Thursday, October 22, 2009

એક ગંભીર સમાચાર-ચીને કાશ્મીરને સ્વતંત્ર દેશ તરીકે રજૂ કર્યો

એક ગંભીર સમાચાર-ચીને કાશ્મીરને સ્વતંત્ર દેશ તરીકે રજૂ કર્યો

જમ્મુ કાશ્મીરના નાગરિકોને અલગ પાસપોર્ટ આપવાનાં મુદ્દે વિવાદ ઊભો કર્યા બાદ ચીને હવે આ વિસ્તારને સ્વતંત્ર દેશ તરીકે રજૂ કર્યો છે.તિબેટ આવતા મુલાકાતીઓ અને ખાસ કરીને પત્રકારોને ચીની સરકાર તરફથી અપાતા માહિતીપત્રકોમાં કાશ્મીરનો ભારતથી અલગ એક સ્વતંત્ર દેશ તરીકે ઉલ્લેખ કરવામાં આવે છે. તિબેટમાં અપાતી મીડીયા કિટમાં આપતી પ્રાથમિક માહિતી પુસ્તિકામાં કહેવામાં આવે છે કે તિબેટની સીમા ભારત, નેપાળ, મ્યાનમાર અને કાશ્મીર સાથે જોડાયેલી છે.ચીન, મ્યાનમાર અને નેપાળમાં જોવા મળતા નકશાઓમાં કાશ્મીરને ભારતથી અલગ દર્શાવવામાં આવે છે.

______________________________

Birbal

નામ- બિરબલ(રાજા-નગરકોઠ)

(Bir means Brain, Bal means Strong).

મૂળનામ-મહેશદાસ ભટ

જીવનકાળ-(૧૫૨૮-૧૫૮૩)

પિતામાતા-ગંગાદાસ-અનાભાદેવી(બ્રાહ્મણ પરિવાર)

દાદા-રૂપધરદાસ(સંસ્કૃતના પ્રકાંડ પંડિત.)

શોખ-લેખક,કવિ(ઉપનામ-બ્રહ્મ કવિ),સ્વરકાર,ગાયક,હાજરજવાબી,તીક્ષ્ણ બુદ્ધિશાળી સ્વભાવ.

ભાષાજ્ઞાન-સંસ્કૃત,હિન્દી,પર્શિયન.

હોદ્દો-અકબરના દરબારમાં ન્યાય તથા વહિવટમંત્રી(૧૫૫૬-૧૫૮૩).

મૃત્યુ-બાદશાહ સાથેની નિકટતાથી ઈર્ષાને કારણે,માલાદ્રી ઘાટ પાસે અફઘાન સાથેના યુદ્ધમાં,વિવાદાસ્પદ સંજોગોમાં દગા-છળકપટથી, આડાઅવળા ઢાળવાળી સાંકડી ખીણમાં દોરી જઈ,રાજા બિરબલને શેખ ફઝલે(ઝૈનખાન?)અફઘાનોના હાથે મારી નંખાવ્યા હોવાનું ઇતિહાસકાર કહે છે. મૃત્યુ પછી અસ્થિને ગંગામાં વહેવડાવી દેવાની બિરબલની અંતિમ ઇચ્છાને અવગણીને,અકબરે બિરબલની રાખને ગંગાકિનારે,હરિદ્વાર-હરકી પૌડી પાસે"ઠંડા કૂવાં"નામના સ્થળે દફન કર્યાનું કહેવાય છે.અકબરને બિરબલના મૃત્યુનું એટલું દુઃખ લાગ્યું કે બે દિવસ સુધી અન્નનો દાણો મોં માં નાંખી શક્યો નહીં.

નિકટતા-સન્માન-અકબરના દરબારમાં નવરત્નમાં એક બિરબલ અને અકબર અંગત લાગણીથી બંધાએલા મિત્રો પણ હતા.

૧.એક્વાર ચોગાન(પોલો?)નામની રમતમાં બિરબલ ઘોડા પરથી પડી જઈ બેભાન થઈ જતાં અકબર પોતે એને ઉઠાવીને સારવાર અર્થે લઈ ગયા હતા.

૨.એકવાર બે જંગલી હાથીઓની લડાઇ જોતાં એક હાથી ગાંડો થઈ બિરબલ સામે ધસી ગયો ત્યારે એને બચાવવા,અકબરે પોતાના જીવને પણ જોખમમાં મૂકી,પોતાના ઘોડાને પાગલ હાથી અને બિરબલ ની વચ્ચે લાવી દેતાં બિરબલનો જીવ માંડમાંડ બચ્યો હતો.અકબર,બિરબલ વચ્ચે આવી ગાઢ મિત્રતા હતી.

