॥ શ્રીદ્વારાકાધીશજી નમો નમઃ ॥
॥ શ્રીરણછોડરાયજી નમો નમઃ ॥
પ્રિય મિત્રો,
અત્યંત આનંદસહ જણાવવાનું કે,આપણા વડોદરા જિલ્લા-ગુજરાતના પવિત્ર યાત્રાધામ મુકામ ચાણોદ ખાતે, આપણા પ્રવાસી ભાવક મિત્રોને રહેવા-જમવા માટે, સુખસુવિધાયુક્ત આધુનિક ભવન ઉપરાંત, ભગવાન શ્રીરણછોડરાયજીના મંદિર નિર્માણ તથા ભગવાનની સ્થાપનાનો એક શુભ સંકલ્પ, તા.૬૧૨-૨૦૧૧. શ્રીગીતા જયંતિને અગિયારસના શુભદિને, ઇશ્વરકૃપાથી સંપન્ન થયો.
સાથેજ ઇશ્વર સમક્ષ, સાવ અભાન અવસ્થામાં, મારા અંતિમ પ્રયાણના ભાવથી એક ગીત રચાયું,એટલુંજ નહીં અનાયાસે તેનું સ્વરાંકન, બંધ નેત્ર દ્વારા,પ્રભુ સન્મુખ, દર્દ ભરેલા કંઠમાંથી સરવા લાગ્યું, કોઈ જ સાઉન્ડ પ્રૂફ રૂમ વગર તે ગીત, કોઈએ રેકર્ડ કર્યું. અનાયાસ ઉગેલા સરળ શબ્દો-સ્વરોની સચ્ચાઈ તથા દિલના સમર્પણભાવ સાથે, આ હ્રદયસ્પર્શી રચના, અત્યંત નમ્રતાપૂર્વક, એ આશા એ, અત્રે પ્રસ્તુત કરું છુંકે, તે સાંભળીને કદાચ, આપની પણ આંખ ભીની થઈ જાય..!!
આંખ ભીની તમે કરી લેજો.(ગીત)
આંખ ભીની તમે કરી લેજો.(ગીત)
http://youtu.be/O6DO16Wy9Cg
આંખ ભીની તમે કરી લેજો.(ગીત)
ઢળી પડું હું તો થોડી, આંખ ભીની તમે કરી લેજો.
જુદાઈના રાગોને તાર સ્વરે તમે છેડી દેજો.
અંતરા-૧.
ભલે ચિતા બળતા સુધી, માતમ મારો મનાવી લેજો.
અંતિમ સલામ રૂપે, બે મિનિટનું મૌન તમે પાળી લેજો.
જુદાઈના રાગોને તાર સ્વરે તમે છેડી દેજો.
અંતરા-૨.
દિલની નફરત સઘળી, બેસણામાં દફનાવી દેજો.
સુની તસ્વીર પર બેચાર, ફૂલ-પંખ તમે ચઢાવી દેજો.
જુદાઈના રાગોને તાર સ્વરે તમે છેડી દેજો.
અંતરા-૩.
સહુ રડતાં કકળતાંને, દિલાસો જરા બંધાવી દેજો,
મૃત્યુથી અજાણ મારાં, ભૂલકાંને તમે રમાડી લેજો.
જુદાઈના રાગોને તાર સ્વરે તમે છેડી દેજો.
અંતરા-૪.
બોલ્યું - ચાલ્યું મારું તમે, અંતરથી વિસારી દેજો,
વેરઝેર જો કનડે તો, દિલને જરા મનાવી લેજો.
જુદાઈના રાગોને તાર સ્વરે તમે છેડી દેજો.
અંતરા-૫.
હલકી નિંદા ભરી સૌ, વાતને બખૂબી તમે વાળી લેજો,
મારા તમને માનું છું, પાછળ બધું સંભાળી લેજો.
જુદાઈના રાગોને તાર સ્વરે તમે છેડી દેજો.
માર્કંડ દવે. તા.૦૩-૧૨-૨૦૧૧.
patel usha
ReplyDeleteખરેખર ભાવવાહી સુંદર રચના...
ધન્યવાદ આપને માર્કંડભાઈ.