Monday, February 27, 2012

પ્રભુતામાં પ્રથમ પગલે, ॥ कुर्यात सदा मंगलम ॥




પ્રભુતામાં પ્રથમ પગલે, ॥ कुर्यात सदा मंगलम ॥



" અણકથ  શબ્દ  કહેવાને  મેં તો,  રાખી કુંવારી આંખ,
થનગન કરતી જાગી એષણા,મન મયૂરે પસારી પાંખ.!!"


પ્રિય મિત્રો,

એકજ દિવસમાં, લગ્નની દસ-બાર આમંત્રણ-પત્રિકા, એકસાથે  મળવાથી ત્રસ્ત થયેલા,અમારા પડોશી ચંપકકાકા મને પૂછે છે,"દવેભાઈ, મકરસંક્રાંતિ પર્વની કટીપતંગ, દીલીપકુમારની-નયા દૌર ફિલ્મ તથા માંહ્યરાંમાં,કન્યા પધરાવો સાવધાન, વચ્ચે શું સમાનતા છે?" માથું ખંજવાળવા, હાથ ઊચો કરીને,ચંપકકાકાના બાઉન્સર સવાલને હજી તો, હું સમજવા મથું ત્યાંતો, અત્યંત રોષપૂર્વક, કાંઈક બબડતા-બબડતા ચંપકકાકા, જેવા આવ્યા હતા તેવા ઉતાવળે પગલે, પરત ચાલતા થયા..!!

જોકે, એ પણ યોગાનુયોગ કહેવાયકે, મકરસંક્રાંતિનું પર્વ પૂર્ણતાને પામતાંની સાથે જ, પ્રભુતામાં પગલાં માંડવા થનગની રહેલાં અનેક વરઘોડિયાં, સગાંવહાલાં તથા મિત્રમંડળને લગ્નની આમંત્રણ પત્રિકા પાઠવવા, દોડાદોડી કરી રહ્યાં હશે..!! મિલેનિયમ સ્ટાર શ્રીઅમિતાભ બચ્ચનજી સાથે, આપ સહુએ પણ મકરસંક્રાંતિનું ઉત્તરાયણ પર્વ રંગેચંગે ચોક્કસપણે ઊજવ્યું હશે..!! સાથે જ આપે, ગગનવિહારી અનેક પતંગને ઊંચે ચડતા, થનગનતા, ઝોલાં ખાતા તથા કપાઈને વળી પાછા ધરતી પર પટકાતા જોયા હશે..!! આજે  અત્યારે, `વસંતપંચમી`ના શુભદિને, માં સરસ્વતીજીના આરાધન સ્વરૂપ આ લેખનકાર્ય થઈ રહ્યું છે ત્યારે, શેરીમાં બૅન્ડવાજાં તથા ફટાકડાના ભારે શોરબકોર વચ્ચે, કોઈનો "છોરો કે છોરી કે દા`ડાના પૈણું પૈણું કરતા`તા..!!" તે સહુ  લગ્નવાંછુક કુમાર-કન્યા, કોઈ એક પતંગ સમાન ગગનવિહારી મનઃસ્થિતિ ધારણ કરીને, પરણવા હાલી નીકળ્યા હોય તેમ જણાઈ રહ્યું છે..!!

સુપ્રસિદ્ધ ગ્રીક સાહિત્યકાર-તત્વચિંતક સોક્રેટિસે (૪૬૯ BC – ૩૯૯ BC) તત્વજ્ઞાન ઝાડ્યું છેકે," લગ્નનો મર્મ એ છેકે,તમને સારી પત્ની મળશે તો તમો સુખી બનશો પરંતુ, જો તમને ખરાબ પત્ની મળશે તો તમો તત્વજ્ઞાની બની જશો." આ જોતાં તો, લગ્ન કરનારા તમામના, બંને હાથમાં લાડુ છે તેમ કહી શકાય..!! જોકે, કેટલાક વાંકદેખાં લગ્નના લાડુને લાકડાના લાડુ માને છે, ખાય તે તો પસ્તાય જ પણ, ન ખાય તે પણ પસ્તાય..!! આમ છતાંય, તમામ લગ્નવાંછુક,લગ્નની સિઝન હોય કે ન હોય, ઊંધું ઘાલીને લગ્ન નામના લાડુનું નામ પડતાં જ, લાળ ટપકાવવા લાગે છે..!!(ભલેને,લાકડાના તો લાકડાના લાડુ?)

સમૂદ્રમાં તરતા વહાણના નાવિક પાસે, દુરનું દ્રશ્ય જોવા માટે, પિત્તળની એક લાંબી નળી જેવું, દુરબીન હોય છે, જેમાં હંમેશાં, એક બાજુની આંખ બંધ કરીને, ફક્ત બીજી  બાજુની, એક આંખના ઉપયોગથી, મહત્વના નિર્ણય લેવા પડે છે.અમેરિકન `રૉયલ કૅનેડિયન નૅવી` ના ઍડ્મિરલ, Horatio Nelson Lay (23 January 1903 Skagway, Alaska, USA - 1988 Dundas, Ontario), કહે છેકે, " સમૂદ્રી સફર કે યુદ્ધમાં, માત્ર એક ખોટો સિગ્નલ, આખાય જહાજનું ભવિષ્ય અને અનેક નાવિકોની જિંદગી તબાહ કરી શકે છે." તેઓ વધુમાં કહે છેકે,  " I have only one eye - and I have a right to be blind sometimes... I really do not see the signal." પોતે જ્ઞાત હોવાછતાં, અજ્ઞાત હોવાનો, દંભ કરીને` આંધળા પાટા` જેવી રમત રમવાની કળાને, નૅવીની ભાષામાં, `Putting the glass to his blind eye.` કહે છે. લગ્નજીવનની સમસ્યાઓને સુપેરે જાણનાર અનુભવીઓના મત અનુસાર કદાચ, લગ્નજીવન પણ`આંધળા પાટા`ની રમત સમાન જ છે.

લગ્ન એટલે ઝાઝા હાથ રળિયામણા? 

મોટાભાગે, આપણે સહુ માનીએ છીએકે, સંસારમાં, `એક કરતાં બે ભલા?` આથી કદાચ,  `बहुतंतवो बलवंतः ।` ઉક્તિને સત્ય ઠેરવવા કાજે, લગ્નસંસ્થા અમલમાં આવી હશે..!! આમેય, લગ્ન વયસ્ક કુમાર-કન્યાનાં માતાપિતા-વડીલોના ભાલે ચિંતાની રેખાઓ અંકિત થતી જોઈને, જેતે કુટુંબમાં લગ્ન ઉકેલવા અંગેની ઉતાવળી સ્થિતિ પરખાઈ જતી હોય છે ત્યારે, વૈદિકકાળમાં પણ કન્યા જ્યારે પુખ્ત ઉંમરની થતી ત્યારે લગ્ન કરવામાં આવતાં. કન્યા માટેના ઉમેદવાર કન્યાની માગણી કરતા અને કન્યાનો પિતા પોતાની ઇચ્છા પ્રમાણે કન્યાને આપતો. તે સમયે કન્યાને પિતા તરફથી બળદ, ઘોડા ઇત્યાદિનો દાયજો આપવામાં આવતો હતો. લગ્નને લાયક પુખ્તવય અંગેના મતમતાંતર અંગે પૂજ્ય મહાત્મા શ્રીગાંધીબાપુ કહેછેકે," હિંદુ શાસ્ત્રાનુસાર છોકરાને વહેલામાં વહેલો ૨૫મે વર્ષે પરણાવી શકાય. જોકે, હિંદુસ્તાનની માતાઓને સૂઝી જાય છેકે,  હિંદુસ્તાન ઉષ્ણ દેશ હોવાથી, આપણે ત્યાંની છોકરીઓ,વહેલી વયમાં આવે છે. આથી વધારે મોટો બીજો કોઈ વહેમ મેં જોયો નથી. આ વહેમમાંથી આપણે એકદમ ઊગરી જવું જોઈએ. હું હિંમતથી કહું છુંકે, હવાપાણીને યુવાવસ્થાની જોડે કશી લેવા દેવા નથી. અકાળે જુવાની આવી જાય છે તે આપણાં કુટુંબોમાં આજે જે માનસિક અને નૈતિક વાતાવરણ પ્રવર્તે છે તેને કારણે છે."

