટ્સ, સિક્કા, ડ્રાયફ્રૂટ બોક્સ, ફૂલના બૂકે, જ્વેલરી, નમકીન-મીઠાઈ બોક્સ, ઘડીયાળ, વાહન જેવી રૂ.૧૦૦થી લઈને હજારો રૂપિયાની ગીફ્ટ આપે છે.

 નવલા વર્ષના, નવપ્રભાતે, પરિવર્તનના સંકલ્પઃ-

ગાંધીગીતા કહેછે, " સંસ્કૃતિ વધારવી હોય જો, તો સુધારવી જાત, સંદેશ એનો; સમાજનાં સૌ જન, અંગભૂતો કરે પરિવર્તન, તો જ સિદ્ધિ."

તો ચાલો,આ નવા વર્ષે, ભૂલ્યા ત્યાંથી ફરી ગણીએ..!!

* મનના આંગણાની, ઉન્નતિના નવા સંકલ્પથી સજાવટ * આપણા વ્યક્તિત્વને સુકર્મોના તેજોમય આભાપુંજથી તેજોમય બનાવવાનું વ્રત * સર્વ પ્રત્યે, દિલમાં ઉમળકો અને ઉલ્લાસ *  સબંધોમાં પણ મીઠાશ અને મધુરતાનું વ્રત * કકળાટ , કડવાશ અને કથળેલા સંબંધોને નાથવાના, સાચા મનથી પ્રયત્ન * અડધા કોળિયામાંથી, અડધો કોળિયો દાન . * પોતાના દોષનું આત્મનિરીક્ષણ * આત્મવિશ્વાસમાં ઓટ ન લાવવાનું વ્રત * ન્યાયપૂર્ણ વ્યવહાર * સત્ય દ્વારા `સ્વ`ને ઓળખવાનો પ્રયત્ન * શરીરી-ઈન્દ્રિયો પર જીતનો ભરોસોં * સર્વ પ્રત્યે ,સદાચાર-સદભાવ અને સ્નેહ વિચારથી ઐક્ય * દીન-દુઃખીઓની સેવાનું વ્રત * આહાર-વિહાર-વાણીમાં સંયમ * ખરાબ વ્યસનનો ત્યાગ અને દૈનિક કાર્યમાં સ્વાવલંબન * અમૂલ્ય સમયનો સદઉપયોગ

સહુ કોઈ માને અને જાણે છેકે, નવા વર્ષના પ્રારંભે કરેલા કોઈપણ સંકલ્પનું પાલન કરવું, તે કેટલી અઘરી બાબત છે, જેટલી ઉમદા પ્રતિજ્ઞા તેટલો અઘરો અમલ..!!
સત્ય તો એ છેકે, જો આપણે, શાંતિ, શક્તિ, સંપત્તિ, સમૃદ્ધિ, સ્વરૂપ , સંયમ, સાદાઈ, સફળતા, સંસ્કાર, સન્માન અને સરસ્વતીમાતાની અમીકૃપાના તરસ્યા હોઈએ તો, જાતસુધારણા સિવાય અન્ય કોઈજ વિકલ્પ નથી.
 
કારતક સુદ બીજ - ભાઈબીજ- યમદ્વિતીયા
તાઃ ૭ નવેમ્બર ૨૦૧૦ રવિવાર
   
ભાઈબીજ- કથા મહિમા,


કારતક સુદિ બીજને ભાઈબીજ કહેવાનું કારણ એવું છે કે, પ્રથમ યમુનાજીએ પોતાના ભાઇ યમરાજને પોતાને ત્યાં નોતરી જમાડ્યા હતા. તે દિવસે મૃત્યુના દેવ યમરાજા પોતાની બહેન યમુનાને ઘેર ગયા હતા અને તેને વસ્ત્રાલંકાર વગેરે આપી તેને ત્યાં ભોજન કર્યું હતું. તેથી ભાઈબીજના દિવસે, ભાઈ બહેનને ત્યાં નોતરવાથી જમવા જાય છે. બહેનને ઘેર ભાઈ જમે છે અને શક્તિ અનુસાર બહેનને  કાપડ-રોકડ રકમ  ભેટ આપે  છે. આજ કારણસર, હિંદુધર્મની આસ્થા અનુસાર, ભાઈબીજના દિવસે યમુનાજીમાં સ્નાન કરવાનો ખાસ મહિમા છે. આ દિવસ સંબંધે જૈનોની એવી માન્યતા છે કે, મહાવીર પ્રભુ પાવાપુરીમાં આસો વદની રાત્રે મોક્ષ પધાર્યા. તેમની બહેન સુદર્શનાએ મોટા ભાઈ નંદિવર્ધન રાજાને સમજાવી, આદર સહિત પોતાને ઘેર બોલાવી, ભોજન કરાવી શોક નિવાર્યો, જેથી ભાઈબીજ તરીકે પર્વ પ્રવર્ત્યુ.

