Showing posts with label વ્યંગ. Show all posts
Showing posts with label વ્યંગ. Show all posts

Tuesday, November 29, 2011

બ્લૉગરની સંવેદના?





બ્લૉગરની સંવેદના?

" One should try everything once, except incest and folk-dancing."


ARNOLD BAX - British Composer. (1883-1953) 


શું બ્લૉગર્સ સંવેદનશીલ છે?


વર્તમાનપત્રના સમાચાર-


*  ડૉક્ટર્સ દ્વારા બાળકના ખોટા ઓપરેશનને મામલે ભીનું સંકેલવાના પ્રયાસ? તેના કુટુંબને વળતરનું આશ્વાસન આપનારા હવે નજરે પડતા નથી?


* મૃત ગરીબ મહિલાની સારવારમાં કચાશ ન રહી હોવાનો અહેવાલ તપાસ સમિતિ આપે તેવી શક્યતા? તેના પતિને આપઘાત કરવાની દુષ્પ્રેરણાનો મામલો હજી તબીબો પર નોંધાયો નથી? ડોક્ટર્સ તથા નર્સની હડતાળની ધમકી,મામલો થાળે પાડવા દોડી ગયેલા કૉર્પોરેશનના પદાધિકારીઓ.


======


પ્રિય મિત્રો,


ઉપર દર્શાવેલા આવા બધા ફાલતુ  સમાચાર સાંભળીને-વાંચીને-જાણીને, કદાચ મને સંવેદના થાય છેકે, તેથી ગુસ્સો આવ્યો છે તેવું કોઈએ માની લેવું નહીં કારણકે, આખા વર્ષ સુધી, ગમે ત્યારે માણવા મળતા, આવા સમાચાર જાણે હમણાં બન્યા હોય તેમ સદૈવ  તાજા  ભાસે છે..!! ( કદાચ,તાજા હોય પણ ખરા ?)


ચાલો,ત્યારે આપણે આ સમાચારનું કોઈ આગોતરું આયોજન કર્યા વિના, ઊંચા જીવે, આપણને આવડે તેવું વિશ્લેષણ કરવાનો હીન પ્રયાસ કરી જોઈએ..!!


મિત્રો, તબીબી સેવાનું સુંદર ચિત્રણ એટલે, સન-૧૯૪૬ની, દિગ્ગજ સ્વ. શ્રીવ્હી.શાંતારામજી ની ક્લાસિક ફિલ્મ,"ડૉક્ટર કોટનીસ કી અમર કહાની".જેમાં મહારાષ્ટ્રીયન ડૉક્ટર દ્વારકાદાસ કોટનીસનું પાત્ર સ્વયં શ્રીશાંતારામજીએ ભજવ્યું હતું.


જોકે, જમાનો બદલાયો અને હવે `સેવા શેની મેવા કહો..ભાઈ..!!` એમ કહેનારા કેટલાક તબીબો અને હોસ્પિટલ કૉર્પોરેટના `રેટ` પર કેટલાક માનવભક્ષી માંસાહારી `ફૂંકીને કરડનારા RAT-તબીબો દ્વારા શરૂ કરાઈ છે, જે ગુજરાત માટે અત્યંત ગૌરવની બાબત માની લેવી.( તમારે  કો`ક દિ`, તો અહીં આવવું પડશે કે નહીં?)


चेहरे    की   चमक,   तेरी  जेब   की  खनक,
 सब   कुछ  देखो,  हवा  -  हवाई   हो   गए..!!
मुफ़्त   में    तबीब   ये   बदनाम   हो    गए  ?
जब  से   तबीब, इलीस  कसाई   हो   गए ?  

( इलीस =  धर्म  मार्ग  से  भ्रष्ट, शैतान )


*  ડૉક્ટર્સ દ્વારા બાળકના ડાબા-જમણા હાથના ખોટા ઓપરેશનને મામલે ભીનું સંકેલવાના પ્રયાસ? તેના કુટુંબને વળતરનું આશ્વાસન આપનારા હવે નજરે પડતા નથી?


મિત્રો, આપણા પ્રાતઃસ્મરણીય મૂર્ધન્ય સાહિત્યકાર શ્રીકાકાસાહેબ કાલેલકરજીના સાહિત્યને `ડાબો કે જમણો` હાથ પણ અડકાડ્યા વગર જ, પ્રખર મૂર્ધન્ય તબીબ બનીને, કેટલાય `નિરોગી`, રોગીઓને `સ્વધામ અમરપદ` પ્રદાન કરવા, અત્યંત ઘાંઘા થયેલા, `ડાબા કે જમણા` હાથનો ભેદ રાખ્યા વગર, નિષ્ઠાપૂર્વક, મનવાંચ્છિત, કોર્સ બહારની ફરજ (ચૂક) બજાવે રાખતા, આપણી સાર્વજનિક સેવા હોસ્પિટલના, કેટલાક  અતિ ઉત્સાહી ડોક્ટર્સ તથા તેમના આવા સત્કાર્યમાં,જ્યાં ધૂમ્રસેર દેખાય ત્યાં ફૂંકો મારવા દોડી જતા, વર્ષોથી સત્તા વગર રખડી પડેલા, કેટલાય આગેવાનો..!! આહા..હા..હા..હા..!! શું (ક)મેળ જામ્યો છે? વા..હ..!!