આમ તો લગ્નની સર્વસામાન્ય શાબ્દિક વ્યાખ્યા મુજબ, લગ્ન = સંમિલન, સંયોજન, એકીકરણ, ઉભયાન્વય, યુતિ, લગ્ન, દાંપત્ય, યુગલરૂપ સંયુતાર્થ, સાહચર્ય, સહઘટન, અથવા સંમતિ. પરંતુ, આ તમામ જીવનપ્રક્રિયા તેના યોગ્ય સમયેજ શોભતી હોય છે કદાચ એટલેજ, કહેવાય છેકે, "લગ્નનાં ગીતો લગ્ને જ શોભે..!!"

જાણવા જેવું છેકે, ગૌતમ ધર્મસૂત્ર પ્રમાણે લગ્નના આઠ પ્રકાર છેઃ બ્રાહ્મ, આર્ષ, પ્રાજાપત્ય, દૈવ, ગાંધર્વ, આસુર, રાક્ષસ અને પૈશાચ. જોકે, પ્રાજાપત્ય તે, બ્રાહ્મવિવાહનું વધારે સંસ્કારી સ્વરૂપ મનાતું હોવાથી, હિંદુઓમાં ઓછાવત્તા ફેરફાર સાથે પ્રાજાપત્ય વિવાહ પ્રચલિત છે. જેમાં, વરકન્યાનાં માબાપ સંબંધ નક્કી કરે છે. ઉપરાંત, લગ્ન થતાં પહેલાં વરકન્યાની અરસપરસ પસંદગી પણ કરવામાં આવે છે. કન્યાના પિતા, કન્યાદાનમાં કન્યાને યથાશક્તિ રકમ અને ઘરેણાં આપે છે અને વરપક્ષ તરફથી કન્યાને રિવાજ મુજબ પલ્લાંની રકમ પણ આપવામાં આવે છે, જેના ઉપર કન્યા સિવાય બીજા કોઈનો પણ હક્ક સ્વીકારાતો નથી. કન્યાદાનમાં રકમ, વાસણ, ઘરેણાં, સુશોભિત કપડાં આપવામાં આવે છે. એમાં વરકન્યા સપ્તપદી ભણે છે અને અગ્નિ સમક્ષ લગ્ન થાય છે.

આમતો, હાલના આધુનિક જેટ યુગમાં, જ્ઞાતિ-જાતિના બંધનો ફગાવી દઈને, જેને પ્રેમલગ્નનું રૂપાળું નામ અપાય છે તેવા, `ગાંધર્વ વિવાહ` પણ અધિક પ્રમાણમાં પ્રચલિત થયા છે, જે બહુ રોમાંચક મનાય છે. ગાંધર્વ વિવાહમાં માબાપની સંમતિ માગવામાં આવતી નથી. ખાસ કોઈ લગ્નક્રિયા કરવામાં આવતી નથી, તેમજ સમાજ સમક્ષ તેની ખાસ જાહેરાત થતી નથી. એનું મુખ્ય તત્ત્વ વરકન્યાની અરસપરસ સંમતિ કહી શકાય. એકબીજાને ફૂલહારનું અર્પણ અને પરસ્પરને વફાદાર રહેવાનું વચન એટલી જ લગ્નક્રિયા ગાંધર્વવિવાહ માગે છે એમ કહી શકાય. આવા લગ્નને પૂર્ણ પ્રેમલગ્નનું નામ આપીએ તોપણ ચાલી શકે..!!

મહાભારત આદિપર્વમાં એની કથા છેકે, સોમવંશી પુરુકુલોત્પન્ન દુષ્યંત રાજા મૃગયા કરતો હતો ત્યાં  તેણે ત્યાં શકુંતલાને એકલી જોઈ અને તે અત્યંત સ્વરૂપવતી હોવાથી તે કામબુદ્ધ થયો જેથી તેની સાથે ગાંધર્વ વિવાહ કર્યો. ટૂંક સમયમાંજ  તેને પોતાના સ્વગૃહે  લઈ જવાનું  વચન આપી રાજા પોતાને નગર ગયો. આ તરફ પૂર્ણ માસે શકુંતલાને એક પુત્ર સાંપડ્યો, જેનું નામ ઋષિએ `ભરત` રાખ્યું અને ઋષિ કણ્વએ શકુંતલાને પુત્ર ભરત સહિત, તેને હસ્તિનાપુર મોકલી. દુષ્યંત રાજાએ તેને ઓળખી પરંતુ શરમને કારણે એમને સ્વીકારવાની ના પાડી. જોકે, શકુંતલાએ ઘણી આજીજી કરી, પણ દુષ્યંતે સાંભળી જ નહીં. છેવટે આકાશવાણી થઈ કે રાજા, આ તારી સ્ત્રી અને તારો પુત્ર છે. તેનો અંગીકાર કર. આકાશવાણી સાંભળી રાજાએ પુત્ર સહિત શકુંતલાનો સ્વીકાર કર્યો. કાલિદાસે દુષ્યંત શકુંતલાના વૃત્તાન્ત આધારિત `શાકુંતલ`  નાટક રચેલું છે.પુરાણકાલમાં, રાજા દુષ્યંત-શકુંતલાનાં, શ્રીકણ્વઋષિના આશ્રમમાં થયેલાં લગ્ન, ગાંધર્વ વિવાહનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.

લગ્ન અગાઉ કુમાર-કન્યા પસંદગી.

શ્રીરામચરિતમાનસના, બાલકાંડમાં, ગુરુવર ઋષિ વિશ્વામિત્રની આજ્ઞાને માન આપીને,શ્રીરામચંદ્રજી, સીતાજીના સ્વયંવરમાં,અતિ ભારે શિવધનુષ ઉઠાવવા આગળ વધ્યા ત્યારે...!!

" પ્રભુહિ ચિતઈ પુનિ ચિતવ મહિ રાજત લોચન લોલ।
  ખેલત મનસિજ   મીન   જુગ   જનુ બિધુ મંડલ ડોલ ॥

અર્થાત્- જરા વારમાં શ્રીરામચંદ્રજીની સામે અને જરા વારમાં સંકોચાઈને પૃથ્વીની સામે જોતાં, સીતાજીનાં ચપલ નેત્ર, જાણે ચન્દ્રના મંડળમાં, કામદેવના ધ્વજરૂપ, બે માછલાં રમતાં હોય, તેમ શોભા સાથે, શ્રીરામને મનોમન પ્રેમનો સંદેશ પાઠવવા લાગ્યાં. 

જોકે, આધુનિક સેટેલાઈટના યુગમાં,કેટલીક મનોરંજન ચેનલ્સ, શિવધનુષ ઉઠાવ્યા વગર જ, સ્વયંવરપ્રથા ફરી શરૂ કર્યાના વામણા પ્રયાસ કરીને, દર્શકોને વાંઝિયું મનોરંજન પીરસવા મથે છે ત્યારે સાચેજ દર્શકોએ હસવું કે રડવું તે સમજાતું નથી..!!મારા એક મિત્રએ મો....ટ્ટો નિસાસો નાંખીને કહ્યું,"યાર,આપણા લગ્ન સમયે સ્વયંવરની,આવી કોઈ વ્યવસ્થા ન હતી,તેથી કેટલું મોટું નુકશાન થયું છે,તે હવે રહી રહીને સમજાય છે...!!"

મારાથી પૂછ્યા વગર ન રહેવાયું,"કેમ ભાઇ?તારે તો મારાં ભાભી સાથે સારું ટ્યુનીંગ છે,લગ્નના પંદરમા વર્ષે પણ તારી લાઇફ તો મઝ્ઝાની ચાલે છે..!! મેં જાતે જોયું છે."