કાર્તિક સુદ પાંચમ; સૌભાગ્ય પંચમી - લાભપાંચમ
તાઃ ૧૦ નવેમ્બર ૨૦૧૦ બુધવાર


કારતક સુદ પાંચમ; સૌભાગ્ય પાંચમ; લાખેણી સૌભાગ્ય પાંચમ; એ દિવસે આસો  વદ અમાસે-દિવાળીએ  ન થયેલું વહીપૂજન થાય છે. ઘંઘા,રોજગાર-કારખાનાવાળા પોતાના, થડા -ગલ્લા-મશીનો-ઓજારો તથા કર્મસ્થાનદેવતાની પૂજા કરી, આખું વર્ષ ધંધામાં શુભ-લાભ પ્રાપ્તિની કામના અને ઈષ્ટદેવની પ્રાર્થના  સાથે, પોતાના કાર્યનો આરંભ કરે છે.

 "लाभस्तेशाम जयतेशाम कुतस्तेशाम पराजयाः।
 येशाम   इन्दिवरश्याम  ह्यदयस्थो   जनार्दनाः॥"


અર્થાતઃ- જેમના હ્યદયમાં ઈશ્વર (શ્રીવિષ્ણુજી-લક્ષ્મીજી) નો, સદાય નિવાસ હોય, તેનેજ  લાભ અને વિજય પ્રાપ્તિ થાય છે.

તુલસીને વિષ્ણુ સાથે પરણાવવાની ક્રિયા - કાર્તિક સુદિ અગિયારશ. તુલસીવિવાહ
દેવઉઠી અગિયારસ ,તાઃ ૧૭ નવેમ્બર ૨૦૧૦ બુધવાર


મૈયા તુલસી કથા મહિમા-

ભગવાન બાલકૃષ્ણને, તુલસી નામે, એક અનન્ય ગોપીભક્ત હતી. તેની ભક્તિની પરાકાષ્ટા આવતાંજ તે પણ શ્યામનીમાફક કૃષ્ણમય થઈને, કૃષ્ણવર્ણ (શ્યામતુલસી) બની ગઈ.જોકે, ઈર્ષાને કારણે રાધારાણીને તે સહેજે નહતી ગમતી, તેણે આ અનન્ય કૃષ્ણભક્ત તુલસીને, વનસ્પતિ બનવાનો શ્રાપ આપી દીધો. ભગવાને, તેની ભક્તિની કદરરૂપે, તુલસી માળાને, કંઠમાં ધારણ કરી, તેને પોતાના ચોવીસે કલાકનું સાનિધ્ય અર્પ્યું. જોકે, પદ્મપુરાણ પ્રમાણે, સુભદ્રાજી અને રૂક્મણીજીની હુંસાતુંસીથી કંટાળી, ભગવાન શ્રીકૃષ્ણએ રૂક્મણીજીના એકમાત્ર તુલસીના પાનથી ત્રાજવું, નમી જઈ, તોલ કરાવી,ભગવાને દર્શાવ્યુંકે, તુલસીજી તેમને કેટલાં બધાં પ્રિય છે.. !!

કારતક સુદ અગિયારશ. તે દિવસે દેવો નિદ્રામાંથી ઊઠે છે એમ મનાય છે. વિષ્ણુ તે દિવસે પાતાળ છોડી વૈકુંઠ પધારે છે, તેથી દેવઊઠી અગિયારશ કહેવાય છે.
હિંદુ મંદિરોમાં, આ શુભ દિવસે, તુલસી મૈયાના, શાલીગ્રામજી  (ભગવાન વિષ્ણુજી) સાથે વિવાહ કરવામાં આવે છે.