कौन  अंग  दायाँ,  कौन   सा   है    बायाँ..!!
कौन    यहाँ     बच्चा,  कौन    यहाँ     बुढ़ा..!!
हाड़ - मांस    पिघल   के,  दवाई   हो   गए..!!
जब  से   तबीब, इलीस  कसाई   हो   गए ? 


इन्सानियत   की   तो,   ऐसी   की   तैसी..!!
साँठ - गाँठ   है   ज़िंदा,   वैसे    की   वैसी..!!
नेता - बीमा - लेब,  सब  लुगाई   हो   गए..!!
जब  से   तबीब, इलीस  कसाई   हो   गए ? 


* મૃત ગરીબ મહિલાની સારવારમાં કચાશ ન રહી હોવાનો અહેવાલ તપાસ સમિતિ આપે તેવી શક્યતા? તેના પતિને આપઘાત કરવાની દુષ્પ્રેરણાનો મામલો હજી તબીબો પર નોંધાયો નથી? તેનું રૂપિયા.૯૪,૦૦૦નું બીલ હજી માફ થયું નથી?ડોક્ટર્સ તથા નર્સની હડતાળની ધમકી,મામલો થાળે પાડવા દોડી ગયેલા કૉર્પોરેશનના પદાધિકારીઓ.



ભાઈ, હોબાળો શું  કામ કરો છો? જનારા જતા રહ્યા,હવે જે છે તેને તો શાંતિથી જીવવા દો ને, ભલા માણસ..!! (ભોગ....!! ભોગ બનનારના?)  ભૂલ તો ભલભલાની થાય..!! અમે આ તપાસ સમિતિઓમાં  (પકડાયા વગરની)  ભૂલો કર્યા વગર, કાંઈ અમસ્તા જ મેમ્બર્સ બની ગયા હોઈશું? "बा..त  क..र..ता  है..!!" 

એટલેજ NIELS BOHR- Denish physicist. (ભૌતિકશાસ્ત્રવિદ્. 1885-1962.) જણાવે છેકે,


" An expert is a man who made all the mistakes,which can be made, in a very narrow field."


આ `નીલ્સભાઈ` ની વાત, (મારી જેમ) સહુને (ના)સમજાઈ હોય તો આપણે આગળ વધીએ અને આ ભોગ બનનારના કુટુંબને જણાવીએ કે, 


कहाँ   है   ग़रीबी,   कहाँ   के   तुम  ग़रीब..!!
गुर्दे  की  क़िमत  सुन,  खुल  जाएगा नसीब..!!
बदन  -  दवा   -   दारू,  महँगाई   हो   गए..!!
जब  से   तबीब, इलीस  कसाई   हो   गए ? 
(गुर्दा = कीडनी)


અમારા  ચંપકકાકા કહે છેકે," લોકો તો ડૉક્ટર્સને, બાય ગોડ, ભગવાન માને છે, પણ જે રીતે (નિ)રોગી મરી રહ્યા છે, તે જોતાં તો આ સહુ સંહારના દેવ યમરાજ કહેવાય? આમ પણ, આ મહિલાના પતિને આપઘાત કરવાની જરૂર જ ક્યાં હતી? આ આપઘાતી ભાઈ સેવા હોસ્પિટલનું રૂપિયા.૯૪,૦૦૦નું બીલ, આરસ તથા સોના-ચાંદી - હીરે મઢેલી, અન્ય કોઈ આધુનિક, કોર્પો`Rat`, હોસ્પિટલના સતાવાળાઓનો સંપર્ક કરીને, તેની એકાદ કીડનીના બદલામાં, બે-ત્રણ લાખ રૂપિયા કમાઈ શક્યો ના હોત? હવે આ ભૂલકણા ડોક્ટર્સ, પોતાની ભૂલ બદલ, તેમની વહાલી સિસ્ટર્સ (ખરેખર?) ને સાથે રાખીને ખરે(ખર) હડતાળ પાડશે તો,બીજા (નિ)રોગીને તકલીફ નહી પડે?"


ચંપકકાકાની વાતમાં દમ તો છે પણ, 


कहाँ   के   ये   ईश्वर,  कहाँ   के   ये   गोड़..!!
ऐंठे  -  जीते  -  मरते,   है   सब   गठजोड़..!!
अस्पताल    सोने   की    खुदाई   हो  गए..!!
जब  से   तबीब, इलीस  कसाई   हो   गए ?  


જોકે, ઘણા નાગરિકો માને છેકે,  પોતાના લાંબા સફેદ ડગલાની કમર પાસેનાં, ડાબે જમણે આવેલાં મો..ટ્ટાં ખિસ્સાઓમાં હાથ રાખીને, સમજ્યા વગર `ઈન્કલાબ જિંદાબાદ`ના (કા)મૂક નારા લગાવનારા, આ ભૂલકણા તબીબો તથા તેમની સાથે ખભેખભા મિલાવીને નારા લગાવતી તેમની `સિસ્ટર્સ`ને મનાવવા માટે, આપણા શહેરના પ્રથમ નાગરિક સક્ષમ છે. 


હાજી, આપના ગળાના સોગંદ ખાઈને કહું છું, મને પણ, આપણા શહેરના `પ્રથમ નાગરિક` પર ગળા સુધીનો ભરોસો છે. તેઓ જરૂરથી પોતાના અમિતાભ બચ્ચન જેવાં, લાં..બા, લાં..બા ડગલે, ત્વરાથી જેતે હોસ્પિટલ  દોડી જશે..!! 