એ ફરીથી નિસાસો નાંખી બોલ્યો,"તેં જે જોયું છે? એ તો રંગમંચ પર ભજવાતું હેપ્પી હેપ્પી નાટક છે.હકીકતમાં તો એણે મારી સાથે લગ્ન કરીને બદલો લીધો છે. "

મારી નજરમાં પ્રશ્નાર્થ ચિન્હ જોઇ મિત્રએ મારી સામે ગળગળા થઈને દિલ ખોલી નાખ્યું.વાત જાણે એમ હતીકે,આ મિત્ર લગ્ન પહેલાં કોઈ કન્યાના પ્રેમમાં હતો અને એ દરમિયાન માતાપિતાના આગ્રહથી,એની સગાઈ(એંગેજમેન્ટ) હાલ પ્રવર્તમાન મારાં ભાભી સાથે થઈ.કરમની કઠણાઈ તે, મિત્રને પ્રેમિકા સાથેના જૂના સંબંધોમાંથી છૂટતાં ખાસ્સો સમય લાગી ગયો.એમાં ઘણી વખત મિત્ર સાથે એમ પણ બનતું કે એક જ થિયેટરમાં એક ફિલ્મ બપોરે ૧૨ થી ૩ ના શૉમાં પ્રેમિકા સાથે જોઈને તેને અષ્ટમ પષ્ટમ સમજાવી થિયેટરના પાછલા દરવાજાથી વિદાય કરે,ત્યારે ૩ થી ૬ ના શૉ માટે,મારાં આ ભાભી આ જ થિયેટરના આગલા કૉરિડોરમાં મિત્રની રાહ જોતાં ઉભાં હોય.બહુ સાચવવા છતાં એક દિવસ મિત્રની આ ચોરી પકડાઈ ગઈ.ભાભીએ સગાઈ તોડવાને બદલે ઘેર બધાંને,ભગવાન જાણે,શું સમજાવ્યું? તે,મિત્રનાં ઘડિયાં લગ્ન લેવાઈ ગયાં.

મિત્રએ ઉદાસ સ્વરે ઉપસંહારમાં જણાવ્યું,"દોસ્ત તને હું શું કહું?તારી ભાભીએ મને પહેલાજ દિવસે ચોખ્ખું કહી દીધું,હવે જિંદગીમાં કોઇ દિવસ મારી સાથે પિક્ચર જોવાની વાત ના કરતા.તમે તમારા રસ્તે,હું મારા રસ્તે..!!મારા બાપાની આબરૂ સાચવવા જ મેં તમારી સાથે લગ્ન કર્યાં છે.સાલું ત્યારથી પિક્ચર જોવાનો શોખ એવો છૂટી ગયો છે કે,હવે ફિલ્મ જોવાની ઑફર કરવાનું પણ ભૂલી ગયો છું." હું માથું ખંજવાળતો રહ્યો,અને મિત્ર ઉદાસ પગલે ચાલતો થઈ ગયો.મને ખાસ કાંઈ સમજાયું નહી.પરંતુ, હશે..!! ચાલો,એ બિચારાંનું હૈયું તો હલકું થયું..!!

દિલ્હીની `Indian Institute of Mass Communication, New Delhi-1989` ના માસ કૉમ્યુનિકેશન તથા જર્નાલિઝમના પ્રોફેસર, શ્રીહેમંત જોશીજીના  મત પ્રમાણે," પતિ-પત્ની, એકજ સિક્કાની એવી બે બાજુ છે, જે જીવનભર સાથે તો હોય છે પરંતુ, તેમના ચહેરા (વિચાર?) એકમેકથી હંમેશા વિરુદ્ધ રહે છે..!!" આ હિસાબે તો ખરેખર આમ ન બને તે માટે, લગ્નવાંછુક કુમાર-કન્યાએ એકમેકને જીવનસાથી તરીકે પસંદ કરતી વેળાએ કઈ-કઈ બાબતો ધ્યાને લેવી જોઈએ તે એક અત્યંત મહત્વનો સવાલ છે..!!

ચાલો, આપણે આવી કેટલીક અગત્યની બાબત ચકાસવા પ્રયત્ન કરીએ.

૧. લગ્નવાંછુક કુમાર-કન્યા બંને એકમેક, ઘણા વર્ષોથી પરિચિત હોય તે ઉત્તમ સ્થિતિ છે.

૨. લગ્નવાંછુક કુમાર-કન્યા વચ્ચેનો વય તથા શારીરિક બંધારણનો તફાવત વધારે ન હોવો જોઈએ.

૩. લગ્નવાંછુક કુમાર-કન્યાના વિચારો,જીવન શૈલી તથા પસંદગી મળતી આવે તે ઉત્તમ સ્થિતિ છે.

૪. લગ્નવાંછુક કુમાર-કન્યાએ, સામેનું પાત્ર પોતાની સાથે, વાણી તથા વર્તનથી, અનુકૂળ થવા ઇચ્છા ધરાવતું હોય, તેની ખાત્રી લગ્ન અગાઉ જ કરી લેવી જોઈએ.

૫. લગ્નવાંછુક કુમાર-કન્યાએ એકમેક સાથે અસત્ય આચરણ ન કરવું જોઈએ. ( જુઠ્ઠાંને ક્યારેય ન પહોંચાય..!!)

૬. લગ્નવાંછુક કુમાર-કન્યા, પરસ્પર એકસરખી સેક્સ અપીલ (sex-appeal) ધરાવતાં હોવા જોઈએ. જાતીય આકર્ષણ વિનાનું (નપુંસક) પાત્ર, લગ્નવિચ્છેદનું પીડાદાયક કારણ બની શકે છે.

૭. લગ્નવાંછુક કુમાર-કન્યાએ, લગ્ન અગાઉ, ભાવિ સંતાનના જન્મ-ઉછેર-સંખ્યા તથા પોતાની અન્ય તમામ સામાજિક, આર્થિક જવાબદારી અંગે, પરસ્પર સ્પષ્ટતા કરી લેવી જોઈએ.

૮. લગ્નવાંછુક કુમાર-કન્યા એક જ પ્રકારના શોખ, શૈક્ષણિક લાયકાત તથા નોકરી,ધંધા-વ્યવસાય કરતા હોય તો તે ઉત્તમ સ્થિતિ છે. (જેમાં અભિમાન બાધારૂપ ન બનવું જોઈએ.)

૯. લગ્નવાંછુક કુમાર-કન્યાએ અરસપરસ, પોતાની કોઈ સારીનરસી આદત, વ્યસન અથવા લગ્નપૂર્વના સંબંધ બાબત અગાઉ જ સ્પષ્ટતા કરી લેવી જોઈએ. (ધર્મના ભાઈ-બહેન કે મિત્રમંડળ અંગે..!!)

૧૦. લગ્નવાંછુક કુમાર-કન્યાએ, એકમેકના જન્માક્ષર મળ્યાકે નહીં તે બાબતની દરકાર કર્યા વગર, સમજદારી દાખવીને, એકમેકના બ્લડગ્રૂપ અને શારીરિક સ્વસ્થતાનાં સાવ તાજાં પરિણામ મેળવવાનો આગ્રહ રાખવો જોઈએ.

એતો સર્વ વિદિત બાબત છેકે, લગ્નવાંછુક કુમાર-કન્યાના જીવનના મુખ્ય તબક્કાઓ, વિદ્યાર્થી અવસ્થાથી લગ્ન વયસુધીના કુંવારાપણાનો સમય, સગાઈથી લગ્ન વચ્ચેનો સમય, લગ્નથી પ્રથમ સંતાનપ્રાપ્તિ સુધીનો સમય અને ત્યારબાદ સંતાન ઉછેરથી માંડીને તેની કારકિર્દી ઘડવા સુધીનો ગાળો, દરેકના જીવનમાં ખૂબજ અગત્યતા ધરાવે છે. આ સમયગાળા દરમિયાન, એકપણ તબક્કે, સમજદારી ગુમાવીને કરાયેલા અયોગ્ય નિર્ણયની ખરાબ અસર બાકીના જીવનકાલ પર પડે છે.