દેવદિવાળી,શિવ દિવાળી
તાઃ ૨૧ નવેમ્બર ૨૦૧૦ રવિવાર


દેવ-દિવાળીનો કથા મહિમા

પ્રયાગક્ષેત્રમાં, તપ કરીને, મહાદૈત્ય ત્રિપુરે, બ્રહ્માજી પાસે વરદાન માગ્યું,"દેવથી, મનુષ્યથી, રાક્ષસથી, સ્ત્રીઓથી કે રોગથી મારું મૃત્યુ થાય નહીં" ભગવાન બ્રહ્માજીએ `તથાસ્તુ` કહેતાંજ, સર્વ દૈત્યોએ ભેગા મળી, દેવો-યક્ષોને બંદીવાન બનાવ્યા અને હાહાકાર મચાવી દીધો.ત્યારબાદ એક યોજના પ્રમાણે, મહાદૈત્ય ત્રિપુરાસુરને મારવા માટે, મહર્ષિ નારદજીએ તેને કૈલાસ પર ચઢાઈ કરવા ઉશ્કેર્યો, જેથી અત્યંત ગુસ્સે થઈને, કાર્તિક માસની શુકલ પક્ષની પૂર્ણિમાને દિવસે, ભગવાન શ્રીશીવજીએ, ત્રિપુરાસુરને, એકજ બાણથી મારી નાંખ્યો. એટલે સર્વ દેવોએ પ્રસન્ન થઈ, હર્ષોલ્લાસથી શ્રીસદાશિવને પ્રસન્ન કરવા, દીપ સમર્પિત કર્યા અને દિવાળી જેવો ઉત્સવ પણ ઉજવ્યો. આથી આ દિવસને ‘દેવદિવાળી’ તરીકે ઓળખવામાં આવે છે.

દેવતાઓની આરાધનામાં રંગોળી


સમગ્ર ભારતમાં, ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ, રંગોળીની કળાને ન જાણતા હોય તેવા ભાગ્યેજ કોઈ, અરસિકજન મળી આવશે. હજારો વર્ષથી, આપણી સંસ્કૃતિમાં, કોઈપણ ધાર્મિક પ્રસંગે, એક વિધિ તરીકે, રંગોળીનું મહત્વ  સ્વીકારાયેલું છે. રંગોળીમાં, પક્ષીઓ, પ્રાણીઓ, ફૂલ-પાંદડી,ભૌમિતિક ડિઝાઈન, વિગેરે દ્વારા, કલ્પનાશીલતા પ્રમાણે, સિંથેટિક રંગ, અનાજના રંગબેરંગી દાણા, ચોખા તથા અન્ય અનાજનો લોટ, રેતી-ચિરોડી વિગેરેનો ઉપયોગ થાય છે.

દિવાળીના પર્વનું પ્રકાશ રેલાવતું અંગ- ફટાકડાનો ઈતિહાસ અને સાવધાનીના સુર

શું આપ જાણો છો? આપણા દેશમાં, દારૂખાનાના ઉદ્યોગનું વાર્ષિક ટર્નઓવર રૂ.  છસો કરોડનું છે તથા તેના દ્વારા ચાર લાખ કામદારોને, ૩૬૫ દિવસ રોજગારી મળે છે. જેમાં વિવિધ સામાજીક સંગઠનો દ્વારા, બાળમજુરો પણ, ગેરકાયદેસર  કામે રખાતા હોવાના આક્ષેપ થતા રહે છે?

જોકે,આ  બાબતે `Tanfama`, સંગઠનના પ્રવક્તા, આવા આક્ષેપને નકારતાં, જણાવે છેકે, " ફટાકડા બાળકો માટે બને છે, નહીંકે બાળકો દ્વારા."  છતાંય, એ વાત નવાઈ લાગે તેવી છેકે, પ્રવક્તાના જણાવ્યા મુજબ,  શીવાકાશીની ફેક્ટરી પરથી સીધો ફટાકડાનો જથ્થો ખરીદી, કાયદેસર વગર પરમિશને, કોઈપણ વ્યક્તિ ૨૫ કિલોગ્રામ વજન સુધી, કોઈપણ ખાનગી કે જાહેર પરિવહનના વાહનમાં, દેશના કોઈપણ પ્રાંતમાં, બેરોકટોક લઈ જઈ શકે છે. આ  માટે કોઈ પણ લાયસન્સની જરૂર નથી..!!

જાણીતા `ENT`,સર્જન્સના જણાવ્યા પ્રમાણે, જો ફટાકડા, ખરીદતી તથા ફોડતી વખતે, પૂરતી કાળજી લેવામાં ન આવે તો શ્વાસની વિવિધ તકલીફ, જેવીકે, બ્રોન્કાઈટિસ, અસ્થમા અને ઍલર્જીનો હુમલો, એક દિવસથી માંડીને પંદર દિવસ સુધી, સતાવી શકે છે.