અને ," પોતાની આવડી મો..ટ્ટી ભૂલ થઈ જ કેમ?" તેમ હ્રદય પર કુઠારાઘાત થવાથી, ઉપવાસ પર ઉતરેલા, આ હડતાળિયા તબીબ બ્રધર્સ-સિસ્ટર્સને મનાવવા તથા (બીન)જરૂરી સાંત્વના અર્પવા, જો જરૂર પડશે તો, મેયરશ્રી પોતાનામાં છૂપાયેલી વિશિષ્ટ પ્રતિભાનો સદુપયોગ કરીને, પોતાના મધુર કંઠથી `સ્વ.મુકેશજી`નાં દર્દીલાં ગીતોની આ સહુ  હ્રદય પીડિતોને રસલ્હાણ કરાવીને, તેમને અત્યંત લાગણીશીલ સહ્રદયી  બનાવી દઈ, ઉપવાસનાં પારણાં કરાવી, ગુજરાતના કેટલાય (નિ)રોગીઓની `સેવા` કરવા, પરત કામ પર ચઢાવીને જ દમ લેશે..!!


મને ચંપકકાકા કહે છે," ભાઈ, તમે બધા સંવેદનશીલ બ્લૉગર્સ, જુદા-જુદા વિષયો પર, રોજ આટલું બધું લખ-લખ કરો છોને પછી સારું-નરસું વાંચ્યા વગર બીજાના બ્લૉગ પર, " તમારી વા..હ,વા..હ; હવે મારી `કરવા` ક્યારે આવશો?"  જેવી છાપેલી આમંત્રણ પત્રિકાની મેટર છાપી આવો છો..!!  તેના બદલે, ગુજરાત સરકારને (ન.મો.ને?)રોજ એક પત્ર લખોને..!!


" આદરણીય શ્રીગુજરાત સરકારશ્રી એટલેકે સદા ઉપવાસી  શ્રીન.મો.જી.


આપ ઉપવાસ કરો છો તે સારી બાબત છે, સામે આપના પગલે ચાલીને, જેતે દિવસે (કાયમી ભૂખ્યા?) વિરોધીઓ પણ ઉપવાસ કરે છે તે પણ સારી બાબત છે. આ બંને કાર્યક્રમને અમારું સમર્થન છે.


આપ સરકારશ્રીએ, જૈનો તથા ગોપાલકોની `ગોહત્યા વિરોધી રેલી` નીકળતાં જ, નવો કાયદો બનાવીને, કસાઈઓની પથારી ફેરવી નાંખી...!! (સારી બાબત છે.)


આપ સરકારશ્રીએ, લઠ્ઠાકાંડ થતાં જ, લઠ્ઠાના અડ્ડાવાળાઓ, કેટલાય પોલીસ અધિકારીઓ તથા તેમના વહીવટદારો માટે કડક કાયદો બનાવ્યો.(સારી બાબત છે.)


આપ સરકારશ્રીના કુશળ શાસનમાં,હુલ્લડ નથી થતાં તેનું ગૌરવ આપ લઈ શકો છો, (સારી બાબત છે.)


પરંતુ,પરંતુ,પરંતુ..!!


હવે આવું જ ગૌરવ પ્રતિભાશાળી સજ્જન આરોગ્ય પ્રધાનશ્રી ક્યારે લઈ શકશે કે, અમારા શાસનમાં,છાશવારે તબીબોની હડતાળ કે ઉપવાસી આંદોલન ક્યારેય નથી થયું? કોઈ (નિ)રોગી ગરીબ માનવી, તબીબની બેદરકારીથી  હેરાન નથી થયો કે મૃત્યુ નથી પામ્યો?


ગરીબ માનવી, સાર્વજનિક હોસ્પિટલમાં, આધુનિક સાધનો હોવા છતાં, સાજો થવા જાય છેકે મરવા? શું સાર્વજનિક સેવા હોસ્પિટલોમાં પ્રવર્તતી અંધાધૂંદને કારણે જ મોઘીદાટ ફાઈવ સ્ટાર હોસ્પિટલોનો જન્મ થયો છે?


તબીબી કાર્યને સેવાને બદલે વ્યવસાય માનનાર જુનિયર્સને, ડાંગ-આહવાના અંતરિયાળ વિસ્તારમાં સેવા કરવા મોકલવા અંગે  કાયદામાં કોઈ પ્રાવધાન છે ખરું? 


શ્રીન.મો.સાહેબ, આવા `સેવાભાવી` માણસોની ભૂલોને, ગંભીર ગુન્હો માનીને, સખત કાયદો ઘડી, લઠ્ઠાના અડ્ડાવાળા કરતાં વધારે સજાને પાત્ર ગણવી જોઈએ, કારણકે  લઠ્ઠાના અડ્ડાવાળા મોટાભાગે અભણ હોય છે અને આ લોકો કહેવાતા `ભણેલા` તબીબ..!!"