આથીજ,અમારા કુંવારા, મોબાઈલ પ્રેમી, એક યુવામિત્રએ લગ્નના વિવિધ તબક્કાઓને, અલગ-અલગ કંપનીઓની જાહેરાતના `તકિયા કલામ` સાથે જોડીને ઘણું રસપ્રદ તારણ કાઢ્યું છે. તેઓ કહેછેકે," કુંવારાપણું એટલે ઍરટેલની માફક - ઐસી આઝાદી ઔર કહાઁ..!! જ્યારે, સગાઈ થી લગ્ન થતાં સુધી, સ્પાઈસની માફક- વાઈફ હૈ તો લાઇફ હૈ..!! લગ્ન બાદ રીલાયન્સની માફક- રહો પત્ની કી મુઠ્ઠી મેં..!! પ્રથમ સંતાનપ્રાપ્તિ બાદ, `હચ`ની માફક- જહાઁ જાયે આપ,વહાઁ પહૂઁચે નેટવર્ક..!! અને છેલ્લે, બીએસએનએલની માફક-The subcriber is not Reachable."

લગ્નપ્રસંગના શુભદિનનાં વિધિવિધાન.

ભારતમાં લગભગ ૮૦% હિંદુ, ૧૪% મુસ્લિમ,૨.૪%ખ્રિસ્તી,૦.૭% શીખ, ૦.૫% જૈન તથા ૦.૪ % અન્ય વસ્તી છે ત્યારે, સહજપણે અન્ય ધર્મમાં પણ, લગ્નની કેટલીક વિભિન્ન ધાર્મિક ક્રિયાવિધિ પ્રવર્તમાન છે.કોઈપણ ધર્મ હોય પરંતુ, લગ્નવાંછુક કુમાર-કન્યાની પસંદગી બાદ તેમના લગ્નસમારંભનો દિવસ પણ અત્યંત મહત્વનો ગણાય છે. કોઈ માતાપિતાની વહાલસોયી દીકરીને, પોતાને ત્યાં રંગેચંગે સમારંભ યોજીને લઈ આવવા માત્રથી, કાંઈ લગ્નજીવન સાફલ્યની ગેરંટી પ્રાપ્ત નથી થઈ જતી. કોઈપણ ધર્મમાં લગ્નપ્રસંગની કેટલીક વૈદિક શાસ્ત્રોક્ત, પરંપરાગત લગ્નવિધિ હોય છે અને તેનું આવનાર ભાવિ જીવનમાં  ઘણું મહત્વ હોય છે.

હિંદુધર્મમાં લગ્નપ્રસંગે, શુભ મુહુર્ત જોઈને શ્રીગણેશજીનીસ્થાપના, આદ્યકુળદેવીને આમંત્રણ અને માણેકથંભ રોપ્યા બાદ,ચાક વધાવવાની વિધિ, પીઠી ચોળવાની વિધિ મોસાળા પૂજા, લગ્નના માંડવે જાન પોંખવાનો લહાવો તથા જાનની સરભરા બાદ વરપક્ષ જાન માંડવે પહોંચ્યાની વધામણી લઈને આવે કે તરત, મધુપર્કનું મિષ્ટપાન કરાવવાનો રિવાજ હોય છે. લગ્નમંડપમાં,માંહ્યરાં ની રચના હોય છે જે શબ્દ મોટાભાગે `મધુપર્ક=દહીં, ઘી, પાણી, મધ અને સાકરનું મિશ્રણ.` શબ્દ ઉપરથી સ્થાપિત થયો હોય તેમ મનાય છે. આ ઉપરાંત, મધુપર્ક સત્કાર ને પૂજાવિધિમાં પણ ઉપયોગમાં લેવાય છે. તે ઉપરાંત, માંહ્યરાંમાં કંસાર જમાડ્યાની વિધિ, આશીર્વાદ પ્રાપ્તિ, પગરખાં સંતાડવાની વિધિની સાથે, મોટાભાગે હિંદુવિધિ અનુસાર યોજાયેલા લગ્નપ્રસંગમાં અગ્નિદેવની સાક્ષી તથા સપ્તપદીનાં વચનનું અનેરું મહત્વ છે. મનુષ્યના પ્રાણત્વના ચેતનાના પ્રતીક સ્વરૂપ અગ્નિને સપ્તજિહ્વા (સાત લબકારા મારતી જ્વાલાઓની જીભવાળો..!!) માનવામાં આવ્યો છે.

ઉપરાંત, ઈસુના જન્મ પૂર્વે આશરે, ૫૦૦-૩૦૦ BCE ના સમયગાળામાં, સંસ્કૃતમાં રચાયેલા, આપણા વેદાંગ અને સૂત્રગ્રંથમાં, ૧-શિક્ષા, ૨.કલ્પ, ૩.વ્યાકરણ,૪.જ્યોતિષ, ૫.છંદ તથા ૬.નિરુક્ત, એમ છ પ્રકાર છે. જેમાં, કલ્પ વેદાંગમાં ત્રણ શાખા દર્શાવાઈ છે.૧.શ્રોત્ર સૂત્ર, ૨. ગૃહ્યસૂત્ર, ૩. ધર્મ સૂત્ર. આ શાખામાં ૠગ્વેદના ગૃહ્યસૂત્રમાં ૧. સાંખ્યાયન, ૨.શામ્બવ્ય, ૩.આશ્વાલયન, એમ ત્રણ ગૃહ્ય સૂત્ર છે. આ ત્રણ ગૃહ્યસૂત્ર માં, આશ્વાલયન ગૃહ્યસૂત્રમાં લગ્નવિધિની અત્યંત મહત્વના અંગ સમાન, સપ્તપદીવિધિને વિસ્તારપૂર્વક વર્ણવાઈ છે. ભારતીય લગ્નપ્રસંગે આજેપણ  ‘સપ્તપદી’નું આગવું મહત્વ છે.  હસ્તમેળાપ, મંગળસૂત્ર, સેંથી સિંદૂર તથા મંગળફેરાના, ધર્મ,અર્થ,કામ અને મોક્ષના ચાર ફેરા બાદ, સપ્તપદી વિધિ આવે છે જેમાં, વર-કન્યા ચોખાની સાત ઢગલીઓ ફોડી અરસપરસ સાત પ્રતિજ્ઞાઓ લઈને, એકબીજાને વફાદારી અને સાહચર્યનું વચન આપે છે.

આશ્વાલયન ગૃહ્યસૂત્ર અનુસાર સપ્તપદીનું પ્રથમ વચન તે -  इष एकपदी भव । (તું પહેલું પગલું અન્નને માટે ભર.)

બીજું પદ- उर्झे द्विपदी भव । (તું બીજું પગલું બળને માટે ભર)

ત્રીજું પદ- रायस्पोषाय त्रिपदी भव । (તું ત્રીજું પગલું સંપત્તિને માટે ભર)

ચોથું પદ- मायोभव्याय चतुष्पदी भव । (તું ચોથું પગલું સુખચેનને માટે ભર)

પાંચમું પદ- प्रजाभ्यः पंचपदी भव । (તું પાંચમું પગલું સંતતિને માટે ભર)

છઠ્ઠું પદ- ऋतुभ्य: षट्पदी भव । (તું છઠ્ઠું પગલું ઋતુઓને માટે ભર)

સાતમું પદ- सखा सप्तपदी भव । ( સાતમું પગલું  ભરીને તું મારી મિત્ર થા)

સપ્તપદીવિધિ બાદ, ગોરમહારાજ મંગલાષ્ટક લલકારીને, નવદંપતિને આશીર્વાદ આપી, લગ્નની ધાર્મિક વિધિ સંપન્ન થયાનું જાહેર કરે છે. મંગલાષ્ટકના આઠ અષ્ટકો દ્વારા નવદંપતિનું દાંપત્ય જીવન સરળ, સફળ અને પ્રસન્ન નીવડે એવી મંગળ કામનાઓ કરવામાં આવે છે તથા ઉપસ્થિત સહુ કોઈ મંગલગીતો ગાય છે.