______________________________

પ્રિય મિત્રો,

આપણા દેશની કેવી વિટંબણા છે..!!આપણી સંરક્ષણનીતિ બાબત ઢોલ ઠોકીને,"આપણે ચીન કરતાં,સંરક્ષણક્ષેત્રે કેટલા ઊણા (નબળા) છીએ",તે,સમગ્ર દેશની જવાબદાર ઑથોરીટી દાખલા,દલીલ,આંકડા,પુરાવા સાથે પત્રકાર પરિષદ ભરીને,વગર વિચારે,શરમ વગર જાહેર કરે છે,જેમાં હવે દુઃખદ રીતે સેનાના પ્રવક્તાઓ પણ જોડાઈ ગયા છે,એ સમજાય તેમ નથી કે આમ કરવાથી દેશને ફાયદો શું છે?ઉપર દર્શાવેલા સમાચાર કેટલા ગંભીર છે તેનો એક દાખલો આપું, માતા વૈષ્ણોદેવીના દર્શનાર્થે જનાર યાત્રાળુઓને,ત્યાંના હૉટેલવાળા,દુકાનદાર વગેરે,"ઇંડિયા"થી આવ્યા,તેમ સંબોધન કરે છે.શા માટે?ત્યાં આપણે કોઈ દલીલ કરીએ,તેનો પણ કોઈ અર્થ નથી.

ચીન ,અક્સાઇ ચીનમાં ઘૂસણખોરી કરે?અરુણાચલ પર પોતાનો દાવો નોંધાવી આપણા વડાપ્રધાનની મુલાકાતનો વિરોધ કરે?કાશ્મીરીઓ માટે વિઝાના નિયમ પોતાના બનાવે?હવે,કાશ્મીરને પોતાના નકશાઓમાં અલગ દેશ તરીકે દર્શાવે? આપણી સરહદ ઓળંગી ત્યાંના રહેવાસીઓને બેશરમી,બેરહમીથી લૂંટી જાય,મારી જાય?આપણા અન્ય પડોશી દેશોને મદદના થોડા ટુકડા(શ્વાનભાગ) નાંખી,આપણી વિરુદ્ધ ઉશ્કેરે?(પરિણામ મુંબઇ જેવા આતંકવાદી હુમલા?)અને છતાંય,આપણા ઉદ્યોગોને બંધ થવાની અણી પર લાવી દઈ,સાવ ગામના ઉતાર જેવો,"યૂઝ એન્ડ થ્રો" જેવો બીનજરુરી,બીનઉપયોગી,સસ્તો માલ(કચરો?) આપણા દેશને કચરો સંઘરવાનું ગોડાઉન સમજી ઠાલવે જાય?(આપણે હોંશે-હોંશે ખરીદીએ?) અને બદલામાં આપણે ત્યાંથી અમૂલ્ય હૂંડિયામણ(આશરે વાર્ષિક પચાસ અબજ રૂપિયા?) પોતાના દેશમાં ભેગું કરી,તેનો ઉપયોગ આપણા વિરુદ્ધ શસ્ત્રસરંજામના વિકાસ માટે વાપરે?

क्षमिणं बलिन साधुर्मन्यते दुर्जनोऽन्यथा।

दुरुक॒तमप्यतः साधोः क्षमयेत॒ दुर्जनस्य न॥

અર્થાત્-સજ્જન ક્ષમાશીલ મનુષ્યને બળવાન અને દુષ્ટ લોકો ક્ષમાશીલ મનુષ્યને નિર્બળ માને છે.આવો ક્રમ હોઈ સજ્જનનાં મહેણાં સહેવાં,પણ દુષ્ટનાં કવેણનો ઉચિત જવાબ આપવો.

આપણી સરહદ ઉપર હજુ કેટલી વાડ બનાવવાની બાકી છે?સામુદ્રી સુરક્ષા કેટલી મજબૂત થઈ?બાંગ્લાદેશથી કેટલા ઘૂસણખોર,કેટલી લાંચ આપી ઘૂસ્યા?નેપાળથી કેટલી નકલી કરન્સી(ચાઇના મેડ?)ઘૂસી?આટલાં વર્ષોમાં કાશ્મીરના નાગરિકોને અબજો રૂપિયાની મદદ પછી,કેટલાનું હ્રદય પરિવર્તન થયું?આજે ત્યાં લોકમત લેવાય,તો ભારતને કેટલા લોકો પોતાનો દેશ માનવા તૈયાર છે?(ચૂંટણીનો હવાલો ના આપશો,હું કાશ્મીરી પંડિત સહિત,૧૦૦% લોકમતની વાત કરું છું.)અહીં આપણે,ચેનલમાં શું આવે છે?નેતાઓના સોગિયાં મોંઢામાંથી,નીકળતી બકવાસ સમી,એકમેક માટે ઝેર ઓકતી વાણી?બાળકોને ગાળાગાળી શીખવતા રિયાલીટી કાર્યક્રમ?પરદેશના કાર્યક્રમોની બેઠી નકલ કરી આપણું મનોરંજન કરવાના દયનીય,મરણીયા પ્રયાસ? સસ્તી પ્રસિદ્ધિ ભૂખ્યા બાબાઓ અને લેસ્બીયન-હોમો-સેક્સની સંભાવના(શઠતા?) દર્શાવતા,ચર્ચા કરતા,લોકોની અદાલતના નામે,નફ્ફટ કાર્યક્રમો? ગરીબોની ઝૂંપડીમાં કોણ,કેટલા દિવસ રોકાયું?કોને કેટલ ક્લાસ કહેવાય?ઝીણાનું મકાન ખરેખર કોનું કહેવાય?આતંકવાદી કસાબને જન્મ દિને કૅક મળ્યો કે નહીં?ફાટીને ધૂમાડે ગયેલી રાખીનું શું થશે?ચાંદ-ફિઝા,જૂલી-બટૂકનાથો ની રમ્ય પ્રણયકથાઓ? શું આપણે આમાં રચ્યાપચ્યા રહીશું?