ENT સર્જન શ્રીજયેશ રાણાવત કહે છે," દિવાળી એ, આનંદનું પર્વ છે, ફક્ત એક દિવસની બેદરકારી, કાયમી અપંગતા અથવા માંદગીને આમંત્રણ  ન આપે, તેનું ધ્યાન રાખવું આવશ્યક છે."

મને યાદ છે, અમારા ગામમાં, જાતે ફટાકડા બનાવવાની ધૂનમાં, પોટાશ અને અન્ય ખતરનાક કેમિકલ્સનું મિશ્રણ  કરવા જતાં, અમારી બાજુના ફળીયામાં રહેતા એક ભાઈના, એકના એક દીકરાના હાથના, ફૂરચેફૂરચા ઉડી ગયા હતા.

બાળપણમાં, અમારી શેરીના કેટલાક તોફાની બારકસોએ, કૅવેન્ડર સિગરેટના, પતરાંના ગોળ ડબ્બામાં કાણું પાડી ફોડેલા, એક બોંમ્બમાં,તે ટીનના પતરાનો એક ટૂકડો ઉડીને, મારા પોતાના પેટમાં ઘૂસી જતાં, તહેવારને ભૂલી જઈને, મારી સારવાર માટે, આખા ઘરને દોડાદોડી થઈ ગઈ હતી.

ઘણા તોફાનીઓ તો વળી, નાની માટલીમાં, કાચની બૉટલમાં  અથવા આસપાસ ધૂળનો ઢગલો કરીને, બોમ્બ રાખીને, ફટાકડા ફોડતા હોય છે..!! તેજરીતે, કેટલાક યુવાનો, ગધેડાઓ કે કૂતરાની પૂંછડી પર ફટાકડાની લાંબી સેર બાંધીને તેને ફોડતા પણ નિહાળ્યા છે. જોકે ત્યારબાદ, જેતે પ્રાણીની આખા ગામમાં થતી દોડાદોડી અને તેની અડફટથી બચવા હવાતિયાઁ મારતા, નાનાંમોટાં સહુને જોઈને, તે તોફાનીઓ પિશાચી-રાક્ષસી અટ્ટહાસ્ય કરતા જોવા મળે છે..!!

ફટાકડા અને કાયદો.

* આદરણીય નામદાર સુપ્રિમ કૉર્ટના, સપ્ટેમ્બર-૨૦૦૧ના ચૂકાદા મૂજબ,` નાગરિકોને રાત્રી દરમિયાન શાંત અને ખલેલ વગરની ઊંઘના માનવીય અધિકારના રક્ષણાર્થે`, ફટાકડાની મૂલ્ય આકારણી, તેના અવાજના લેવલ પરથી કરવી, જે કાયદેસર ૧૨૫ ડૅસિબલથી નીચે હોવો જોઈએ તથા ફટાકડાના પૅકિંગ ઉપર, અવાજનું લેવલ, તેમાં વપરાયેલ રસાયણો, વિગેરે સ્પષ્ટ દેખાય તેવીરીતે દર્શાવવું ફરજિયાત છે.

*  `ધ મિનિસ્ટ્રી ઓફ ઍન્વાયરમેન્ટ એન્ડ ફૉરેસ્ટ (MoEF) સન-૧૯૮૬ના નિયમ પ્રમાણે, સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ઑફ ઈન્ડીયા દ્વારા, ફટાકડા ફીટવાની જગ્યાથી ચાર મીટરના અંતરે, ૧૨૫ ડેસિબલથી વધારે અવાજ લેવલ ધરાવતા ફટાકડાના ઉત્પાદન પર પ્રતિબંધ લગાવેલ છે.

* ઉપરાંત, શાંત વિસ્તાર જાહેર કરાયેલાં સ્થળ જેવાંકે, કૉર્ટ, હોસ્પિટલ્સ, ધાર્મિક સ્થળ, શૈક્ષણિક સંસ્થાઓ જેવી જગ્યાએ, ફટાકડાના વેચાણ અને ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ છે.

* કોઈપણ પ્રકારનો અવાજ કરતા ફટાકડા ફોડવા પર રાત્રીના દસ થી સવારના છ વાગ્યા સુધી, કાયદા અનુસાર પ્રતિબંધ છે. ફક્ત રંગ અને પ્રકાશ રેલાવતા ફટાકડા પર પ્રતિબંધ નથી.