આપશ્રીને ઘણી જગ્યાએ મંચ પરથી એમ કહેતાં સાંભળ્યા છેકે, હું સત્તા પર આવ્યો ત્યારે મને ગામડાના લોકોએ કહ્યુંકે કમસેકમ સાંજે વાળુ કરતી વેળાએ તો અંધારું દૂર થાય તેમ કરો..!! અને આ સરકારે ફક્ત એક હજાર દિવસમાં, `જ્યોતિગ્રામ` યોજના દ્વારા સમગ્ર ગુજરાતને ઝળહળતું કરી દીધું.


આદરણીય શ્રીમાન સરકારશ્રી, હવે આપ `સંજીવની યોજના` અમલમાં મૂકીને, હવે  આ મરવા પડેલા (નિ)રોગી ગરીબ માનવીઓના કુટુંબમાં અજવાળું ક્યારે પાથરશો? આપને એક હજાર દિવસ લાગશે કે, તેથી ય ઓછા? 


લિખિતંગ,

સંવેદનશીલ બ્લૉગર્સ એસોસિયેશન? (છે ખરું?)


=====


એક જ શ્વાસે આખો લેખ ઘસડી માર્યો, જે વાંચીને ચંપકકાકા બોલ્યા," આ બધી મોંકાણ, આજકાલનાં દંપતીઓ, નાનાં બાળકો સહિત, નાની શારીરિક તકલીફમાં પણ, ઘરગથ્થુ દવા કરવાને બદલે, ડૉક્ટરને ત્યાં લાં..બી લાઈનો લગાડવા પહોંચી જાય છે તે ભીડ જોઈને, કેટલાક લેભાગુ, ધર્મભ્રષ્ટ શયતાન ડૉક્ટર્સની લાલચને કારણે બાકીના બધા તબીબ બદનામ થાય છે..!!"


મને તેમની વાત સાચી લાગે છે કારણકે, 


तुलसी  -  हलदी  -  हरडे,  अनर्थ  हो   गए..!!
ग्रंथ     ये     पुराने,  सब    व्यर्थ    हो   गए..!!
माँ    के    सारे    नुस्खे    दंगाई   हो   गए..!!   
तब  से   तबीब,  इलीस   कसाई   हो   गए ? 
(दंगाई =  उपद्रवकारी)


પ્રિય બ્લૉગર્સ મિત્રો, આપ સંવેદનશીલ બ્લૉગર છો? કેપછી, આ બાબતે, કાંઈક કહેવા માટે આદરણીય સરકારશ્રી, આપણને સહુને સદર-સદર છાપેલી આમંત્રણ પત્રિકા મોકલશે તેમ માનો છો?


કેપછી, આદરણીય, શ્રી`શૂન્ય` પાલનપુરીજી આપણને આ પંક્તિઓ યાદ અપાવે તેની રાહ જોઈશું.....કે,


"  જાઓ, દુનિયાની ખબર તો લો,કે એને શું થયું?
-  કેમ તાજો ઘાવ આજ દિલ પર દેખાતો નથી..!!"


જોકે, મને ખાત્રી છે, કમસેકમ ગુજરાત સરકારશ્રી તો, ગરીબોનો ઉપહાસ ઉડાવી રહેલા, કેટલાક શયતાન તબીબોના આ `ઠઠ્ઠાકાંડ`નો બહુ જલદી અંત લાવશે?


॥ ॐ शांति,शांति, शांतिः ॥


માર્કંડ દવે. તા.૨૯.૧૧.૨૦૧૧.


Thursday, September 15, 2011

કાગ-ચરકસંહિતા.





કાગ-ચરકસંહિતા.

" કાગ   બેસે,   ચરક ચરકે,   સંજોગ સારા ?
  ડાળ ભાંગે ને, હાથ ભાંગે?    ભોગ તારા..!!"

===========

પ્રિય મિત્રો,

એકવાર  મારે, એક મિત્રના દીકરાના, લગ્નના રિસેપ્શનમાં,  જવાનું થયું.  મિત્રને ત્યાં પહેલોજ, પ્રસંગ હોવાથી હું,  સમય કરતાં વહેલો, પહોંચી ગયો.

એક મોટા પાર્ટી પ્લૉટમાં, ઊંચા સ્ટેજ પર ગોઠવેલી, કોઈ મહારાજાના સિંહાસન જેવી, ભપકાદાર ખુરશીઓ, નવદંપતિની રાહ જોઈ રહી હતી. પાસેના જ, ચેન્જિંગ રૂમમાં, પેલા મિત્રનો, બળવાખોર, વરરાજા, દીકરો, રીસેપ્સન માટે, તૈયાર થઈ રહ્યો હતો. આ માટે તેણે મુંબઈથી ખાસ ડિઝાઈનરને બોલાવીને, અત્યંત મોંઘી શેરવાની સિવડાવી હતી.

થોડીજ વારમાં, બહાર આમંત્રિત મહેમાનોની ભીડ શરૂ થઈ અને  પેલો તાજો પરણેલો, દીકરો, મોંઘી શેરવાનીમાં સજ્જ થઈ, બરાબર તાલે-માલે થઈ, ચહેરા  પર દુનિયાસર કર્યાના ભાવ સાથે, નવવધૂને સાથે લઈને, જ્યાં  સ્ટેજ પર ચઢવા જાય છે,  ત્યાંતો...!!

અચાનક,પાસે જ, એક લાઈટના થાંભલા પર, બેઠેલા કાગડાએ,  પેલા વરરાજાની મોંઘી શેરવાનીના, ખભાના ભાગ પર, સફેદ-પીળું, અઢળક  ચરકીને, વરરાજાના, સમગ્ર ઉત્સાહ પર, પાણી ફેરવી દીધું.