"પહેલું પહેલું મંગળિયું વરતાય રે,પહેલે મંગળ ગાયોનાં દાન દેવાય રે,
અગ્નિદેવની સાક્ષીએ ફેરા ફરાય રે,સૌને હૈયે આનંદ અતિ ઉભરાય રે."

જોકે, આજના આધુનિક નરનારી સમાન હોવાની વિચારધારાના યુગમાં સપ્તપદીને કેવળ પતિ દ્વારા, પત્ની પાસે અનુગામી થઈને, પોતાને અનુસરવા કાજે લેવાતાં વચનો બાબત ઘણા મતમતાંતર પ્રવર્તે છે. આથીજ આદરણીય સાહિત્યકાર શ્રીમકરન્દ દવેના `દાંપત્ય યોગ` નામના પુસ્તકમાં સપ્તપદીનું અર્થઘટન વરવધૂની, પરસ્પર કુટુંબ-સમાજ પ્રત્યેની ભાવના જાગૃત થાય તે મુજબ નવેસરથી કરવામાં આવ્યું છે. વિધિમાં સહુથી છેલ્લે, કન્યા વિદાય વિધિ, નવવિવાહિત વરવધુ સાસરે પહોંચ્યા બાદ, નવવધુને આવકારવાની વિધિ, વરકન્યા કરતાં નાની વયનાં ભાઈબહેન દ્વારા ગૃહપ્રવેશ કાજે દાપું ઉઘરાવવાની વિધિ, મીંઢળ છોડવાની, છેડાછેડી છોડવાની અને કંકુપાણી ભરેલા પાત્રમાંથી સિક્કા શોધવાની વિધિ વગેરે વિધિઓ  હિંદુધર્મમાં બહુધા પ્રચલિત છે.

મોટાભાગે લગ્ન કરતી વખતે વ્યક્તિ વિચારે છેકે,તે લગ્નજીવન વિષે બધું જ જાણે છે,તેથીજ લગ્ન સમયે દરેક ધર્મમાં અપાતાં-લેવાતાં વચનો,કોઈજ ગંભીરતા વગર, ધર્મગુરુ રટાવે તેમ, પોપટની માફક રટી જાય છે અને બીજીજ ક્ષણે તે વચનો ભૂલી પણ જાય છે. જ્યારે વાસ્તવિક જિંદગીમાં, જીવનસાથી સાથે સંબંધો મધુરતા સાથે નિભાવવાનો સમય આવે છે ત્યારે,ખ્યાલ આવે છેકે, સબંધ બાંધવા સહેલા છે,પણ પાળવા કેટલા કઠીન છે..!! લગ્નપ્રસંગ બાદ, નવદંપતિને, એક-બે વર્ષના, આત્મિક,માનસિક તથા શારીરિક સંવનનકાલ દરમિયાન, અન્ય કુટુંબીઓના કારણે, એકમેક સાથે મનદુઃખ થયું હોય તો તે સ્થિતિને નવદંપતિએ કઈ રીતે સંભાળવી જોઈએ? લગ્નજીવનમાં જ્યારે કોઈએક સાથીદારને માઠું લાગે અને ગુસ્સો થયો હોય..!! તેવા સંજોગોમાં, શું કરવું જોઈએ? જેને પ્રેમ કરતા હોય તેની નારાજગી કેવીરીતે દૂર કરવી, તે જાણે એક યક્ષપ્રશ્ન છે. દરેક વ્યક્તિએ,આ દુનિયામાં ડગલેને પગલે સમાધાન સાથે જીવવું પડે છે. "મન હોય તો માળવે જવાય",તે ન્યાયે, આપણે એટલું જાણી લઈએ કે, વ્યક્તિના છેલ્લા શ્વાસ સુધી પ્રેમભર્યું સહજીવન જરુર શક્ય છે.સવાલ છે માત્ર પ્રામાણિક પ્રયત્ન કરવાનો..!!

લગ્નપ્રસંગે નવદંપતિએ વિખવાદ ટાળવા, સાવધાની શામાટે  દાખવવી જોઈએ?

૧.લગ્નજીવનમાં ૧૦૦% સમર્પણની શ્રદ્ધાને કારણે.

૨.લગ્નના પાયામાં લૂણો ન લાગે તે માટે.

૩. સઘન, ટકાઉ,આત્માના સાચા ઐક્ય માટે.

૪.જીવનસાથીના રુપમાં, પ્રેમાળ,સમજૂ,સાચો મિત્ર મેળવવા.

૫.જીવનસાથી સાથે, તંદુરસ્ત જાતીયજીવન માણવા.

૬. આર્થિક, સામાજીક અને માનસિક માન-ગૌરવ મેળવવા.

૭. જીવનમાં હતાશા ટાળવા.

૮. દુઃખદાયક છૂટાછેડા ના માનસિક આઘાતમાંથી મૂક્તિ મેળવવા.

૯.કુટુંબમાં સ્વાર્થીપણું ફેલાતું અટકાવવા.

૧૦.ચિંતામૂક્ત જીવન જીવવા.

૧૧.સામાજીક અને કાયદાકીય હીણપત ટાળવા.

૧૨. " combination of the three C's - communication, compromise, and commitment." સરળ બનાવવા.

લગ્નપ્રસંગના શુભદિનની આચારસંહિતા.

આપણા દેશમાં કોઈપણ લગ્નપ્રસંગમાં, જુના-નવાં માની લીધેલાં માન-અપમાનને યાદ કરીને, એકમેક સાથે બદલો વાળવાના ભાવ સાથે, રિસામણાં-મનામણાંની કુપ્રથા આજેપણ અમલમાં છે. આવા સમયે સમજદાર કુટુંબીજનની સલાહ-શીખામણને અવગણીને, મોટાભાગે લગ્નવાંછુક કન્યાના માતાપિતા તથા તેઓના અન્ય કુટુંબીજનો પાસે, સ્વમાનભંગના બહાના હેઠળ, નાકલીટી તણાવવાનો દુરાગ્રહ રખાય છે. જોકે, આમ કરવાથી કદાચ કોઈનો અહમ જરૂર તૃપ્ત થતો હશે, પરંતુ જેતે વ્યક્તિના શુભપ્રસંગનું વાતાવરણ કલુષિત થવા સાથેજ, એકમેકના દિલમાં ક્યારેક કાયમી વેરઝેરની ભાવના ઘર કરી જતી હોય છે. આથીજ, શુભપ્રસંગ સંપન્ન ન થાય ત્યાં સુધી, હર્ષોલ્લાસના વાતાવરણને કલુષિત કરવા ઈચ્છા ધરાવતાં,વરપક્ષ તથા કન્યાપક્ષનાં ઉપદ્રવી કુટુંબીજનોને પ્રસંગ શરૂ થતા અગાઉથીજ, મોભાદાર વડીલો દ્વારા સમજાવટભર્યું જરૂરી માર્ગદર્શન આપવું હિતાવહ છે. કોઈપણ લગ્નપ્રસંગ સુપેરે સંપન્ન થાય ત્યાંસુધી, વર-કન્યા સહિત, પ્રસંગમાં ભાગ લેનાર દરેકને માટે ચૂસ્તપણે પાલન કરવા જેવી આચારસંહિતાની આ રહી કેટલીક ઉપયોગી બાબતો.

* લગ્નપ્રસંગે અઢળક નાણાં ખર્ચવા છતાં, હંગામી ધોરણે ઉભી કરાયેલી વ્યવસ્થાની ખામીઓને વખોડી,હોબાળો મચાવવાને બદલે તે સ્થિતિને અનુકૂળ થવાનું રાખો. (ભૂતકાળમાં તમારે ત્યાં યોજેલા પ્રસંગને યાદ રાખવો.)

* લગ્નમંડપમાં વર તથા કન્યાએ, પોતાની મુત્સદીગીરીને કામે લગાવી એકમેકનાં નારાજ કુટુંબીજનનો પ્રેમ સંપાદિત કરવા પ્રયત્ન કરવો જોઈએ. સહુની હાજરીમાં, માંહ્યરાંમાં એકમેકની સામે રોષ વ્યક્ત કરવાનું ટાળવું જોઈએ.