"I INTENDED TO GIVE YOU SOME ADVICE BUT, I REMEMBER HOW MUCH IS LEFT OVER FROM LAST YEAR UNUSED."

GEORGE HARRIS(A844-1922) U.S.CONGRESSMAN.

અકબર જેવા શહેનશાહને પણ નમ્રતાપૂર્વક,ગધેડાની ઉપમા આપી તેની સાન ઠેકાણે લાવી શકે તેવી,તાકાત હવે કોનામાં છે?મારા મતે આપણા દેશને બિરબલ જેવા અનેક બુદ્ધિશાળી,કોઠાડાહ્યા વજીરોની તાતી જરૂર છે.જે જરૂર પડે બિરબલની જેમ દેશની રક્ષા કાજે યુદ્ધમાં પોતાનો પ્રાણ ન્યોછાવર કરી દે.આખોય દેશ વીર ભગતસિંહ,સાવરકર,ચંદ્રશેખર આઝાદના આદર્શને ભૂલ્યો નથી.

અમેરિકાની દાદાગીરી,અંગ્રેજોની અક્કલ,જાપાનનો દેશપ્રેમ,ઇઝરાઇલની હિમ્મત,સાઉદી આરબની અમીરી,ચીનની લુચ્ચાઈ,શ્રીલંકાની મક્કમતાના ગુણ આપણે તાકીદે અપનાવવાની જરૂર છે.ઇતિહાસના કાપુરુષને આમ પણ નવી પેઢી યાદ રાખવાનું પસંદ નથી કરતી.આ નેતાઓનાં ટોળાંને એમના અસલી ધંધે વળગાડી..!! દેશપ્રેમી વીર જવાંમર્દ યુવાન નેતાઓને દેશની ધુરા સોંપવાની જરૂર છે,અને આ કામ બીજા કોઈએ નહીં આપણે જ કરવું પડશે.આ બધું સરકારી વિદૂષકોનાં ટોળાઓથી સંભાળી શકાય તેમ નથી.આ બધાતો આપણા હાથી જેવા વિશાળ દેશને ટૂકડે-ટૂકડે વેચી દેશે,ત્યારે કાંઈ નહીંતો હાથીના અંકુશ માટે પણ લડતા-ઝગડતા દેખાશે. (विक्रीते करिणि किं अंङ्कुशे विवादः।)

કોઇપણ ખુદ્દાર બાપ દીકરાને માટે મોટી સંપત્તિ ના મૂકે તો ચાલે,પણ બાકી દેવું તો નથી જ મૂકતો.જૂના પ્રશ્નોનું દેવું ચઢતું જાય છે,સમસ્યાઓ હલ થવાને બદલે વકરતી,વધતી જાય છે,જૂના પ્રશ્નોને ઉકેલવા બાસઠ વર્ષ ઓછાં પડતાં હોય તો,ખામી આપણામાં છે..પરંતુ,હજુ એટલું મોડું થયું નથી,ચૂંટણીલક્ષી રાષ્ટ્રિયનીતિને બદલે દેશઉદ્ધારલક્ષી નીતિ ઘડવાની જરૂર છે.

આપણને જે નડતો હોય,તેને તેની ભાષામાં જડબાતોડ જવાબ આપવાની જરૂર છે.

કોણ કરશે આ કામ?

હે રા....મ?

માર્કંડ દવે.તા.૨૨-૧૦-૨૦૦૯.

1 comment:

  1. હા, વાત સાચી છે.. પણ ચીન ને છંછેડવુ એટલે માનો કે અજગર ને છેડવું.. આમેય ચીન ને સ્લિપિંગ ડ્રેગન તો કહ્યુ જ છે ને... આમ જોવા જઇએ તો ચીન આવુ જાણી જોઇ ને કરતુ હોય એમ લાગે છે.. એક પછી એક એ વિવાદ પેદા કરતુ જ રહે છે.. અને આપણા દેશ મા દખલ દેતુ રહે છે.. પણ ચીન સામે બંડ પોકારવુ ભારે પણ પડી શકે એમ છે.. એમની પાસે ભારે બાયોકેમિકલ વેપન્સ પણ છે, જે અમેરિકન સર્વે મા પ્રુવ થઇ ચુક્યુ છે..

    અને જસ્ટ ફોર અ ગ્લાન્સ, જો નોસ્ત્રાડેમસ ની આગાહિ છે જ કે.. ૩જુ વિશ્વયુધ્ધ ચીન રરુ કરશે..!! અને ૨૦૧૨ ની આગાહિઓ..!!!! સર્વે સુખ શાંતિ ભવતુ...!! બીજું તો શું કહી શકાય..!!

    ReplyDelete

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.