હવે..!! સહુના ચહેરા જોવા જેવા થઈ ગયા.  અણવરે, `સુ..સ..સુ...સ..!!`, કરીને, કાગડાને ત્યાંથી ભગાડ્યો તો ખરો, પણ હવે બગડેલી શેરવાની સાથે, વરરાજાથી, સ્ટેજ પર થોડાજ બેસાય?

પેલો વરરાજા, મોઢું બગાડતો, ફરીથી તેના રૂમમાં, નહાવા અને શેરવાની ધોઈ, ઇસ્ત્રી કરાવવા, દુઃખી મન સાથે, ચાલ્યો ગયો.

જોકે, આ બનાવથી, (વરરાજાના બાપ), મારા પેલા મિત્ર, રાજી થયા હોય તેમ, મને કહે,

" આ બબૂચકને, મેં આ પરજ્ઞાતિની, છોકરી સાથે લગ્ન કરવા ના પાડી હતી, છતાં અમારી મરજી વિરુદ્ધ તેણે આ પગલું ભર્યું."

મેં, મારા મિત્રને, સાંત્વના આપી." હશે..!! રાજાને ગમી તે રાણી, એમ રાખોને..!!"

મારા મિત્રએ, અડધા અફસોસ અને અડધા આનંદ સાથે કહ્યું,

"શું  ધૂળ, એમ રાખો..!! મારા મરી ગયેલા, બાપાનેય, આ લગ્ન નહીં ગમ્યું હોય, તેથીજ કાગડો થઈને  દાદા, પૌત્રની શેરવાની પર, ચરકી ગયા..!!"

મને લાગ્યું, હવે આ દુઃખી મિત્રને, વધારે છેડવામાં માલ નથી..!!

જોકે, રીસેપ્સનનો પ્રસંગ ઊજવાતો રહ્યો,પણ હું  ગહન  વિચારે  ચઢી ગયો.

આ કાગડાઓ જો આપણા દાદા દાદી કે, પરદાદા, પરદાદીઓ હોય તોપછી, તેઓ આપણી વચ્ચેજ વસવાટ કરીને, આપણી ઉપર જણાવ્યા મુજબની, ભૂલ પર, અલગ-અલગ પ્રકારે રોષ પ્રગટ કરીને, આપણને ચેતવતા હશે?

થોડા સમય પહેલાં,NDTV Imagine પર, અત્યંત ચર્ચાસ્પદ-વિવાદાસ્પદ, રિયાલિટી શૉ "રાઝ પિછલે જનમકા" ઓનઍર થયો હતો. જેના એક ઍપિસોડમાં, એક્પર્ટ   થેરાપિસ્ટ   ડૉ. તૃપ્તિ  જૈન   દ્વારા,  એક એવા ભાઈને,  પાછલા જનમની સફર કરાવાય છે,   જેમને  આ   જન્મમાં, એક  કાગડો  ઘરની બહાર નીકળતાંજ, માથામાં ચાંચ  મારીને,  હેરાન  - પરેશાન કરી નાંખે છે. છેવટે, પૂર્વજન્મમાં, કોઈને હેરાન કરવાથી, આમ બન્યું હોવાનું તારણ નીકળે છે..!!

શું  ખરેખર, આપણા કે અન્યના પિતૃઓ, કાગડાનું રૂપ લઈને, ચતુરાઈપૂર્વક, આપણને કે બીજાને  મદદ કરવાની કે, હેરાન કરવાની, પ્રવૃત્તિ કરે ખરા..!!

આપણા હિંદુઓમાં, આપણા મૃત સગાવહાલાઓ, એટલેકે,  પિતૃઓની તૃપ્તિ માટે, શ્રદ્ધાથી કરાતી તર્પણક્રિયાને શ્રાદ્ધ કહે છે. ચોમાસામાં, ભાદરવા વદિ પડવાથી અમાસ સુધીના પંદર દિવસ, પૂર્વજોનું શ્રાદ્ધ  કરવાના દિવસ ગણાય છે.એમ માનવામાં આવે છેકે, " શ્રાદ્ધકાલે પિતૃઓને અપર્ણ કરેલું અન્ન, જયાં સુધી ઊનું ઊનું હોય ત્યાં સુધી, તેઓ કાગડાનું સ્વરૂપ લઈને, ગ્રહણ કરે છે. – ગીતારહસ્ય."

આપણા, ઉપર દર્શાવેલા, કેટલાક દુઃખી પિતાઓ, પોતાના  દીકરાઓનો    વિશ્વાસ કર્યા વગર, પોતાના જીવતાંજ, ` જગતિયું`, (  જીવતાં કરાતું કારજ.) કરીને, પોતાની, શ્રાદ્ધવિધી કરી નાંખે છે...!! ( આને, જીવતાંજ, ` છત્રી કાગડો થઈ ગઈ `, એમ  કહેવાય?)

આ કાગડા કે કાગડીઓ, આપણા સહુના પિતૃઓ જ હશે તે ,માનવું જ પડે તેવા,  કેટલાય બનાવ મેં નોંધેલા છે..!!  દા.ત.