* લગ્નની તમામ વૈદિક ધાર્મિકવિધિનું સન્માન કરી, તેનો ભાવાર્થ સમજવામાં ધ્યાન પરોવવું. (કમસે કમ એટલા સમય પુરતું વર-કન્યાએ પોતાના મોબાઈલ બંધ રાખવા.)

* વર-કન્યા દ્વારા, પ્રભુતામાં પગલાં પાડવાં તે, તેઓના જીવનની એક ગંભીર અને મહત્વપૂર્ણ ઘટના છે. બીનજરૂરી ઉતાવળ તથા મિત્રો-સખી સાથે મજાકિયો શોરબકોર કરીને, માંહ્યરાંને ઉપહાસનું કેન્દ્ર ન બનવા દેશો.

* લગ્નમંડપમાં ભેટસોગાદ આપનાર પ્રત્યે આભાર પ્રગટ કરવાનું ચૂકશો નહીં.

* માંહ્યરાંની આસપાસ, વર-કન્યા, બંનેના અંગત મિત્રો ભલે હાજર રહે, પરંતુ શુભપ્રસંગનું ગૌરવ જળવાય તે માટે, તેમને આલ્કોહોલ સહિત કોઈપણ વ્યસનથી દૂર રહી, આવેલા સગાવહાલાં તથા મહેમાનને અસહજતા, અણગમો તથા ભોંઠપ ઉત્પન્ન થાય તેવું  અજુગતું અશ્લીલ વાણી-વર્તન ન કરવા અગાઉથીજ તાકીદ કરશો.

* કન્યાપક્ષ માટે મોટાભાગે કન્યા વિદાયનો પ્રસંગ ભાવુકતા પેદા કરનારો હોય છે, તે સમયે વરપક્ષ તરફથી, અકારણ કરવામાં આવેલી ઉપહાસજનક ખોટી ટીકાટિપ્પણીથી વાતાવરણ બગડી શકે છે. આ સમયે સંયમ રાખો.

* લગ્નપ્રસંગ બાદ, સાસરીમાં નવવધુના ગૃહપ્રવેશ પશ્ચાત, નવા વાતાવરણમાં સેટ થવા મથતી નવવધુને, લગ્નપ્રસંગમાં તેના પિતા દ્વારા રહી ગયેલી ખામીઓ બાબતે, કડવાં વેણ સંભળાવીને તેને વધુ માનસિક ત્રાસ થાય તેવું વાતાવરણ ઊભું ન થવા દેશો.

* આર્થિકરીતે પોસાય તેવા હરવાફરવાના સ્થળે જ, નવદંપતિએ મધુરજની માણવા માટે આયોજન કરવું જોઈએ. આર્થિક બોજો (દેવું) કરીને, દેખાદેખી વિદેશ પ્રવાસ કરી પરત આવ્યા બાદ તરત દેવું ચૂકવવાની ચિંતા વિવાહિત નવજીવનનો આનંદ લુપ્ત કરી શકે છે.

* નવદંપતિએ યાદ રાખવું જોઈએકે, મધુરજનીનો સ્વર્ણકાલ જીવનમાં ફક્ત એકવાર આવે છે. આ સમયે જાતીય આનંદને પ્રાધાન્ય આપવાને બદલે,પતિ-પત્નીએ એકમેકને પ્રેમ-હૂંફ તથા હકારાત્મક વિચારોના આદાનપ્રદાન દ્વારા ભાવિ સહજીવનના પડકારોને પહોંચી વળવા, સકારાત્મક રોમાંસમાં મન પરોવવું જોઈએ. યાદ રહે,સેક્સ ફક્ત શારીરિક મિલન સુધી સીમિત નથી, તે બે હૃદયનું મિલન પણ હોય છે.(આમેય, જાતીય આનંદ માટે આખી જિંદગી બાકી હોય છે..!!)

* નવદંપતિએ મધુરજનીના દિવસોમાં,પોતાની અંગત પળોની તસ્વીર કે વિડીયો ઉતારતી વેળાએ સામાજીક મર્યાદાનો ખ્યાલ રાખવો ખૂબ જરૂરી છે, અન્યથા અશ્લીલ જણાતી તસ્વીર કે વિડીયો, નવદંપતી વચ્ચે ભવિષ્યમાં મોટા વિખવાદનું કારણ બની શકે છે. જૈન ધર્મમાં, ચોવીસેય તીર્થંકરો દ્વારા, પ્રત્યેક નરનારીને એકાંત શૈયાસનનો  (શૈયા + આસન) ઉપદેશ અપાયો છે. તેની પાછળ મર્મ એજ છેકે, બે અલગ વ્યક્તિત્વ, માનવસહજ સ્વભાવ મર્યાદાને કારણે, સંપૂર્ણ એકાકાર કે `Adjustable` બની શકે નહીં. તેવા સમયે એકાંત શૈયા અને એકાંત આસનથી સંસારની વિકૃતિથી બચાવ થાય છે અને કર્મબંધનથી મૂક્તિ મળતાં, મોક્ષમાર્ગ ખૂલ્લો થાય છે.

યાદ રહે, નવદંપતિએ મધુરજનીના દિવસો દરમિયાન જેટલો સમય સાથે વિતાવ્યો હતો, તેની યાદગાર, પ્રેમભરી ક્ષણોની ચર્ચા અને આનંદ એજ, સહજીવનની શરુઆત કરવાનો આધાર હોય તે જરુરી છે. શક્ય છે,આવી પ્રેમાળ અને લાગણીને ઉત્તેજીત કરનારી વાતો વાગોળતાંજ, તમારું ઘણું બધું કાર્ય સરળ થઈ જાય..!! પોતાના જ કુટુંબમાં, ઘણાં વડીલોએ, સફળ લગ્નજીવનની રજતજયંતી કે ગોલ્ડનજયંતી ઊજવી હશે,જેઓ ખરા દિલથી ઈચ્છતા હશેકે,તમો પણ એક સાથે, સંવાદિતાથી, લાંબું, સુખમય,શાંતિમય,લગ્નજીવન પસાર કરો. આપના સહજીવનને મજબૂત કરવા માટે,પતિ-પત્ની, બંને એક સાથે, કોઈપણ સ્વાર્થ વગર,આ પ્રકારની મદદ કરવામાં આનંદ થતો હોય તેવા વડીલોને,વારંવાર મળવાનું રાખો. જેમાં આ વડીલોએ તેમના જીવનમાં આવેલા આ પ્રકારના મનદુઃખને, કેવીરીતે ટાળ્યું હતું ? તે બાબત શરમ રાખ્યા વગર તેઓને જરૂર પૂછો. નારાજ જીવનસાથીના નિકટના વ્યક્તિઓ પાસે,તેનો વાંક-ભૂલ કાઢવાને બદલે, હકારાત્મક વિચારોને વહેતા મૂકો, યાદ રહે આમ કરવાથી, નારાજ જીવનસાથીની નિકટ રહેતાં, તમામ સ્વજન આ સંકેતને, જાણે અજાણે નારાજ જીવનસાથીના મનમાં ઠસાવશે અને તમારું કાર્ય સરળ થશે. ધીરજ ગુમાવશો નહી. અનેક દિવસોની નાની નાની આઘાતજનક ઘટનાઓનો ગુણાકાર થયા બાદ, એકમેક માટે મોટા મનદુઃખનાં બીજ રોપાય છે.તમારી લાગણી ઘવાઈ હશે તો, સામા પાત્રની લાગણી પણ એટલી જ ઘવાઈ હશે,તેથી ધીરજ સાથે સમજદારી દાખવો.

કૌટુંબિક હિંસા તથા શોષણ વિરુદ્ધ કાનૂની રક્ષણ (Laws against domestic violence and abuse.) 