* આ તમામ પ્રતિબંધિત કાયદાના પાલનની ખાત્રી માટે, જેતે રાજ્યના પોલીસ ડીપાર્ટમેન્ટને, જવાબદારી સોંપવામાં આવી છે. જોકે, સેન્ટલ પોલ્યુશન કંન્ટ્રોલ બૉર્ડના સર્વે મુજબ, દેશમાં ઉપયોગમાં લેવાતા, ૯૫% દારૂખાનામાં આ તમામ નિયમોનો ખૂલ્લેઆમ ભંગ થાય છે

ફટાકડાની ખરીદી તથા ફોડતી વખતે ધ્યાન રાખવા તેવી બાબતોઃ-

* સ્ટાન્ડર્ડ કંપનીના ફટાકડાજ ખરીદવા. * ફટાકડા ખરીદતી વખતેજ, આપના ઘરમાંકે, ફળીયાનાં, પક્ષીઓ, પાળેલાં પ્રાણીઓ, નાનાં બાળકો, વૃદ્ધ વ્યક્તિઓ તથા પ્રેગ્નન્ટ બહેનોને ધ્યાનમાં અવશ્ય લેજો. * મોટા ધડાકા કરતા  અથવા કોઈના ઘરમાં પેસી જઈને, આગ લગાડી શકે તેવા, ફટાકડા, હવાઈ કે રૉકેટ્સ ખરીદવાનું ટાળો. * તમારા કાનમાં ધાક પાડે અને જે ફટાકડાની વાટ-જામગરી, સાવ નાની હોય તેવા ફટાકડા ન ખરીદશો. જામગરી સળગાવ્યા બાદ, સલામત અંતરે દોડી જવાનો સમય, તમને અવશ્ય મળવો જોઈએ, તેનું ખાસ ધ્યાન રાખો.* સાવ નાનાં બાળકોને એકલા, ફટાકડા ફોડવા ના દેશો. સાથે કોઈ પૂખ્તવયની વ્યક્તિની હાજરી આવશ્યક છે. * ફટાકડા હંમેશા ઘરની બહાર દૂર ફોડો.* ફટાકડા,તારામંડળ સળગાવીને, હાથમાં રાખી, હવામાં ઉછાળશો નહીં.* કોઠી કે, હવાઈ પર માથું રાખીકે વાંકા વળી પ્રગટાવશો નહીં.* કોઠી કે હવાઈ આડી ન ફૂટે તે ધ્યાન રાખો.* દીવા અને સળગતા ફટાકડાથી, બાકીનાં પૅકેટ દૂર રાખો.* ન ફૂટેલા ફટાકડાને ફરીથી ફોડવાનો પ્રયત્ન ના કરશો. * કોઈ આ પ્રકારના ખતરનાક બૉમ્બ ફોડતા હોય ત્યાં સાવ નજીક, ક્યારેય ઉભા ન રહો.  * પેટ્રોલ- ડીઝલ- સીએનજી-એલપીજીથી ચાલતાં વાહન લઈને ત્યાંથી પસાર થવું હોય તો, તે બૉમ્બ ફૂટ્યા પછીજ, આગળ વધો.* આવા સ્થળે, ઍર પૉલ્યુશન કરતા ધૂમાડાથી બચવા માટે, નાક પાસે રૂમાલ ઢાંકેલો રાખો.* ફટાકડાનો ગનપાવડર, હાથમાં કે કાગળમાં કાઢીને, તેને સળગાવવાનો પ્રયત્ન ખતરનાક બની શકે છે. * ફટાકડા ફોડતી વખતે, નાયલોન,રેશમી કે ઝડપથી આગ પકડે તેવાં અને ઢીલાં વસ્ત્રો ન પહેરો, તેને બદલે, જાડા સુતરાઉ કાપડનાં ચપોચપ ફીટીંગવાળાં ચૂસ્ત વસ્ત્રો પહેરો.

* લાંબા તારની પડકવાળા, તારામંડળ ખરીદવા હિતાવહ છે. તેજ પ્રમાણે મોટા ફટાકડા, કોઠી, ભોંયચકરી વિગેરે ફોડવા, અત્યંત લાંબી જાડી અગરબત્તી મળે છે, તે ખરીદો. મીણબત્તીથી ફટાકડા  ક્યારેય ના ફોડશો.* ફટાકડા ફોડવાની જગ્યાએ, કાયમ પાણીની ભરેલી ડોલ હાથવગી મૂકી રાખો.* અકસ્માત થાય તો ગભરાઈ જવાને બદલે, તાત્કાલિક નજીકના દવાખાને પહોંચી જાવ.