* જે  પિતૃને,  જીવનભર, સાઇકલ પણ નસીબ ન થઈ હોય તેવા પિતૃઓ (કાગડાઓ) , ઈર્ષાને કારણે, સારી, મોંઘીદાટ કાર જોઈને, આખી  કાર ચરકી ભરે છે..!!

( ખાસ કરીને, ડ્રાઈવર સાઇડના ગ્લાસ પર? ` લે,  શોધ હવે ગાભો અને કર સાફ.. સાલ્લા..!!")

* તેજ પ્રમાણે, આજીવન લઘર-વઘર જીવેલી, દાદી-પિતૃઓ પણ,   એક ગ્રામ સોનાનો ઢોળ ચઢાવેલા, નકલી દાગીના ઠઠાડીને, બ્યૂટીપાર્લરમાંથી તૈયાર થઈ, શુભપ્રસંગ માણવા નીકળેલી, સુંદર બહેનો પર, ઈર્ષાથી પ્રેરાઈને, સુંદર સજાવેલા, સુગરીના માળા જેવા, અંબોડા પર અથવા મોંઘી સાડીઓ પર, ચરકીને, બદલો લઈ લે છે..!!  

જોકે, કિંમતી કપડાં ઉપર ચરકીને, શાહી વસ્ત્રો ખરાબ કરવાનો પ્રસંગ, બાદશાહ અકબર સાથે પણ, એકવાર બની ગયો હતો. અકબરે, અકળાઈને, રાજ્યના તમામ કાગડાઓનું, નિકંદન કાઢતા પહેલાં,બીરબલને , કાગડાઓની સંખ્યા ગણી લાવવાનો, હુકમ  કર્યો.

" काक दन्त गवेषण न्यायः।"    એટલેકે, કાગડાના દાંત ગણવા જેવી નક્કામી પ્રવૃત્તિ જેવો , આ  હુકમ  બીરબલને ગમ્યો નહી, પણ બોલ્યા વગર તેણે, બીજાજ દિવસે, કાગડાની સંખ્યા, અમુક લાખના, આંકડામાં, બાદશાહને જણાવી દીધી.

બાદશાહ સમજી ગયાકે, બીરબલ, કાગડાની સંખ્યા, ગણવા ગયા વગરજ,  ગપ્પાં મારે છે તેથી, તેમણે ચેતવણી આપીકે,

" હું  ફરીથી, બીજા પાસે, કાગડાની સંખ્યા ગણાવીશ અને જો ઓછી કે વધારે નીકળશે તો?"

હાજરજવાબી બીરબલે જવાબ આપ્યો,

" જો મારી ગણેલી સંખ્યા કરતાં, કાગડા ઓછા હોય તો માનવુંકે, ગેરહાજર કાગડા, બીજા રાજ્યના મહેમાન બન્યા છે, અને જો સંખ્યા વધી જાય તો, માનવુંકે, બીજા રાજ્યમાંથી કાગડા, આપણે ત્યાં મહેમાન બન્યા છે."

મિત્રો, આપણા જીવન સાથે અતૂટપણે, સંકળાયેલા કેટલાંક પશુ,પક્ષીઓમાં, કાગડો મહત્વનું સ્થાન ધરાવે છે. શનિદેવના, વાહન તરીકે પણ, કાગડાને પણ સ્થાન અપાયું હોવાનું કહેવાય છે.આપણા અનેક પૌરાણિક ગ્રંથોમાં અને લોકકથાઓ કે, લોકબોલીમાં, કાગડાના ઉલ્લેખ સાથે, અનેક વાર્તાઓ, કહેવતો પ્રચલિત છે.

કાગડો, સારા-નરસા, શુકન  શાસ્ત્રવેત્તા હોવાની કેટલાકોની માન્યતા છે, તેથીજ કોઇ સંબંધી પરદેશ ગયેલ હોય અને આવવાની તક થઇ હોય ત્યારે કાગડો ફળિયામાં,  જેના ઘેર આવીને બેસી, ` કા...કા...કા...`, તેમ બોલે..!!  તો તે ઘરમાં, મહેમાન આવશે એમ, ઘરનાં ધારે છે.

સિદ્ધરાજ જયસિંહના સમયમાં, સંવત- ૧૨૦૦માં, ઘેટાં-બકરાં ચરાવનાર, એક ભવિષ્યવેત્તા, નામે `હુદડ`,ને ત્યાં `ભડલી`નામની એક ચતુર કન્યા જન્મી, જેને જયોતિષ પિતાએ, ગ્રહ-નક્ષત્રનું અમોઘ જ્ઞાન, વારસામાં આપ્યું. આ  જ્ઞાનના  આધારે ભડલીએ, સરળ લોકભાષામાં, સર્વ ઉપયોગી,  ભવિષ્યની આગાહી કરતાં, કેટલાંક તારણ કાઢ્યાં. ભડલીએ, જ્યોતિષ સંબંધી વર્ષના વરતારાની સાખીઓ દેશી ભાષામાં રચેલી છે, તે `ભડલીવાક્ય`, નામે સુપ્રસિદ્ધ છે.  જેને `ભડલી નાં વાક્યો` કહે છે.

દા.ત.  ભડલીનું વાક્ય છે કે: " રાતે બોલે કાગડા, દિન બોલે શિયાળ; તો ભડલી એમ કહે, નિશ્ચે પડશે કાળ." ચોમાસામાં, રાતે કાગડા બોલે તો તે દુકાળની નિશાની ગણાય છે.