મિત્રો, મહર્ષિ ગૌતમે પોતાની ધર્મપરાયણ પત્ની અહલ્યાને ગુસ્સે થઈ પથ્થરની શીલા બની જવાનો શ્રાપ આપ્યો અને અંતે દુઃખી થઈ અપાર પસ્તાયા. નવાઈની બાબત એ છેકે, આ મહાસતી અહલ્યાનો ઉદ્ધાર કરનારા ભગવાન શ્રીરામ, ગર્ભવતી સીતામૈયાના વનવાસનું નિમિત્ત બન્યા..!! મહાભારત મહાકાવ્યમાં, ધર્મરાજ યુધિષ્ઠીર જુગારમાં પત્ની દ્રૌપદીજીને હારી ગયા ત્યારે અત્યંત કરૂણ સ્વરે દ્રૌપદીએ સવાલ કર્યો," હું શું જુગારમાં હારી જવા જેવી કોઈ ચીજવસ્તુ છું? વળી જુગારમાં અગાઉ પોતાની જાત હારી જનાર ધર્મરાજને, મને જુગારમાં દાવ પર મૂકવાનો અધિકાર કોણે આપ્યો?" આટલાં સજ્જડ ઉદાહરણ પછી એ બાબત તો સ્પષ્ટ થાય છેકે, જેમને જીવતાં નથી આવડતું તેઓ પત્નીને પ્રતાડીત કરી, પાછળથી  હંમેશા દુઃખી થયા છે. ( આજના ભારતમાં આ સહુ મહાનુભવોને કદાચ કાનૂની કાર્યવાહીનો  સામનો કર્યા બાદ, સખત કેદ તથા ભારે દંડની સજા થઈ હોત?)

જોકે, ભારતીય સંવિધાનની જોગવાઈ મુજબ, દહેજ વિરોધી ધારા ઉપરાંત, કૌટુંબિક હિંસા તથા શોષણ વિરુદ્ધ પણ અત્યંત કડક કાયદા ઘડવામાં આવ્યા છે.સન-૧૯૮૩માં કૌટુંબિક અત્યાચાર તથા શોષણની વ્યાખ્યા નિશ્ચિત કરીને તેને Indian Penal Code ની ધારા ૪૯૮-અ મુજબ ફોજદારી અપરાધ ગણવામાં આવ્યો. ઘરમાં પતિ અથવા તેમના કુટુંબીઓ દ્વારા વિવાહિત સ્ત્રી પ્રત્યે ક્રૂર વ્યવહાર કરવામાં આવે ત્યારે, આ કાયદા અનુસાર ફોજદારી રાહે પગલાં ભરી કાયદાનો ભંગ કરનાર ઉપર કાયદેસર કાર્યવાહી કરવામાં આવે છે.

Indian Penal Code ની ધારા ૪૯૮-અ મુજબ,

૧. વિવાહિત સ્ત્રી આત્મહત્યા માટે મજબૂર થાય તેવો ક્રૂર વ્યવહાર તેની સાથે કરવો.

૨. વિવાહિત સ્ત્રીને કાયમી ઈજા થાય અથવા તેના સ્વાસ્થ્ય પર ખરાબ અસર થાય તેવી રીતે પીડા પહોંચાડવી.

૩. વિવાહિત સ્ત્રીના પિયરમાંથી સ્થાવર-જંગમ મિલ્કત મેળવવા માનસિક યાતના આપવી.

૪. અથવા વિવાહિત સ્ત્રી કે તેના કુટુંબી, આવી અઘટિત માંગણી સંતોષી ન શકે ત્યારે તે  કારણસર તેને માનસિક સંતાપ આપવો.

આ કાયદાની નોંધવા યોગ્ય બાબત એ છેકે, વિવાહિત સ્ત્રીના કોઈપણ કુટુંબી આ ફરિયાદ નોંધાવી શકે છે. જેમાં કાયદાની કાર્યવાહી બાદ, અપરાધ સાબિત થાયતો, જેતે અપરાધીને ત્રણ વર્ષ સુધીની સખત કેદ અને/અથવા દંડની જોગવાઈ કરવામાં આવી છે.આ કાનૂન અંતર્ગત, `કૌટુંબિક ક્રૂરતા`ની વ્યાખ્યા પણ કરવામાં આવી છે. જે મુજબ,

૧.વિવાહિત સ્ત્રીને ભોજન ન આપવું.

૨.વિવાહિત સ્ત્રીને યૌન ઉત્પીડન કરવું.

૩.વિવાહિત સ્ત્રીને ઘરમાં નજરકેદ જેવી સ્થિતિમાં રાખી ત્રાસ
આપવો.

૪. વિવાહિત સ્ત્રીને પોતાનાંજ સંતાનને મળવા ન દેવા.

૫. ઉપરાંત, વિવાહિત સ્ત્રી ઉપર શારીરિક અત્યાચાર આચરવો.

૬.વિવાહિત સ્ત્રીની સતત ટીકા-નિંદા દ્વારા, તેને માનસિક યાતના આપી તેનું મનોબળ ઘટે તેવા પ્રયત્ન કરવા.

૭. વિવાહિત સ્ત્રીને સમાજમાં હળવામળવા પર પ્રતિબંધ લાદવો.

૮. માતાને માનસિક યાતના પહોંચાડવાના ઈરાદાથી, તેનાં બાળકોને ઘમકાવવાં કે માનસિક ત્રાસ આપવો.

૯. વિવાહિત સ્ત્રી કે તેનાં કુટુંબી દ્વારા,સાસરિયાંની દહેજની માંગણી ન સંતોષાય તો, છૂટાછેડાની ધમકી આપવી.

આ ઉપરાંત આ કાયદાની જોગવાઈ અનુસાર,લગ્ન બાદ પતિની તમામ સ્થાવર-જંગમ સંપતિ પર સ્ત્રીનો સમાન હક્ક હોય છે. યાદ રહે, સ્ત્રીને અવારનવાર ઘરમાંથી હાંકી કાઢવાની ધમકી સામે, અદાલતમાંથી તરતજ આ બાબતે જેતે સ્ત્રીને મનાઈ હુકમ મળી શકે છે. Indian Penal Code ની ધારા ૪૯૮-અ મુજબ, દહેજ માટે આપવામાં આવતા માનસિક ત્રાસ સામે પણ સ્ત્રીઓને પુરતું રક્ષણ આપવામાં આવ્યું છે. દહેજની પ્રતાડણાને કારણે સ્ત્રીનું અકુદરતી મૃત્યુ થાય તેવા સંજોગોમાં IPCની ધારા ૩૦૪-બી પ્રમાણે, આ અકુદરતી મૃત્યુ દહેજને કારણે નથી થયું તે પુરવાર કરવાની જવાબદારી પતિની રહે છે.સ્ત્રીના આપઘાતના કિસ્સામાં ધારા ૩૦૪-બી સાથે ધારા-૩૦૬ પણ ઉમેરાય છે, જેની જોગવાઈ મુજબ માનસિક ત્રાસને કારણે સ્ત્રીની હત્યા કર્યાનો ગુનો દાખલ (FIR) કરીને કાયદેસર કાર્યવાહી બાદ, ગુનો સાબિત થયેથી, અપરાધીને સાત વર્ષની સખત કેદની સજાનું કાનૂની પ્રાવધાન છે.તે સિવાય, પતિ-પત્ની વચ્ચે, જાતીય સંબંધ બાંધવા બાબતે, સ્ત્રીની મરજી વિરૂદ્ધ બાંધવામાં આવતા શારીરિક સંબંધને ક્રૂરતાપૂર્ણ વ્યવહાર માનીને, ગુનો સાબિત થયેથી છૂટાછેડા મેળવી શકાય છે. ન્યાયાલય દ્વારા દાદ મેળવી અલગ થયેલી પત્ની સાથે, પતિને શારીરિક સંબંધ સ્થાપવા પર  IPC ૩૭૬-અ ધારા મુજબ નિષેધ ફરમાવેલ છે. વિવાહિત સ્ત્રી, ન્યાયાલયમાં કૌટુંબિક હિંસા તથા શોષણ વિરુદ્ધ કાનૂની રક્ષણ ઇચ્છે તેવા સંજોગોમાં, અદાલત દ્વારા પતિ પાસે, તેની સ્થાવર અથવા જંગમ મિલ્કત, સ્ત્રીની સામાજિક સલામતી સ્વરૂપે મૂકાવાય છે,જે સતત જારી રહેતી કૌટુંબિક હિંસા તથા શોષણના કિસ્સામાં, અદાલતી આદેશથી જપ્ત પણ કરવામાં આવે છે.જોકે, CrPcની ધારા-૧૨૫ મુજબ સોગંદનામા દ્વારા સાબિત કરવામાં આવેકે, વિવાહિત સ્ત્રી દ્વારા કોઈપણ વ્યાજબી કારણ વગર, સાંસારિક જીવન સ્થાપિત કરવા ઇન્કાર કરવામાં આવે છે, તેવા સંજોગોમાં પતિ પાસેથી તે સ્ત્રી ભરણપોષણ કે અન્ય વળતર મેળવવાને હક્કદાર નથી.