* ફટાકડાના ગેરકાયદે ઉત્પાદન, ખરીદ, વેચાણ કે સંગ્રહ ના કાયદાના ભંગ બદલ, ત્રણ માસ  થી એક વર્ષ સુધીની સખત કેદ અને / અથવા રૂપિયા ૨૦૦ થી વીસ હજાર સુધીનો દંડ થઈ શકે છે. જોકે, સત્ય એ છેકે, આ ધંધામાં, ઍક્સ્પોઝિવ ઍક્ટ, ફૅક્ટરી ઍક્ટ અને લૅબર લૉઝનું સરેઆમ ઉલ્લંઘન થયાનાં અનેક ઉદાહરણ, દર વર્ષે નોંધાય છે.

* ખરેખર તો, આપનાં સમજદાર બાળકને શક્ય હોયતો, દિવાળી અગાઉ ફટાકડા ફેક્ટરીની વિઝિટ કરાવી, ત્યાં કાર્ય કરતા બાળમજુરોથી લઈ, અન્ય કામદારોની કફોડી હાલતથી જ્ઞાત કરાવી, ફટાકડાની જગ્યાએ, અવનવા દીપ-કેન્ડલ્સ અને ટોયઝથી દિવાળી ઉજવવા સમજાવો.

* શક્ય હોયતો, ફટાકડાની ખરીદી ટાળતાં, બચેલા નાણાંમાંથી,  નેટ પરથી ફાયરક્રેકર્સથી થતા, ઍર પોલ્યુશન અને પર્યાવરણના નુકશાન અંગેની તસ્વીરો મેળવી, તેનાં બેનર બનાવડાવી, શેરી, ફળીયા કે, આપના બાળકની શાળામાં, પ્રેઝન્ટેશન કરો, આવાં તૈયાર બેનર્સ, સરકારી, સહકારી અને NGO`S સંસ્થાઓ પાસેથી પણ, સાવ મફતમાં, મળી શકે છે.

આપણે તહેવારોનો આનંદ માણતી વખતે, યાદ રાખવાની જરૂર છેકે, સારી શ્રવણેન્દ્રીય ધરાવતી વ્યક્તિઓ -૧૫ ડેસિબ્લ્સથી લઈને ૬૦ ડેસિબલ્સ સુધીના અવાજને સાંભળી કે સહન કરી શકે છે. તેનાથી વધારે અવાજ, શ્રવણશક્તિને નુકશાન કરે છે. ઉપરાંત, પક્ષીઓ, પાળેલાં પ્રાણીઓ, નાનાં બાળકો, વૃદ્ધ વ્યક્તિઓ તથા પ્રેગ્નન્ટ બહેનો માટે, શરીર માટે હાનિકારક પદાર્થ જેવાકે, કૉપર, કૅડિયમ, લૅડ, મૅગ્નેશિમ, મેંગેંનિઝ, પૉટેશ્યમ, સૉડિયમ, ઝિંક, નાઈટ્રેટ, નાઈટ્રાઈટ, ફૉસ્ફરસ તથા સલ્ફર જેવા ઝેરી રસાયણનો ધૂમાડો  અને ફટાકડાના જોરદાર અવાજ  બંને, સ્વાસ્થ્ય માટે ખૂબ નુકશાનકારક છે. તેનાથી કાનમાં ધાક, તમરાં જેવા વિચિત્ર અવાજ, હંગામી અથવા કાયમી બહેરાશ, ગળા હ્યદય, ફેફસાં, લિવર, કિડની જેવાં અંગોને, ભયંકર ક્ષતિ પહોંચી શકે છે.