કાગડો  કે  કાગડી,  ( આપણા પરદાદા  કે  દાદી..!! ) કોઈના પર, બરાબર લાગ જોઈને, ચરકે, કે  પછી  માથામાં ચાંચ મારે  તે જોતાં, તેના ચતુરપણા અંગે, કોઈને  શંકા ન ઉપજે તે સ્વાભાવિક છે.

આમતો, કાગડી પોતાનાં બચ્ચાં તેમ જ કાગડા માટે મરી પડે છે. કાગડીને, પોતાના નર કાગડા પ્રત્યે, અપાર સ્નેહ હોય છે. એટલેજ, ઘણી જાતિના કાગડા, ૨૪૦ વર્ષ જીવ્યા હોવાનાં ઉદાહરણ પણ મળી આવ્યા છે. ( પરણેલી બહેનો, જરા, `કાગડી` જેવી બનો,. શીખો..જરા તો સમજો? `अख़ंड सौभाग्यवती भवः।`)

કાગડો અને કાગડી ચતુર પક્ષી હોવા છતાં અને   કાગડીની બધી લુચ્ચાઈ છતાં તેને, એક પક્ષી, કોયલ  મહાત કરે છે. કોયલ પોતાનાં ઇંડાં, કાગડાના માળામાં મૂકી આવે છે. કાગડી તે સેવે છે અને બચ્ચાંને મોટાં કરે છે. તે મોટાં થાય એટલે કોયલ તેને લઇ જાય છે.

એમ માનવામાં આવે છે કે, જ્યાં વાંદરાં વધારે હોય ત્યાં કાગડા થોડા હોય છે, કેમકે કાગડા માળો બાંધી ઈંડા મૂકે છે ત્યારે વાંદરાં ઝાડ ઉપર ચડીને તેનાં ઈંડા નીચે જમીન ઉપર નાખી દે છે. (વાનરવેડા?)

જોકે,  જ્યારથી વાંદરામાંથી, પરિવર્તન પામીને  માણસે,  માણસાઈ  ધારણ કરી છે..!! ( હી..હી..હી..!! હસવાનું નહીં, ભા..ઈ..!! ), ત્યારથી, કાગડાને, માણસની સોબતમાં, જલ્સો પડી જાય છે. માણસ સાથેના સહવાસે, તેને હિંમતવાન ( !! ) અને ચોરવાની વૃત્તિનો ( !! ) બનાવ્યો છે.

( એમ કહેવાય છેકે, કાગડાની આંખને, એકજ ડોળો હોય છે જે,  વારાફરતી ડાબે-જમણે ફેરવીને,જુવે છે તેથીજ, લુચ્ચા માણસને `કાગડોળિયો` પણ કહે છે. ટૂંકમાં, ચોર નજર..?) )

કાગડો, કેટલીક વખત,  ઘરમાં અને દુકાનમાં છૂપી રીતે દાખલ થઈ જાય છે અને પડેલી ખાદ્ય વસ્તુ લઈને, ઝડપથી ઊડી જાય છે.આ હિંમતની સાથે તેનામાં એટલી જ સાવચેતી પણ છે. ક્યાંય ખોરાક હોય કે કોઈ શિયાળ કે બીજા કોઈ પ્રાણી ઉપર હુમલો કરવો હોય તો ત્યાં, કાગડાઓ ટોળાબંધ ભેગા થાય છે. કાગડો,  રસ્તામાં પડેલી, ગંદકીને, ઉત્સાહપૂર્વક ખાઈને, સમાજને, સફાઈ કામમાં, પણ મદદ કરે છે.

જોકે, આપણે ત્યાં, શ્રાદ્ધપક્ષમાં, કાગડાઓને, દાદા પરદાદાઓના નામે, ભરપેટ, સરસ, તાજી ખીર ખાવા મળે છે. ખીર ખાવા આવતા કાગડા, ૧૦૦% આપણા પિતૃઓ જ  હોવા જોઈએ, તેની ખાત્રી કરાવતી, એક  રમૂજ  પ્રચલિત છે.

શ્રાદ્ધપક્ષમાં,પોતાના મૃત પતિના, શ્રાદ્ધના દિવસે, પોતાના દીકરાને  લઈને, ધાબા પર,  કાગડા  સ્વરૂપ  પતિને,   ખીર  ધરાવવા, `કાગ વાસ..કાગ..વાસ..!!`,ની બૂમો પાડતી, સ્ત્રીની ખીર ખાવા એક પણ કાગડો ન ડોકાયો.

છેવટે લાંબી રાહ જોવડાવ્યા બાદ એક કાગડો આવ્યો તો ખરો..!! પણ આ સ્ત્રીની ખીર ખાવાને બદલે, તે સ્ત્રીના માથા ઉપર ઊડી, ચક્કર મારીને, પડોશીના, ધાબા પર મૂકેલી ખીર ખાઈને ચાલતો થયો..!!

બાપાની રાહ જોઈને કંટાળેલા, દીકરાએ,પેલી હતાશ  માતાને, સવાલ કર્યો," મમ્મી, આ   કાગડો  જ, મારા પપ્પા હતા ને?"