 નોંધ- તાજેતરનાં વર્ષોમાં, વિવાહિત સ્ત્રી તથા તેના કુટુંબીઓ દ્વારા, સાસરી પક્ષના, નિર્દોષ પતિ તથા તેમના બેકસૂર કુટુંબીઓને અકારણ કાનૂની માયાજાળમાં ફસાવીને આ કાનૂન અંતર્ગત, વ્યભિચાર તથા ક્રૂરતાના બનાવટી આરોપ કરીને, ખોટી ફરીયાદ કરવામાં આવી હોવાના કેટલાક કિસ્સા અદાલતના ધ્યાન પર આવેલા જેમાં, વિવાહિત સ્ત્રીના બનાવટી આરોપોને નકારી કાઢી, આરોપીઓને આરોપ મૂક્ત કર્યાના ચૂકાદા પણ આવેલા છે.

National Commission for Women, New Delhi, Indiaના ચેરપર્સન સુશ્રીગિરીજા વ્યાસ તથા જાણીતા ધારાશાસ્ત્રી શ્રીઅતુલ નાગરાજન માને છેકે," દેશમાં પતિ-પત્નીના વિવાદોમાં, બેવફાઈ તથા વ્યભિચારના સામસામે સાચા-ખોટા આરોપ માટે CrPC ની ધારા- ૩૪૦ અને ધારા-૩૪૪ અંતર્ગત  કરવામાં આવતાં સોગંદનામાને ચકાસવાની કાર્યવાહી અદાલતે કેમેરા સામે, બંધ બારણે કરવી જોઈએ જેથી કોઈ નિર્દોષ વ્યક્તિની અકારણ બદનામી થતી અટકાવી શકાય.

જોકે, પતિ-પત્નીના બંને પક્ષે, આવી પીડાદાયક કાનૂની માથાકૂટમાંથી છૂટવાનો શ્રેષ્ઠ ઉપાય સમજદારીભર્યું સહજીવન આજીવન પસાર કરવાનો સંનિષ્ઠ પ્રયત્ન માત્ર હોઈ શકે..!! સન-૧૯૨૩માં, પંજાબના અલમોરા જિલ્લામાં જન્મેલા તથા સન-૧૯૫૨થી મૌનવ્રત પાળનારા મહાસંત શ્રી બાબા હરિદાસજીના જ્ઞાનવચન મુજબ, “ પતિ-પત્ની અનાજના એવા દાણા (સોયાબીન) સમાન છે જેના બે અલગ ફાડિયાં  કરી અરધા-અરધા ભાગને, જમીનમાં અલગ-અલગ વાવવામાં આવે તો તે ક્યારેય અંકુરિત થતા નથી. પરંતુ, આ અનાજનો આખો દાણો તેને એકત્વ બક્ષતા ફોતરા( Skin) સાથે વાવતાંજ તે અંકુરિત થાય છે." સંસારમાં સહજીવનને નવપલ્લવિત રાખવા નવદંપતિએ આ જ્ઞાન ગાંઠે બાંધવા જેવું છે..!! દેવોની નગરી જો સ્વર્ગ હોય તો, દેવત્વભાવને ધારણ કરીને, પ્રસન્ન દાંપત્ય દ્વારા, નવવિવાહિત દંપતિ પોતાના નિવાસસ્થાનને સ્વર્ગથી પણ અદકેરું બનાવી શકે છે. દેવત્વ એટલે, શુભભાવ, મંગલ વાતાવરણ, સંતોષમાં સુખ તથા વાણી-કર્મ-વ્યવહારમાં સત્ય પવિત્રભાવની અધિકતા..!!

આમ પણ, આપણા શાસ્ત્રોમાં ઘર ગૃહસ્થીમાં સુખ,શાંતિ તથા સમૃદ્ધિનો મુખ્ય સ્રોત નારીશક્તિને માનવામાં આવે છે. આથીજ મનુ સ્મૃતિમાં (૩.૫૬) , “यत्र नार्यस्तु पूज्यंते तत्र रमन्ते देवता ।  - Where women are honored, there the Gods are pleased.  But where they are not honored, no sacred rite yields rewards.”  (Manu Smriti 3.56) કહીને નારીશક્તિને બીરદાવવામાં આવી છે.

બાય ધ વે અંતે, લેખના આરંભમાં મને ચંપકકાકાએ પૂછેલા સવાલ,"દવેભાઈ, મકરસંક્રાંતિ પર્વની કટીપતંગ, દીલીપકુમારની-નયા દૌર ફિલ્મ તથા માંહ્યરાંમાં,કન્યા પધરાવો સાવધાન, વચ્ચે શું સમાનતા છે?" નો ઉત્તર મળી ગયો છે. ચાલો, આપને પણ તે જણાવી જ દઉં છું," મકરસંક્રાંતિની કટીપતંગ એટલે લગ્ન બાદ,  પરણેલાની જમાતમાં ભળીને, કુંવારા-જમાતમાંથી મુરતિયાનો પતંગ કપાઈ જવો..!! માંહ્યરાંમાં, કન્યા પધરાવો સાવધાન એટલે લગ્નવાંછુક કુમાર-કન્યા માટે લગ્ન ન કરવા માટેની આખરી ચેતવણી...!! તથા દીલીપકુમારની `નયા દૌર` ફિલ્મનો અર્થ, મોટાભાગે વરઘોડામાં, બેન્ડવાજાંવાળા દ્વારા,જાનૈયાને નચાવવા માટે વગાડવામાં આવતા, આ ફિલ્મના પંજાબી ભાંગડાગીત, જેના બોલ છે,

યે દેશ હૈ વીર જવાનોં કા,અલબેલોં કા,મસ્તાનોં કા,ઇસ દેશકા યારોં હો..ય..!!
ઇસ દેશ કા યારોં ક્યા કહના,યે દેશ હૈં દુનિયા કા ગહના.
દિલબરકે લિયે દિલદાર હૈ હમ, દુશ્મનકે લિયે તલવાર હૈં હમ,
મૈંદાન મેં અગર હમ હો..ય..!! મૈંદાન મેં અગર હમ ડ઼ટ જાયેં,
મુશ્કિલ હૈં કે પીછે હટ જાયે...!!....યેં...યાહુઁ..યાહુઁ..યેં...યાહુઁ..યાહુઁ....!!"

બીજુંતો શું, લગે રહો ભાઈઓ તથા બહેનો..!! પરંતુ, કન્યા પધરાવો સાવધાનની બૂમ પડે ત્યારે, पीछे मत हटना..!! 

ચાલો ત્યારે,  મારા તરફથી, આપણા દેશના લગ્નવાંછુક વીર કુમાર-કન્યાઓને શત-શત અભિનંદનસહ, "Wishing you all the love and happiness in the world and congratulations on your marriage."

માર્કંડ દવે.તા.૨૦-૦૧-૨૦૧૨.


http://mktvfilms.blogspot.com   (Hindi Articles)
http://mkringtones.blogspot.com  (Indian Music)
http://markandraydave.blogspot.com  (Gujarati Articles)

1 comment:

  1. vraj Dave


    ખુબજ સરસ......ને....અતિ લાંબુ.......બાપરે.......પણ મજા તો વાંચવાની આવી.

    આભાર.
    વ્રજ દવે.

    ReplyDelete

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.