દિવાળી બાદ, ધ્યાનમાં રાખવા જેવી બાબતોઃ-

દિવાળીના એક માસ અગાઉથી આદરેલી, ઘરની સાફસફાઈ, રસોડાની ધમાલ અને  તહેવારોમાં મહેમાનોની આવનજાવનથી, થાકેલી બહેનોના, થાકેલા હોઠ પરથી, ભાઈબીજની સાંજે," હાશ, દિવાળી પતી ગઈ..!! " ના ઉદગાર સંભળાતા હોય છે. પોતાની વહાલી પત્નીની દોદાદોડી જોઈને,  થાકી ગયેલા, પ્રેમાળ પતિદેવ પણ પત્નીની દયા જાણીને, ઘરના રસોડે હડતાળ પાડવાના હુકમો છોડે છે, પણ પછી? બસ, પછીતો, લગભગ લાભપાંચમ કે દેવદિવાળી સુધી, કોઈ ટૂંકા અંતરનો પ્રવાસ અથવા દરરોજ સાંજે, કોઈ પ્રતિષ્ઠિત રૅસ્ટોરન્ટમાં, સહકુટુંબ ધામા નંખાય છે. પરંતું ત્યાંય, લાં...બું  વેઈટીંગ લીસ્ટ, ભીડભાડ વગેરેની હાડમારી વેઠવી પડે ત્યારે શું કરવું?

ચાલો, જોઈએ વેઈટીંગ લીસ્ટથી બચવા શું કરવું?


* કોઈપણ રેસ્ટોરન્ટમાં જવાનો, અચાનક કાર્યક્રમ ન બનાવો.* સાવ નાનાં બાળકો અને વૃદ્ધ વડીલો સાથે હોયતો તેમને ઓછામાં ઓછી તકલીફ પડે તેવું રેસ્ટોરન્ટ પસંદ કરો. * શક્ય હોય તો ઘરની સાવ પાસે આવેલા રેસ્ટોરન્ટમાંજ, પ્રોગ્રામ બનાવો. * બાળકો રમી શકે તેવા ગાર્ડન રે.માં જવાનો આગ્રહ રાખો. નહીતર ફરવાની મઝા સજામાં ફેરવાઈ જશે.* ઘણી ભીડ થતી હોય તેવા રેસ્ટોરન્ટ્સમાં જવાનું ટાળવું જોઈએ.ઘણીવાર આ કારણે, એક થી દોઢ કલાક વેઈટીંગ થી બચી શકાય છે.* કદાચ, તેમ કરવું પડે તોપણ, જ્યાંનું ફૂડ સારું હોય અને વેઈટીગ લીસ્ટ મીનીમમ હોઈ શકે, તેવુ રેસ્ટોરન્ટ પસંદ કરવું જોઈએ.* રોકડા નાણાંને બદલે, શક્ય હોય તો ક્રેડીટ કાર્ડથી પેમેન્ટ કરવું જોઈએ.* શક્ય હોય તો, કોઈને અગાઉથી મોકલી અથવા ફૉનથી ઑર્ડર બુક કરાવીને, ફૂડ આઈટમ્સ, ઘેર અથવા કોઈ સારા ફરવાના પિકનિકના સ્થળે લઈને જવું, વધારે સગવડભર્યું માનવું. * જેતે રેસ્ટોરન્ટમાં, વેઈટીગ સમયગાળા દરમિયાનજ, મેનુ મંગાવી દરેકે પોતાની ચોઈસનું ફૂડ પસંદ કરવાથી, અંદર એન્ટ્રી મળતાંજ, વેઈટીગના સમયગાળાના નુકશાનની ભરપાઈ થઈ શકે છે. * જો શક્ય હોયતો, અગાઉથી ટેબલ બુક કરાવી લો * સાંજે ૭ થી ૧૦ ના પિક અવર્સમાં જવાને બદલે, સમય કરતાં અડધો કલાક વહેલા પહોંચી જાવ. * કોઈની રાહ જોવાની હોય તો તે બાબત પહોંચતાની સાથેજ મેનેજરને જણાવી દો.* કોઈના રિઝર્વ કરેલા ટેબલ પર ખાલી પડેલી, જગ્યાએ પોતાને સમાવેશ કરવા મેનેજર પર દબાણ ન કરો. * રેસ્ટોરન્ટમાં,પહોંચ્યા પછી ઝડપથી નંબર લાગે તે માટે, મેનેજરને પૈસાની ઑફર ન કરો, આ બાબત તેના માટે અપમાનજનક હોઈ શકે છે. * એક સ્થળે વેઈટીગ લાબું હોયતો, ત્યાં નામ લખાવીને, આસપાસનાં બીજાં રેસ્ટોરન્ટમાં, તપાસ કરો, શક્ય છેકે, ત્યાં તરત પ્રવેશ મળીજાય * લાંબા વેઈટીંગથી કંટાળી,પ્રવેશ મળે ત્યારે અંદર કોઈ કર્મચારીઓ પર તે બાબતનો, ફરીયાદ કે ગુસ્સો કરવાનું ટાળો. * યાદ રાખો, આપની માફકજ, સહુને સ્વમાન વહાલું હોય છે. આમેય કકળાટ કરીને તહેવારનો આનંદ ખરાબ થઈ શકે છે. * તહેવારના આનંદમાં, શરાબ કે અન્ય નશો કરીને, ફેમીલી સાથે. રેસ્ટોરન્ટમાં જવાનું ટાળો, તેનાથી કાયદાના સકંજામાં ફસાઈ, તહેવારના દિવસો બગડી શકે છે. *રેસ્ટોરન્ટમાં અલગ-અલગથી બેસવાની તેયારીરાખો.*  બે-ત્રણ માસ અગાઉજ શરૂ થયેલા, રેસ્ટોરન્ટ માં જવાનું ટાળવું, ત્યાં સર્વિસ બરાબર નહીં મળવાનો સંભવ છે.* ઘંઘાદારી ઑફિસ, મોટાં શૉપિંગ કૉમ્પ્લૅક્સ, કોર્ટ અને સરકારી કચેરીઓ પાસે આવેલાં રેસ્ટોરન્ટ હંમેશા ભીડભરેલાં હોય છે, ત્યાં જવાનું ટાળો.* અત્યંત રાહ જોયા બાદ, આપનો નંબર નજીક આવતો, જણાય તેવા સમયે ધીરજ ગુમાવી બીજે નવેસરથી લાઈનમાં ઉભા રહેવા નીકળી ન જાવ.* સેલ્ફ સર્વિસ ધરાવતી રેસ્ટોરન્ટમાં જવાનું ટાળો, તેના કરતાં ઘર શું ખોટું? * અને છેલ્લે, તમને રેસ્ટોરન્ટમાં, ગમે તેટલી તકલીફ પડી હોય, પણ તહેવારોમાં, આપ અને આપના કુટુંબની સેવા કરવા બદલ, વેઈટરને સારી ટીપ આપવાનું ભૂલશો નહીં.