પેલી હતાશ સ્ત્રીએ જવાબ આપ્યો, " એ જ હોવા જોઈએ..!! પણ, તારા પપ્પા, હજી ય  સુધર્યા નહીં. તે જીવ્યા ત્યાં સુધી, મારા કરતાં, બાજુનાં કાન્તાબહેને રાંધેલી ખીર, તેમને બહુ ભાવતી હતી."

કાગડા અંગે, કેટલીક પ્રચલિત કહેવતઃ- ( સૌજન્યઃ- ગુજરાતી લૅક્સીકૉન )

૧. કાગડા ઊડવા = (૧) કોઈની હાજરી ન હોવી. (૨) ખંડેર થઈ જવું. (૩) નિર્વંશ જવો; સત્યાનાશ જવું; ઘરનાં બધાં માણસનું મરણ થવું. બદદુઆ દેવામાં આ અર્થમાં વપરાય છે.

૨. કાગડા કળકળવા = સત્યાનાશ જવું; છેક જ ખરાબી થવાનાં ચિહ્ન જણાવા. કાગડા શકુન શાસ્ત્રવેત્તા છે એવી માન્યતા ઉપરથી આ કહેવત થઈ છે.

૩. કાગડાની કોટે કંકોતરી = તરત વાત જાહેર કરે એવું; ગામવાતોડિયું.

૪. કાગડાની કોટે દહીંથરું-રતન = (૧) અપાત્રે દાન; સારા માણસનું નઠારાને પનારે પડવું. (૨) ગરીબ માણસ પાસે સારી વસ્તુ હોવી.

૫. કાગડાની ગુદામાંથી ગંગાજળ કાઢવું = ઘણું મુશ્કેલ કાર્ય કરવું.

૬. કાગડાની નજરે જોવું = ભયને માટે સાવધાન રહેવું; ચાલાક રહેવું; ચેતતા રહેવું; ચોતરફ તપાસ રાખવી.

૭. કાગડાનું ઊડી બેસવું-બોલવું = સારાં શુકન થવા; પરદેશ ગયેલ માણસ ઘેર આવશે એવું સૂચવનાર શુભ ચિહ્ન થવું.

૮. કાગડાનું બેસવું ને તાડનું પડવું = અણચિંત્યું કાંઈ બનવું; દૈવયોગે બનવું.

૯. કાગડાનું હસવું ને દેડકાના પ્રાણ જાય = બીજાને નુકશાન થાય અને પોતાને લાભ થાય તેવું કામ.

૧૦. કાગડાને કાળો રંગવો પડે ? = નીચ માણસમાં નીચપણું જ હોય.

૧૧. કાગડાને મન રમત અને ઉંદરનો જીવ જાય = બીજાને નુકશાન થાય અને પોતાને લાભ થાય એવું કામ.

૧૨. કાગડાને મોઢે રામ ન હોય = પાપીના મોઢામાંથી સારાં વેણ ન નીકળે.

૧૩. કાગડાને શાપે ઢોર ન મરે = સ્વાર્થીલા માણસની સ્વાર્થીલી ઇચ્છા પાર પડે નહિ.

૧૪. કાગડાને, સોળે દહાડા શ્રાદ્ધ = માગી ખાનારને હમેશા સારું સારું ખાવા મળે.

૧૫. કાગડાને હાથે કંકોતરી = રડતો જાય ને મુઆના ખબર લાવે.

૧૬. કાગડો કાગડીને ન ધીરે = લુચ્ચો લુચ્ચાનો વિશ્વાસ ન કરે.

૧૭. કાગડો કોયલને હસે = કોઈ પોતાનો દોષ જુએ નહિ અને બીજાને હસવા જાય.

૧૮. કાગડો દહીંથરું લઈ ગયો = છેતરી ગયો; સારી વસ્તુ નઠારને હાથ ગઈ.

૧૯. કાશીમાં પણ, કાગડા તો કાળા = મેલા મનનું માણસ ગમે ત્યાં જાય તો પણ મલિન જ રહેવાનું.

૨૦. છત્રી કાગડો થઈ જવી = પવનના જોશથી છત્રી વિખાઈ જઈ તેનો ઢાળ ઊંધો થઈ જવો.

કોઈ પક્ષીની લાક્ષણિકતાઓ સાથે, માણસની લાક્ષણિકતાઓનું, એક કહેવતના રૂપમાં. આટલી હદ સુધીનું સામ્ય, કોઈપણ વિચારશીલ માણસને જરૂર આશ્ચર્ય પમાડે તેવું છે. નહી..?

તેથીજ, ઘણા કાળો રંગ ઘરાવતા અથવા ધોળે દહાડે, કાળાં કામ કરતા માણસને, કાગડા સાથે સરખાવાય છે?

 કદાચ એટલેજ, કહેવત પડી હશેકે, `ગમે ત્યાં જાવ, કાગડા બધે જ કાળા.`

આપણા દાદા-દાદી, પરદાદા-પરદાદીઓ ઉપર મેં આવો લેખ ઢસડી માર્યો છે, મારું હવે આવી તો નહીં બનેને?

મારા પર, આપણા પરદાદા ચરકે  અથવા મને માથામાં ચાંચ મારવા આવે તો..!! જોજો, ભોગ તારા ન કહેતા..!!

મિત્રો, તમે મને બચાવશો? પ્લી...ઝ...!!

માર્કંડ દવે. તાઃ૨૭ જુલાઈ, ૨૦૧૦.

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.