મિત્રો, દિવાળી તમામ તહેવારોનો રાજા ગણાય છે. તેની ઉજવણીમાં, દીપપ્રકાશ, ફટાકડા, ભેટસોગાદ, દાનપૂન્ય, મેવામીઠાઈના પ્રસાદ ઉપરાંત દેવી-દેવતા,  ઈશ્વર તથા પ્રકૃતિની આરાધના અને જાત નિરીક્ષણ, સુધારણાની ઉત્તમ જીવન પદ્ધતિ વણાયેલી છે.

ઈશ્વર આપને તથા આપના સમગ્ર પરિવારને, ભક્તિ, શક્તિ, બુદ્ધિ, જ્ઞાન, રિદ્ધી-સિદ્ધી, સમૃદ્ધિ, માન-સન્માન, સતવાણી અને અપાર લક્ષ્મી અર્પે, તેવી અભ્યર્થના-પ્રાર્થનાસહ..!!

भद्रं  कर्णेभिः श्रृणुयाम  देवा भद्रं पश्येमाक्षभिर्यजत्राः।
स्थिरैरंगैस्तुष्टुवांसस्तनूभि र्व्यशेम हि देवहितं यदायुः॥


॥ હે દેવાધિદેવો, અમને વરદાન આપો કે, અમે અમારા દિવ્ય કર્ણ વડે કલ્યાણરૂપ કથાને શ્રવણ કરીએ, અમારાં નયન વડે, અમે ભગવાનના સ્વરૂપને નીરખીએ. અમારા મૂક્તિ કાજે સર્જાયેલા દિવ્ય દેહ વડે, નિર્મળ ઈન્દ્રિયોથી અમારા સમગ્ર આયુષ્યને, ભગવદકાર્યમાં સમર્પિત કરીએ॥

॥ ॐ शांतिः शांतिः शांतिः॥

માર્કંડ દવે.તા. ૧૩ ઓક્ટો ૨૦૧૦.

1 comment:

  1. વડીલ શ્રીમાર્કંડભાઈ,

    સૌ પ્રથમ આપને ધનતેરશ ની શુભેચ્છા !

    આપે આપણા પર્વની મહત્વતાની માહિતી સાથે સમયને અનુરૂપ ખૂબજ સુંદર વાત જણાવી છે.

    આભાર !

    http://das.desais.net

    ReplyDelete

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.